Categories
વાચન સમૃદ્ધિ

ક્ષેમુ દિવેટિયા

જ. ૧ ઑક્ટોબર, ૧૯૨૪ અ. ૩૦ જુલાઈ, ૨૦૦૯

ગુજરાતી સુગમસંગીતના મૂર્ધન્ય સ્વરકાર અને સંગીતકાર ક્ષેમેન્દ્ર દિવેટિયાનો જન્મ અમદાવાદમાં સંસ્કારી નાગર પરિવારમાં થયો હતો. પિતા વીરમિત્ર અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રાધ્યાપક અને ગુજરાતમાં સુગમસંગીત પ્રવૃત્તિના આદ્યસ્થાપક. ૧૯૪૬માં ક્ષેમુભાઈ વિજ્ઞાનના સ્નાતક થયા. નાની વયથી જ સંગીતનો ખૂબ શોખ. આથી આરંભમાં જયસુખલાલ ભોજક, હામીદ હુસેનખાં તથા વી. આર. આઠવલે પાસેથી સંગીતની તાલીમ લીધી. અમદાવાદના ‘રંગમંડળ’થી સ્વરરચનાની શરૂઆત કરી. ૧૯૬૨માં સંગીતસંસ્થા ‘શ્રુતિ’માં જોડાયા. આ ઉપરાંત અમદાવાદની સંગીતની ‘આલાપ’, ‘શ્રવણમાધુરી’, ‘સ્પંદન’ સંસ્થા તથા નૃત્યસંસ્થા ‘કદમ્બ’ રાસગરબાની પ્રવૃત્તિઓ કરતી ‘નૂપુરઝંકાર’ તથા ‘વેણુનાદ’ જેવી સંસ્થાઓમાં સક્રિય હતા. ગુજરાત રાજ્ય યુવકસેવા તથા સાંસ્કૃતિક વિભાગ તરફથી તેમણે સતત દસ વર્ષ સુગમસંગીતનાં સંમેલનોનું આયોજન-સંચાલન કર્યું. તેમણે અમદાવાદની ‘દર્પણ’ સંસ્થા, મુંબઈની આઈ.એન.ટી. તથા વડોદરાની સંસ્થાઓ માટે ૧૯ નાટકોમાં તથા નૃત્યનાટિકાઓમાં સ્વરનિયોજન કર્યું. ૧૯૮૬થી અનેક વર્ષો તેમણે આકાશવાણી, દિલ્હી ખાતેના સંગીત બોર્ડના સભ્ય તરીકે સેવાઓ આપી હતી. તેમણે સ્વરનિયોજન કરેલાં ગીતોની રેકર્ડ, ‘હિઝ માસ્ટર્સ વૉઇસ દ્વારા ઉતારવામાં આવી છે. તેમાં ૧૯૮૪માં પ્રસિદ્ધ થયેલી ‘સંગીતસુધા’ને ખૂબ પ્રશંસા પ્રાપ્ત થઈ. તેમણે દેશ-વિદેશમાં પણ અનેક કાર્યક્રમો આપ્યા. મુંબઈમાં તેમણે ‘આ માસનાં ગીતો’ શીર્ષક હેઠળ અનેક કાર્યક્રમો આપ્યા.

ક્ષેમુભાઈનાં પત્ની સુધાબહેન પણ ગાયિકા હતાં. ક્ષેમુભાઈ ક્રિકેટ રમવાના શોખીન હતા અને તેમણે આકાશવાણી પરથી કૉમેન્ટરી પણ આપી છે. વિજ્ઞાનના વિદ્યાર્થી, ક્રિકેટના શોખીન અને આત્મા સંગીતકારનો. આ કંઈક અદભુત સંયોજન હતું તેમના વ્યક્તિત્વનું. તેમણે કેટકેટલા નામી કવિઓની કેટકેટલી કૃતિઓ ઉત્તમ રીતે સ્વરબદ્ધ કરી! તેમણે પોતાનાં સ્વરાંકનો થકી કવિના શબ્દોને નવો અર્થ અને નવી ઊંચાઈ બક્ષ્યાં. તેમને ‘કાશીનો દીકરો’ ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીતકારનો ઍવૉર્ડ, ૧૯૮૮માં ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર ઉપરાંત અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા. તેમની કેટલીક રચનાઓ ‘રાધાનું નામ’, ‘ગોરમાને પાંચે’, ‘મારી આંખે કંકુના’, ‘દાડમડીનાં ફૂલ રાતાં’, ‘કેવા રે મળેલા વગેરે જેવી અનેક સ્વરરચનાઓ અવિસ્મરણીય છે.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ડાહ્યાભાઈ આશાભાઈ પટેલ

જ. ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૦ અ. ૧૪ ઑગસ્ટ, ૨૦૦૮ ગુજરાતી કવિ, સમાજસેવક અને ગાંધીભક્ત ડાહ્યાભાઈનો જન્મ ખેડા જિલ્લાના સુણાવ ગામમાં થયો હતો. ૧૯૪૬માં ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા અને બૅરિસ્ટર થયા.

