Categories
વાચન સમૃદ્ધિ

સહરાનું રણ

દુનિયાનું સૌથી મોટું આફ્રિકામાં આવેલું રણ.

અરબી ભાષામાં ‘સહરા’નો અર્થ ‘ખાલી ભૂખરો પ્રદેશ’, અર્થાત્, ‘રણપ્રદેશ’. એક સમયે આ પ્રદેશ ઉજ્જડ પણ ન હતો અને ભૂખરો પણ ન હતો. આશરે ૬૦ હજાર વર્ષ પહેલાં તે હરિયાળો હતો, ત્યાં નદીઓ વહેતી હતી અને જંગલો પણ હતાં. ત્યાં મનુષ્યો ગુફાઓમાં રહેતા હતા. યુરોપમાં છેલ્લા હિમયુગનો અંત આવ્યો ત્યારથી સહરાનો પ્રદેશ સુકાવા માંડ્યો. પ્રાણીઓ અને તેમની પાછળ માણસો તેનો મધ્યનો પ્રદેશ છોડીને સમુદ્ર અને નદીઓના કિનારા તરફ સ્થળાંતર કરવા માંડ્યાં. આજથી બે હજાર વર્ષ પહેલાંના સમય સુધી લોકો રણના આક્રમણ સામે ઝૂઝતા રહ્યા. આખરે તેમણે પરાજય સ્વીકારી લીધો.

આફ્રિકા ખંડના ઘણાખરા ઉત્તર ભાગને આવરી લેતું આ રણ દુનિયાનું મોટામાં મોટું રણ છે. તે ઉત્તર આફ્રિકાના પૂર્વ અને પશ્ચિમ કિનારા વચ્ચેના ૯૦ લાખ ચોકિમી.ના વિસ્તારમાં ફેલાયેલું છે. સહરાનું રણ ઉત્તર આફ્રિકાની આરપાર આટલાંટિક મહાસાગરથી બીજી તરફ રાતા સમુદ્ર સુધી વિસ્તરેલું છે. તે પશ્ચિમના બધા ભાગોમાં, પૂર્વમાં આખું ઇજિપ્ત, ઉપરાંત અલ્જિરિયા, મોરોક્કો, સુદાન, લિબિયા, ટ્યૂનિસિયા, નાઇજર, ચાડ, માલી વગેરેના મોટા ભાગોમાં પથરાયેલું છે.

સહરાનું રણ ફક્ત રેતીનું સપાટ રણ નથી. તેના મધ્યભાગમાં પર્વતો અને ઊંચાણવાળા પ્રદેશો છે. ચાડમાં આવેલા તિબેસ્તી પર્વતોની ઊંચાઈ ૩,૪૧૫ મીટર જેટલી છે. સહરાનો ઘણોખરો વિસ્તાર વેરાન, ખડકાળ, ઉચ્ચપ્રદેશોવાળો અને મરડિયાયુક્ત મેદાનોથી બનેલો છે. બાકીનું સહરા રેતીના અફાટ વિસ્તારોનું બનેલું છે. રેતીના આ વિસ્તારોને ‘અર્ગ’ (erg) કહેવામાં આવે છે. રણના કેટલાક ભાગમાં રેતીના ઢૂવા (sand-dunes) પણ જોવા મળે છે. પવન દિશા બદલે એટલે ઢૂવાના આકાર પણ બદલાઈ જાય. આજે જ્યાં રેતીનો ઊંચો ડુંગર હોય ત્યાં આવતી કાલે સપાટ મેદાન હોય ! સહરાના રણમાં ઓછામાં ઓછા ૯૦ રણદ્વીપો છે. ત્યાંના કસબાઓમાં લોકો રહે છે અને ખેતી કરે છે. નાના રણદ્વીપોમાં એકાદ-બે કુટુંબો જ વસે છે. સહરાના રણના લિબિયા અને અલ્જિરિયાના પ્રદેશોમાં ભૂગર્ભમાં ખનિજતેલ અને કુદરતી વાયુના વિશાળ ભંડારો આવેલા છે. તે ઉપરાંત અહીં તાંબું, લોહ-અયસ્ક તથા ફૉસ્ફેટના નિક્ષેપો, યુરેનિયમ અને અન્ય ખનિજો મળી આવે છે. સહરાના રણપ્રદેશમાં આબોહવા ગરમ અને સૂકી રહે છે. સરેરાશ વરસાદ ૨૦૦ મિમી.થી ઓછો પડે છે. રણના બીજા ભાગો કરતાં પહાડી પ્રદેશોમાં થોડો વધુ વરસાદ પડે છે. પહાડોની ટોચ પર ક્યારેક હિમવર્ષા પણ થાય છે. સહરાના રણમાં દિવસે ખૂબ ગરમી અને રાત્રિએ ખૂબ ઠંડી હોય છે. આ પ્રદેશની વિશિષ્ટ ઓળખ આપવા માટે કહેવાય છે કે ‘સહરા એવો તો બરફીલો પ્રદેશ છે કે જ્યાં સૂર્ય ભડકે બળે છે !’

