Categories
વાચન સમૃદ્ધિ

જે. જે. થોમસન

જ. 18 ડિસેમ્બર, 1856 અ. 30 ઑગસ્ટ, 1940

ઇલેક્ટ્રૉનના જનક તરીકે જાણીતા સર જે. જે. થોમસનનો જન્મ ઇંગ્લૅન્ડમાં થયો હતો. તેમનું પૂરું નામ જોસેફ જોન થોમસન હતું. તેમના પિતા દુર્લભ પુસ્તકોનો વેપાર કરતા હતા. જે વેપાર પેઢી દર પેઢીથી ચાલ્યો આવતો હતો. જે. જે. થોમસનને પુસ્તકો વાંચવાનો ગજબનો શોખ હોવાથી પરિવારે તેને એન્જિનિયરિંગ કરાવવાનું નક્કી કર્યું. તેમનો એન્જિનિયરિંગનો અભ્યાસ ચાલુ હતો ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું. થોમસન ભણવામાં બહુ હોશિયાર હોવાથી તેના અભ્યાસનો ભાર મિત્રોએ ઉપાડી લીધો હતો. પછીથી તેમને સ્કૉલરશિપ પણ મળી એટલે તેમનો અભ્યાસ ક્યાંય અટક્યો નહીં. અભ્યાસ પૂર્ણ કરીને જે. જે. થોમસન કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. આ ઉપરાંત પ્રયોગશાળામાં પ્રયોગ પણ કરતા હતા. 1884માં પ્રયોગશાળાના અધ્યક્ષ લૉર્ડ રેલેને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું નક્કી કર્યું. તેમણે પોતાના ઉત્તરાધિકારી તરીકે 28 વર્ષના છોકરા જે. જે. થોમસનની પસંદગી કરી હોવાથી નાની ઉંમરમાં આખી પ્રયોગશાળા સંભાળવાનો ભાર થોમસન પર આવી ગયો હતો. થોમસને ખૂબ મહેનત કરી. પરિણામ એ આવ્યું કે તેમના નિર્દેશનમાં એ સંસ્થા વિજ્ઞાનના ક્ષેત્રમાં વિશ્વની ઉત્તમ સંસ્થા બની. આ પ્રયોગશાળામાં થોમસનને પોતાનું જીવનકાર્ય અને જીવનસાથી બંને પ્રાપ્ત થયાં. જે. જે. થોમસને ઇલેક્ટ્રૉનની શોધ કરી હોવાથી તેમને ઇલેક્ટ્રૉનના જનક માનવામાં આવે છે. આ ઉપરાંત તેમને આઇસોટોપના શોધક પણ માનવામાં આવે છે. આ સિવાય તેમણે સાબિત કર્યું કે કૅથોડ કિરણને કોઈ ચુંબકીય અને વિદ્યુતક્ષેત્ર પણ વિચલિત કરી શકે છે. તેમણે કરેલાં આ બધાં સંશોધનોને કારણે તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

તાઇવાન

ચીનની મુખ્ય ભૂમિથી લગભગ 194 કિમી. દૂર ચીનના તળપ્રદેશના અગ્નિ ખૂણામાં આવેલો ચીન હસ્તકનો ટાપુ. તે 21° 45´ ઉ.થી 25° 15´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 120° 0´ પૂ.થી 122° 0´ પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. પહેલાં તે ફોર્મોસા નામથી ઓળખાતો હતો. તાઇવાનની સામુદ્રધુની દ્વારા તે ચીનની મુખ્ય ભૂમિથી અલગ પડેલો છે. તાઇવાનની દક્ષિણમાં આવેલી ‘બાશી ચૅનલ’ ફિલિપાઇન્સ ટાપુઓને તેનાથી અલગ પાડે છે. વળી તાઇવાનની ઉત્તરમાં ‘પૂર્વ ચીનનો સમુદ્ર’ તથા પૂર્વમાં ‘પૅસિફિક મહાસાગર’ આવેલા છે. મુખ્ય ટાપુ ઉપરાંત તાઇવાન ટાપુઓના જૂથમાં બીજા 15 ટાપુઓ તેમજ 64 જેટલા નાના નાના ‘પેસ્કાડૉર્સ દ્વીપસમૂહ’નો સમાવેશ થાય છે. આ બધાનું કુલ ક્ષેત્રફળ 36,188 ચોકિમી. જેટલું છે. ખેતી : સિંચાઈની સુવિધાવાળા ખીણપ્રદેશો તથા મેદાનોમાં ડાંગર, શેરડી, શણ, ઘઉં તથા કેળાં, લીચી, પીચ, અનેનાસ, તરબૂચ, નારંગી જેવાં ફળો અને શાકભાજીની ખેતી તેમજ પહાડી ઢોળાવો પર ચાની ખેતી થાય છે.

