Categories
વાચન સમૃદ્ધિ

શિશુવિહાર

સ્વ. માનભાઈ ભટ્ટ દ્વારા ઈ. સ. ૧૯૩૯માં શરૂ થયેલ બાળકેળવણીની સંસ્થા.

‘શિશુવિહાર’ સંસ્થા અને માનભાઈ એક સિક્કાની બે બાજુઓ જેવા છે. ઈ. સ. ૧૯૩૮માં નાના પાયે શિશુવિહારની તેમણે શરૂઆત કરેલી. પાછળથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી તરફથી ઘણી મોટી જમીન દાનમાં મળી. આજે તો આ સંસ્થામાં અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. અહીં પ્રાથમિક શાળા, વિનયમંદિર, સંગીતવર્ગો, રંગભૂમિ-પ્રવૃત્તિ વગેરે સાથે શિક્ષણને પૂરક એવી અન્ય અનેક પ્રવૃત્તિઓ પણ ચાલે છે. આ સંસ્થા બાળજગતને ઉપયોગી એવાં પુસ્તકો તથા સામયિક વગેરે પ્રકાશિત કરે છે. ગરીબ બાળકોના સર્વાંગી વિકાસ માટે કશુંક નક્કર કરવાની ઝંખનાને કારણે માનભાઈએ આ પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. પ્રારંભમાં તેમને આ માટે ઊબડખાબડ જગ્યા પ્રાપ્ત થઈ. પછી તેને સપાટ ને સાફસૂથરી બનાવી. તેમના જેવી જ ભાવનાવાળા મિત્રોની મદદથી અને પ્રસિદ્ધ કેળવણીકાર શ્રી હરભાઈ ત્રિવેદીના માર્ગદર્શન નીચે તેમણે કાર્ય શરૂ કર્યું. એક હીંચકાથી ક્રીડાંગણની શરૂઆત કરી. માનભાઈ કોઈ પ્રકારના વ્યક્તિગત લાભની આશા વગર કે પોતે ઉપકાર કરી રહ્યા છે એવા ખ્યાલ વગર, પોતાના સિદ્ધાંત સાચવીને, બાળહિતની ભાવનાથી કાર્ય કરતા રહ્યા. વળી આ સંસ્થાએ ક્યારેય સરકાર પાસેથી આર્થિક મદદ કે અનુદાન લીધાં નથી. આ સંસ્થાને સ્વૈચ્છિક રીતે સ્વયંસેવકો અને વ્યાપક જનસમાજ તરફથી દાન કે મદદ પણ મળ્યાં છે. બાળકેળવણી અને સમાજસેવાના ધ્યેયથી આ સંસ્થા કામ કરે છે.

