Categories
વાચન સમૃદ્ધિ

જેન ઑસ્ટિન

જ. 16 ડિસેમ્બર, 1775 અ. 18 જુલાઈ, 1817

અંગ્રેજી સાહિત્યમાં અમર કીર્તિ પ્રાપ્ત કરેલ લેખિકા જેન ઑસ્ટિનનો જન્મ સ્ટિવેન્ટન હેમ્પશાયરમાં થયો હતો. તદ્દન સામાન્ય કુટુંબમાં જન્મેલાં જેને લેખનકાર્યનો ઘણી નાની વયે પ્રારંભ કર્યો હતો. પિતા પાસેથી મળેલી તાલીમને કારણે ચૌદ વર્ષની વયે ‘લવ ઍન્ડ ફ્રૅન્ડશિપ’ની રચના થઈ. ‘એ હિસ્ટરી ઑવ્ ઇંગ્લૅન્ડ’ 15 વર્ષની વયે, ‘એ કલેક્શન ઑવ્ લેટર્સ’ 16 વર્ષની વયે આકાર પામી. જેને ઈ. સ. 1797માં લખેલ ‘પ્રાઇડ ઍન્ડ પ્રેજ્યુડિસ’ નવલકથા ઈ. સ. 1813માં પ્રકાશિત થઈ અને આ નવલકથાએ ઇતિહાસ રચ્યો. આ નવલકથા અંગ્રેજી સાહિત્યવિશ્વના સર્વોત્કૃષ્ટ સર્જન તરીકે ઓળખાય છે. તેમની બીજી લોકપ્રિય નવલકથાઓમાં ‘એમ્મા’, ‘સેન્સ ઍન્ડ સેન્સિબિલિટી’, ‘નાર્દેન્જર એબે’, ‘મેન્સફિલ્ડ પાર્ક’ અને ‘પર્સુએશન’નો સમાવેશ થાય છે. જેન ઑસ્ટિનની નવલકથાઓને પ્રગટ થતાંવેંત સારો આવકાર મળતો રહ્યો હતો. તેમની નવલકથાઓમાં રોજિંદા ગૃહજીવનને લગતા વિષયો, વિવિધ સામાજિક સાંસારિક સમસ્યાઓ તથા શાંત પ્રાદેશિક વાતાવરણના મુખ્યત્વે ગ્રામીણ મધ્યમવર્ગીય સમાજના અને સંસ્કારી પરિવારોના ભાવ-પ્રતિભાવ તથા સંવેદનાઓનું સ્પષ્ટ અને ભાવવાહી આલેખન છે. માનવજીવનની સાહજિક લાક્ષણિકતાઓ, વિચિત્રતાઓ તથા વિલક્ષણતાઓ તે પારદર્શક રીતે રજૂ કરે છે. પોતાની નવલકથાઓમાં જેને સામાજિક પરિવર્તનોના પ્રયોગોનો વિરોધ કરીને પારંપરિક મૂલ્યોને જ આગળ કર્યાં હતાં. તેમની નાયિકાઓ દ્વારા સ્ત્રીના ભાવમનનો થતો ખુલાસો અને તેને અંતે નર્મ સુખાન્તનો મળનારો સાથ એ જેનની નવલકથાની સબળ બાજુઓ હતી. પોતાના અનુભવોની તથા સંસારના અભ્યાસની મર્યાદામાં રહીને વૈવિધ્યપૂર્ણ પાત્રસૃષ્ટિના તથા હૃદયસ્પર્શી અને વાસ્તવદર્શી સાહિત્યના સર્જક તરીકે અંગ્રેજી નવલકથાક્ષેત્રે તેઓ ઊંચું અને અવિસ્મરણીય સ્થાન પામ્યાં છે. માત્ર 42 વર્ષની વયે જેન ઑસ્ટિને વિશ્વની વિદાય લીધી. તેમની કારકિર્દીને બે સદીઓ વીતી ગઈ હોવા છતાં તેમની પ્રતિભાની તાજગીને કારણે તેમની કલાકૃતિઓને આજે પણ દાદ આપવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

હરિયાળી ક્રાંતિ (green revolution)

નવી ટૅક્નૉલૉજી દ્વારા ભારતમાં ખેતીક્ષેત્રે ટૂંકા સમયમાં થયેલી મોટી ઉત્પાદનવૃદ્ધિ.

