Categories
વાચન સમૃદ્ધિ

સાન ફ્રાન્સિસ્કો

યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યનું મોટું શહેર.

તે ૩૭  ૪૬´ ઉ. અ. અને ૧૨૨  ૨૫´ પ. રે.ની વચ્ચે આવેલું છે. તે યુ.એસ.ના પશ્ચિમ ભાગમાં, પ્રશાંત મહાસાગરના કાંઠા પર વસેલું છે. સાન ફ્રાન્સિસ્કો શહેર લગભગ ૪૦થી વધુ ટેકરીઓ પર કે ટેકરીઓની આજુબાજુ વિસ્તરેલું છે. સાન ફ્રાન્સિસ્કોની પશ્ચિમે પ્રશાંત મહાસાગર અને પૂર્વે સાન ફ્રાન્સિસ્કોનો ઉપસાગર આવેલો છે. ઉત્તર તરફ આવેલી ગોલ્ડન ગેટ નામની ૧.૫ કિમી. પહોળી સામુદ્રધુની આ બંને જળરાશિઓને સાંકળે છે. ઉત્તરે ખૂબ પ્રખ્યાત ગોલ્ડન ગેટ બ્રિજ આવેલો છે. મોટાં વહાણો તેની નીચેથી પસાર થઈ શકે તેટલો તે ઊંચો છે. પૂર્વમાં સાન ફ્રાન્સિસ્કો–ઓકલૅન્ડ બ્રિજ છે. બે માળ ધરાવતો આ બ્રિજ ૧૩ કિમી. લાંબો છે. આ બ્રિજની જમણી બાજુએ ટેકરી પર અગાઉ કારાવાસ ઊભો કરાયેલો. તેનો બૃહદ મહાનગરીય વિસ્તાર લગભગ ૨૦,૬૧૬ ચોકિમી. જેટલો છે. સાન ફ્રાન્સિસ્કોમાં પ્રશાંત મહાસાગર તેમ જ અખાતમાં આવેલા ટાપુઓનો પણ સમાવેશ થઈ જાય છે. શહેરનો વિસ્તાર ૨૧૫ ચોકિમી. જળવિસ્તાર સહિત લગભગ ૩૩૪ ચોકિમી જેટલો છે. તેની વસ્તી (નગરની) ૮,૭૩,૯૬૫ (૨૦૨૦) અને બૃહદ મહાનગરની ૪૫,૬૬,૯૬૧ (૨૦૨૦) જેટલી છે.

એક પણ થાંભલા વિનાનો સાન ફ્રાન્સિસ્કોનો ગોલ્ડન ગેટ બ્રિજ

સાન ફ્રાન્સિસ્કો શહેરની સ્થાપના સ્પૅનિશ વસાહતીઓએ ૧૭૭૬માં કરેલી. ૧૮૪૮માં આ સ્થળે સુવર્ણનિક્ષેપો શોધી કાઢવામાં આવ્યા, પરિણામે ૧૮૪૯માં ત્યાં ‘ગોલ્ડ રશ’ થયેલો. ત્યારપછી ત્યાં બીજા લોકો આવીને વસ્યા. ૧૯મી સદીના ઉત્તરાર્ધ કાળમાં તે પશ્ચિમ યુ.એસ.નું નાણાકીય તેમ જ ઔદ્યોગિક પાટનગર ગણાતું રહ્યું. ૧૯૦૬માં ભૂકંપમાં અને તેને લીધે લાગેલી આગમાં આ શહેરને ખૂબ જ નુક્સાન થયેલું; પરંતુ  અહીંના નિવાસીઓએ શહેરનું પુનર્નિર્માણ કર્યું. ૧૯૪૫માં સાન ફ્રાન્સિસ્કો ખાતે યુનાઇટેડ નૅશન્સ (UN) સંસ્થાએ આકાર લીધો. શહેરનો મધ્ય વિસ્તાર નૉબ હિલ તેમ જ રશિયન હિલ પર આવેલો છે. નૉબ હિલ સિવિક સેન્ટરથી ઈશાનમાં આવેલી છે. તેની પૂર્વમાં ચાઇના ટાઉનનો ધંધાકીય વિભાગ છે. ચાઇના ટાઉનના ગીચ વિસ્તારમાં ચીની વંશના આશરે ૩૦,૦૦૦ લોકો વસે છે. અહીં રંગબેરંગી દુકાનો, રેસ્ટોરાં તેમ જ ચીની શૈલીની ઇમારતો આવેલી છે. મધ્ય સાન ફ્રાન્સિસ્કોના ઉત્તર ભાગમાં રશિયન હિલ આવેલી છે. દુનિયાના વધુમાં વધુ ઢાળ ધરાવતા માર્ગો અહીં આવેલા છે. દુનિયાભરની વધુમાં વધુ વાંકીચૂકી શેરીવાળો લોમ્બાર્ડ શેરીનો એક ભાગ છે. તેના એક વિભાગમાં આઠ જેટલા ઉગ્ર વળાંકો છે. એમ્બારકૅડેરો માર્ગના ઉત્તર છેડે માછીમારોનો વિભાગ છે. અહીં મુખ્યત્વે દરિયાઈ ખોરાકનાં રેસ્ટોરાં જોવા મળે છે. અખાતની ધાર પર સાન ફ્રાન્સિસ્કોનું બંદર આવેલું છે. તે દુનિયાનાં મોટાં ગણાતાં કુદરતી બારાં ધરાવતાં બંદરો પૈકીનું એક છે. કાંઠાની ધારે સમાંતર પહોળો એમ્બારકૅડેરો માર્ગ ચાલ્યો જાય છે. સાન ફ્રાન્સિસ્કો યુ.એસ.નું આગળ પડતું નાણાકીય મથક રહ્યું છે. વળી તે વાણિજ્ય, ઉદ્યોગ તેમ જ પ્રવાસનનું પણ મુખ્ય કેન્દ્ર છે. દેશનાં ૧૦૦થી વધુ મોટાં નિગમોનાં મુખ્ય કાર્યાલયો આ શહેરમાં કે તેની આજુબાજુ આવેલાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાન ફ્રાન્સિસ્કો, પૃ. 101)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