આ સંસ્થામાં અનેક પ્રવૃત્તિઓ નિયમિત રીતે ચાલે છે. આજે તેની પાસે વિશાળ ક્રીડાંગણ છે. તેમાં હીંચકા-લપસણી-ચકડોળો વગેરે રમતગમતનાં સાધનો છે. તરવા માટે હોજ, નાની નાની ટેકરીઓ, નાનાં નાનાં બુગદાંઓ, અરીસાઘર વગેરે પણ છે. અહીં અસંખ્ય વૃક્ષો છે. બાળકો કુદરતના ખોળામાં મોકળાશથી રમે છે અને શિક્ષણ મેળવે છે. આ સંસ્થા દ્વારા નેત્રયજ્ઞો થાય છે. સમાજના પછાત ગણાતા વિસ્તારમાં અને શાળાઓમાં નેત્રચિકિત્સા કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા ભાવનગરની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં MMR (Measles Mumpa and Rubella) નિમિત્તે રસીકરણનું કાર્ય રાહતદરે કરવામાં આવે છે. આ સંદર્ભે અનેક શિબિરો કરવામાં આવે છે. આ સંસ્થા આયુર્વેદિક દવાઓના ઉકાળાઓનું વિતરણ કરે છે. જરૂરિયાતમંદોને તબીબી સેવાના શેક માટેની કોથળી, પાણીની પથારી, ચાલવા માટેની ખાસ લાકડી, વૉકર, વ્હીલચૅર જેવાં સાધનોની સગવડ પણ પૂરી પાડે છે. ૧૯૫૨થી મોંઘીબહેન બધેકા બાલમંદિર ચાલે છે. અહીં મૉન્ટેસોરી પદ્ધતિ મુજબ શિક્ષણ અપાય છે. ૧૯૮૪થી રમકડાંઘર અને બાળપુસ્તકાલયની શરૂઆત થઈ છે. યુવાનોના યોગ્ય ઘડતર માટે સ્કાઉટ અને ગાઇડની પ્રવૃત્તિ ચાલે છે. શિશુવિહારના સ્કાઉટ-ગાઇડે છ વખત ગવર્નર શિલ્ડ જીતેલા અને તેમણે રાષ્ટ્રીય પુરસ્કારો પણ મેળવેલા. આ સંસ્થા જેલ, હૉસ્પિટલ વગેરે સંસ્થાઓને પુસ્તકો તેમ જ સામયિકો મોકલે છે. અહીં કલાકેન્દ્ર પણ ચાલે છે. તેને પોતાનું ઓપન ઍર થિયેટર છે. આ સંસ્થામાં ૧૯૪૦થી સીવણવર્ગો શરૂ થયા છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ,
વૉલ્યુમ ભાગ-૮, શિશુવિહાર, પૃ. ૨૯8)

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

મહિપાલ ચંદ્ર ભંડારી

જ. ૨૪ નવેમ્બર, ૧૯૧૯ અ. ૧૫ મે, ૨૦૦૫

ભારતીય ચલચિત્રોના જાણીતા અદાકાર અને રાજસ્થાની ફિલ્મના પ્રથમ અભિનેતા. તેમનો જન્મ જોધપુર, રાજસ્થાનમાં થયેલો, જ્યાં તેમણે શાળાકીય શિક્ષણ મેળવી જસવંત ગવર્નમેન્ટ કૉલેજ, જોધપુરમાંથી સાહિત્યના વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી. નાનપણથી જ અભિનય પ્રત્યેની રુચિને લીધે બાળકલાકાર તરીકે કામ કરી ૧૯૪૦ના દસકામાં મુંબઈ આવ્યા. ૧૯૪૨ ‘નઝરાના’ ફિલ્મથી પદાર્પણ કર્યું, પણ તેમાં ઝાઝી સફળતા ન મળી. વી. શાંતારામની ફિલ્મો માટે ગીતો લખવાનું શરૂ કર્યું. તેમણે સોહરાબ મોદી જેવા નિર્દેશક તથા વાડિયા બ્રધર્સની સાથે પણ કામ કર્યું હતું. બોલિવુડમાં તેમણે ‘પારસમણિ’, ‘ઝલક’, ‘કોબ્રાગર્લ’, ‘જંતર મંતર’ જેવી ફિલ્મોમાં સ્ટંટમૅન તરીકે પણ કામ કર્યું હતું. તેમની અભિનીત ‘અલીબાબા ઔર ચાલીસ ચોર’ (૧૯૫૪), ‘જેની’ (૧૯૫૩), ‘અલાદીન ઔર જાદુઈ ચિરાગ’ (૧૯૫૨) અને ‘અલીબાબા કા બેટા’ (૧૯૫૫) જેવી ફિલ્મોથી ખાડીના દેશોમાં પણ ઘણી લોકપ્રિયતા મેળવી. આ ઉપરાંત પૌરાણિક કથા પર આધારિત ‘ગણેશ મહિમા’ અને ‘વીર ભીમસેન’ તથા ભાગવત પુરાણ, રામાયણ અને મહાભારતમાં આવતા ભગવાન વિષ્ણુ, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણનાં પ્રતીકાત્મક ચરિત્રો ભજવી ઘણી લોકચાહના મેળવી. વી. શાંતારામની ફિલ્મ ‘નવરંગ’(૧૯૫૯)માં મુખ્ય ભૂમિકા ભજવી અને બાબુભાઈ મિસ્ત્રીની ‘પારસમણિ’(૧૯૬૩)માં પણ ભૂમિકા ભજવી. તેમની ફિલ્મો સંગીત, શાસ્ત્રીય નૃત્ય અને યાદગાર ગીતો માટે જાણીતી બની. તેમણે પુરાણી હિંદી ફિલ્મોની પરંપરા તોડી જેમાં કેવળ મહિલાઓ જ નૃત્ય કરતી દર્શાવાતી. તેઓ પણ સારું નૃત્ય કરી જાણતા હતા.

