Categories
વાચન સમૃદ્ધિ

ત્રિવેન્દ્રમ વેધશાળા (તિરુવનંતપુરમ્ વેધશાળા)

ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં ત્રાવણકોરના રાજા રામ વર્માએ તે સમયે ભારત ખાતેના બ્રિટનના રાજકીય પ્રતિનિધિ રેસિડન્ટ જનરલ સ્ટુઅર્ટ ફ્રેઝરના સૂચનથી ૧૮૩૬માં ત્રિવેન્દ્રમમાં સ્થાપેલી ખગોલીય વેધશાળા. આ વેધશાળા ‘ત્રાવણકોર ઑબ્ઝર્વેટરી’ તરીકે ઓળખાય છે. આ વેધશાળાની ઇમારતનો નકશો તૈયાર કરવાની અને એના બાંધકામની જવાબદારી ચેન્નાઈના એક ઇજનેર કૅપ્ટન હૉર્સલેને સોંપવામાં આવી અને ૧૮૩૭માં એ તૈયાર થઈ ગયા પછી એના પ્રથમ નિયામક તરીકે રાજાએ જ્હૉન કાલ્ડેકૉટ નામના ખગોળશાસ્ત્રીની નિમણૂક કરી. કાલ્ડેકૉટ આ અગાઉ એલેપી બંદર ખાતે ત્રાવણકોર સરકારના વ્યાપારિક આડતિયા તરીકેની ફરજ બજાવતા હતા. કાલ્ડેકૉટને ખગોળ ઉપરાંત હવામાનના અભ્યાસમાં પણ એટલો જ રસ હતો. ત્રિવેન્દ્રમ ખાતે આવી બેવડી કામગીરી બજાવતી વેધશાળા સ્થાપવાનો મૂળ વિચાર એનો જ હતો અને ફ્રેઝરને આની અગત્ય પણ એણે જ સમજાવી હતી.

ત્રિવેન્દ્રમ વેધશાળા (રેખાચિત્ર)

કાલ્ડેકૉટનો જન્મ કયા વર્ષે થયો અને મૃત્યુ કયા વર્ષે થયું એ અંગે ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ એક સંદર્ભ અનુસાર એનો જન્મ ૧૮૧૩માં અને અવસાન ૧૮૪૭માં થયું. જ્યારે બીજા સંદર્ભ અનુસાર એનું જન્મવર્ષ ૧૮૦૦ છે, જ્યારે મૃત્યુવર્ષ ૧૮૪૯ છે. પરંતુ, એણે બજાવેલી કામગીરી અને એનો કાલાનુક્રમ જોતાં એનો જીવનકાળ સન ૧૮૦૦થી ૧૮૪૯ વધુ બંધબેસતો આવે છે. આ વેધશાળા જુલાઈ ૧૮૩૭થી કામ કરતી થઈ અને આરંભનાં મોટા ભાગનાં નિરીક્ષણો કાલ્ડેકૉટે પોતાની પાસેનાં ઉપકરણોની મદદથી કર્યાં; પરંતુ ત્રાવણકોરના રાજા નવું નવું જાણવાના શોખીન હોવાથી અને વિજ્ઞાનમાં પોતાનો દેશ યુરોપનાં રાષ્ટ્રો સાથે કદમ મિલાવી શકે તેવી તીવ્ર ઇચ્છા ધરાવતા હોવાથી વેધશાળાને આધુનિક ઉપકરણોથી સજ્જ કરવાનો નિર્ણય લેવાયો. પરિણામે વેધશાળા ચાલુ થયા પછી થોડા જ સમય બાદ કાલ્ડેકૉટને જરૂરી ઉપકરણોની ખરીદી કરવા યુરોપ મોકલવામાં આવ્યા. ૧૮૪૧માં એ પાછા ફર્યા અને પોતાની સાથે ખગોળ ઉપરાંત હવામાન અને ચુંબકીય અભ્યાસ માટેનાં જરૂરી સાધનો પણ લેતા આવ્યા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, ત્રિવેન્દ્રમ વેધશાળા (તિરુવનંતપુરમ્ વેધશાળા), પૃ. 74 અથવા જુઓ https://gujarativishwakosh.org/ત્રિવેન્દ્રમ વેધશાળા/)

