Categories
વાચન સમૃદ્ધિ

મણિરામ દત્તા બરુઆ

જ. ૧૭ એપ્રિલ, ૧૮૦૬ અ. ૨૬ ફેબ્રુઆરી, ૧૮૫૮

આસામમાં ચાના બગીચા સ્થાપનારા પ્રથમ લોકોમાંના એક મણિરામ દત્તાનો જન્મ આસામના ઉમરાવ પરિવારમાં થયો હતો. તેમના પૈતૃક પૂર્વજો અહોમ કોર્ટમાં ઉચ્ચ હોદ્દા પર હતા. તેઓ મણિરામ ‘દીવાન’ તરીકે પણ જાણીતા હતા. ઉચ્ચ આસામના લોકોમાં તેઓ ‘કલિતા રાજા’ (કલિતા જાતિના રાજા) તરીકે જાણીતા હતા. તેમની કારકિર્દીની શરૂઆતમાં તેઓ ઉત્તર-પૂર્વ ભારતના ગવર્નર જનરલના એજન્ટ ડેવિડ સ્કોટ હેઠળ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટમાં વફાદાર સહયોગી બન્યા હતા. ૧૮૨૮માં ૨૨ વર્ષીય મણિરામને સ્કોટના નાયબ કેપ્ટન જોન બ્રાયન ન્યુફવિલે હેઠળ રંગપુરના તહસીલદાર અને શેરીસ્તાદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પાછળથી ૧૮૩૩-૩૮ દરમિયાન આસામના નામાંકિત શાસક પુરંદરિંસઘ દ્વારા મણિરામને બોરભંડાર (વડાપ્રધાન) બનાવવામાં આવ્યા હતા. મણિરામે અંગ્રેજોને સિંગફો લોકો દ્વારા ઉગાડવામાં આવતી આસામની ચા વિશે માહિતી આપી હતી, જે અત્યાર સુધીના બાકીના વિશ્વ માટે અજાણ હતી. ૧૮૩૩માં ચાઇનીઝ ચાના વેપાર પરનો એકાધિકાર સમાપ્ત થયા પછી  ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ચાનાં મોટાં વાવેતરો સ્થાપવાનું નક્કી કર્યું, જેમાં ચાની ખેતી માટે યોગ્ય સ્થાન માટે આસામનું નામ સૂચવવામાં આવ્યું. પુરંદરિંસઘના પ્રતિનિધિ તરીકે મણિરામ ડૉ. વાલિચને મળ્યા અને ચાની ખેતી માટે પ્રદેશની સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો. ૧૮૩૯માં મણિરામ નાઝીરા ખાતે આસામ ટી. કંપનીમાં દીવાન બન્યા. દર મહિને ૨૦૦ રૂ.નો પગાર મેળવતા હતા. ૧૮૪૦માં અધિકારીઓ સાથેના મતભેદોને કારણે તેમણે નોકરી છોડી દીધી. આટલા સમયમાં મણિરામે ચાની ખેતીની કુશળતા મેળવી લીધી હતી. તેમણે જોરહાટમાં સિન્નામારા ખાતે પોતાનો ચાનો બગીચો બનાવ્યો. આમ આસામમાં વ્યાપક રીતે ચા ઉગાડનાર પ્રથમ ભારતીય ચા પ્લાન્ટર બન્યા. ચા ઉપરાંત મણિરામે આયર્ન સ્મેલ્ટિંગ, સોનાની પ્રાપ્તિ અને મીઠાના ઉત્પાદનમાં પણ સાહસ કર્યું. તેમની અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં હૅન્ડલૂમ, બોટ મેકિંગ, હોઝિયરી, કટલરી, ડાઇંગ, હાથીદાંતનું કામ, સિરામિક, કૃષિ ઉત્પાદનો, હાથીનો વેપાર વગેરેનો સમાવેશ થાય છે. ૧૮૫૭ના બળવા દરમિયાન અંગ્રેજો વિરુદ્ધ કાવતરું ઘડવા બદલ તેમને ફાંસી આપવામાં આવી હતી. ગુવાહાટીનું મણિરામ દીવાન ટ્રેડ સેન્ટર અને દિબ્રુગઢ યુનિવર્સિટીની બોય્ઝ હોસ્ટેલને મણિરામ દીવાન બૉય્ઝ હૉસ્ટેલ નામ આપવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

