Categories
વાચન સમૃદ્ધિ

સાપેક્ષતાના સિદ્ધાંતનો પુરાવો

જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આલ્બર્ટ આઇન્સ્ટાઇને (૧૮૭૯-૧૯૫૫) ન્યૂટનના ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત પછી સાપેક્ષતાનો વિશેષ ચડિયાતો સિદ્ધાંત શોધ્યો. જર્મનીમાં જન્મેલા આ વિજ્ઞાનીએ ૧૯૦૯થી ૧૯૧૮ના ગાળામાં જગતને સાપેક્ષતાનો આ વ્યાપક સિદ્ધાંત આપ્યો. આઇન્સ્ટાઇનની આ નવી શોધથી વિજ્ઞાનની તત્ત્વપ્રણાલીમાં મોટી ઊથલપાથલ થઈ ગઈ. આઇન્સ્ટાઇનનો આ સિદ્ધાંત નિસર્ગનું વધુ સાચું વર્ણન કરે છે એમ સ્વીકારાયું, એટલું જ નહીં, પણ આને પરિણામે ક્રાંતિકારી સૂઝ અને ઊંડી સમજ ધરાવતા વિજ્ઞાની તરીકે આઇન્સ્ટાઇનને યુરોપમાં વ્યાપક પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા હાંસલ થયાં. આઇન્સ્ટાઇન જે કોઈ દેશમાં પ્રવચન આપવા જતા, ત્યાં એને પ્રતિભાસંપન્ન વિજ્ઞાની તરીકે આદર મળતો હતો. આઇન્સ્ટાઇને પણ કોઈ સ્થળે પોતે વિદેશી છે, એવી અનુભૂતિ કરી નહોતી. માનવતા એ આઇન્સ્ટાઇનનો પ્રથમ ગુણ હોવાથી સર્વત્ર સમાન આદર પામ્યા હતા. આ અલગારી વિજ્ઞાનીએ જોયું કે એમના સાપેક્ષતાના સિદ્ધાંતનો સર્વત્ર આદર થાય છે અને સહુ કોઈ ‘આઇન્સ્ટાઇન અમારા દેશના છે’ એમ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે, ત્યારે આઇન્સ્ટાઇને એક વખત કટાક્ષમાં કહ્યું, ‘આજે ભલે હું અમેરિકામાં વસતો હોઉં, પરંતુ જર્મનીમાં એક જર્મન વિજ્ઞાની તરીકે મારો આદર થાય છે અને ઇંગ્લૅન્ડમાં મને એક વિદેશી યહૂદી તરીકે સન્માનવામાં આવે છે. પરંતુ જો મારો આ સિદ્ધાંત ખોટો સાબિત થાય તો જર્મન લોકો મને ધુત્કારીને કહેશે કે આ તો એક પરદેશી યહૂદી છે અને અંગ્રેજ લોકો મને એમ કહીને ધુત્કારશે કે આ તો એક જર્મન છે.’ આટલું કહીને આઇન્સ્ટાઇને હસતાં હસતાં ઉમેર્યું, ‘આ મારા સાપેક્ષતાના સિદ્ધાંતનો એક વધુ પુરાવો જ છે ને !’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

રશ્મિભાઈ ક્ષત્રિય

જ. ૨૧ ફેબ્રુઆરી, ૧૯૨૬ અ. – ઑગસ્ટ, ૧૯૮૬

ગુજરાતના એક આધુનિક ચિત્રકાર અને કલાશિક્ષક. વડોદૃરાના એક મધ્યમવર્ગમાં જન્મેલા રશ્મિની બાર વર્ષની ઉંમર પહેલાં જ માતાપિતા અવસાન પામતાં કાકાએ તેમને ઉછેર્યા. મૅટ્રિક્યુલેશન કર્યા પછી અમદાવાદ ખાતે રવિશંકર રાવળની ચિત્રશાળા ‘ગુજરાત કલાસંઘ’માં વિદ્યાર્થી તરીકે જોડાઈને કલાસાધના આરંભી. એ સાથે સરકારના રેશિંનગ અનાજના ખાતામાં નોકરી શરૂ કરી. પરંતુ સરકારે નોકરીમાંથી કાઢી મૂકતાં સરકારી ઑફિસના ઓટલા પર બેસીને લોકોને વિવિધ અરજીઓ લખી આપીને ગુજરાન ચલાવ્યું તથા કલાસાધના માટેના ખર્ચની જોગવાઈ કરી. ઉદાર રવિશંકર રાવળે પણ તેમને કલાસાધના માટે આર્થિક મદદ કરી. આ જ રીતે અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ પણ પ્રાપ્ત કરી. એ પછી પહેલાં ઉત્તર ગુજરાતના સરઢવ ગામમાં અને પછી અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાવિહાર શાળામાં પ્રાથમિક વિભાગમાં ચિત્રકલાના શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી અને પૂરી કરી. શેઠ સી. એન. વિદ્યાવિહારના નિયામક સ્નેહરશ્મિ(ઝીણાભાઈ દેસાઈ)એ ૧૯૭૩માં વિદ્યાવિહારના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરેલું. કેવી રીતે કલાપ્રવૃત્તિ કરવી તે બાબતમાં રશ્મિભાઈ બાળકોને પૂરતી આઝાદી આપતા. કેવી રીતે બાળકોને કલાશિક્ષણ આપવું તે બાબતમાં સ્નેહરશ્મિએ રશ્મિભાઈને પૂરતી આઝાદી અને મોકળાશ આપેલાં. તેઓ બાળકો પાસે કલાના અવનવા પ્રયોગો કરાવતા. રશ્મિભાઈ મૌલિક ચિત્રકાર હતા અને તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો રશિયા, ચેક રિપબ્લિક, જર્મની, ઇટાલી, કૅનેડા, જાપાન, બ્રિટનમાં થયેલાં. તેમની મૌલિક કલાનો સૂર હતો – ‘મારાં લોહી અને આંસુથી લખેલી મારા પ્રેમ અને નિરાશાની વેદના.’ તેમને બિલાડાં ખૂબ જ વહાલાં હતાં. તેમણે ઘણી બધી બિલાડીઓ પાળેલી અને રોજેરોજ તેમને જાતે રાંધીને ખવડાવતા. આજીવન એકાકી – અપરિણીત રશ્મિભાઈ કલાશિક્ષક તરીકે નિવૃત્ત થયા પછી ત્રણ માસમાં જ અવસાન પામ્યા.

