Categories
વાચન સમૃદ્ધિ

મરવાની કળા

ગ્રીસનો વિશ્વવિખ્યાત તત્વચિંતક અને વિચારક પ્લેટો અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. ગ્રીસની નગરસંસ્કૃતિમાં પ્લેટોનું વિશિષ્ટ સ્થાન હતું. એણે લખેલો ‘રિપબ્લિક’ ગ્રંથ રાજકીય વિચારધારાનો વિશિષ્ટ અને વિરલ ગ્રંથ ગણાતો હતો. પ્લેટોના ગુરુ હતા મહાન દાર્શનિક સૉક્રેટિસ અને પ્લેટોનો શિષ્ય હતો જ્ઞાની અને ફિલસૂફ એરિસ્ટોટલ. અંતિમ સમયે પ્લેટોની આસપાસ એના શિષ્યો, મિત્રો અને નામાંકિત નગરજનો બેઠા હતા. આ સમયે કોઈએ પ્લેટોને કહ્યું, ‘જીવનભર અમે તમને પ્રશ્નો પૂછ્યા અને તમે એના ઉત્તરમાં અમને ઊંડું જ્ઞાન આપ્યું છે. આજે પણ આપની અનુમતિ હોય તો અમે એક અંતિમ પ્રશ્ન આપને પૂછી લઈએ. પ્લેટોએ માથું હલાવીને અનુમતિ આપી. પેલી વ્યક્તિએ કહ્યું, ‘તમે જીવનભર અમને ઘણું શીખવ્યું, ઘણું સમજાવ્યું, કેટલાય નવા વિચારો આપ્યા. કેટલાકને અમે સમજ્યા, કેટલાક અમે સમજી શક્યા નહીં તો એ અંગે તમને પૂછ્યું. તમે એ જટિલ સિદ્ધાંતો પણ સમજાવ્યા. હવે અમારી એક ઇચ્છા છે કે તમારી સમગ્ર વિચારસૃષ્ટિનો સાર અમને એક વાક્યમાં સમજાવી દો, જેથી ભવિષ્યમાં તમારી કોઈ વિચારધારા સમજાય નહીં, તો આ સૂત્રાત્મક ચાવી દ્વારા એનો મર્મ પામી શકીએ.’

પ્લેટો વિચારમાં પડી ગયા. થોડા સમય પછી કહ્યું, ‘‘મેં જીવનભર તમને એક જ વાત શીખવી છે અને તે ‘ધી આર્ટ ટૂ ડાઈ’ એટલે કે મરવાની કળા.’’ આટલું બોલી પ્લેટોએ આંખ મીંચી દીધી.

*

પ્લેટોની વાતનો મર્મ જ એ છે કે જીવન એ સાર્થક રીતે મરવાની કલા છે. મૃત્યુના નાટકનો પડદો પડે તે પહેલાં ખેલ ખેલી લેવાની કલા છે. મરવા માટે પણ માનવી પાસે એક કળા હોવી જોઈએ. જીવવાની કળા શોધનાર માનવીએ મરવાની કળાની ઉપેક્ષા કરી છે. માણસે મૃત્યુને જીવનને અંતે મૂક્યું અને એની પારાવાર ઉપેક્ષા કરી. જીવનમાં મૃત્યુ તરફ મુખ રાખવાને બદલે એ એના તરફ પીઠ રાખીને બેઠો અને પરિણામે એને મૃત્યુની કોઈ ઓળખ થઈ નહીં. ડરામણી આપત્તિ કે જીવલેણ બીમારીના સમયે એને થોડી ક્ષણો માટે મૃત્યુનો ભય લાગ્યો, પરંતુ આપત્તિ અળગી થતાં અને બીમારી દૂર થતાં એ મૃત્યુને ભૂલી ગયો. જીવવા માટે જેમ શૈલી હોય છે, એમ મૃત્યુ માટે પણ શૈલી હોય છે. જીવનને સારી રીતે જીવવા માટે જેમ મૈત્રી, ઉદારતા, હકારાત્મક વલણ અને સૌજન્ય જરૂરી છે, તેમ મૃત્યુને માણવા માટે વૈરાગ્ય, નિસ્પૃહતા અને આધ્યાત્મિકતાની આવશ્યકતા છે.