દેશબંધુત્વ લાજે !

મહાન તત્ત્વજ્ઞાની અને મહાત્મા ગાંધીજીની વિચારધારા પર પ્રભાવ પાડનાર સૉક્રેટિસે (જન્મ ઈ. સ. પૂર્વે ૪૬૯, અવસાન ઈ. સ. પૂર્વે ૩૧૧) ગ્રીસના ઍથેન્સ મહાનગરના સૈન્યમાં પ્રભાવક કામગીરી બજાવી હતી. કડકડતી ઠંડીમાં જ્યારે બીજા સૈનિકો બૂટ-મોજાં પહેરીને બહાર નીકળતા, ત્યારે સૉક્રેટિસ ખુલ્લા પગે બીજાના જેટલી ઝડપે જ કૂચ કરતો હતો. એ દિવસો સુધી ભૂખ્યો રહી શકતો અને થાકવાનું તો નામ જ લેતો નહીં. આવા સૉક્રેટિસે પેલોપોનીસીયન યુદ્ધમાં ભાગ લીધો. આ યુદ્ધ સત્યાવીસ વર્ષ સુધી ચાલ્યું. ઍથેન્સ તરફથી સૉક્રેટિસે એમ્ફીપોલિસ, ડેલિયમ, પીટિડીઆ એવાં ત્રણ યુદ્ધોમાં ભાગ લીધો હતો. એક યુદ્ધમાં ઍથેન્સ પીછેહઠ કરી રહ્યું હતું, ત્યારે બધા સૈનિકો યુદ્ધભૂમિ છોડીને નાસી રહ્યા હતા. આ યુદ્ધમાં ઍથેન્સનો વીર સૈનિક ઝેનોફન ઘાયલ થઈને યુદ્ધભૂમિ પર પડ્યો હતો. ભાગતા સૈનિકોમાંથી કોઈને ઝેનોફન તરફ નજર નાખવાની ફુરસદ નહોતી, પરંતુ સૉક્રેટિસે ઘાયલ ઝેનોફનને પોતાની પીઠ પર ઊંચકી લીધો અને એ પછી ઍથેન્સ નગર તરફ દોડવા લાગ્યો. સૉક્રેટિસના એક સાથી સૈનિકે સૉક્રેટિસને કહ્યું પણ ખરું, ‘દુશ્મન દળો પાછળ આવી રહ્યાં છે. જો એમના હાથમાં તું ઝડપાઈ જઈશ, તો જીવતો બચવાનો નથી, માટે આ ઝેનોફનને છોડીને દોડવા માંડ.’ સૉક્રેટિસે કહ્યું, ‘એ મારે માટે શક્ય નથી. ત્યારે સૈનિકે એનું કારણ પૂછ્યું અને સૉક્રેટિસે જવાબ વાળ્યો, ‘જુઓ, આપણે યુદ્ધ ખેલવા નીકળ્યા છીએ. સૈનિકને કદી મોતનો ભય હોય નહીં, એટલે મને શત્રુસેના ઝડપી લેશે અને મારું મૃત્યુ થશે એ બાબતની મને પરવા નથી. બીજી વાત એ કે દેશને ખાતર લડવા નીકળેલા આપણે માટે દેશ સર્વોપરી હોય છે. જો હું મારા સાથી અને આપણા વીર દેશબંધુ ઝેનોફનને મારા જીવ બચાવવાના સ્વાર્થને ખાતર ઘાયલ દશામાં છોડીને નાસી છૂટું, તો મારું દેશબંધુત્વ ક્યાં રહે ? મારી ઍથેન્સ તરફથી વફાદારી લજવાય. તમે જાવ, હું એને લઈને જ આવીશ.’

Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રી ભદ્રંકર વિદ્યાદીપ જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી

વિષય : જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક શ્રી વિનોદકુમાર શુક્લ

વક્તા : ભરત મહેતા |

તારીખ : 3 મે 2025, શનિવાર  |ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ રમેશપાર્કની બાજૂમાં

ઉસ્માનપુરા

અમદાવાદ