Categories
વાચન સમૃદ્ધિ

શશી કપૂર

જ. 18 માર્ચ, 1938 અ. 4 ડિસેમ્બર, 2017

હિન્દી સિનેમાના મહાન અભિનેતા અને પૃથ્વીરાજ કપૂરના સૌથી નાના દીકરા શશી કપૂર એટલે હિન્દી સિનેમામાં અવિચળ સ્થાન ધરાવતા કપૂર કુટુંબની બીજી પ્રતિભાશાળી પેઢી. પિતાના નિર્માણ હેઠળના પૃથ્વી થિયેટરમાં તેમણે ઘણાં નાટકોમાં કામ કર્યું. બાળકલાકાર તરીકે શશીરાજ નામથી તેમણે મોટા ભાઈ રાજ કપૂરની ફિલ્મ ‘આગ’ (1948), ‘આવારા’(1951)માં યાદગાર અભિનય આપ્યો. 1948થી 1954 સુધી તેમણે રાજ કપૂર, અશોક કુમાર વગેરેના બાળપણનાં પાત્ર બખૂબી નિભાવ્યાં. પુખ્ત કલાકાર તરીકે 1961માં તેમની પ્રથમ ફિલ્મ ‘ધરમપુત્ર’ આવી. પછી તો તેમની સફળ ફિલ્મોની હારમાળામાં ‘વક્ત’, ‘યે દિલ કિસકો દૂં’, ‘આ ગલે લગ જા’, ‘ચોર મચાયે શોર’, ‘ત્રિશૂલ’, ‘ક્રાન્તિ’, ‘શર્મીલી’, ‘રોટી કપડા ઔર મકાન’, ‘નમકહલાલ’ વગેરે ફિલ્મો જોડાઈ. ‘જબ જબ ફૂલ ખીલે’માં નિર્દોષ નાવિકની ભાવુક ભૂમિકા ભજવનાર આ કલાકાર જનતાને ખૂબ સ્પર્શી ગયા.  આ પાત્ર માટે તેમને શ્રેષ્ઠ કલાકારનો ઍવૉર્ડ મળ્યો હતો. શશી કપૂરનો સંવાદ ‘મેરે પાસ માં હૈ‘ ભારતીય સંસ્કૃતિનો પડઘો પાડતો હોય તેમ ભારતભરમાં પ્રખ્યાત થઈ ગયો. કડક પિતા તરીકે ફિલ્મ ‘વિજેતા’માં, પત્રકારની ભૂમિકામાં ફિલ્મ ‘ન્યૂ દિલ્હી ટાઇમ્સ’માં, બેપરવાહ સરદાર તરીકે ‘જૂનુન’માં એમ દરેક પાત્રમાં તે છવાઈ ગયા. 1970માં તેમણે ‘ફિલ્મવાલા’ નામથી નિર્માણ હાઉસ શરૂ કર્યું અને માત્ર મનોરંજક નહીં, પણ ઉચ્ચકક્ષાની કલાત્મક ફિલ્મો જેવી કે ‘36 ચૌરંગી લેન’ (1981), ‘ઉત્સવ’ (1984) વગેરે રજૂ કરી. James Ivoryની અંગ્રેજી ફિલ્મ ‘The householder’માં પણ તેમણે અભિનય કર્યો. અમિતાભ બચ્ચન સાથે તેમની જોડી ‘કભી કભી’, ‘કાલા પથ્થર’, ‘સુહાગ’, ‘સિલસિલા’ વગેરે ફિલ્મોમાં ખૂબ જામી. 1998માં તેમની છેલ્લી ફિલ્મ ‘ઘર બાઝાર‘ આવી. તેમને નૅશનલ ફિલ્મફેર ઍવૉર્ડ સાથે ફિલ્મફેરનો લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ પણ મળ્યો હતો. 2011માં ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા અને 2014માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ એનાયત થયો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

