Categories
વાચન સમૃદ્ધિ

રાજિન્દર પુરી

જ. ૨૦ સપ્ટેમ્બર, ૧૯૩૪ અ. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૫

જાણીતા કાર્ટૂનિસ્ટ, કૉલમલેખક અને રાજકારણી રાજિન્દર પુરીનો જન્મ કરાંચીમાં થયો હતો. તેમના પિતા હવામાનશાસ્ત્રી હતા. પાંચ સંતાનોમાં સૌથી નાના રાજિન્દર પુરી ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે માત્ર તેર વર્ષની ઉંમરે પરિવાર સાથે દિલ્હીમાં સ્થાયી થયા. નાનપણથી જ કાર્ટૂન પ્રત્યે અત્યંત આકર્ષણ ધરાવતા રાજિન્દર પુરીએ સેન્ટ સ્ટીફન કૉલેજમાં અભ્યાસ કર્યો, પરંતુ તેમની ઇચ્છા ઇંગ્લૅન્ડ જઈને કાર્ટૂન અંગે અભ્યાસ કરવાની હોવાથી તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને તેમનો અભ્યાસ પૂર્ણ થયા પછી થોડો સમય તેમણે ‘ધ માંચેસ્ટર ગાર્ડિયન’ અને ‘ધ ગ્લાસગો હેરલ્ડ’માં કાર્ટૂનિસ્ટ તરીકે કામ કર્યું. ઇંગ્લૅન્ડથી ૧૯૫૯માં ભારત આવ્યા પછી તેમણે ‘હિંદુસ્તાન ટાઇમ્સ’માં ૧૯૬૭ સુધી કામ કર્યું. ત્યારબાદ તેઓ ‘ધ સ્ટેટ્સમૅન’માં કાર્ટૂનિસ્ટ તરીકે કાર્યરત રહ્યા હતા. તેમનાં કાર્ટૂન ‘શંકર્સ વીકલી’માં પણ પ્રકાશિત થતાં હતાં. કટોકટી પછી તેમણે ૧૯૭૭માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને તેઓ જનતા પાર્ટીના સ્થાપક જનરલ સેક્રેટરી બન્યા. જનતા પાર્ટીના ભાગલા પડ્યા પછી થોડો સમય લોકદળ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાયા હતા, પરંતુ ૧૯૮૮ પછી તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તેમના જીવનનાં પાછલાં પચીસ-ત્રીસ વર્ષ તેઓ ફ્રીલાન્સ પત્રકાર તરીકે અનેક અખબારો અને સામયિકોમાં કૉલમ લખતા હતા. તેમણે ‘ઇન્ડિયા ૧૯૬૯ : અ ક્રાઇસિસ ઑફ કૉન્સિયસ, ‘ઇન્ડિયા ધ વેસ્ટેડ ઇયર્સ : ૧૯૬૯-૧૯૭૫, ‘ગવર્નમેન્ટ ધેટ વર્ક્સ ઍન્ડ હાઉ’, ‘રિકવરી ઑફ ઇન્ડિયા’, ‘બુલ્સ આઈ’ જેવાં પુસ્તકો લખ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

સ્થિરવાસનું સરનામું

ગ્રીસના તત્ત્વચિંતક ડાયોજિનિસ તત્ત્વવેત્તા સૉક્રેટિસના શિષ્ય એમ્ટિસ્થેનિસના શિષ્ય હતા. એમણે સ્વાવલંબી જીવન જીવવાનો આગવો માર્ગ બનાવ્યો. દિવસે ફાનસ લઈને ઍથેન્સ શહેરની શેરીઓમાં ઘૂમતા હતા અને કહેતા કે દિવસે ફાનસના અજવાળે પ્રમાણિક માણસને શોધવા નીકળ્યો છું. એક વાર તત્ત્વવેત્તા ડાયોજિનિસ પાસે ઉતાવળે આવેલા એક યુવાને પ્રશ્ન કર્યો, ‘મને જલદી કહો, ધર્મ એટલે શું ?’ ડાયોજિનિસે કહ્યું, ‘અરે ભાઈ, એમ ઉતાવળે ધર્મની વ્યાખ્યા થઈ શકે નહીં.’ આગંતુકે કહ્યું, ‘પણ હું બહુ ઉતાવળમાં છું. મને પાંચેક મિનિટમાં ધર્મની વ્યાખ્યા સમજાવો.’ ડાયોજિનિસે અકળાઈને યુવાનને કહ્યું, ‘જેમ તમે ઉતાવળમાં છો એમ હું પણ ઉતાવળમાં છું. આટલા ઓછા સમયમાં ધર્મ વિશે સમજાવવું મુશ્કેલ છે, માટે તમારું સરનામું આપો તો હું તમને લેખિત રૂપે ધર્મની વ્યાખ્યા મોકલી આપીશ.’ આગંતુકે કાગળ અને પેન લીધાં, સરનામું લખ્યું અને ડાયોજિનિસને આપ્યું. ત્યારે ડાયોજિનિસે પૂછ્યું, ‘આ તારા સ્થાયી નિવાસનું સરનામું છે ને ? અહીંથી બીજે ક્યાંય જતો નથી ને !’ ‘એવું બને છે કે ક્યારેક હું બીજે સ્થળે જાઉં છું. લાવો એનું પણ સરનામું તમને આપી દઉં.’ એ સમયે ડાયોજિનિસે કહ્યું, ‘મામલો સ્થાયીનો છે, અસ્થાયીનો નહીં. જ્યાં તમારો સ્થિરવાસ હોય તે કહો. નહીં તો હું પત્રવ્યવહાર કેવી રીતે કરી શકીશ ?’ ડાયોજિનિસની એકની એક વાત સાંભળીને યુવાને અકળાઈને પોતાની જાતને બતાવતાં કહ્યું, ‘જુઓ, હું અહીંયાં રહું છું. કંઈ કહેવું હોય તો કહો, નહીં તો આ ચાલ્યો.’ ડાયોજિનિસ બોલ્યા, ‘બસ ભાઈ, આ જ તો ધર્મ છે. ધર્મનો અર્થ છે પોતાનામાં રહેવું, પોતાની જાતને ઓળખવી અને આત્મચિંતન કરવું. આ જ એની વ્યાખ્યા છે.’

