નોબેલ પારિતોષિક વિજેતા જર્મન ભૌતિકશાસ્ત્રી, ગણિતજ્ઞ તથા સાપેક્ષતાના સિદ્ધાંતના સ્થાપક આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતાના વતન જર્મનીમાં વસતા હતા. એ સમયે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જર્મનીમાં નાઝી સત્તાનો ઉદય થયો અને હિટલરના નાઝીઓએ યહૂદી લોકો પર ભારે જુલમ આચર્યો. જર્મનીના નાઝી શાસને યહૂદી પ્રજા સામે એવો દુષ્પ્રચાર કર્યો કે અન્ય દેશોમાં પણ યહૂદીઓ અળખામણા બન્યા. એમના પર જાતજાતના અંકુશો મૂકવામાં આવ્યા. નાઝી પોલીસે આઇન્સ્ટાઇનના ઘરની જડતી લીધી અને એમના સંશોધનને લગતા કાગળોની હોળી કરી હતી. યહૂદી વિરોધી વાતાવરણને કારણે યુરોપની કેટલીક યુનિવર્સિટીઓમાં વિદ્યાભ્યાસ માટે યહૂદીઓને પ્રવેશ અપાતો નહીં. નિસર્ગમાં સંવાદિતાની ખોજ કરનાર આલ્બર્ટ આઇન્સ્ટાઇનને મુક્ત દેશ અને મુક્ત માનવીની ઝંખના હતી. વ્યાપક શાંતિવાદના તેઓ ચાહક હતા અને તેથી જર્મની અને અન્ય દેશોમાં યહૂદીઓ પર થતા અત્યાચારો જોઈને એમને ભારે વેદના થતી હતી. આથી યહૂદીઓનો સ્વતંત્ર દેશ રચાય અને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આગવી યુનિવર્સિટી સ્થપાય તેને માટે આઇન્સ્ટાઇને સહયોગ આપ્યો હતો. અંતે ઇઝરાયલ દેશમાં હિબ્રૂ યુનિવર્સિટીની સ્થાપના થઈ. 1952માં ઇઝરાયલના પ્રમુખ ડૉ. વાઇઝમાનના અવસાન બાદ આઇન્સ્ટાઇનને ઇઝરાયલનું પ્રમુખપદ ધારણ કરવા માટે વિનંતી કરવામાં આવી, પણ એમણે એનો અસ્વીકાર કરતાં કહ્યું કે ‘રાજકારણમાં મને ફાવે નહીં.’ આઇન્સ્ટાઇને ઇઝરાયલ અને હિબ્રૂ યુનિવર્સિટીની સ્થાપનામાં સહયોગ આપવાની સાથોસાથ યહૂદીઓને સાચી વાત પણ કરી કે ધનસંપત્તિ કમાવામાં જીવનના આદર્શો ભૂલી જશો તો તમે તમારે હાથે જ તમારો વિનાશ નોતરશો.
કુમારપાળ દેસાઈ
