Categories
વાચન સમૃદ્ધિ

સિગ્રિડ ઉંસેત

જ. 20 મે, 1882 અ. 10 જૂન, 1949

1928માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર નૉર્વેજિયન નવલકથાકાર ઉંસેત સિગ્રિડનો જન્મ ડેનમાર્કમાં પણ ઉછેર નૉર્વેમાં થયો હતો. તેના પિતા પુરાતત્ત્વજ્ઞ હતા, તેઓએ પુત્રીને વાચનનો રસ લગાડ્યો હતો. સિગ્રિડ 16 વર્ષની હતી ત્યારે  તેના પિતાનું મૃત્યુ થતાં તેને કારકુની કરવી પડી. તેને બીજી બે નાની બહેનોની જવાબદારી લેવી પડી હતી. કુટુંબની પરિસ્થિતિને જોતાં સિગ્રિડને અભ્યાસ પડતો મૂકી 16 વર્ષની ઉંમરે સેક્રેટરીની નોકરી લેવી પડી. આ કામ આનંદદાયક ન હતું, પણ સંજોગોને આધીન થઈ તેણે દસ વર્ષ સુધી નોકરી કરવી પડી. ત્યારબાદ 1907માં નૉર્વેજિયન લેખકના યુનિયનમાં સામેલ થઈ ગઈ. 1907માં તેણે નોંધપોથી રૂપે લખેલ પ્રથમ નવલકથા ‘ફ્રુ માર્થા ઔલી’ પ્રગટ થઈ. 1909માં ‘ધ હેપી એજ’ નામનો વાર્તાસંગ્રહ પ્રગટ થયો. નવલકથા ‘જેની’(1911)એ તેને સફળ સાહિત્યકાર તરીકે ખ્યાતિ અપાવી. તેમાં પાત્રો સાથે તાદાત્મ્ય સધાયું હોવાથી પાત્રો જીવંત લાગે છે. 1912માં પ્રગટ થયેલ ‘ધ પુઅર ફેટ્સ’ વાર્તાસંગ્રહમાંની ‘સિમોન્સેન’ વાર્તા નૉર્વેની શ્રેષ્ઠ વાર્તાઓમાં ગણના પામેલી છે. ‘ધ વાઇઝ વર્જિન્સ’ 1918માં પ્રશંસાથી મુક્ત, પ્રેમમાં તૃપ્ત, આત્મબલિદાન આપતી ઉદારચરિત સ્ત્રીઓની વાર્તાઓ છે. તેની મહાન નવલત્રિપુટી ‘ક્રિસ્ટીન લાવાન્સ ડૉટર’માં ચૌદમી અને પંદરમી સદીની કથાઓ છે. લેખિકાએ 1931માં પ્રગટ કરેલ ‘વાઇલ્ડ ઑર્કિડ’ 1905થી 1931નો સમય આલેખતી આધુનિક નવલકથા છે. ત્યારબાદ ‘ગુન્નાર્સ ડૉટર’માં દરિયાખેડુઓનું જીવન છે. ઐતિહાસિક નવલકથાઓ લખવામાં સિગ્રિડના જેવી સફળતા ભાગ્યે જ કોઈને પ્રાપ્ત થઈ હશે. સિગ્રિડ ઉપદેશક નથી તે જીવનબીજ વાવે છે. તેના નૈસર્ગિક વિકાસમાં જ તેનો જીવનસંદેશ છુપાયેલો હોય છે. બીજા વિશ્વયુદ્ધમાં નૉર્વે પર આક્રમણ થતાં સિગ્રિડ નૉર્વે છોડી અમેરિકા ગઈ. યુદ્ધ બાદ પાછી ફરતાં વતનપ્રેમી પ્રવૃત્તિ અને લેખન માટે ‘ધ ગ્રાંડ ક્રૉસ ઑવ્ સેંટ ઓલાવ’ અર્પણ કરીને 1949માં તેનું સન્માન કર્યું.