તેમણે આફ્રિકા જઈ યુગાન્ડામાં વકીલાત શરૂ કરી. સામાજિક સંસ્થાઓ દ્વારા સમાજસેવા શરૂ કરી, સ્થાનિક પ્રજાના આદર અને વિશ્વાસ પ્રાપ્ત કરવા સાથે સાહિત્યને લગતી પ્રવૃત્તિઓ પણ શરૂ કરી. તેમની સમાજસેવાને પરિણામે તેઓ યુગાન્ડાની પાર્લમેન્ટમાં ચૂંટાઈ આવ્યા. ઇદી-અમીનની જુલ્મી નીતિઓનો વિરોધ કરવાને કારણે તેમને જેલવાસ ભોગવવો પડ્યો. ત્યાંથી ભારતવાસીઓની હિજરત સમયે ૧૯૭૨માં લંડન આવી વસ્યા. લંડનમાં ગુજરાતી સાહિત્ય અકાદમી તથા મહાત્મા ગાંધી ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સ્થાપી. ગાંધીજીના જીવન પર ‘મોહનગાંધી મહાકાવ્ય’ નામે અનેક કાવ્યગ્રંથોમાં વિસ્તાર પામેલું દીર્ઘપ્રશસ્તિ કાવ્ય લખ્યું. ૧૪ ગ્રંથોમાંથી ૧૧ ગ્રંથો પ્રગટ થયા છે. તેમણે ૧૫ નવલકથાઓ અને ૯ વાર્તાસંગ્રહોનું સર્જન કર્યું છે. તેમનું શ્રીમદ્ ભગવદગીતા વિશેનું ચિંતનાત્મક પુસ્તક નોંધનીય છે. ગુજરાતી ભક્ત કવિઓનાં ભક્તિપદોનું અંગ્રેજી ભાષાંતર પણ તેમણે કર્યું છે. ડાહ્યાભાઈ ભારતીય વિદ્યાભવનના પણ સક્રિય સભ્ય હતા.

ગાંધીજી વિશેના મહાકાવ્યનો કેટલોક ભાગ તેમણે સંસ્કૃતમાં લખલો છે. લંડનમાં રહીને પણ ગાંધી-પ્રશસ્તિનાં અનેક કાવ્યો લખી પ્રગટ કરનાર ગાંધીભક્ત ડાહ્યાભાઈએ જીવનની અંતિમ ઘડી સુધી સાહિત્યસર્જન ચાલુ રાખ્યું હતું. તેમને ૧૯૮૯ના ‘વિશ્વગુર્જરી’ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
સાંપ્રત કાર્યક્રમો

પરિભાષાકોશ ગ્રંથ વિમોચન

વિખ્યાત કૅન્સર નિષ્ણાત અને ભાષાવિદ ડૉ. શિલીન શુક્લ દ્વારા તૈયાર થયેલા પરિભાષાકોશનું બે ભાગમાં પ્રાગટ્ય

તારીખ : 1 ઑક્ટોબર 2024 સમય : સાંજના 5.30

સ્થળ : ગુજરાત વિશ્વકોશ ભવન, શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ, રમેશપાર્કની બાજુમાં, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ

અતિથિ વિશેષ : ડૉ. પંકજ શાહ અને ડૉ. ઉર્વીશ વસાવડા

પરિભાષાકોશ વિશે : તબીબી વિદ્યાશાખા સાથે જોડાયેલા શબ્દોનો આ કોશ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશિત કરી રહ્યું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આ પ્રકારની પ્રવૃત્તિમાં વર્ષોથી કાર્યરત છે અને તેણે આ પ્રકારનાં નોંધપાત્ર પ્રકાશનો કરેલ છે. સ્વ. ડૉ. શિલીન શુક્લ વિશ્વકોશ સાથે ઘણા વખતથી જોડાયેલા હતા અને તેમનું એક સ્વપ્ન હતું તે આ તબીબી વિદ્યાશાખાના શબ્દોનો પરિભાષાકોશ. આ કાર્ય માટે તેમણે અકલ્પનીય મહેનત કરીને આખો પરિભાષાકોશ તૈયાર કર્યો, પણ કમનસીબે છેલ્લું થોડું કામ બાકી હતું ત્યાં તેમણે અણધારી વિદાય લીધી. હવે તેમની એક ઇચ્છાની પૂર્તિ તરીકે આ પ્રકાશન થવા જઈ રહ્યું છે એ આનંદની વાત છે. આ પરિભાષાકોશ એ માત્ર શબ્દોનું ભાષાંતર જ નથી, પણ તે વિશે વિગતે માહિતી પણ આપે છે.આ કોશમાંથી પસાર થનાર દરેકને શિલીનભાઈના સંસ્કૃતના જ્ઞાન અને આ કોશ માટેની તેમની પ્રતિબદ્ધતાની અનુભૂતિ જરૂર થશે. આમાંથી પસાર થનાર એ જોઈ શકશે કે એમણે માત્ર અર્થ અને વિવરણ જ નથી આપ્યાં, પણ એ વિશે ખૂબ જ વિગતથી સમજણ આપી છે. મોટા ભાગે જે શબ્દ હોયતેના પર્યાયવાચી શબ્દોની પણ વિશદ છણાવટ કરી છે. આમ, સાચા અર્થમાં પરિભાષાકોશ એન્સાઇક્લોપીડિયા બની રહે તેમ છે.