Categories
વાચન સમૃદ્ધિ

બાજી રાઉત

જ. ૫ ઑક્ટોબર, ૧૯૨૬ અ. ૧૧ ઑક્ટોબર, ૧૯૩૮

માત્ર બાર વર્ષની ઉંમરે માતૃભૂમિની સ્વતંત્રતા માટે બલિદાન આપનાર બાજી રાઉતનો જન્મ ઓડિશાના ઢેંકાનાલ જિલ્લાના નીલકંઠપુર ગામમાં ખંડાયત પરિવારમાં થયો હતો. પિતા હરિ અને માતા રાણિયાદેવીનો સૌથી નાનો પુત્ર હતો. બાળપણમાં જ પિતાનું અવસાન થતાં ઘરની સઘળી જવાબદારી માતાના શિરે આવી. માતા ડાંગર દળીને મજૂરી કરીને ગુજરાન ચલાવતી હતી. તેના મોટા ભાઈઓની આવક પણ ખૂબ જ ઓછી હતી. ઢેંકાનાલમાં શાસનની વિરુદ્ધ અવાજ ઉઠાવવા વૈષ્ણચરણ પટનાયકે ‘પ્રજામંડળ’ની સ્થાપના કરી. એમાં નાનાં બાળકોની એક વાનરસેના હતી. બાજી આ સેનામાં જોડાયો. બાજી બ્રિટિશ પોલીસની જાસૂસી કરવાનું અને તેમની પ્રવૃત્તિઓ વિશે સંદેશો પહોંચાડવાનું કામ કરતો. ૧૦ ઑક્ટોબર, ૧૯૩૮ના રોજ પટનાયકને પકડવા માટે પોલીસ ભુવન ગામમાં ગઈ, પરંતુ પટનાયક બ્રાહ્મણી નદી તરીને નીલકંઠપુર ગામમાં પહોંચી ગયા. પોલીસ મધ્યરાત્રિએ બ્રાહ્મણી નદી પાર કરવા માટે નીલકંઠપુર ઘાટ પહોંચી ત્યારે બાજી સૂતો હતો. પોલીસે તેને જગાડ્યો અને હોડીમાં બેસાડી નદી પાર કરાવવા કહ્યું. બાજીએ ના પાડતાં એક પોલીસે તેના માથા પર બંદૂકનો કુંદો માર્યો. આથી બાજીની ખોપરીમાં ફ્રૅક્ચર થયું, તે પડી ગયો. માથામાંથી લોહી વહેવા લાગ્યું છતાં તે ઊભો થયો. તેણે જોરથી અવાજ કરી પ્રજામંડળના કાર્યકારોને બોલાવ્યા. થોડી વારમાં લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા. પોલીસે નિર્દયતાપૂર્વક બાજી પર ગોળીબાર કર્યો અને તે શહીદ થયો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. બાજીના પાર્થિવ દેહને તેના વતન નીલકંઠપુર લાવવામાં આવ્યો. બાજીની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા. બાળક બાજી રાઉત ઇતિહાસમાં અમર થઈ ગયો. બાજીના જીવન અને પરાક્રમની ગાથા દર્શાવતું ‘બાજી રાઉત : ઇન્ડિયાઝ ફ્રીડમ ફાઇટર’ નાટકનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

સ્તૂપ

ભગવાન બુદ્ધ કે તેમના ધર્મોપદેશકોના શરીરના અવશેષ (જેમ કે, વાળ, દાંત, અસ્થિ અને ભસ્માવશેષ) પર રચવામાં આવતું વિશિષ્ટ આકારવાળું સ્થાપત્ય. પાલિ ભાષામાં ‘સ્તૂપ’ને ‘થૂપ’, મ્યાનમારમાં ‘પૅગોડા’ અને  શ્રીલંકામાં ‘દાભગા’ કહેવાય છે. અવશેષને ધાતુપાત્રમાં રાખી તેને પથ્થરના દાબડામાં મૂકી, લેખ સાથે દાટવામાં આવતો. તેની ઉપર અંડાકાર ઘાટનું ઈંટોનું કે પથ્થરનું ચણતર કરવામાં આવતું. સ્તૂપના મુખ્ય ભાગને અંડ કહેવાય છે. અંડના પેટાળમાં ધાતુપાત્રમાં પવિત્ર અવશેષની સાથે વિવિધ રત્નો; સોનું, ચાંદી કે હાથીદાંતનાં નાનાં ‘રત્નપદ્મ’ રાખવામાં આવતાં. ક્યારેક આ પવિત્ર અવશેષો સોનાના પાત્રમાં એ પાત્રને ચાંદીના પાત્રમાં, એ પાત્રને તાંબાના પાત્રમાં અને અંતે તેને પથ્થરના પાત્રમાં મૂકવામાં આવતા. ક્યારેક પથ્થરના દાબડા પર અવશેષોને લગતો કે સ્તૂપના નિર્માણને લગતો લેખ કોતરવામાં આવતો.

