Categories
વાચન સમૃદ્ધિ

અવકાશયાત્રી (અંતરીક્ષયાત્રી)

(Astronaut / Cosmonaut)

અંતરીક્ષ-ઉડ્ડયન માટેની તાલીમ લીધેલ, અંતરીક્ષયાનનું સંચાલન કરનાર તેમ જ તેમાં પ્રવાસ કરનાર યાત્રી. રશિયામાં અવકાશયાત્રી અથવા અંતરીક્ષયાત્રીને ‘કૉસ્મોનૉટ’ (Cosmonaut) અને અમેરિકા તથા અન્ય દેશોમાં ‘ઍસ્ટ્રોનૉટ’ (Astronaut) કહે છે. અંતરીક્ષમાં ઉડ્ડયન દરમિયાન માનવીને ઘણી વિષમ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. અંતરીક્ષ-ઉડ્ડયનના ત્રણ તબક્કાઓ હોય છે : આવી વિષમ પરિસ્થિતિનો સામનો કરવા અંતરીક્ષયાત્રીમાં સાહસ કરવાની અદમ્ય ઇચ્છા, હિંમત, સઘન તાલીમ, શિસ્ત વગેરે હોવાં જરૂરી છે.

અંતરીક્ષયાત્રી સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ અનુભવે છે. તેના લીધે હાડકાંમાં કૅલ્શિયમ તત્ત્વનું પ્રમાણ ઘટી જાય છે. પરિણામે અસ્થિભંગ થવાનો ડર રહે છે. વજનવિહીન પરિસ્થિતિમાં શરીરના ઉપરના ભાગમાં લોહીનો ભરાવો થાય છે. શરીરમાં પોટૅશિયમ પણ ઘટી જાય છે, તેની અસર સ્નાયુઓ પર અને ચેતાતંત્ર પર થાય છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે અંતરીક્ષયાત્રીને અંતરીક્ષમાં કસરત કરવી પડે છે તથા આ પરિસ્થિતિ માટે તૈયાર થવા માટે સઘન તાલીમ લેવી પડે છે. પાણી અથવા કોઈ પ્રવાહી ચૂસીને જ પીવું પડે છે. ખાદ્ય પદાર્થ કોથળીમાં જ રાખવા પડે છે, નહીં તો ખાદ્ય પદાર્થના કણો અંતરીક્ષમાં તરવા માંડે. યાત્રીઓને ખુરશી પર બેસી રહેવા માટે પટ્ટો બાંધી રાખવો પડે છે. ઊંઘવા માટે મોટા થેલામાં બંધાવું પડે છે. ખાવા-પીવામાં શિસ્ત અને સંયમ રાખવાં પડે છે. અંતરીક્ષયાત્રીને આળસ અને સ્વપ્નમાં હોય તેવો ભાસ થાય છે. ભય લાગે છે. તે પોતાનું અસ્તિત્વ ભૂલી જઈ શકે છે. આ માટે તેમને સતત પ્રવૃત્તિમય રાખવામાં આવે છે. તેમની દિનચર્યા, વૈજ્ઞાનિક પ્રયોગો અને અવલોકન ઉપરાંત મનોરંજન જેવી વિવિધ પ્રવૃત્તિવાળું સમયપત્રક બનાવવામાં આવે છે. આ ઉપરાંત, ટેલિવિઝન તથા રેડિયો દ્વારા પૃથ્વી પરના લોકો સાથે સંપર્ક રાખવામાં આવે છે, જેથી કંટાળાજનક પરિસ્થિતિનો સામનો થઈ શકે. અંતરીક્ષયાત્રી માટે અંતરીક્ષ-પોશાક (space suit) પહેરવો જરૂરી બને છે. આ પોશાક દ્વારા અંતરીક્ષયાત્રીને શ્વાસ લેવા માટે યોગ્ય દબાણે ઑક્સિજન વાયુ મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, અવકાશયાત્રી (અંતરીક્ષયાત્રી) (Astronaut / Cosmonaut), પૃ. 71)