અમિતાભ મડિયા

Categories
વાચન સમૃદ્ધિ

સરકસ (સર્કસ)

સામાન્ય રીતે વિશાળ ગોળાકાર તંબુમાં  પ્રેક્ષાગારમાં બેઠેલા લોકોના મનોરંજન માટે તેમની વચ્ચેના વર્તુલાકાર પટાંગણમાં હેરતભર્યા જોખમી અંગકસરત તેમ જ અંગસંતુલનના તથા પ્રાણીઓ સાથેના ખેલપ્રયોગો રજૂ કરનારા ખેલબાજો અને હાસ્યજનક ચેષ્ટાઓ તથા પ્રયોગોથી લોકોને રમૂજ કરાવનારા જોકરો વગેરેનું મનોરંજક મંડળ. ખેલપ્રયોગોનું મંચનસ્થળ ગોળાકાર હોવાથી આનું નામ (circle પરથી circus) ‘સરકસ’ પડ્યું. ૧૮મી સદીમાં લંડનમાં ઘોડેસવારી તથા અંગકસરતના ખેલથી સરકસની શરૂઆત થઈ. ત્યારબાદ અમેરિકામાં તેનો ખૂબ વિકાસ થયો અને પ્રેક્ષકો તરફથી તેને સારો પ્રતિસાદ મળતો ગયો. સરકસ માટે મોટા મેદાનમાં કે નદીના પટમાં તંબુ તાણવામાં આવતા. તંબુની વચ્ચે ગોળાકાર મંચ પર સરકસના ખેલ ભજવાતા, જે ગોળાકાર પટાંગણની ફરતે બેઠેલા પ્રેક્ષકો માણતા. સૌપ્રથમ પરેડ થતી. તેમાં કલાકારો મેદાનમાં આવી ચપળતા, સરળતા તથા ઝડપથી અંગસરતના ખેલો બતાવતા. પરેડમાં સરકસનાં બધાં પ્રાણીઓ અને વિદૂષકો પણ જોડાતાં. સમય જતાં સરકસમાં બૅન્ડ ઉમેરાયું. સરકસમાં ઊંચે બાંધેલા ઝૂલાના ખેલ શરૂ થયા. કલાકારો તાલ સાથે પોતાની અંગકલાનો આકર્ષક સુમેળ સાચવી શકતા થયા.

વિદૂષકો(જોકરો)નું વૃંદ પણ સરકસનું એક અનિવાર્ય આકર્ષક અંગ હોય છે. બાળકોને ગમે તેવી વેશભૂષા સાથે વિદૂષકો આવતા હોય છે. મોટા ગોળ નાકવાળો તેમનો ચહેરો પણ બાળકોને રમૂજ પ્રેરે છે. આ વિદૂષકો આડાઅવળા ફરે, હાલતાંચાલતાં પડી જાય, દીવાલ રંગવાને બદલે એકબીજાને રંગી દે, એકબીજાની પાછળ દોડી ધમાચકડી મચાવી જાતભાતની હાસ્યાસ્પદ ચેષ્ટાઓથી આબાલવૃદ્ધ સૌને હસાવતા રહે. વિદૂષકોના ખેલ સરકસમાં સામાન્ય રીતે અંગકસરતના ખેલોમાં વચ્ચે વચ્ચે આવતા હોય છે. દરમિયાન બીજા મહત્ત્વના –મોટા ખેલોની સાજસજાવટ આદિની પૂર્વતૈયારી પણ કરી દેવામાં આવતી હોય છે. વળી વિદૂષક પ્રેક્ષકોને મઝા કરાવવા સાથે પોતાના સાથી ખેલબાજોને મદદ કરવાનું કામ પણ કરતા હોય છે. કોઈ ખેલબાજ જ્યારે ખેલ બતાવે ત્યારે તેને સુરક્ષા આપવાનું કામ પણ વિદૂષક કરતા હોય છે. ૧૮૮૦માં ભારતમાં વિષ્ણુપંત ચાત્રેએ પ્રથમ સરકસ શરૂ કર્યું હતું. તેનું નામ ‘ધ ગ્રેટ ઇન્ડિયન સરકસ’ રાખ્યું હતું. ભારતમાં જૈમિની સરકસ, જંબો સરકસ, પ્રભાત સરકસ, કમલા સરકસ, ગ્રેટ ગોલ્ડન સરકસ વગેરેનાં નામ મોખરે રહ્યાં છે. દક્ષિણ ભારતમાંથી સરકસમાં કામ કરવા માટે ઘણા ખેલકારો આવતા રહ્યા છે. ચીન, રશિયા, પૂર્વ યુરોપ અને અમેરિકામાં પણ સરકસના ખેલ સારી રીતે પ્રચલિત થયેલા છે. સરકસ ઉપર ‘મેરા નામ જોકર’ જેવી કેટલીક ફિલ્મો પણ બની છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સરકસ (સર્કસ), પૃ. 33)

અંજના ભગવતી