કલ્પના ચાવલા

જ. 17 માર્ચ, 1962 અ. 1 ફેબ્રુઆરી, 2003

ભારતીય મૂળની પ્રથમ મહિલાઅવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ હરિયાણાના કરનાલમાં થયો હતો. પિતા બનારસીલાલ અને માતા સંજોગતા. 1947માં વિભાજન થતાં પરિવાર ગુજરાંવાલાથી પંજાબમાં આવ્યો. તેમણે કરનાલની ટાગોર બાલનિકેતન સિનિયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1982માં ચંડીગઢની પંજાબ એન્જિનિયરિંગ કૉલેજમાંથી ઍરોનૉટિકલ ઇજનેરીમાં બી.એસસી.ની પદવી મેળવી ઉચ્ચ અભ્યાસ માટે યુ.એસ. ગયાં. 1984માં યુનિવર્સિટી ઑવ્ ટેક્સાસમાંથી એમ.એસ.ની પદવી મેળવી. એ પછી યુનિવર્સિટી ઑવ્ કૉલોરાડોમાંથી 1986માં એમ.એસ. અને 1988માં પીએચ.ડી.ની પદવી મેળવી પછી નાસામાં સંશોધનકાર્ય માટે જોડાયાં. 1983માં જીન પિયેર હેરિસન સાથે લગ્ન કર્યું. તેઓ યુ.એસ.એ.નાં નાગરિક બન્યાં. 19 નવેમ્બર, 1997ના રોજ સ્પેસ-શટલ કોલંબિયામાં ઉડાન ભરી. તેમને પૃથ્વીની આસપાસ 252 વખત ભ્રમણ કરતાં 360 કલાક થયા હતા અને 16.5 મિલિયન કિલોમીટર અંતર કાપ્યું હતું. તેમની અંતિમ ઉડાન STS – 107માં હતી. આ મિશન 16 જાન્યુઆરી, 2003ના રોજ શરૂ થયું હતું. તેમણે અને તેમના સાથી અવકાશયાત્રીઓએ ભ્રમણકક્ષામાં રહીને 80થી વધુ પ્રયોગો કર્યા હતા. 1 ફેબ્રુઆરીના રોજ પૃથ્વીના વાતવરણમાં પુનઃ પ્રવેશ દરમિયાન સ્પેસ-શટલ તૂટી પડ્યું. સ્પેસ-શટલમાંના સાત ક્રૂ સભ્યો પણ મૃત્યુ પામ્યા. કલ્પના ચાવલાને અસંખ્ય મરણોત્તર સન્માનો આપવામાં આવ્યાં. તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ ઉપગ્રહ ‘મેટસેટ-1’નું નામ બદલીને ‘કલ્પના-1’ કરવાની જાહેરાત કરી. ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીએ તેની એક ઇમારતનું નામ ચાવલાના નામ પરથી રાખ્યું છે. મંગળ પર કોલંબિયા હિલ્સમાંના એક શિખરનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ દ્વારા મરણોત્તર કૉંગ્રેસનલ સ્પેસ મેડલ ઑફ ઑનરથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. નાસા સ્પેસ ફ્લાઇટ મેડલ અને નાસા ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ મેડલ આપવામાં આવ્યા. ચંદ્ર પરના એક ખાડાનું નામ ‘ચાવલા’ રાખવામાં આવ્યું છે. કરનાલમાં તેમના નામની સરકારી મેડિકલ કૉલેજની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક ઉપક્રમો તેમના નામ સાથે જોડવામાં આવ્યા છે.