Categories
વાચન સમૃદ્ધિ

પ્રજાપ્રેમની પાઠશાળા

યુવાન અબ્રાહમ લિંકને ૧૭મા વર્ષે મજૂરી કરવાની શરૂ કરી. દોડવામાં, કૂદવામાં, વજન ઉપાડવામાં કે લાકડાં ચીરવા માટે કુહાડી ચલાવવામાં લિંકનની કોઈ સ્પર્ધા કરી શકે તેમ નહોતું. એણે એક મોટા રૂમાલમાં થોડાંઘણાં કપડાં બાંધી લાકડીને છેડે એ પોટલી લટકાવી, લાકડી ખભા પર ટેકવીને ૧૮૩૫માં પિતાનું ઘર છોડ્યું. એ સીધો ન્યૂ સાલેમ પહોંચ્યો અને ડૅન્ટન ઑફ્ટ નામના ખેડૂતની દુકાનમાં વેચાણ કરવાનું અને હિસાબ રાખવાનું કામ કરવા લાગ્યો. કુહાડી ચલાવનાર, હળ હાંકનાર અને ખેતરમાં મજૂરી કરનાર લિંકનને માટે આ કામ તદ્દન નવું હતું, પરંતુ એ ઉત્સાહભેર કામ કરવા લાગ્યો અને ગ્રાહકોને પ્રેમથી આવકારતો. બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ – બધાને પ્રામાણિકપણે તોલીને માલ આપવા લાગ્યો. એની પ્રામાણિકતા માત્ર વિચારમાં જ નહીં, પણ આચારમાં જોવા મળી. અબ્રાહમ લિંકનના મિલનસાર સ્વભાવને કારણે એની દુકાને ઘરાકી વધવા લાગી. જે કોઈ ગ્રાહક આવે એને માત્ર ઉમળકાથી આવકારે, એટલું જ નહીં, બલ્કે એની સાથે આત્મીયતાનો તંતુ બાંધી દેતો. કોઈને અખબાર વાંચીને સંભળાવતો, તો કોઈની સાથે દેશના રાજકારણની વાતો કરતો. કોઈને રમૂજી ટુચકા કહીને ગમ્મત કરતો. તેથી બનતું એવું કે ઑફ્ટની આ દુકાન ગામલોકોને માટે ચોરો બની ગઈ. ચીજવસ્તુ લેવા કે વેચવા તો આવતા, પરંતુ એની સાથે અબ્રાહમ લિંકન પાસેથી ગામગપાટા સાંભળવાની આશા રાખતા અને આજકાલ બનતી ઘટનાઓની જાણકારી મેળવતા. લિંકન સહુની વાતો પ્રેમથી સાંભળતો, એમનાં સુખદુ:ખની કહાની સાંભળીને એમની સાથે સહાનુભૂતિ દાખવતો અને કોઈને જરૂર હોય તો મદદ પણ કરતો. આવો લિંકન લોકોનો પ્રીતિપાત્ર બની ગયો. ઑફ્ટની આ દુકાન અબ્રાહમ લિંકનને માટે પ્રજાપ્રેમ પ્રાપ્ત કરવાની પાઠશાળા બની રહી.