જિંદગી ઊજળી રીતે જીવનાર મૃત્યુને માણી શકે છે. જિંદગી જાગ્રત રીતે જીવનાર મૃત્યુને જાગ્રતપણે સ્વીકારી શકે છે. જિંદગી અજાગ્રત રીતે ગાળનાર જીવનમાં વારંવાર મરતો રહે છે અને મૃત્યુથી ડરતો રહે છે. આથી જ કેટલાકને માટે મૃત્યુ એ મારક છે અને કેટલાકને માટે મૃત્યુ એ મહોત્સવ છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

મનુભાઈ જોધાણી

જ. ૨૮ ઑક્ટોબર, ૧૯૦૨ અ. ૨૯ ડિસેમ્બર, ૧૯૭૯

શૌર્ય અને સાહસપ્રધાન પુસ્તકોના લેખક અને સંપાદક તરીકે જાણીતા મનુભાઈ લલ્લુભાઈ જોધાણીએ પ્રાથમિક શિક્ષણ બરવાળાની પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શિક્ષણ લીંબડીની સર જસવંતસિંહ હાઈસ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું હતું. તેમણે મૅટ્રિક સુધી અભ્યાસ કરીને બરવાળાની અંગ્રેજી શાળામાં શિક્ષકની નોકરી સ્વીકારી, અનેકવિધ પ્રવૃત્તિઓ આરંભી પિતાના ધંધામાં પણ ઝંપલાવ્યું હતું. ૧૯૩૦માં ગાંધીજીની મીઠાના સત્યાગ્રહની હાકલ પડતાં મનુભાઈ જોધાણીએ શાળામાંથી રાજીનામું આપી રાણપુરવાળા અમૃતલાલ શેઠની રાહબરી હેઠળ ચળવળની પ્રવૃત્તિ શરૂ કરી હતી. તેમણે જાહેરસભામાં આપેલું ભાષણ ઝવેરચંદ મેઘાણીને નામે ચડી જવાથી મેઘાણીની અને પાછળથી તેમની પણ ધરપકડ થઈ હતી. આ જેલનિવાસના ફળ રૂપે ‘જનપદ’ (૧૯૩૨) અને ‘સોરઠી શૂરવીરો’ (૧૯૩૨) પુસ્તકો મળ્યાં છે. જેલમાંથી છૂટ્યા બાદ અમદાવાદમાં તેઓ સ્થિર થયા હતા અને ૧૯૩૨થી જીવણલાલ અમરસી મહેતાએ ‘સ્ત્રીબોધ’ નામનું સામયિક પૂતળીબાઈ કાબરાજી પાસેથી લીધેલું તેના સંપાદનકાર્યમાં તેઓ જોડાયા હતા. સાત-આઠ વર્ષ ‘સ્ત્રીબોધ’નું સંપાદન કર્યા બાદ એ સામયિક બંધ પડતાં મિત્રોની મબલક હૂંફ અને નજીવી મૂડી સાથે એમણે  ‘સ્ત્રીજીવન’ નામનું સામયિક ૧૯૩૯માં શરૂ કર્યું હતું અને કપરા સંજોગોમાં પણ જીવનના અંત સુધી પોતાની આગવી સૂઝ પ્રમાણે એનું સંપાદન કર્યું હતું.

