કે. કામરાજ


જ. 15 જુલાઈ 1903 અ. 2 ઑક્ટોબર 1975

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ અને મદ્રાસ (ચેન્નાઈ) રાજ્યના ત્રીજા મુખ્યપ્રધાન કામરાજ કુમારસ્વામીનો જન્મ તમિલનાડુના વિરુધુનગરમાં થયો હતો. છ વર્ષની વયે પિતાને ગુમાવ્યા હતા. તેઓ 1920માં કૉંગ્રેસમાં જોડાયા. તેમણે નાગપુર ધ્વજ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તેમણે ચેન્નાઈમાં તલવાર સત્યાગ્રહ શરૂ કર્યો. મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેઓ બે વર્ષ માટે જેલમાં ગયા હતા. તેમને છ વખત જેલમાં પૂરવામાં આવ્યા હતા. તેઓ વિધાનસભા ચૂંટણીમાં સત્તુર બેઠક પર જીત્યા. તેઓ 1946માં ભારતની બંધારણ સભામાં અને બાદમાં 1952માં સંસદમાં પણ ચૂંટાયા હતા. તેમણે 13 એપ્રિલ, 1954થી 2 ઑક્ટોબર, 1963 સુધી તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ત્રણ ટર્મ સુધી સેવા આપી હતી. તેમણે બંધ કરાયેલી 6000 શાળાઓ ફરીથી શરૂ કરી અને 12,000 વધુ નવી શાળાઓ ખોલી. અગિયારમા ધોરણ સુધીનું શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું. તેમના વહીવટ દરમિયાન તમિલનાડુ ભારતના શ્રેષ્ઠ વહીવટી રાજ્યોમાંના એક તરીકે જાણીતું બન્યું હતું. 1963માં તેમણે સૂચન કર્યું કે કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સંગઠનાત્મક કાર્ય કરવા માટે મંત્રીપદ છોડી દેવું જોઈએ, જે ‘કામરાજ યોજના’ તરીકે જાણીતું બન્યું. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા. નહેરુના અવસાન પછી વડા પ્રધાન બનવાની ના પાડી હતી. તેમણે તમિલનાડુના મુખ્ય મંત્રી તરીકે આપવામાં આવેલી Z-સ્તરની સુરક્ષાનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમને ‘કાલવી થંથાઈ’ (‘શિક્ષણના પિતા’) તેમજ ‘મદુરાઈના ગાંધી’ પણ કહેવામાં આવતા હતા. તેમને 1972માં કૉપર બૉન્ડ ઍવૉર્ડ અને 1976માં ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2004માં ભારત સરકારે 100 અને 5 રૂપિયાના સ્મારક સિક્કા બહાર પાડ્યા હતા. તેમની સ્મૃતિમાં ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ટર્મિનલ-1નું નામ ‘કામરાજ ટર્મિનલ’ અને એન્નોર પૉર્ટનું નામ ‘કામરાજ પૉર્ટ લિમિટેડ’, મરાઈમલાઈ નગર રેલવેસ્ટેશનનું નામ મરાઈમલાઈ નગર કામરાજ રેલવેસ્ટેશન, મદુરાઈ યુનિવર્સિટીનું નામ મદુરાઈ કામરાજ યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે. 2004માં તેમની જીવનકથા પર આધારિત ‘કામરાજ’ નામની તમિલ ભાષામાં ફિલ્મ બનાવવામાં આવી છે.