Categories
વાચન સમૃદ્ધિ

મામા વરેરકર

જ. 27 એપ્રિલ, 1883 અ. 23 સપ્ટેમ્બર, 1964

મરાઠી સાહિત્યના અગ્રિમ સાહિત્યકાર અને નાટ્યકાર મામા વરેરકરનો જન્મ મહારાષ્ટ્રના ચિપલૂણમાં થયો હતો. તેમનું મૂળ નામ ભાર્ગવરામ વિઠ્ઠલ વરેરકર હતું. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માલવણમાં થયું હતું. તેઓ વૈદકનો અભ્યાસ કરવા રત્નાગિરિ ગયા હતા. ત્યાં કન્હોબા કીર્તિકર અને રાજારામ શાસ્ત્રી ભાગવતના સંપર્કથી અંગ્રેજી સાહિત્યની રચનાઓ, ભારતના પ્રાચીન ગ્રંથોનો પરિચય મેળવ્યો. તેમણે 1903થી 1924 સુધી માલવણમાં ટપાલખાતામાં નોકરી કરી. એ પછી સતત સાહિત્યસર્જન કર્યું. તેઓ નોકરીમાં હતા ત્યારે આઠ નાટકો લખ્યાં હતાં અને એમાંનાં પાંચ નાટકો રંગમંચ પર ભજવાયાં હતાં. તેમણે 1908માં પહેલું નાટક ‘કુંજવિહારી’ લખ્યું હતું. તેમનું પ્રખ્યાત નાટક ‘હાચ મૂલાચા બાપ’ 7 સપ્ટેમ્બર, 1918ના રોજ ભજવાયું હતું. વિષયવસ્તુનું વૈવિધ્ય અને છટાદાર સંવાદો એમનાં નાટકોની વિશેષતા હતી. તેમણે 37 જેટલાં નાટકો, 6 લઘુનાટકો, 14 એકાંકીઓ, 1 નવલકથા, 12 વાર્તાઓ, 10 નિબંધો તેમજ અંગ્રેજી અને બંગાળી ભાષાઓમાંથી અનુવાદો આપ્યા છે. ‘કરીન તી પૂર્વ’, ‘ભૂમિકન્યા સીતા’, ‘સત્તેચે ગુલામ’, ‘સોન્યાચા કળશ’, ‘સતી સાવિત્રી’, ‘સ્વયંસેવક’ વગેરે નાટકો; ‘વિધવાકુમારી’ નવલકથા અને ‘માઝી નાટકી સંસાર’ના પાંચ ખંડોમાં સંસ્મરણકથા જાણીતાં છે. તેમનાં નાટકો બીજી ઘણી ભાષાઓમાં રૂપાંતરિત થયાં છે. તેઓ 1932માં વડોદરામાં આયોજિત મરાઠી વાઙમય પરિષદ, 1936માં મુંબઈ ઉપનગર સાહિત્ય સંમેલન, 1938માં પુણેમાં આયોજિત નાટ્યસંમેલન અને 1945માં ધુળેમાં યોજાયેલ અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષ હતા. તેઓ 1956થી રાજ્યસભાના સભ્ય હતા.

ભારત સરકારે તેમને 1959માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

દક્ષિણ ધ્રુવ

પૃથ્વીની કાલ્પનિક ધરી પૃથ્વીની ભૂમિસપાટીને જે બે સ્થાનોએ છેદે છે તે બે બિંદુઓને ધ્રુવો તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ગોળા પર ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર તરફના બિંદુને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ તરફના બિંદુને દક્ષિણ ધ્રુવ કહેવાય છે. ઉત્તર ધ્રુવની આસપાસ આર્ક્ટિક મહાસાગર પથરાયેલો છે, જ્યારે દક્ષિણ ધ્રુવ ઍન્ટાર્ક્ટિકા ખંડથી આવૃત છે. દક્ષિણ ધ્રુવ શબ્દ ઍન્ટાર્ક્ટિક વિસ્તારમાંના હિમજથ્થા નીચે રહેલાં એક કરતાં વધુ અદૃશ્ય સપાટીબિંદુઓ માટે વપરાય છે. આ પૈકીનું વધુ જાણીતું બિંદુ તે દક્ષિણ ભૌગોલિક ધ્રુવ છે. અન્ય મહત્વનાં દક્ષિણ ધ્રુવ બિંદુઓ પૈકી તાત્ક્ષણિક દક્ષિણ ધ્રુવ, સંતુલનનો દક્ષિણ ધ્રુવ, ચુંબકીય દક્ષિણ ધ્રુવ અને ભૂચુંબકીય દક્ષિણ ધ્રુવનો સમાવેશ થાય છે.

દક્ષિણ ધ્રુવપ્રદેશના અફાટ હિમજથ્થા

(1) દક્ષિણ ભૌગોલિક ધ્રુવ (the south geographic pole) : આ દક્ષિણ ધ્રુવીય બિંદુ ઍન્ટાર્ક્ટિકાની મધ્યમાં એવા સ્થાને આવેલું છે જ્યાં ગોળા પરના બધા જ રેખાંશ ભેગા થાય છે. આ બિંદુ હિમજન્ય બરફ જથ્થા પર 2,800 મીટરની ઊંચાઈએ રહેલું છે. નૉર્વેનો આરોહક રોઆલ્ડ ઍમંડસેન ગ્રેટ બ્રિટનના રૉબર્ટ સ્કૉટની રાહબરી હેઠળની ટુકડીના ત્યાં પહોંચવાનાં (17-1-1912) પાંચ અઠવાડિયાં અગાઉ (14-12-1911) પહોંચી ગયેલો. 1956માં યુ.એસ.દ્વારા અહીં ઍમંડસેન-સ્કૉટના સંયુક્ત નામે કાયમી ધોરણે વૈજ્ઞાનિક સ્થાનક તરીકે દક્ષિણ ધ્રુવમથક સ્થાપિત કરેલું છે. (2) તાત્ક્ષણિક દક્ષિણ ધ્રુવ (the instantaneous south pole) : આ બિંદુ ગોળામાંથી પસાર થતી ધરી ભૂમિસપાટીને છેદીને બહાર નીકળે છે એ સ્થાનને ગણવામાં આવે છે. પૃથ્વી જેમ જેમ તેની ધરી પર અક્ષભ્રમણ કરે છે તેમ તેમ તેમાં ફરતા રહેતા તેમજ ઘૂમરી ખાતા જતા ભમરડાની જમ વમળગતિ પેદા થાય છે. આ કારણે આ ધ્રુવબિંદુ ઘૂમરી ખાતું રહે છે. આ ધ્રુવ વામાવર્ત બાજુએ અનિયમિત પથમાં ઘૂમવામાં 14 માસનો સમય લે છે. આ ગોળાકાર પથને ચેન્ડલર ચક્ર કહે છે, જેનો વ્યાસ 30 સેમી. કરતાં ઓછા અંતરથી માંડીને લગભગ 21 મીટર સુધી બદલાતો રહે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દક્ષિણ ધ્રુવ, પૃ. 188 અથવા જુઓ https://gujarativishwakosh.org/દક્ષિણ ધ્રુવ/)