કી-લંગ બંદર, તાઇવાન

પરંપરાગત રીતે તાઇવાન ખેતીપ્રધાન પ્રદેશ છે. છતાં ખૂબ ઓછા સમયમાં તેણે મોટી ઔદ્યોગિક પ્રગતિ સાધીને દેશના અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે. અહીં ઉદ્યોગોનું વૈવિધ્ય વધારે છે. બધા ઉદ્યોગોમાં કાપડ-ઉદ્યોગ મોખરાનું સ્થાન ધરાવે છે. આ સિવાય અહીં વીજ અને વીજાણુ (electronics) ભાગો અને ઉપકરણો, કાગળ, ખાંડ, તૈયાર કપડાં, ખાદ્ય ચીજોનું પ્રક્રમણ, રસાયણો, સિમેન્ટ, કાચ, સિગારેટ, રબર તથા ચામડાનો સરસામાન, છાપકામ તથા પ્રકાશન વગેરેને લગતી ઔદ્યોગિક પ્રવૃત્તિ થાય છે. વાહનવ્યવહાર અને વ્યાપાર : ટાપુ પર આશરે 1,713 કિમી. લંબાઈના રેલમાર્ગો તથા 15,517 કિમી. લંબાઈના સડકમાર્ગો આવેલા છે. પાટનગર તાઇપેઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ધરાવે છે. ખાસ કરીને તેનો વિદેશવ્યાપાર કિનારા પરના કી-લંગ તથા નૈઋત્ય ખૂણે આવેલા કાઓ-સીયુંગ એ બે બંદરો દ્વારા ચાલે છે. તેના મોટા ભાગના વ્યાપારી સંબંધો જાપાન, યુ.એસ; હૉંગકૉંગ, વિયેતનામ, જર્મની, મલેશિયા, સિંગાપોર, કુવૈત વગેરે દેશો સાથે છે. વસ્તી અને વસાહતો : તાઇવાનની કુલ વસ્તી 2,33,96,000 (2024, આશરે) જેટલી હતી. ખાસ કરીને પશ્ચિમ કિનારાનાં મેદાનોમાં તથા તેને અડીને આવેલા ઊંચા પ્રદેશોમાં ગીચ વસ્તી જોવા મળે છે. આ ટાપુમાં શહેરી વસ્તીનું પ્રમાણ આશરે 62% જેટલું છે. તાઇપેઈ એ દેશનું પાટનગર, સૌથી મોટું શહેર તેમજ ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ ઉપરાંત અહીં કી-લંગ, કાઓ-સીયુંગ, તાઇચુંગ, તાઇનાન વગેરે બીજાં અગત્યનાં શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તાઇવાન, પૃ. 752 અથવા જુઓ https://gujarativishwakosh.org/તાઇવાન/)

Categories
વાચન સમૃદ્ધિ

લાખાજીરાજસિંહજી દ્વિતીય

જ. 17 ડિસેમ્બર, 1885 અ. 2 ફેબ્રુઆરી, 1930

નિર્ભય અને પ્રબુદ્ધ પ્રશાસક લાખાજીરાજસિંહજી દ્વિતીયનો જન્મ રાજકોટમાં થયો હતો. પિતા બાવાજીરાજસિંહજી અને માતા આનંદકુંબરબા. માતા ધરમપુર નારણદેવજી બીજાનાં પુત્રી હતાં. તેમણે પાંચ વર્ષની ઉંમરે 1890માં પિતાની છત્રછાયા ગુમાવી. તેઓ રાજકોટ રાજ્યની ગાદીના વારસદાર બન્યા, પરંતુ 21 ઑક્ટોબર, 1907ના રોજ તેમને સત્તાની ધુરા સોંપવામાં આવી. તેઓ બાળપણમાં મોસાળ ધરમપુરમાં રહેતા. રાજકોટની રાજકુમાર કૉલેજમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું. અભ્યાસ દરમિયાન તેઓ ટેનિસ, પોલો અને ઍથ્લેટિક્સ જેવી રમતોમાં ભાગ લેતા. ક્રિકેટ તેમની પ્રિય રમત હતી. કાઠિયાવાડની ઘણી સંસ્થાઓ સામે શાળા તરફથી ક્રિકેટ રમ્યા હતા. રાજકુમાર કૉલેજમાં અંતિમ વર્ષમાં બધા વર્ગો પાસ કરનાર તેઓ એકમાત્ર વિદ્યાર્થી હતા. તેઓ 1905 દહેરાદૂનમાં ઇમ્પીરિયલ કૅડેટ કૉર્પ્સ માટે ગયા. માર્ચ, 1907માં સ્નાતક થયા. તેમણે ઘણી વખત ઇંગ્લૅન્ડની મુલાકાત લીધી હતી. તેઓ પ્રગતિશીલ વિચારો ધરાવતા શાસક હતા. તેમનું જીવન પારદર્શી અને અનુકરણીય હતું. તેઓ પ્રજાને મુક્તપણે મળતા હતા. હૃદયથી રાષ્ટ્રવાદી હોવાથી ગાંધીજીના પ્રશંસક હતા. તેમણે 1910માં સ્ટેટ બૅન્કની સ્થાપના કરી. તેમણે રાજ્યમાં બંધારણીય સુધારાઓ કર્યા અને સ્વતંત્ર રીતે ચૂંટાયેલી પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરી. તેમણે 1911માં યોજાયેલ દિલ્હી દરબારમાં હાજરી આપી હતી. 3 જૂન, 1918ના રોજ તેમણે નાઇટ કમાન્ડર ઑફ ધ ઑર્ડર ઑફ ધ ઇન્ડિયન એમ્પાયર(KCIE)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકોટના સાતમા ઠાકોરસાહેબ લોકપ્રિય અને કુશળ શાસક તરીકે લોકોના હૃદયમાં વસેલા છે.