Categories
વાચન સમૃદ્ધિ

સ્ટૉકહોમ

સ્વીડનનું મોટામાં મોટું શહેર અને પાટનગર. તે ૫૯° ૨૦´ ઉ. અ. અને ૧૮° ૦૩´ પૂ. રે. પર આવેલું છે. આ શહેર ૧૨૫૦ના દાયકામાં તત્કાલીન સ્વીડિશ નેતા બર્ગર જાર્લે વસાવેલું હોવાનું કહેવાય છે. સ્ટૉકહોમ માલેરન સરોવર અને બાલ્ટિક સમુદ્ર વચ્ચેના સ્વીડનના પૂર્વ કાંઠે વસેલું છે. તે સ્વીડનનું મુખ્ય વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તેનો વિસ્તાર ૬,૫૧૯ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી ૨૪,૧૫,૦૦૦ (૨૦૨૩, આશરે) જેટલી છે. ૧૬૩૪માં તે સ્વીડનનું પાટનગર બન્યું. સ્ટૉકહોમનું શહેરી આયોજન ખૂબ વ્યવસ્થિત રીતે કરવામાં આવેલું છે. તેની ગણના દુનિયાનાં અતિ સુંદર શહેરોમાં થાય છે. તે આશરે ૫૦ પુલોથી સંકળાયેલા ૧૪ જેટલા ટાપુઓ પર વસેલું છે. ગીચ વનરાજીથી આચ્છાદિત ટેકરીઓ વચ્ચેના રમણીય કુદરતી સ્થળદૃશ્યો તેની ભવ્યતામાં ઉમેરો કરે છે. સ્ટૉકહોમની પૂર્વ તરફ આવેલા સમુદ્રમાં નાના-મોટા કદના હજારો ટાપુઓ દ્વીપસમૂહ રચે છે. આ ટાપુઓમાં નાની નાની વસાહતો તેમ જ નાના કદની કુટિરો જોવા મળે છે. આ ટાપુઓ પ્રવાસીઓનું આકર્ષણકેન્દ્ર બની રહેલા છે. સ્ટૉકહોમનું મધ્યસ્થ સ્થળ તેનું પુરાણું નગર છે. તે ‘ગમલાસ્તાન’ તરીકે ઓળખાય છે. અહીં અઢારમી સદીનો વિશાળ શાહી મહેલ આવેલો છે. આ મહેલ જે ટાપુ પર છે, તે જ ટાપુ પર સ્વીડનનું સંસદભવન પણ આવેલું છે. ગમલાસ્તાનની ઉત્તરે આધુનિક ધંધાદારી મથકો તથા મુખ્ય બજાર આવેલાં છે. સ્ટૉકહોમ સ્વીડનનું મહત્ત્વનું બંદર પણ છે.

સ્ટૉકહોમ શહેર

શહેરમાં પ્રકાશન, રસાયણો, કપડાં, યંત્રસામગ્રી, ધાતુપેદાશો અને રબર-પેદાશોના એકમો આવેલા છે. શહેરના મોટા ભાગના લોકો કેન્દ્રસરકારની, રાજ્યકક્ષાની કે ખાનગી નોકરીઓ કરે છે. અન્ય કેટલાક લોકો વેપાર તથા ઉત્પાદનપ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. સ્ટૉકહોમ ભૂગર્ભીય રેલમાર્ગની સુવિધા ધરાવે છે. તે સડકમાર્ગે, રેલમાર્ગે તથા હવાઈ માર્ગે અન્ય શહેરો સાથે જોડાયેલું છે. આ શહેરમાં સ્ટૉકહોમ યુનિવર્સિટી, પુસ્તકાલય, શાહી નૃત્યશાળા, ઑપેરા અને થિયેટર આવેલાં છે. આ ઉપરાંત અહીં ઘણી કલાદીર્ઘાઓ (art gallaries) અને સંગ્રહાલયો પણ છે. વળી મનોરંજન માટે લોકપ્રિય સ્કાનસેન નામનો ઉદ્યાન, પ્રાણીસંગ્રહાલય અને ઓપન ઍર સંગ્રહાલય પણ આવેલાં છે. વીસમી સદીના મધ્યકાળથી સ્ટૉકહોમના જૂના આવાસોને પાડી નાખી નવા આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ સાથે સાથે તેની રમણીયતાને પણ જાળવી રાખવાનો પ્રયાસ કરાયો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦

Categories
વાચન સમૃદ્ધિ

રંગા રાવ દિવાકર

જ. ૩૦ સપ્ટેમ્બર, ૧૮૯૪ અ. ૧૬ જાન્યુઆરી, ૧૯૯૦

સંયુક્ત કર્ણાટકના સ્થાપક અને ગાંધીવાદી વિચારક દિવાકર રંગા રાવનો જન્મ મડીહાલ કર્ણાટકમાં એક રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ખડતલ યુવાન દિવાકરે પોતાના વ્યાયામશિક્ષક પાસેથી મલ્લકુસ્તી અને કટારયુદ્ધની તાલીમ હાંસલ કરી હતી. તેમણે બેલગામ, પુણે અને મુંબઈમાં અભ્યાસ કર્યો. અંગ્રેજી સાહિત્ય અને ભાષામાં તેઓએ એમ.એ.ની ઉપાધિ મેળવી. ૧૯૧૯માં કાયદાની પરીક્ષા આપી, પરંતુ કાયદાની ઉપાધિ ન સ્વીકારતાં, અંગ્રેજીના પ્રાધ્યાપક બન્યા, પણ કૉંગ્રેસના નાગપુર અધિવેશન વખતે તેમણે પ્રાધ્યાપક તરીકે રાજીનામું આપ્યું હતું. તેમણે કાર્લાઇલ, ઇમર્સન, વર્ડ્ઝવર્થ, રસ્કિન વગેરે લેખકોનાં લખાણ વાંચ્યાં હતાં. તેમણે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય તથા કર્ણાટકના ઇતિહાસનું પણ અધ્યયન કર્યું. રાષ્ટ્રવાદી આંદોલનના એક સાધન તરીકે તેમણે ‘કર્મવીર’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. તેઓ પોતાના અખબારમાં ‘સ્વતંત્ર ભારત’ અને એકતંત્ર કર્ણાટક પર લખતા હતા. તેમણે સિરસી, સિદ્ધાપુર, અંકોલા અને હિરેકુરુર તાલુકાઓમાં ના-કરની લડતની આગેવાની લીધી તથા મીઠાના સત્યાગ્રહમાં પણ ભાગ લીધો. તેમના રાજકીય વિચારો પર ઉપનિષદો અને ભગવદગીતાની પ્રગાઢ અસર હતી. આઝાદી પ્રાપ્ત થતાં તેમણે પોતાની જાહેર કારકિર્દીને બે પાસાંઓમાં વહેંચી નાંખી. પ્રથમ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની સેવાઓના સારતત્ત્વ રૂપે ગાંધીચિંતનને પ્રચારવાનું – પ્રસારવાનું કાર્ય હાથ ધર્યું તો બીજી બાજુએ બધા કન્નડભાષી લોકોને એક કરીને કર્ણાટકને એકીકૃત કરવાનું કાર્ય કર્યું. તેમનાં લખાણો ઇતિહાસ, ધર્મ અને ચિંતન તથા સાહિત્ય – એમ ત્રણ વિભાગોમાં જોવા મળે છે. તેમના  પુસ્તક ‘સત્યાગ્રહ : તેનો ઇતિહાસ અને ટૅકનિક’નો યુરોપના દેશોની ભાષામાં અનુવાદ થયો છે. તેમણે અનેક સંસ્થાઓનાં સભ્યપદ શોભાવ્યાં છે. તે ઉપરાંત તેઓ કેન્દ્રીય મંત્રી (૧૯૪૮-૫૨), બિહારના ગવર્નર (૧૯૫૨-૫૭) તથા રાજ્યસભાના સભ્ય (૧૯૬૨-૬૮) પણ રહી ચૂક્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

સેવાની ક્ષણોમાં સદા વસંતનો વાસ છે

જીવનની ધન્ય ક્ષણનું સ્મરણ કરીએ ત્યારે ચિત્ત પર એકાએક સાંપડેલી સિદ્ધિએ આપેલો આનંદ તરી આવશે. કલ્પનાતીત રીતે એકાએક સાંપડેલી સંપત્તિની પ્રાપ્તિનું સ્મરણ ચિત્તમાં ઊછળી આવશે. જે વસ્તુની પ્રાપ્તિ માટે રાત-દિવસ ઝંખના સેવી હોય તે સાંપડતાં એ સમયે આવેલા અંતરના ઊભરાનું સ્મરણ થશે. પ્રિય વ્યક્તિ પામવાના પુરુષાર્થની સફળતાનો ઉમળકો મીઠી લિજ્જત આપશે, પરંતુ સંપત્તિ, સિદ્ધિ કે પ્રિય વ્યક્તિની પ્રાપ્તિનો આનંદ એ એક ક્ષણે ઊછળતા મહાસાગર જેવો જરૂર લાગ્યો હશે, પણ એ આનંદસાગરમાંય દુ:ખની થોડી ખારાશ તો રહેલી જ હતી. એ સિદ્ધિઓની પડખે મર્યાદા હસતી હતી અને અપાર આનંદના પડખે ઊંડી વેદના પડેલી હતી. જીવનની કઈ ક્ષણોએ નિર્ભેળ આનંદ આપ્યો એની ખોજ કરીએ તો એ એવી ક્ષણો કે જ્યારે માનવીએ પોતાને માટે નહીં, પણ બીજાને માટે કશુંક કર્યું હોય. પોતાના જીવનની સ્વકેન્દ્રી ક્ષણોના સ્મરણમાં સમય જતાં પાનખર આવે છે, પણ પરમાર્થની ક્ષણોની લીલીછમ વસંત તો જીવનભર છવાયેલી રહે છે. પોતાની જાતના સુખ માટે ગાળેલો સમય એ સમય સમાપ્ત થતાં જ સુખની સમાપ્તિમાં પરિણમે છે. પોતાના સુખ માટે કરેલો પરિશ્રમ એ જરૂર ઉત્સાહવર્ધક હોય છે, પણ સદૈવ આનંદદાયક હોતો નથી. વ્યક્તિ જ્યારે બીજાને આપે છે ત્યારે એ સ્વયં પામતી હોય છે. માણસ પોતે પોતાના સુખનો વિચાર કરે તે પોતાના દેહ, મન કે પરિવાર સુધી સીમિત રહેતો હોય છે. બીજાના સુખનો વિચાર કરે તો તે એના આત્મામાં આનંદની અનુભૂતિ જગાવે છે. સ્વાર્થથી કદી સંતોષ સાંપડતો નથી. પરમાર્થ સદા સંતોષ આપે છે. જેમણે જીવનમાં પરમાર્થ સેવ્યો છે એમને સદાય જીવનનો સંતોષ પ્રાપ્ત થયો છે. કોઈ સેવાભાવીને જોશો ત્યારે ક્યારેક એમના ચહેરા પર ઉકળાટ, અસંતોષ કે અજંપો જોવા નહીં મળે. એમના મુખની રેખાઓમાંથી સંતોષનો ઉત્સાહ ફૂટતો હશે.