તેમની ફિલ્મ ‘જય સંતોષીમા’(૧૯૭૫)એ બોલિવુડ બૉક્સ ઑફિસનો રેકૉર્ડ તોડ્યો હતો.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

કિનારાનું લંગર અને

મધદરિયાનું જહાજ જુદાં હોય છે ———-

બંદર પર લાંગરેલું જહાજ કેટલું બધું સલામત હોય છે ! એને ન કોઈ મોજાં અફળાતાં હોય છે કે ન દરિયામાં ઉપરતળે થતું હોય છે. કોઈ ઝંઝાવાતો એને ડોલાવતા નથી, તો દિશાની શોધમાં એને આમતેમ ભરદરિયે ભટકવું પડતું નથી. એ નિરાંતે દરિયાકિનારે લંગર નાખીને ઊભું હોય છે, પણ આ જહાજનું સર્જન આ માટે થયું છે ? એના નિર્માણનો હેતુ આ જ છે ? ના. એનું કામ તો દરિયાની વચ્ચે મોજાંઓની થપાટો ખાતાં ખાતાં અને કેટલીય આફતો ઝીલતાં પોતાનો માર્ગ શોધવાનું છે. એમાં જ એના સર્જનની સાર્થકતા સમાયેલી છે.

વ્યક્તિ જ્યારે સલામત જીવન જીવવાનો વિચાર કરે છે, ત્યારે બંદરમાં ઊભેલા જહાજનું સ્મરણ થાય છે, પરંતુ વ્યક્તિ જ્યારે જીવન-સાર્થક્યનો વિચાર કરે ત્યારે ઝંઝાવાતમાં આમતેમ ફંગોળાતું જહાજ દેખાય છે. નવી દિશામાં આગળ વધવાનું એનામાં સંકલ્પબળ દેખાય છે. સંકલ્પબળ વિનાનો માનવી ન તો નવી દૃષ્ટિ ધરાવે છે કે ન તો નવી દિશા. એ તો ક્યાંય સલામતી શોધીને પગ વાળીને બેસી ગયો હોય છે. મહાન સાહસવીરો પાસે એક ધ્યેય હતું. એ ધ્યેય સિદ્ધ કરવા માટેનો સંકલ્પ હતો અને તેથી જ આ સાહસવીરો જગતને નવા નવા દેશોની ભેટ આપી ગયા છે. એની દૃષ્ટિ ખાબોચિયાંના ખૂણાઓને માપતી નથી, પરંતુ અફાટ સાગરને બાથમાં લેવાની કોશિશ કરે છે અને એ જ વ્યક્તિ જીવનમાં પોતાની દૃષ્ટિને-ધ્યેયને સિદ્ધ કરી શકે છે.

સાગરમાં ઊછળતાં મોજાં એમને ડરાવી શકતાં નથી. તોફાની દરિયાની કલ્પના એમને ડગાવી શકતી નથી. સફર ખેડતાં જળસમાધિ લેનારાં જહાજો કે જવાંમર્દોની દાસ્તાનો એમને થંભાવી શકતી નથી. એમની નજર દરિયા પર નહીં, કિંતુ દરિયાપારના દેશો પર હોય છે.

કુમારપાળ દેસાઈ