કેરી આપતું વૃક્ષ.
આંબો દ્વિદળી વર્ગની વનસ્પતિ છે. તેનું વૃક્ષ ૧૫થી ૨૦ મીટર ઊંચું હોય છે. તે સદા લીલુંછમ રહે છે. તેની ઉપર આછી તરંગિત કિનારીવાળાં સાદાં પર્ણો બારે માસ હોય છે. ઘણાં ઝીણાં પુષ્પો ઝૂમખામાં આવે છે, જેમને ‘મૉર’ કહેવાય છે. આંબાનું ફળ તે કેરી કહેવાય છે. જે કાચી હોય ત્યારે લીલા રંગની હોય છે અને પાકે પછી કેસરી રંગની થાય છે. તેની અંદર ગોટલો હોય છે. આંબાનું વૃક્ષ ઘણાં વર્ષો સુધી કેરી આપે છે. કેરી ઘણા દેશોમાં થાય છે; પણ ભારતમાં તેનું સ્થાન અનેરું છે. તેનું મૂળ વતન પૂર્વ ભારત અને ઉત્તર હિમાલયના પહાડી પ્રદેશો ગણાય છે. ગુજરાતમાં વલસાડની આફૂસ (આલ્ફોન્સો) કેરી અને જૂનાગઢની કેસર કેરીઓ તથા રત્નાગિરિ(મહારાષ્ટ્ર)ની આફૂસ કેરી જગવિખ્યાત છે. બીજા દેશોના મુકાબલે ભારતમાંની કેરીની જાતોની વિવિધતા, વિપુલતા અને મીઠાશ અનન્ય છે. ભારતમાં લગભગ ૧,૦૦૦ કરતાં પણ વધુ જાતો વવાય છે. આફૂસ, કેસર, રાજાપુરી, તોતાપુરી, બનારસી, લંગડો, પાયરી, દાડમિયો, મલગોબા, દશેરી, નીલમ વગેરે તેની પ્રચલિત જાતો છે. ભારતમાં કેરીનું વાર્ષિક ઉત્પાદન ૨.૧ કરોડ મેટ્રિક ટન છે. ભારતમાં આંબાનું વાવેતર ૪૦૦૦થી ૬૦૦૦ વર્ષ જેટલું પ્રાચીન છે. મહાભારત અને રામાયણમાં આમ્રવનોનાં વર્ણન આવે છે. ચરક અને સુશ્રુત જેવા મહાન આયુર્વેદાચાર્યોએ પણ કેરીનાં વખાણ કર્યાં છે.

કેરીના પાકા ગરમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ જેવી શર્કરાઓ અને વિટામિન ‘એ’ અને પોટૅશિયમ-તત્ત્વ સારા પ્રમાણમાં હોય છે. કેરીમાં ખટાશ સાઇટ્રિક ઍસિડને કારણે હોય છે. પાકી કેરીનો ખાવામાં સીધો ઉપયોગ થાય છે. તેનો રસ કે તેના ટુકડાઓ કે અથાણાં ડબ્બાઓમાં પૅક કરેલાં કોઈ પણ ઋતુમાં મળે છે. પાકી કેરીના રસને સૂકવી પાપડ બનાવવામાં આવે છે. કાચી કેરીમાંથી ચટણી, અથાણાં, આંબોળિયાં વગેરે બનાવવામાં આવે છે. કેરીના ઔષધ તરીકે પણ ઘણા ઉપયોગો છે. તેની છાલમાંથી મળતો રંગ સુતરાઉ કે રેશમી કાપડ અને ઊનને આછા પીળા રંગથી રંગે છે. ભારતના કેટલાક પ્રદેશમાં અછત દરમિયાન બીજ(ગોટલી)નો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે. આંબાના લાકડાનો ફર્નિચર, છતનાં પાટિયાં, બારીનાં ચોકઠાં, પેટીઓ, હલેસાં, હોડીઓ, ખેતીનાં ઓજારો વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે. તેના લાકડામાંથી સારો કોલસો પણ થાય છે.
અંજના ભગવતી
ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1માંથી