Categories
વાચન સમૃદ્ધિ

વિલિયમ ગોલ્ડિંગ

જ. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૧૧ અ. ૧૯ જૂન, ૧૯૯૩

ઈ. સ. ૧૯૮૩નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિલિયમ ગોલ્ડિંગનો જન્મ ઇંગ્લૅન્ડના સેંટ કોલંબસ માઈનાર નામના સ્થળે થયો હતો. પિતાનું નામ એલેક અને માતાનું નામ મિલ્ફ્રેડ. જન્મસ્થળ માર્લબરો ગ્રામર સ્કૂલમાં પ્રારંભિક શિક્ષણ લઈ તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં દાખલ થયા. કૉલેજ- શિક્ષણ પૂરું કરી તેમણે અધ્યાપનક્ષેત્રે કાર્ય કર્યું. ઑક્સફર્ડની જે સંસ્થામાંથી તેમણે સ્નાતકની પદવી લીધી હતી ત્યાં જ તેઓ માનાર્હ ફેલો થયેલા. ઈ. સ. ૧૯૪૦માં એન બ્રુકફિલ્ડ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. સંગીત અને ગ્રીક ભાષાનું વાચન તેમના શોખના વિષયો હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે તેઓ નૌકાદળમાં જોડાયા. ૧૯૪૪માં તેઓ એક યુદ્ધનૌકાના કમાન્ડર હતા. જર્મન યુદ્ધ-જહાજ ‘બિસ્માર્ક’ને તેમણે સમુદ્રમાં ગરકાવ થતું જોયું હતું. યુદ્ધ પૂરું થયા બાદ તેઓ પુન: અધ્યાપનકાર્યમાં જોડાઈ ગયા હતા. વિશ્વયુદ્ધો ચાલતાં હતાં ત્યારના મોટા ભાગના સાહિત્યસર્જકો પર યુદ્ધના વિનાશની ઘેરી અસર પડી હતી. વળી ગોલ્ડિંગને તો સાગર અને વિશ્વયુદ્ધ બંનેનો અનુભવ હતો, તેથી તેમનાં લખાણોમાં આ બંનેનું પ્રાધાન્ય રહેલું છે. તેઓ માનતા હતા કે દરેક મનુષ્યમાં એક પશુ છુપાયેલું છે. ૧૯૫૪માં તેમની પ્રથમ નવલકથા ‘લૉર્ડ ઑફ ધી ફ્લાઇઝ’ પ્રકાશિત થઈ. વિશ્વની ૨૮ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. એમની પાસેથી ‘ધી ઇનહેરીટર્સ’, ‘ફ્રી ફૉલ’, ‘ધી સ્પાયર’, ‘ડાર્કનેસ વિઝિબલ’ વગેરે નવલકથાઓ મળી છે. ૧૯૮૭માં તેઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. લેખક તરીકે તેઓ ગંભીર પ્રકૃતિના હતા. તેમણે નાટકો પણ લખ્યાં છે ને અભિનય પણ કર્યો હતો. ઈ. સ. ૧૯૬૬માં તેમને ‘સર’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમને અનેક સંસ્થાઓ તરફથી ડી. લિટ.ની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. છેલ્લે તેઓ કુટુંબ સાથે સેલ્સબરી પાસે આવેલ વિલ્ટશાયરમાં રહેતા હતા.