જૉડ્રલ-બૅંક નામના સ્થળે આવેલી યુનાઇટેડ કિંગ્ડમ(બ્રિટન)ની રેડિયો-ખગોલીય વેધશાળા. સંખ્યાબંધ રેડિયો-દૂરબીનો ધરાવતી અને વિશાળ વિસ્તારમાં પથરાયેલી આ વેધશાળા ચેશાયર પરગણામાં અને માંચેસ્ટર નગરથી દક્ષિણે આશરે ૪૦ કિમી. દૂર આવેલી છે. આ વેધશાળાની સ્થાપના ૧૯૪૫માં એટલે કે રેડિયો-ખગોળશાસ્ત્ર જ્યારે આરંભિક તબક્કામાં હતું તેવા સમયે માંચેસ્ટર યુનિવર્સિટી દ્વારા થઈ હતી. ત્યારથી એનું સંચાલન આ યુનિવર્સિટીના રેડિયો-ખગોળશાસ્ત્ર વિભાગ દ્વારા થાય છે. માત્ર બ્રિટનની જ નહિ, દુનિયામાં એના પ્રકારની એટલે કે કોઈ એક વિશાળ રેડિયો-ટેલિસ્કોપ હોય તેવી એ જૂનામાં જૂની રેડિયો-વેધશાળા છે. એ સમયે એનું નામ ‘જૉડ્રલ બૅંક એક્સપેરિમેન્ટલ સ્ટેશન’ હતું; પરંતુ પાછળથી માત્ર ‘જૉડ્રલ બૅંક’ તરીકે એ ખ્યાત બની. વેધશાળાના આરંભકાળના એક તબક્કે રેડિયો-ટેલિસ્કોપ બનાવવામાં લૉર્ડ નૂફીલ્ડ અને એમના નૂફીલ્ડ ફાઉન્ડેશને કરેલા માતબર દાનને કારણે ૧૯૬૦થી આ વેધશાળા ‘નૂફીલ્ડ રેડિયો ઍસ્ટ્રોનૉમી લૅબોરેટરીઝ’ તરીકે પણ ઓળખાય છે.
આ વેધશાળાની સ્થાપના પાછળ જો કોઈ એક વ્યક્તિનું નામ આપવું હોય તો તે છે અંગ્રેજ ખગોળભૌતિકશાસ્ત્રી અને પાછળથી રેડિયો-ખગોળશાસ્ત્રી અને લેખક બનેલા સર બર્નાર્ડ લોવેલ, (જ. ૧૯૧૩). બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૪ ઑગસ્ટ, ૧૯૩૯ના રોજ શૈક્ષણિક કાર્ય છોડીને દેશની યુદ્ધસેવામાં એ જોડાયા. અહીં એમની કામગીરી એક નવા પ્રકારના યુદ્ધોપયોગી રડારને વિકસાવવા સંબંધી હતી. આ અંગેના પ્રયોગો કરતાં એમણે જોયું કે રડારમાં પ્રયોજાતા રેડિયો-તરંગોનો ઉપયોગ તો ખગોળશાસ્ત્રમાં અને પોતાનાં સંશોધનોને આગળ ધપાવવામાં પણ થઈ શકે. જેવી રીતે રડારની મદદથી દુશ્મનના બૉમ્બ લઈ જતાં વિમાનોને પકડી શકાતાં હતાં, તેવી જ રીતે અંતરિક્ષમાંથી આવતી અંતરિક્ષ-કિરણોની ઝડીઓની ભાળ પણ મેળવી શકાય. વળી આ જ રીતે, ઉલ્કાઓ (meteors) અને ધૂમકેતુઓનો અભ્યાસ પણ થઈ શકે. પૃથ્વી પર દિવસ દરમિયાન આવી પડતી ઉલ્કાઓ નરી આંખે તો જોઈ ન શકાય; પરંતુ, રેડિયો-તરંગોની મદદથી એ ‘દેખી’ શકાય. વળી ઉલ્કાઓના વેગ (meteor velocites) વગેરે પણ માપી શકાય. તેવી જ રીતે, રેડિયો-તરંગોની મદદથી ઉલ્કાઓની ભ્રમણકક્ષાઓ અને ઉલ્કામૂલ (radiant of meteors) અંગેની જાણકારી તેમજ આ રીતે મેળવેલી માહિતીઓને આધારે ઉલ્કાઓ ક્યાંથી આવે છે તે અંગેની જાણકારી પણ સાંપડી શકે. આમ લોવેલે જોયું કે રડાર અથવા તો રેડિયો-તરંગોને ખગોલીય સંશોધનોમાં પલોટતાં એક નવી જ દિશા ખૂલી હતી. જોકે આવું વિચારનારા લોવેલ દુનિયાના કાંઈ એકલા અને પહેલા ખગોળશાસ્ત્રી ન હતા. અમેરિકાના કાર્લ જેન્સ્કી (૧૯૦૫–૧૯૫૦) નામના રેડિયો-ઇજનેરે છેક ૧૯૩૨માં અંતરિક્ષના ઊંડાણમાંથી આવતા રેડિયો-તરંગોને ધરાતલ પર પહેલી જ વાર ઝીલીને આ દિશામાં પ્રવેશવાનાં દ્વાર ખોલી આપ્યાં હતાં, તો ૧૯૧૧માં જન્મેલા ગ્રોટે રેબર નામના બીજા એક અમેરિકી ઇજનેરે ૧૯૩૭માં જેન્સ્કીના પગલે જ ડગ માંડીને દુનિયાનું પ્રથમ રેડિયો-દૂરબીન પણ બનાવ્યું હતું, જેના પરાવર્તક એટલે કે ઍન્ટેનાનો આકાર એક તવા જેવો હતો. અલબત્ત, આ એક મહાન શોધ હતી; પરંતુ એનો વ્યાપક ઉપયોગ કરીને રેડિયો-ખગોળ વિજ્ઞાનનો જન્મ તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના સમયમાં જ – બહુધા ૧૯૪૬થી ૧૯૫૦ના ગાળા દરમિયાન જ – શક્ય બન્યો. આ જ રીતે, આજે જેને આપણે ‘રડાર-ખગોળશાસ્ત્ર’ તરીકે ઓળખીએ છીએ તેનો વિકાસ પણ લગભગ આ જ અરસામાં સંભવત: ૧૯૫૦માં થયો. છએક વર્ષ યુદ્ધમાં સેવાઓ આપીને ૧૯૪૫માં લોવેલ માંચેસ્ટર યુનિવર્સિટીમાં પાછા ફર્યા અને યુનિવર્સિટીના અધિકારીઓને એક રેડિયો-ખગોલીય મથક સ્થાપવાનું સમજાવી શક્યા. આ માટે યુનિવર્સિટીએ પોતાના વનસ્પતિવિભાગની જૉડ્રલ-બૅંક ખાતેની કાદવથી ખરડાયેલી વગડાઉ અને બહુધા ગૌચર ભૂમિ તરીકે વપરાતી ખુલ્લી જમીન ફાળવી આપી.
સુશ્રુત પટેલ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જૉડ્રલ-બૅંક રેડિયો ઑબ્ઝર્વેટરી, ઇંગ્લૅન્ડ, પૃ. ૨૪)
ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી