Categories
વાચન સમૃદ્ધિ

સાઉદી અરેબિયા

અરેબિયન દ્વીપકલ્પમાં આવેલો મય-પૂર્વના દેશો પૈકીનો એક દેશ.

તે આશરે ૧૬° ૦૦´થી ૩૨° ૧૦´ ઉ. અ. તથા ૩૪° ૩૦´થી ૫૬° ૦૦´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની દક્ષિણમાં યેમેન; અગ્નિમાં ઓમાન; પૂર્વમાં સંયુક્ત આરબ અમીરાત તથા કતાર; ઉત્તરમાં જૉર્ડન, ઇરાક, કુવૈત તથા પશ્ચિમમાં રાતો સમુદ્ર આવેલા છે. તેના મધ્ય ભાગેથી કર્કવૃત્ત પસાર થાય છે. તે આશરે ૨૨,૫૦,૦૭૦ ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની વસ્તી આશરે ૩,૪૫,૬૬,૦૦૦ (૨૦૨૨) જેટલી છે. તે મંત્રીમંડળ સહિતની રાજાશાહી શાસનપદ્ધતિ ધરાવે છે, જે શેખ-શાસનપદ્ધતિ તરીકે પ્રચલિત છે. તેની કાનૂની પદ્ધતિ શરિયતના ઇસ્લામિક કાયદાઓ પર આધારિત છે. આ દેશનું પાટનગર રિયાધ છે જ્યારે જિદ્દાહ વહીવટી કેન્દ્ર છે. આ દેશની ઓમાન સીમાએ ગેડ પર્વતો આવેલા છે. પશ્ચિમે રાતા સમુદ્રકાંઠે તિહમાહનું સાંકડું મેદાન આવેલું છે. પૂર્વ વિભાગમાં પર્શિયન અખાતનાં કિનારાનાં મેદાનો પટ્ટી સ્વરૂપનાં છે. તે જાડા પંકથર ધરાવે છે. રાતા સમુદ્રકાંઠાનાં સાંકડાં મેદાનોની સમાંતરે અને ઉચ્ચ પ્રદેશની પશ્ચિમની કિનારી પર હિજાઝ અને આસિરની તૂટક તૂટક પર્વતશ્રેણીઓ આવેલી છે. તેનું સર્વોચ્ચ શિખર જેબેલ રાઝિખ ૩,૬૫૮ મી.ની ઊંચાઈ ધરાવે છે.