શાંતિ સ્તૂપ, લેહ

સ્થાપત્યનો આ અંડ ભાગ ચોરસ પીઠિકા પર રચવામાં આવતો. અંડનું મથાળું કાપીને તેને ઉપરથી સપાટ કરવામાં આવતું. ત્યાં પથ્થરનો કઠેડો બનાવવામાં આવતો. જેને ‘હર્મિકા’ કહેવામાં આવે છે. હર્મિકાની મધ્યમાં છત્રદંડ રોપવામાં આવતો. દંડને મથાળે ત્રણ છત્રો મૂકવામાં આવતાં. તે નીચેથી ઉપર જતાં મોટાં થતાં હોય છે. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા થાય તેવી વ્યવસ્થા કરાય છે. સ્તૂપનું નિર્માણ મોટા ભાગે રાજાઓ કરાવતા. આ માટે બુદ્ધનાં જીવન અને કાર્ય સાથે સંબંધ ધરાવતાં સ્થળોની પસંદગી કરાઈ છે. મધ્યપ્રદેશમાં સાંચી, ઉત્તરપ્રદેશમાં સારનાથ તથા તક્ષશિલાના સ્તૂપ જાણીતા છે. સ્તૂપ ગમે તેટલા જીર્ણ થાય તોપણ તેને કાઢી નખાતા નથી. તેનો જીર્ણોદ્ધાર કરાવાય છે. સ્તૂપની આસપાસ પથ્થરની વેદિકા (રેલિંગ) ચણી અને તેમાં પ્રવેશદ્વારો બનાવાય છે. આ પ્રવેશદ્વારને તોરણ કહે છે. સાંચીનો સ્તૂપ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. શ્રીલંકા, મ્યાનમાર, થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયામાં પણ સ્તૂપો જોવા મળે છે. જોકે વિવિધ સ્તૂપોના આકારમાં થોડા થોડા ફેરફારો પણ નજરે ચડે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦

Categories
વાચન સમૃદ્ધિ

રામચન્દ્ર શુક્લ

જ. ૪ ઑક્ટોબર, ૧૮૮૪ અ. ૨ ફેબ્રુઆરી, ૧૯૪૧

હિન્દીના સુપ્રસિદ્ધ સાહિત્ય-ઇતિહાસલેખક, વિવેચક, કવિ, અનુવાદક અને અધ્યાપક રામચન્દ્ર શુક્લનો જન્મ ઉત્તરપ્રદેશના અગોના ગામમાં થયો હતો. તેઓ નવ વર્ષના હતા ત્યારે માતાનું અવસાન થયું. એમણે પ્રાથમિક શિક્ષણ રાઠમાં મેળવ્યું. ૧૯૦૧માં મિર્ઝાપુરની લંડન મિશન સ્કૂલમાંથી હાઈસ્કૂલની ફાઇનલ પરીક્ષા FA પાસ કરી. પિતાની ઇચ્છા હતી કે તેઓ કચેરીમાં જઈ દફતરી કામ શીખે. એટલે તેમને કાયદાના અભ્યાસ માટે અલાહાબાદ મોકલ્યા. તેમને વકીલાતમાં રુચિ ન હતી, આથી નાપાસ થયા. તેમણે સ્વઅભ્યાસથી સંસ્કૃત, અંગ્રેજી, બંગાળી, હિન્દી, ફારસી અને ઉર્દૂનું જ્ઞાન મેળવ્યું. તેઓ ૧૯૦૩થી ૧૯૦૮ સુધી ‘આનંદ કાદમ્બિની’ના સંપાદક રહ્યા. ૧૯૦૪થી ૧૯૦૮ સુધી લંડન મિશન સ્કૂલમાં કલાશિક્ષક બન્યા. ૧૯૦૮માં ‘કાશી નાગરી પ્રચારિણી સભા’માં ‘હિન્દી શબ્દસાગર’ના સહાયક સંપાદક બન્યા. ૧૯૧૯માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં હિન્દીના પ્રાધ્યાપક થયા અને ૧૯૩૭થી ૧૯૪૧ સુધી હિન્દી વિભાગના અધ્યક્ષ રહ્યા. એમનો સર્વપ્રથમ નિબંધ ‘કવિતા ક્યા હૈ ?’ ૧૯૦૯માં ‘સરસ્વતી’ સામયિકમાં પ્રગટ થયો. તેઓ નિબંધક્ષેત્રે એમના યુગના શ્રેષ્ઠ લેખક હતા આથી એમના સમકાલીન યુગને ‘શુક્લયુગ’ કહેવામાં આવે છે. તેમણે વિવેચનમાં વ્યવસ્થિત માનદંડ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તેમની ભાષા સંસ્કૃત નિષ્ઠ, શુદ્ધ અને ખડી બોલી છે. તેમણે ‘કાવ્ય મેં રહસ્યવાદ’, ‘કાવ્ય મેં અભિવ્યંજનાવાદ’, ‘ચિંતામણિ’ (ભાગ ૧-૨), ‘અધ્યયન, ‘હિન્દી સાહિત્ય કા ઇતિહાસ’, ‘વિચારવીથી’, ‘બુદ્ધચરિત’, ‘અભિમન્યુ-વધ’, ‘ગ્યારહ વર્ષ કા સમય’ જેવા ગ્રંથો આપ્યા છે. આ ઉપરાંત તેમણે બંગાળી અને અંગ્રેજીમાંથી અનુવાદો આપ્યા છે. મૂર્ધન્ય વિવેચક, ઇતિહાસકાર અને યુગપ્રવર્તક નિબંધકાર તરીકે હિન્દી સાહિત્યમાં તેમનું વિશિષ્ટ સ્થાન છે.