જ. 16 જુલાઈ, 1917 અ. 14 મે, 1978

હિંદીના લબ્ધપ્રતિષ્ઠિત નાટ્યકાર, લેખક જગદીશચંદ્ર માથુરનો જન્મ ઉત્તરપ્રદેશના બુલંદશહેર જિલ્લાના ખુર્જા ગામે થયો હતો. અલાહાબાદ યુનિવર્સિટીમાં એમ.એ.ની પદવી મેળવ્યા બાદ આઈ.સી.એસ.ની પરીક્ષામાં ચોથું સ્થાન મેળવ્યું. 1941માં ઇન્ડિયન સિવિલ સર્વિસ માટે પસંદગી પામ્યા. ત્યારબાદ છ વર્ષ માટે બિહાર સરકારમાં શિક્ષણ સચિવ તરીકે કામગીરી કરી. 1955-62 દરમિયાન આકાશવાણી, દિલ્હીમાં નિયામકપદે રહ્યા. 1963-64માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલય અમેરિકામાં વિઝિટિંગ ફેલો નિમાયા. ત્યાંથી પરત આવ્યા બાદ વિવિધ ઊંચા સરકારી હોદ્દાઓ પર કામગીરી કરી. તેઓ થોડો વખત સંગીત નાટક અકાદમીના સભ્યપદે રહેલા. તેમણે થોડો સમય ભારત સરકારના હિંદીના સલાહકાર તરીકે પણ કામ કરેલું. તેમણે ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું ‘આકાશવાણી’ નામકરણ કર્યું હતું. ટી.વી.ને ‘દૂરદર્શન’ નામ આપવાનો શ્રેય પણ તેમને ફાળે જાય છે. સરકારી કામકાજમાં વ્યસ્ત રહેવા છતાં તેમણે નાટ્યસાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન કર્યું છે. એકાંકી નાટકોની સાથોસાથ રેડિયો-નાટકોના વિકાસમાં પણ અદ્વિતીય યોગદાન આપ્યું છે. હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓના બધા જ દિગ્ગજ લેખકોને તેઓ રેડિયો પર લાવ્યા હતા, જેમાં સુમિત્રાનંદન પંતથી લઈને રામધારી સિંહ ‘દિનકર’, બાલકૃષ્ણ શર્મા ‘નવીન’નો સમાવેશ થાય છે. હિંદીના માધ્યમથી તેમણે સાંસ્કૃતિક પુનઃ જાગરણ સ્થાપિત કર્યું હતું. 12 વર્ષની વયથી તેમણે લેખનકાર્યથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 1936માં તેમના પ્રથમ એકાંકી ‘મેરી બાંસુરી’ના રંગમંચનથી જ તેમને ખ્યાતિ મળી. ત્યારબાદ તેમના નાટ્યસંગ્રહો ‘ભોર કા તારા’ (1946) અને ‘ઓ મેરે સપને’ (1956) અતિ લોકપ્રિય બન્યા. તેઓ હિંદી રંગમંચ અને લોક રંગમંચના વિદ્વાન અધિષ્ઠાતા ગણાયા. તેમની સાહિત્યકૃતિઓ પૈકી ‘કોણાર્ક’ (1950), ‘કુંવરસિંહ કી ટેક’ (1955), ‘આશાદીપ’ (1956), ‘શારદીયા’ (1959) અને ‘પહલા રાજા’ (1969) વિશેષ ગણનાપાત્ર છે. તેમના ‘કોણાર્ક’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ થયો છે. તેમણે સંસ્મરણાત્મક નિબંધો પણ આપ્યા છે, જેનું હિંદી સાહિત્યમાં આગવું સ્થાન છે. ‘દસ તસવીરે’(1964)માં વિવિધ ક્ષેત્રોની દસ પ્રસિદ્ધ વ્યક્તિઓનાં શબ્દચિત્રો આપ્યાં છે.
અમલા પરીખ