શુભ્રા દેસાઈ

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સહરાનું રણ, પૃ. ૫૫)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ફરદૂનજી મર્ઝબાન

જ. ૨૮ માર્ચ, ૧૭૮૭ અ. ૨૬ માર્ચ, ૧૮૪૭

‘ગુજરાતી મુદ્રણના જનક’, જૂનામાં જૂના ગુજરાતી વર્તમાનપત્ર ‘મુંબઈ સમાચાર’ના સ્થાપક, તંત્રી, કવિ અને અનુવાદક ફરદૂનજી મર્ઝબાનનો જન્મ સૂરતમાં પારસી કુટુંબમાં થયો હતો. પિતાનું નામ મોબેદ મર્ઝબાનજી. ફરદૂનજીએ પિતા પાસેથી ગુજરાતી અને ફારસીના શિક્ષણ ઉપરાંત મોબેદી(પારસી ગોરપદા)ની તાલીમ મેળવી હતી. ફારસી  ઉપરાંત પંડિત પાસે સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો હતો. ભરૂચના હકીમ ગોલાલ મોડિયુદ્દીન પાસેથી યુનાની વૈદકનું જ્ઞાન મેળવ્યું. ૧૭૯૯માં તેઓ મુંબઈ ગયા. ત્યાં પ્રખ્યાત દસ્તૂરમુલ્લાં ફીરોઝાદ્દીન પાસેથી જરથોસ્તી ધર્મશાસ્ત્રો ઉપરાંત અરબી-ફારસીમાં તાલીમ અને જાણકારી મેળવી. તેમના જ પુસ્તકાલયનાં પુસ્તકોની દેખભાળ લેવા ઉપરાંત પુસ્તકો બાંધવાનું અને મરામત કરવાનું કામ પણ શીખ્યા. ૧૮૦૮માં બુકબાઇન્ડિંગના કામમાં જોડાયા. દુકાન ખરીદીને ગામેગામ આડતિયા રોકી મુંબઈથી ગુજરાતમાં સૌપ્રથમ વ્યવસ્થિત આંગડિયા સેવા-ટપાલસેવા શરૂ કરી. ધીમે ધીમે દેશાવરમાં પણ કાગળો પહોંચતા કરવા લાગ્યા. એ અરસામાં તેઓ જીજીભાઈ બહેરામજી છાપગર નામના કંપોઝિટરના સંપર્કમાં આવ્યા. તે સમયે સમગ્ર મુંબઈ શહેર અને ઇલાકામાં એક પણ દેશી છાપખાનું ન હતું. ફરદૂનજીએ ૧૮૧૨માં મુંબઈમાં કોટવિસ્તારમાં સૌપ્રથમ છાપખાનાનો પ્રારંભ કર્યો. લાકડાનો દાબપ્રેસ મેળવીને જીજીભાઈ પાસે કળા શીખીને છાપવાનો સરંજામ ઊભો કર્યો. ગુજરાતી બીબાંનો સેટ તીખા લોટા પર કોતરાવ્યો. પોતે જ તાંબાની તકતીઓ ઠોકી તેને સીસામાં ઢાળી ટાઇપ પાડ્યા. આ ટાઇપ પાડવા, ઘસવા અને સાફ કરવામાં તેમણે કુટુંબના સૌને કામે લગાડ્યા. શરૂઆતમાં કેટલાંક પુસ્તકો પ્રગટ કર્યા પછી ૧૮૧૪માં તેમણે પોતાના છાપખાનામાં સંવત ૧૮૭૧નું પહેલવહેલું ગુજરાતી પંચાંગ પ્રસિદ્ધ કર્યું. ૧૮૨૨માં  ગુજરાતી ભાષામાં ‘મુંમબઈના શમાચાર’ નામનું અઠવાડિક શરૂ કર્યું. તેનું માસિક લવાજમ બે રૂ. રાખેલું. ૧૮૩૨થી અઠવાડિયામાં બે વાર પ્રકાશિત કરવા માંડ્યું અને ૧૮૫૫થી તેને દૈનિકમાં ફેરવ્યું. જાહેરખબરો, જન્મ-મૃત્યુ તિથિવાર નોંધો અને લોકોપયોગી ચીજવસ્તુઓની વિગતો પ્રસિદ્ધ કરવાથી તેની લોકપ્રિયતા ખૂબ વધી હતી.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