Categories
વાચન સમૃદ્ધિ

યશ ચોપરા

જ. ૨૭ સપ્ટેમ્બર, ૧૯૩૨ અ. ૨૧ ઑક્ટોબર, ૨૦૧૨

હિન્દી ફિલ્મજગતના નિર્માતા, નિર્દેશક, ફિલ્મ-વિતરક તેમજ ફિલ્મસર્જનના જ્ઞાની. પિતા પી.ડબલ્યુ.ડી.માં એક સામાન્ય કારકુન તરીકે ફરજ બજાવતા હતા. આઠ ભાઈ-બહેનોમાં યશ ચોપરા સૌથી નાના હોવાથી સદા છત્રછાયામાં રહ્યા. જલંધરમાં ડોઆબા કૉલેજમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી તરીકે અભ્યાસ શરૂ કર્યો સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવૃત્ત સભ્ય પણ રહ્યા, પરંતુ ફિલ્મનિર્માણની લગનને કારણે અભ્યાસ અધૂરો મૂકીને તેઓ મુંબઈ સ્થાયી થયા. શરૂઆતમાં ફિલ્મસર્જક આઈ. એસ. જોહરના સહાયક તરીકે કામ કર્યા પછી ૧૯૫૯માં ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’ સાથે ફિલ્મનિર્દેશનમાં પદાર્પણ કર્યું. મોટા ભાઈ બી. આર. ચોપરાના નિર્માણમાં બનેલી ફિલ્મ ‘વક્ત’માં નિર્દેશન કર્યું.  ૧૯૭૩માં ફિલ્મ ‘દાગ’ સાથે નિર્માતા અને નિર્દેશક તરીકે સ્વપ્ન સાકાર કર્યું. યશરાજ ફિલ્મ્સના બૅનર સાથે ‘દીવાર’, ‘કભી-કભી’, ‘ત્રિશૂલ’, ‘સિલસિલા’, ‘ચાંદની’, ‘લમ્હે’, ‘વીરઝારા’, ‘દિલ તો પાગલ હૈ’ જેવી અનેક યાદગાર ફિલ્મ એમણે બનાવી. પ્રણય ફિલ્મો એ યશ ચોપરાની ઓળખ હતી. પોતાની ફિલ્મના સંવાદો ઉપર તેઓ વિશેષ ધ્યાન અને માવજત રાખતા. તેથી યશરાજ ફિલ્મ્સના બૅનર તળેની ફિલ્મોના સંવાદો આજે પણ જનહૈયે જળવાયેલા છે. યશ ચોપરાના બે પુત્રો આદિત્ય ચોપરા તેમજ ઉદય ચોપરા પણ ફિલ્મનિર્માણ તથા નિર્દેશનમાં સંકળાયેલા છે. યશ ચોપરાને એમના યોગદાન બદલ ભારત સરકારે ૨૦૦૫માં પદ્મભૂષણના સન્માનથી નવાજ્યા. બી.બી.સી. એશિયા ઍવૉર્ડ, બ્રિટિશ એકૅડેમી ફિલ્મ્સ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ ઍવૉર્ડ, દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ, પંજાબ રત્ન ઍવૉર્ડ, લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ, સ્વિસ ગવર્નમેન્ટ ઍવૉર્ડ, ફિલ્મફેરના ઘણા ઍવૉર્ડ એમને પ્રાપ્ત થયા હતા. સ્વિટ્ઝર્લૅન્ડમાં યશ ચોપરાની પ્રતિમા અને ચોપરા લેઇક બનાવીને એમને સન્માનિત કરવામાં આવ્યા છે. ટૂંકી માંદગી બાદ ૮૦ વર્ષની ઉંમરે એમનું અવસાન થયું. હિન્દી સિનેજગતમાં યશ ચોપરાનું કામ તથા નામ અવિસ્મરણીય છે.

Categories
વાચન સમૃદ્ધિ

સ્ટેચ્યૂ ઑવ્ યુનિટી

સરદાર વલ્લભભાઈ પટેલની તેમના લોખંડી વ્યક્તિત્વને શોભે તેવી, વિશ્વની ઊંચામાં ઊંચી (૧૮૨ મીટર + ૫૮ મીટરની પડથાર : ઈ. સ. ૨૦૧૮ સુધીમાં), ગુજરાત (ભારત)માં આવેલી પ્રતિમા. આ પ્રતિમા બનાવવા પાછળનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હેતુ વલ્લભભાઈએ રાષ્ટ્રનિર્માણમાં જે મહાન યોગદાન આપ્યું હતું તેની યાદગીરી જળવાય અને વિશ્વને તેની જાણ થતી રહે એ રહ્યો છે. આ પ્રતિમા નોઇડાના શિલ્પકાર રામ સુથાર અને તેમના પુત્ર અનિલ સુથારે તૈયાર કરી છે. ઐતિહાસિક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક દૃષ્ટિએ અણમોલ એવી આ પ્રતિમા ૧૩૮ મીટર ઊંચા સરદાર સરોવર બંધથી ૩.૨ કિમી. દૂર, વિંધ્યાચલ અને સાપુતારાની ટેકરીઓની વચ્ચે, રાજપીપળાની નજીક આવેલા સાધુ બેટ ઉપર સમુદ્રની સપાટીથી ૨૩૭ મીટરની ઊંચાઈએ આવેલી છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ તરફથી આ કાર્યનું આયોજન થયું હતું. માઇકલ ગ્રેવ્સ આર્કિટૅક્ચર ઍન્ડ ડિઝાઇનર્સ, ટર્નર કન્સ્ટ્રક્શન અને લાર્સન ઍન્ડ ટુબ્રોએ સાથે મળીને આ પ્રતિમા બનાવી છે. ૨,૯૮૯ કરોડના ખર્ચે તૈયાર થયેલી આ પ્રતિમા ૬.૫ રિક્ટર સ્કેલના ભૂકંપ સામે તેમ જ ૨૨૦ કિમી.ની ઝડપે ફૂંકાતા પવન સામે ટકી રહે તેવી મજબૂત છે. આ પ્રતિમા ૪,૦૦૦ કારીગરોની દિવસરાતની મહેનતનું પરિણામ છે. આ પ્રતિમાના નિર્માણમાં ૯૦ હજાર મેટ્રિક ટન સિમેન્ટ અને ૨૫ હજાર મેટ્રિક ટન લોખંડનો ઉપયોગ થયો છે. ૨૫૦ જેટલા ઇજનેરોનું આ કાર્યમાં યોગદાન રહ્યું છે.