રાજધાની રિયાધનું એક દૃશ્ય

અહીં  પહાડી ક્ષેત્રો અને ઉચ્ચપ્રદેશના કેટલાક ભાગોમાં તથા રણદ્વીપના વિસ્તારોમાં ટૂંકું ઘાસ, વૃક્ષો અને કાંટાળાં ઝાંખરાં જેવી વનસ્પતિ થાય છે. રેતાળ રણપ્રદેશોમાં વનસ્પતિનું પ્રમાણ નહિવત્ છે. હિજાઝ પ્રાન્તમાં બાવળનાં વૃક્ષો, રણદ્વીપોમાં ઘાસ અને ખજૂરનાં વૃક્ષો, જ્યારે દેશના દક્ષિણ ભાગોમાં ઔષધીય વનસ્પતિ ઊગે છે. અહીં જોવા મળતાં પ્રાણીઓમાં શિયાળ, સસલાં, નોળિયા, ઘો, કાચિંડા અને સર્પની વિવિધ જાતોનો સમાવેશ થાય છે. પહાડી ક્ષેત્રોમાં દીપડા જોવા મળે છે. અહીંનાં પાળેલાં પ્રાણીઓમાં ઊંટ, ખચ્ચર, ઘોડા, ગધેડાં, ઘેટાંબકરાં વગેરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ગીધ, સમડી, ગરુડ, બાજ તથા બીજાં રણનિવાસી પક્ષીઓ જોવા મળે છે. જિદ્દાહ અને દમ્મામ દેશનાં મુખ્ય બંદરો છે. આ સિવાય એન્બો, એલ્વોઝ, રેબીગ, લીથ વગેરે અન્ય નાનાં બંદરો છે. આ દેશ આશરે ૧,૩૯૦ કિમી. લંબાઈનો દમ્મામ અને રિયાધને જોડતો એક જ રેલમાર્ગ ધરાવે છે. તે સાઉદી અરેબિયાની જીવાદોરી સમાન ગણાય છે. અહીં મુસ્લિમ ધર્મનાં પવિત્ર યાત્રાધામો મક્કા તથા મદીના આવેલાં છે. મક્કા મહમદ પયગમ્બરસાહેબનું જન્મ-સ્થળ ગણાય છે. તેમના સમયમાં મદીના પાટનગર હતું. આ ઉપરાંત મદીનામાં તેમની પવિત્ર કબર આવેલી છે. અહીં દર વર્ષે લાખો મુસ્લિમો હજ કરવા આવે છે. તેથી અહીં પ્રવાસન અને હોટલ-ઉદ્યોગનો વિકાસ થયો છે. આ દેશની પ્રજા પ્રાચીન સેમેટિક જાતિની છે. કુલ વસ્તીમાં સાઉદી લોકોની વસ્તી ૬૬ % જેટલી છે. તે સિવાય એશિયા અને ઇજિપ્તના લોકો પણ અહીં વસે છે. અહીંના લોકોની મૂળ ભાષા અરબી છે. તે ઉપરાંત અંગ્રેજી ભાષાનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં થાય છે. મુખ્ય ધર્મ ઇસ્લામ છે. વસ્તીવિતરણ તથા વસ્તીગીચતાનું પ્રમાણ અત્યંત અસમાન છે. અહીં જિદ્દાહ, રિયાધ, મક્કા, મદીના, દમ્મામ, તૈફ, બુરૈદા, અનેજા, હોકુફ વગેરે અગત્યની શહેરી વસાહતો છે. દેશનું સૌથી મોટું નગર રિયાધ છે. તૈફ મુખ્ય પર્યટન-કેન્દ્ર છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાઉદી અરેબિયા, પૃ. 95)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

હેમવતી નંદન બહુગુણા

જ. ૨૫ એપ્રિલ, ૧૯૧૯ અ. ૧૭ માર્ચ, ૧૯૮૯

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી હેમવતી નંદન બહુગુણાનો જન્મ ઉત્તરાખંડના પૌરી ગઢવાલના બુઘાનીમાં એક ગઢવાલી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે પૌરીથી ૧૦મું ધોરણ પાસ કરીને ૧૯૩૭માં અલાહાબાદની સરકારી ઇન્ટરમીડિયેટ કૉલેજમાં બી.એસસી.માં પ્રવેશ મેળવ્યો હતો. ૧૯૪૬માં તેમણે બી.એ.ની ડિગ્રી પણ પ્રાપ્ત કરી હતી. ૧૯૪૨થી ૧૯૪૬ સુધીની ‘ભારત છોડો’ ચળવળના ભાગ રૂપે તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. હેમવતી નંદન બહુગુણાને ૧૯૭૧માં કેન્દ્રીય મંત્રીમંડળમાં સંચાર રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ૧૯૭૩માં તેમને ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઑગસ્ટથી ડિસેમ્બર, ૧૯૭૯ દરમિયાન ચૌધરી ચરણિંસહના વહીવટ હેઠળ નાણામંત્રી બન્યા હતા. જાન્યુઆરી, ૧૯૮૦ની સંસદીય ચૂંટણીમાં તેઓ ઇન્દિરા ગાંધીના કૉંગ્રેસ(આઈ) પક્ષના ઉમેદવાર તરીકે ગઢવાલથી જીત્યા હતા. ત્યારબાદ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ૧૯૮૪ની સંસદીય ચૂંટણીમાં તેમણે અલાહાબાદ મતવિસ્તારમાંથી કૉંગ્રેસના ઉમેદવાર અમિતાભ બચ્ચન સામે ચૂંટણી લડી હતી. જેમાં અભિતાભ બચ્ચન ચૂંટણી જીત્યા હતા. હેમવતી નંદન બહુગુણા ૧૯૮૮માં બીમાર પડ્યા અને કોરોનરી બાયપાસ સર્જરી માટે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા. સર્જરી નિષ્ફળ જવાથી ૧૭ માર્ચ, ૧૯૮૯ના રોજ ક્લેવલૅન્ડની એક હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. તેમની કાયમી સ્મૃતિ રહે તે માટે તેમનું નામ હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટી સાથે જોડવામાં આવ્યું છે. જે ઉત્તરાખંડના શ્રીનગરની સૌથી મોટી યુનિવર્સિટી છે. આ ઉપરાંત હેમવતી નંદન બહુગુણા ઉત્તરાખંડ મેડિકલ એજ્યુકેશન યુનિવર્સિટી દહેરાદૂન સાથે પણ તેમનું નામ સુવર્ણઅક્ષરે જોડાયેલું છે.