સમકાલીન સાહિત્યકારો સાથે સાહિત્યની ગોષ્ઠી અને વિચારોની આપ-લેમાં ‘ચા-ઘર’ જેવું મંડળ અસ્તિત્વમાં આવ્યું હતું અને એના ફળ રૂપે ‘ચા-ઘર’ ભાગ ૧-૨ જેવાં પુસ્તકો અને એમના ડાયરાની વાતો ‘ચા-ઘર’ ડાયરી સ્વરૂપે મનુભાઈ પાસેથી પ્રાપ્ત થયાં. ઝવેરચંદ મેઘાણી પછી લોકસાહિત્યના સંશોધન-સંપાદનકાર્યમાં મનુભાઈ જોધાણીનું કાર્ય નોંધનીય છે. તેમણે અનેક લોકભોગ્ય શ્રેણીઓ આપી છે. ‘સુંદરીઓનો શણગાર ભાગ ૧-૨ તેમજ ‘રાંદલનાં ગીતો એ નારી-ઉપયોગી પુસ્તિકાઓ છે. ‘સોરઠી જવાહર, ‘ખાટીમીઠી બાળવાતો, ‘સોરઠી વિભૂતિઓ’, ‘આકાશી ચાંચિયો’, ‘કાળિયાર અને બીજી પ્રાણીકથાઓ’, ‘કુમારોની પ્રવાસકથા’ વગેરે તેમનું કિશોરોને ગમે તેવું સાહિત્ય છે. આ ઉપરાંત ‘આંગણાનાં પંખી’ ભાગ ૧-૨, ‘પાદરનાં પંખી’ ભાગ ૧-૨, ‘વનવગડાનાં પંખી’ ભાગ ૧-૨, ‘પાદરની વનસ્પતિ’, ‘આંગણાની વનસ્પતિ’, ‘પેટે ચાલનારાં પ્રાણીઓ’ જેવું સર્વભોગ્ય સાહિત્ય તેમણે સરળ ભાષામાં આપ્યું છે. આ સિવાય ન્હાનાલાલ, મેઘાણી, ર. વ. દેસાઈ, ધૂમકેતુ જેવા અનેક સાહિત્યકારો વિશે સ્મૃતિઅંકો પ્રગટ કર્યા. ગુજરાત લોકસાહિત્ય સમિતિના અધ્યક્ષ બન્યા બાદ આશરે ૪૫ જેટલાં પુસ્તકો એમણે પ્રગટ કરાવ્યાં હતાં. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન પાલડી વિસ્તારમાં ‘શ્રી મનુભાઈ જોધાણી માર્ગ’નું નામાભિધાન કરી તેમનું સન્માન કર્યું છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

પહેલાં શ્રોતા બનીએ, પછી સમીક્ષક

શ્રવણ એ કલા છે. એકાગ્રતા સાધવાનો યોગ છે. લીન થવાની પ્રક્રિયા છે. શ્રોતા તરીકેનો પરમ ધર્મ છે. શ્રવણની ગરિમા ભૂલીને આપણે એને મનોરંજનનું માધ્યમ કે ટાઇમપાસનું સાધન બનાવ્યું છે. પરિણામે કાનથી સાંભળીએ છીએ ખરા, પણ ચિત્તમાં કશું પહોંચતું નથી ને આત્મા તો સાવ અસ્પૃશ્ય રહે છે.

બોલવાની કળા કરતાં સાંભળવાની કળા વધુ મુશ્કેલ અને વધુ મહત્ત્વની છે. વાણીની કલામાં વ્યક્તિની આંતરચેતનાની અભિવ્યક્તિ હોય છે, જ્યારે શ્રવણકલામાં વ્યક્તિની આંતરસ્થિતિની કસોટી હોય છે. ઘણી વાર સવાલ થાય કે સભામાં બેઠેલી વ્યક્તિ સાંભળે છે ખરી ? એના કાન ખુલ્લા હોય, પણ બેધ્યાન હોવાને કારણે એ બહેરા કાનવાળો બની જાય છે ! ક્યારેક એ સાંભળે છે ખરો, પરંતુ મનમાં એ વ્યક્તિના શબ્દો કે વિચારો પામવાનો પ્રયાસ કરવાને બદલે માત્ર એ વ્યક્તિના ગુણદોષ વિશે ચિંતન કરતો હોય છે. ઘણી વ્યક્તિઓ શ્રોતા હોતી નથી, બલકે સમીક્ષક હોય છે. એ સામી વ્યક્તિની વાતને મનમાં બરાબર ઉતારવાને બદલે એની મનોમન સમીક્ષા કરતી હોય છે. એના દોષો ખોળતી જાય છે. એ એમ કરવા જતાં ધીરે ધીરે સભાસ્થાને બેઠી હોવા છતાં પ્રવચનથી સાવ વિમુખ બની જાય છે. શ્રોતાને એક અદકો લાભ એ મળે છે કે સામી વ્યક્તિના સમગ્ર સંવિતને એના એકાદ કલાકના પ્રવચનમાં પામી શકે છે. વક્તાના કેટલાંય વર્ષોના અનુભવોનું નવનીત એને થોડા કલાકમાં મળી જાય છે. આવું હોવા છતાં બહુ ઓછી વ્યક્તિઓ પૂર્ણ રૂપે શ્રોતા બને છે. શ્રોતાધર્મ બજાવવા ઇચ્છનારે સામી વ્યક્તિના શબ્દો અને વિચારોને પૂર્ણપણે પામવાનો પ્રયાસ કરવો જોઈએ, તો જ એની વિચારસૃષ્ટિ પામવાનો પૂર્ણ લાભ પ્રાપ્ત થાય.

કુમારપાળ દેસાઈ