‘હરિયાળી’ એટલે લીલોતરી. એ શબ્દ વનસ્પતિની – ખેતીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે; જ્યારે ‘ક્રાંતિ’ શબ્દ મૂળભૂત પરિવર્તન સૂચવે છે. ભારતના હરિયાળી ક્રાંતિના પ્રણેતા ડૉ. એમ. એસ. સ્વામીનાથન નોંધે છે કે, ‘ખેતવિકાસની પ્રક્રિયા એ ફક્ત અન્નક્ષેત્રે સ્વાવલંબન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા નથી, પરંતુ ઝડપી અને વધુ શક્ય આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે.’ હરિયાળી ક્રાંતિ એટલે ખેતીક્ષેત્રે ઉત્પાદનપદ્ધતિમાં આમૂલ પરિવર્તન; પરંતુ આ આમૂલ પરિવર્તન સાથે કેટલીક બાબતો જોડાયેલી છે.

હરિયાળી ક્રાંતિ દર્શાવતો પંજાબનો એક ક્ષેત્રવિસ્તાર

આ ટૅક્નૉલૉજીના ત્રણ ઘટકો હતા : ઊંચી ઉત્પાદકતા ધરાવતાં બીજ, રાસાયણિક ખાતરો અને સમયસર અને પૂરતો પાણી-પુરવઠો. વધુ ઉત્પાદકતા ધરાવતાં બીજની એ ખાસિયત છે કે તેમાંથી ઊગતા છોડની લંબાઈ ઓછી રહે છે અને તે ઝડપથી પરિપક્વ થાય છે, તેથી તેને ખાતર રૂપે પૂરતું પોષણ અને સમયસર માપસરનું – પૂરતું પાણી મળવું જોઈએ. આની સાથે જંતુનાશક દવાઓનો વ્યાપક ઉપયોગ સંકળાયેલો છે; કેમ કે નવાં બિયારણ પર આધારિત પાક સરળતાથી રોગચાળાનો અને જીવજંતુઓનો ભોગ થઈ પડે છે. ભારતમાં નવી ઉત્પાદનપદ્ધતિ ૧૯૬૬માં રવી પાકથી શરૂ થઈ. ભારતના કૃષિક્ષેત્ર પર આને પરિણામે અનેક પ્રકારની અસરો પડી છે. તેની કેટલીક સારી અસરો નીચે પ્રમાણે છે : (૧) ભારતમાં નવી ઉત્પાદનપદ્ધતિના કારણે કેટલાંક ધાન્યો અને વ્યાપારી પાકોના ઉત્પાદનમાં વધારો થયો. (૨) નવાં સુધરેલાં બિયારણો અને આધુનિક પદ્ધતિના ઉપયોગથી ખેત-ઉત્પાદકતામાં વધારો થયો. (૩) ઘઉંના ઉત્પાદનમાં સૌથી વધુ વધારો થયો. ત્યાર બાદ ચોખા અને અન્ય ધાન્ય-પાકોમાં પણ અનુકૂળ અસરો દેખાવા માંડી. કપાસ, શેરડી, શણ અને કૉફી જેવા પાકોમાં ઉત્પાદન વધ્યું. (૪) ખેડૂતોના દૃષ્ટિબિંદુમાં ફેરફાર થવા લાગ્યો. તેઓ વધુ ઉત્પાદન અને તેના સારા ભાવો કઈ રીતે મેળવવાં તે અંગે વિચારતા થયા. તેઓની આવકમાં પણ વધારો થયો. (૫) હરિયાળી ક્રાંતિને લીધે અનાજના ઉત્પાદનમાં વધારાના કારણે અનાજની આયાત ઘટવા માંડી. (૬) રોજગારીની તકોમાં વધારો થયો. (૭) ઔદ્યોગિક ક્ષેત્રે નવા ઉદ્યોગોને વેગ મળ્યો. (૮) ખેડૂતોના જીવનધોરણમાં સુધારો થયો. (૯) સમગ્ર દુનિયાના કૃષિ-ઉત્પાદનમાં હિસ્સાની દૃષ્ટિએ ભારત અગ્રણી બન્યું છે. નવી ટૅક્નૉલૉજીની કેટલીક મર્યાદાઓ પણ છે તે છતાં પણ તેને ‘હરિયાળી ક્રાંતિ’ જેવું મોટું નામ આપવામાં આવ્યું છે તે હકીકતને સમજવા માટે પંજાબનું ઉદાહરણ તપાસી શકાય.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હરિયાળી ક્રાંતિ (green revolution), પૃ. 126)