Categories
વાચન સમૃદ્ધિ

જગત દેખાય, તો આત્મતત્ત્વ અગોચર રહે !

જેની અવિરત શોધ ચાલવી જોઈએ, તેનું સમૂળગું વિસ્મરણ થઈ જાય, તો શું થાય ? દેહની આસપાસ ઘૂમ્યા કરીએ અને આત્માની ઉપેક્ષા થાય, ત્યારે શું થાય ? ઇન્દ્રિયોના ઇશારે મનની દોડ ચાલતી હોય, ત્યારે આત્મતત્ત્વનાં એંધાણ પણ ક્યાંથી સાંપડે ? મનની દોડ કોઈ પદાર્થ તરફ સતત આકર્ષિત રાખે છે અને જ્યાં સુધી એનું અદમ્ય આકર્ષણ છૂટતું નથી, ત્યાં સુધી વ્યક્તિ ક્યાંય પહોંચી શકતી નથી. ઇંદ્રિયોના આશ્રયે ચાલતી મનની દોડ વ્યક્તિને ન તો જીવનની શાંતિ ભણી લઈ જાય છે કે ન તો પ્રાપ્તિની તૃપ્તિ ભણી. આવે સમયે આત્મતત્ત્વનું વિસ્મરણ થાય છે, જે આત્મઘાતક નીવડે છે. વિસ્મરણનો અંતિમ છેડો મરણ છે અને તેથી એ વ્યક્તિનું આત્મતત્ત્વ અંદરોઅંદર ગૂંગળાઈને મૃત્યુ પામે છે. આ આત્મતત્ત્વના અસ્તિત્વને ખોળવા માટે મથામણ કરવી પડે. જેઓ જીવનમાં આત્મતત્ત્વને પામવાની કોઈ કશ્મકશ કરતા નથી, એમને ભીતરમાં રહેલા આત્મતત્ત્વની કોઈ જાણ હોતી નથી. જીવનપર્યંત રણની રેતી જોનારને ઘૂઘવતા મહાસાગરની કલ્પના ક્યાંથી આવે ? એવી જ પરિસ્થિતિ દેહના સુખ, સંપત્તિની સમૃદ્ધિ અને ઇંદ્રિયોના ઉપભોગની પાછળ આત્મતત્ત્વનું વિસ્મરણ પામનારની હોય છે. જે દેહને જુએ છે, તેને આત્મા દેખાતો નથી. જે જગતને જુએ છે, તેને આત્મતત્ત્વ દેખાતું નથી. જો એને આત્મતત્ત્વ દેખાય તો પછી એને જગત દેખાતું નથી. આત્મતત્ત્વની ઓળખ એ માનવજીવનની પરમ પ્રાપ્તિ છે. સાધક હોય કે સામાન્યજન, એ પામે એટલે એનો બેડો પાર થઈ જાય. ભૌતિકતાને પાર વસેલી આધ્યાત્મિકતામાં આત્મતત્ત્વનો વાસ છે. એક વાર એનો સાક્ષાત્કાર થાય, ત્યારે આસપાસની દુનિયા પલટાઈ જાય છે અને એની અનાત્મબુદ્ધિ આથમી જાય છે.