કુતૂહલ એ દરિયાનાં મોજાં જેવું હોય છે !

મોટા ભાગની વ્યક્તિઓ માત્ર કુતૂહલથી જીવતી હોય છે. એમના ચિત્તમાં સતત એક પછી એક કુતૂહલ ઊગતાં હોય છે. એમને કુતૂહલ જાગે કે અમુક રાજકીય ઘટના પાછળ કયું પરિબળ કામ કરે છે અને એનો ઉત્તર મળતાં એમની રાજકીય જિજ્ઞાસાનું શમન થઈ જશે. કોઈના મનમાં વિચાર જાગે કે વ્યક્તિના જીવનમાં કયા ગુણો હોય તો એ આત્મસાક્ષાત્કાર કરી શકે છે. એ ગુણોની માહિતી પ્રાપ્ત કરશે અને ત્યાં જ એનું કુતૂહલ સમાપ્ત થઈ જશે. એનો હેતુ પોતાનું કુતૂહલ સંતોષવાનો છે, પરમપ્રાપ્તિનો નહીં. આવી રીતે કોઈના મનમાં સવાલ જાગે કે પરમાત્મા ક્યાં છે ? અને એ કોઈ જ્ઞાની કે સંતને આનો ઉત્તર પૂછશે અને પ્રત્યુત્તર મળતાં એને મનમાં બરાબર ગોઠવીને એનું કુતૂહલ શાંત થઈ જશે. આ રીતે કુતૂહલ માત્ર મનનો એક તરંગ છે. મનમાં જાગેલો એક સવાલ હોય છે, જે ઉત્તર મળતાં સંતોષ પામે છે. આવું કુતૂહલથી ભરેલું મન સપાટી પર વિહાર કરતું હોય છે. એ ક્યારેય વિષયની ભીતરમાં જઈ શકતું નથી. આવાં કુતૂહલો એ જ ઘણાં માણસોની વિચારધારાનો મુખ્ય પ્રવાહ હોય છે. એમના મનમાં એક પછી એક કુતૂહલ જાગતાં રહે છે અને એ રીતે કુતૂહલ વારે વારે પ્રગટ કરીને જીવતા રહે છે. માહિતીના આ યુગમાં માણસ મનમાં કુતૂહલનો ખડકલો લઈને જીવે છે. એના ચિત્તમાં પારાવાર પ્રશ્નો પડ્યા છે, પ્રશ્નોના ઉત્તરોની ખોજ છે, પણ ત્યાં જ એના કુતૂહલનું પૂર્ણવિરામ છે. કુતૂહલ પાસે વિચારનો ઝબકારો છે, ઝબકારાની માફક એ ક્ષણમાં વિલીન થઈ જાય છે પછી કુતૂહલનો કોઈ અર્થ રહેતો નથી. કુતૂહલ વ્યર્થ છે કે સાર્થક છે એનો વિચાર જરૂરી છે, નહીં તો આખી જિંદગી કુતૂહલોની પરંપરામાં વેડફાઈ જશે.

કુમારપાળ દેસાઈ