Categories
વાચન સમૃદ્ધિ

ઇરાવતી કર્વે

જ. 15 ડિસેમ્બર, 1905 અ. 11 ઑગસ્ટ, 1970

ઇરાવતીનો જન્મ બ્રહ્મદેશમાં પિતા શ્રી. જી. એસ. કરમાકરને ત્યાં થયો હતો. મૂળ મહારાષ્ટ્રના પણ બ્રહ્મદેશમાં પિતા એન્જિનિયર તરીકે કામ કરતા હતા. બ્રહ્મદેશમાં આવેલ નદીના નામ પરથી દીકરીનું નામ ઇરાવતી પાડ્યું હતું. ઇરાવતીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બ્રહ્મદેશમાં લીધું, ત્યારબાદ તેઓ ભારત આવ્યાં અને પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં દર્શનશાસ્ત્રના વિષય સાથે 1926માં સ્નાતકની ઉપાધિ મેળવી. તે સમયે ઉચ્ચશિક્ષણ લેતી મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી હતી. ઇરાવતીને ભણવાની લગન ખૂબ હોવાથી તેઓ અભ્યાસમાં આગળ વધતાં ગયાં. ઈ. સ. 1928માં તેમણે સમાજશાસ્ત્રમાં એમ.એ.ની ઉપાધિ મેળવી. 1930માં તેમણે બર્લિન વિશ્વવિદ્યાલયમાંથી માનવશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી તેઓ ભારત પાછાં આવ્યાં. પુણેની ફર્ગ્યુસન કૉલેજના એ સમયના આચાર્ય દિનકર કર્વે સાથે તેમનાં લગ્ન થયાં. પુણેની ડેક્કન કૉલેજમાં સમાજશાસ્ત્ર વિષયનાં તેઓ પ્રાધ્યાપિકા હતાં. લગ્ન પછી તેમણે અધ્યાપનનું કાર્ય ચાલુ રાખ્યું. તેમને સ્ત્રીકેળવણીમાં ખૂબ જ રસ હતો. દેશમાં વધારે સ્ત્રીઓ અભ્યાસ, અધ્યાપન અને સંશોધનના કાર્યમાં ઊંડો રસ લે તેવું તે ઇચ્છતાં હતાં. તેઓએ ‘મહાભારત’નો અભ્યાસ કરી તેના ઉપર એક શોધપૂર્ણ ગ્રંથ ‘યુગાન્ત’ લખ્યો, જેને સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. આ ઉપરાંત તેઓએ ‘ધ ચિતપાવન બ્રાધિનસ્ – એન એથનિક સ્ટડી’ વિષય પર થીસિસ લખ્યો હતો. શૈક્ષણિક કારકિર્દી તથા સંશોધનના કાર્યની સાથે તેમણે પત્ની, ગૃહિણી અને માતાની ભૂમિકા પણ સારી રીતે નિભાવી હતી. ઇરાવતીએ અંગ્રેજીમાં ‘કિનશિપ ઑર્ગેનાઇઝેશન ઇન ઇન્ડિયા’ તથા ‘હિન્દુ સોસાયટી એન ઇન્ટરપ્રિટેશન’ તથા મરાઠીમાં ‘પરિપૂર્તિ’, ‘ભોવરા’, ‘આમસી સંસ્કૃતિ’, ‘ગંગાજલ’ જેવી રચનાઓ કરી છે.