ઇન્ડોનેશિયામાં વસતા સુકર્ણોના પિતા નિશાળમાં શિક્ષક હતા. એમનો પુત્ર સુકર્ણો એક દિવસ હઠ લઈને બેઠો કે એ કોઈ પણ સંજોગોમાં નિશાળે જવા માગતો નથી. એને નિશાળમાં સહેજે ગોઠતું નથી. શિક્ષક પિતાએ પુત્રને પ્રેમથી સમજાવવા કોશિશ કરી, ત્યારે સુકર્ણોએ કહ્યું, ‘આ નવી નિશાળમાં તો બધા મારી ખૂબ મજાક ઉડાવે છે. ઠઠ્ઠા-મશ્કરી કરે છે, મને પજવે છે.’ એના પિતાએ સમજાવ્યું, ‘નવી નિશાળમાં જઈએ ત્યારે આવું તો બને જ. થોડો સમય આવું રહેશે, પણ પછી બધા હળીભળી જશે અને તારા મિત્ર બની જશે.’ આમ છતાં નિશાળે જવાની અનિચ્છા ધરાવતા સુકર્ણોએ પુસ્તક નીચે પછાડ્યું. માતા-પિતાએ ખૂબ સમજાવ્યો, પણ બાળક સુકર્ણો તૈયાર ન થયો ત્યારે એના શિક્ષક પિતાએ અનુભવીની મદદ લેવાનું વિચાર્યું. એ અનુભવી સુકર્ણોને એક નાના ઝરણા પાસે લઈ ગયા અને એના વહેતા પ્રવાહની વચ્ચે એમણે એક મોટો પથ્થર ફેંક્યો અને સુકર્ણોને કહ્યું, ‘જો, આ પથ્થર વહેતા ઝરણાના પાણીમાં કેવો અવરોધ કરે છે ?’ બન્યું પણ એવું કે મોટા પથ્થરને કારણે પાણી અટકી ગયું, પરંતુ થોડા જ સમયમાં પોતાની ગતિથી પાણી વહેવા લાગ્યું અને પથ્થર પાણીમાં ડૂબી ગયો. એમણે સુકર્ણોને કહ્યું, ‘બેટા, કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અવરોધથી ગભરાવું જોઈએ નહીં. જો તો ખરો ! પાણી પણ અવરોધ પર વિજય મેળવીને કેવું આગળ વધી રહ્યું છે, જ્યારે તું માનવી થઈને મુશ્કેલીઓથી કેમ ગભરાય છે ?’ સુકર્ણોને આ વાત સ્પર્શી ગઈ. એણે બીજા દિવસથી નિશાળે જવાનો પ્રારંભ કર્યો. થોડાક સમયમાં એના સહાધ્યાયીઓ એના મિત્રો બની ગયા. સમય જતાં સુકર્ણો સ્નાતક થયો અને પોતાની માતૃભૂમિ ઇન્ડોનેશિયાને ડચ સરકારની ગુલામીમાંથી મુક્તિ અપાવી અને તે પછી બે દાયકા સુધી દેશના પ્રમુખ રહ્યા.
કુમારપાળ દેસાઈ
