જ. 2 જુલાઈ, 1923 અ. 1 ફેબ્રુઆરી, 2012

મારિયા પોલિશ ભાષાના કવયિત્રી અનુવાદક અને 1996ના સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર વિજેતા હતાં. મારિયાના પિતા વિન્સેન્ટી ઉમરાવ બ્લાદિસ્વાને ત્યાં કારભારી હતા. ઉમરાવના અવસાન બાદ 1924માં તેઓ તોરુન આવ્યા અને મૃત્યુપર્યંત ત્યાં જ રહ્યાં. સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મેળવ્યા બાદ તેઓની ઓળખ આંતરરાષ્ટ્રીય થઈ ગઈ. તેમના સાહિત્યનું ઘણી યુરોપિયન ભાષાઓમાં ભાષાંતર થયું છે. આ સાથે અરેબિક, હિબ્રૂ, જાપાનીઝ, પર્શિયન અને ચાયનીઝ ભાષાઓમાં પણ ભાષાંતર પામ્યું છે. જ્યારે 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે તેમણે પોતાનો અભ્યાસ ભૂગર્ભ વર્ગોમાં ચાલુ રાખ્યો. 1943 સુધી તેમણે રેલમાર્ગના કર્મચારી તરીકે કામગીરી બજાવી. જેથી તેમને બળજબરીપૂર્વક જર્મની ધકેલી ન દેવામાં આવે. આ સમયમાં તેમણે અંગ્રેજી પાઠ્યપુસ્તક માટેનાં ચિત્રો દોરી એક કલાકારની કામગીરી બજાવી. યુનિવર્સિટીમાં સમાજવિદ્યાનો વિષય લેતાં પહેલાં તેમણે પોલિશ સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. માર્ચ, 1945માં તેમનું કાવ્ય સ્થાનિક દૈનિકમાં પ્રગટ થયું હતું. ત્યાર પછી તેમનાં કાવ્યો અનેક વર્તમાનપત્રોમાં છપાતાં રહ્યાં. 1948માં તેમણે અભ્યાસ છોડી દીધો અને આદમ વૉડેક સાથે લગ્ન કર્યાં. 1954માં તેમણે છૂટાછેડા લીધા, પરંતુ આદમની ઘણી સંભાળ રાખતાં હતાં. 1953માં તેઓ સાહિત્યનું વિવેચન કરતા સામયિકમાં જોડાયાં. 1968થી તેમની સાહિત્યની સફર શરૂ થઈ. તેમને અનેક માન-સન્માન પ્રાપ્ત થયાં. 1954માં ક્રેકોવ શહેરનું સાહિત્ય માટેનું પારિતોષિક, 1963માં પોલિશ મિનિસ્ટ્રી ઑવ કલ્ચર ઇનામ, 1990માં કૉસસિએલ્સ્કી ઍવૉર્ડ, 1991 ગોએથે પ્રાઇઝ, 1996માં પોલિશ પેન ક્લબ પ્રાઇઝ, 1996માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર, 2005માં ગોલ્ડ મેડલ ફોર મેરિટ્સ ઑવ્ કલ્ચર-ગ્લોરિયા આર્ટસ અને 2011માં ઑર્ડર ઑવ્ ધ વ્હાઇટ ઇગલ મળ્યા. આ ઉપરાંત ‘વિસ્લાવા સિમ્બૉર્સ્કા ઍવૉર્ડ’ મળ્યો હતો.
અંજના ભગવતી