‘સ્ટેચ્યૂ ઑવ્ યુનિટી’ની પ્રતિમા

આ પ્રતિમા વલ્લભભાઈનું વજ્ર જેવું કઠોર મનોબળ છતાં કુસુમ જેવું કોમળ હૃદય દર્શાવતા હાવભાવ તેમ જ તેમની ઊભા રહેવાની ઢબ-છટા તેમના આત્મવિશ્વાસભર્યા પ્રભાવક વ્યક્તિત્વને સુપેરે વ્યક્ત કરે છે. ઊંચું મસ્તક, ખભા પરથી ઝૂલતી શાલ અને બંને હાથની રચના એવી કરવામાં આવી છે કે જાણે વલ્લભભાઈ હમણાં હાલવાચાલવા ને બોલવા લાગશે એવું જોનારને થાય ! ચીનની જિયાન્ગ્ક્સી ટોક્વીન કંપનીની ટીક્યૂ આર્ટ ફાઉન્ડ્રી દ્વારા પ્રતિમાને અંદરથી કૉંક્રીટ તેમ જ ધાતુના માળખાથી તૈયાર કરવામાં આવી છે અને એને બહારથી કાંસ્ય ધાતુથી મઢવામાં આવી છે. અહીં ૧૫૨ ઓરડા ધરાવતી થ્રી સ્ટાર હોટલ છે, ઑડિટોરિયમ છે, લાઇટ ઍન્ડ સાઉન્ડ શો ધરાવતી ગૅલરીઓ છે અને સરદારશ્રીના જીવનકાર્યની ઝાંખી ધરાવતું સંગ્રહાલય છે. આ ઉપરાંત આ પરિસરમાં વેલી ઑવ્ ફ્લાવર, રોપ-વે, અન્ય રાજ્યોનાં ભવનો અને આદિવાસી સંગ્રહાલય (ટ્રાઇબલ મ્યુઝિયમ) છે. વળી સ્થાનિક આદિવાસી યુવાનોને ગાઇડની કામગીરીની તાલીમ આપવાની યોજના પણ છે. લગભગ ૧૫૭ મીટરની ઊંચાઈએ, ૨૦૦ વ્યક્તિ સમાઈ શકે તેવી મુલાકાતીઓ માટેની ગૅલરી બનાવવામાં આવી છે. આ યોજનાની સૌપ્રથમ જાહેરાત ૭ ઑક્ટોબર, ૨૦૧૦ના રોજ થયેલી. આ પ્રતિમા માટેનું ભૂમિપૂજન તત્કાલીન ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૩૧ ઑક્ટોબર, ૨૦૧૩ના દિવસે થયું હતું અને બરોબર પાંચ વર્ષ પછી ૩૧ ઑક્ટોબર, ૨૦૧૮ના રોજ, સરદાર વલ્લભભાઈની ૧૪૩મી જન્મજયંતીના દિવસે, ભારતના વડાપ્રધાન તરીકે તેમના જ હસ્તે તેનું લોકાર્પણ પણ થયું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સ્ટેચ્યૂ ઑવ્ યુનિટી, પૃ. ૬૬)