અંત:પ્રેરણાનો મૌન ને મૌલિક અવાજ

બુદ્ધિના આધારે અને તર્કના સહારે બધી બાબતોનું પૃથક્કરણ કરીને જીવનના મહત્ત્વના નિર્ણયો કરનાર એક મહત્ત્વની વાત ચૂકી જાય છે. વ્યક્તિના ચિત્તમાં એવી કેટલીય વિગતો અને માહિતી પડેલી હોય છે કે જેને એ પૃથક્કરણના ચીપિયાથી પકડી શકતી નથી. આથી કોઈ પણ નિર્ણય ગમે તેટલો તાર્કિક લાગે, તોપણ વ્યક્તિએ થોડો સમય થોભીને એ અંગે વિચાર કરવો જોઈએ અને એ તપાસ કરવી જોઈએ કે આ નિર્ણય મારા ચિત્તની એકાગ્રતાને આધારે લેવાયેલો નિર્ણય છે કે નહીં ? આવો નિર્ણય કાગળ પર નોંધીને એ વિશે થોડો સમય એના પર ધ્યાન કેન્દ્રિત કરીને વિચારવું જોઈએ. એ પછી ભીતરમાંથી કોઈ અવાજ આવે તો તે એકાગ્ર ચિત્તે સાંભળવો જોઈએ. આ આખીય પ્રક્રિયાનું કારણ એટલું જ કે તર્કના માપદંડથી જ નિર્ણય લેવા જતાં અંત:પ્રેરણા ચૂકી જવાય છે. આવી અંત:પ્રેરણા વ્યક્તિને એક નવી દિશા આપે છે. વિશ્વની મહાન વૈજ્ઞાનિક શોધો અને મહત્ત્વના ઐતિહાસિક નિર્ણયો હકીકતે આવી અંત:પ્રેરણાને આધારે જ થયા છે. આને તમે પ્રેરણા કહો, સ્ફુરણા કહો, અંત:પ્રેરણા કહો કે આત્માનો અવાજ કહો; પરંતુ આ બધી બાબતમાં તમારામાં રહેલી એક પ્રબળ શક્તિની ઓળખ આપે છે અને જો એ અંત:પ્રેરણાની શક્તિનો યોગ્ય કેળવણીથી વિકાસ કરવામાં આવે, તો વ્યક્તિ અશક્ય લાગતી બાબતને શક્ય કરી શકે છે. મૌલિક વિચારશક્તિ દ્વારા એ અંત:પ્રેરણા પામે છે. આવી અંત:પ્રેરણા સંતને આપત્તિમાંથી બહાર નીકળવાનો નવો માર્ગ ચીંધે છે, વિજ્ઞાનીના ચિત્તમાં નવા સંશોધનનું બીજ રોપે છે, ઉદ્યોગપતિ હોય તો એને નવા પ્રકારના ઉદ્યોગસાહસનો વિચાર આપે છે. આવી અંત:પ્રેરણા એ વ્યક્તિને મૌલિક દર્શનથી પ્રગતિના નવા આયામો શોધી આપે છે.

Categories
વાચન સમૃદ્ધિ

અક્ષયકુમાર રમણલાલ દેસાઈ

જ. ૧૬ એપ્રિલ, ૧૯૧૫ અ. ૧૨ ઑક્ટોબર, ૧૯૯૪

ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈના પુત્ર પ્રખર માર્કસવાદી અને કર્મશીલ સમાજશાસ્ત્રી અક્ષયકુમારે બાળપણમાં જ માતાને ગુમાવી હતી. તેઓ વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા, પણ ત્યાં હડતાળ પડવાના કારણે મુંબઈમાં ભણ્યા અને કાયદાશાસ્ત્રની સ્નાતક પદવી મેળવી. ત્યારબાદ સમાજશાસ્ત્રમાં વધારે રુચિ હોવાથી પીએચ.ડી.નો અભ્યાસ કર્યો. તેમણે લખેલ શોધનિબંધ ‘ભારતીય રાષ્ટ્રવાદની સામાજિક પાર્શ્વભૂમિ’ ૧૯૪૮માં અંગ્રેજીમાં પુસ્તક રૂપે પ્રગટ થયો. જેની અનેક આવૃત્તિઓ થઈ અને ભારતની મોટા ભાગની ભાષાઓમાં તેનો અનુવાદ થયો. અક્ષયકુમારની વરણી ૧૯૪૬માં મુંબઈની સિદ્ધાર્થ કૉલેજમાં સમાજશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે થઈ. ૧૯૫૧માં તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં જોડાયા. ત્યાંથી તેઓ સમાજશાસ્ત્રના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ ‘ઇન્ડિયન સોશિયોલૉજિકલ સોસાયટી’ અને ‘ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ’ના પ્રમુખ હતા. ભારતીય ગ્રામીણ સમાજશાસ્ત્ર, રાષ્ટ્રવાદ, આધુનિકીકરણ, ભારતમાં ઝૂંપડપટ્ટીની સમસ્યા, શહેરી કુટુંબો અને કુટુંબનિયોજન, ખેડૂત-આંદોલનો વગેરેના અભ્યાસનો તેમાં સમાવેશ થાય છે. તેઓ નીરા દેસાઈના સંપર્કમાં આવ્યા અને બંનેએ લગ્ન કર્યાં. સમાજશાસ્ત્ર વિશે ગુજરાતી ભાષામાં  સંદર્ભસાહિત્ય મળી રહે તે હેતુથી ‘સમાજ વિજ્ઞાનમાળા’ શ્રેણીમાં દેસાઈ દંપતીએ વીસ પુસ્તકોનું પ્રકાશન કર્યું. તેઓ ‘પડકાર’ નામના દ્વૈમાસિકનું સંપાદન પણ કરતા હતા. તેમને પંડિત જવાહરલાલ નહેરુ ઍવૉર્ડ ફોર સોશિયલ સાયન્સીસ (૧૯૮૭) અને યુ.જી.સી. દ્વારા બેસ્ટ સોશિયોલૉજિસ્ટ ઑફ ધ યર (૧૯૮૭)નો ઍવૉર્ડ મળ્યા હતા.