Categories
વાચન સમૃદ્ધિ

સુવર્ણકળશની સમસ્યા

ભારતનો પ્રવાસ ખેડનાર પ્રથમ ચીની યાત્રી ફાહિયાન (જ. આશરે ઈ. 337, અ. ઈ. 422) ભારતના પ્રવાસે આવ્યા હતા એમના એ પ્રવાસ-વૃત્તાંતમાંથી ભારતની રાજકીય, ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિની વિગતો મળે છે. ફાહિયાને પોતાના પ્રવાસ-વર્ણનમાં લખ્યું છે કે ભારતમાં શાંતિ અને સમૃદ્ધિ જોવા મળી, લોકો સંતોષી હતા અને એમને ન્યાયકચેરીમાં જવાની ભાગ્યે જ જરૂર પડતી. યાત્રા કરનારાઓને ચોરનો ભય ન હતો અને સર્વત્ર સુરાજ્યની પરિસ્થિતિ પ્રવર્તતી હતી. લોકો બહાર જાય, ત્યારે ઘર પર તાળું લગાડતા નહોતા. આવો ચીની પ્રવાસી ફાહિયાન એક વાર ફરતાં ફરતાં રાજદરબારમાં જઈ ચડ્યો અને જોયું તો બે ખેડૂતો વચ્ચે થયેલા ઝઘડાનો ન્યાય તોળવામાં આવતો હતો. ફાહિયાનને એ વાતની ઉત્સુકતા જાગી કે આવા સંતોષી અને શાંતિપ્રિય લોકો કઈ વાતમાં પરસ્પર સાથે ઝઘડતા હશે ? પહેલા ખેડૂતે રાજાને ફરિયાદ કરી કે આ બીજા ખેડૂતને એણે એનું ખેતર વેચ્યું હતું. એ ખેતરમાંથી માટી મળે, રાખ મળે કે સોનું મળે, એ બધાની માલિકી એની ગણાય. બન્યું એવું કે આ વેચેલા ખેતરમાંથી સોનું ભરેલો એક કળશ નીકળ્યો અને તે એ મને આપવા માગે છે, પણ હું એક વાર ખેતર વેચી દીધા પછી કઈ રીતે તે સ્વીકારી શકું? રાજાએ બીજા ખેડૂતને પૂછ્યું, ‘તમે તમારી વાત કરો.’ એણે કહ્યું, ‘અન્નદાતા, એની વાત સાચી છે. મેં એનું ખેતર ખરીદ્યું હતું; એ સિવાયની બાકીની ચીજો પર મારો કોઈ હક્ક ગણાય નહીં. આથી આ સુવર્ણથી ભરેલો કળશનો માલિક એ ગણાય.’ ચીની પ્રવાસી ફાહિયાન આ ઝઘડાનું કારણ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયો. એને થયું કે લોકો અહીં સુવર્ણ લેવા માટે નહીં, પણ આપવા માટે ન્યાયકચેરીએ આવે છે. બંનેમાંથી એક પણ ખેડૂત આ સુવર્ણનો કળશ લેવા તૈયાર નહોતો અને રાજા પણ આવી અણહકની વસ્તુ કઈ રીતે સ્વીકારે ? આથી અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે આ સુવર્ણ ગ્રામજનોને વહેંચી આપવું.

Categories
વાચન સમૃદ્ધિ

માણિક બંધોપાધ્યાય

જ. 19 મે, 1908 અ. 3 ડિસેમ્બર, 1956

વીસમી સદીના પ્રખ્યાત બંગાળી નવલકથાકાર અને વાર્તાકારનો જન્મ દુમકા, બિહાર(હાલમાં ઝારખંડ)માં થયો હતો. તેમનું મૂળ નામ પ્રબોધ કુમાર, પણ હુલામણું નામ માણિક હતું. શાળામાં તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી હતા. 1928માં કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાંથી ગણિતના વિષય સાથે બી.એસસી. કર્યું. ત્યારબાદ જીવનમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થતાં કૉલેજ છોડી દેવી પડી. મિત્રોનો પડકાર ઝીલતાં તેમણે એક વાર્તા લખી – ‘અતશીમામી’, જે પ્રતિષ્ઠિત માસિક ‘વિચિત્ર’માં પ્રકટ થઈ અને તેઓ બંગાળી વાચકોમાં પ્રસિદ્ધ બની ગયા. 1935માં તેમની પ્રથમ નવલકથા ‘જનની’ પ્રગટ થઈ અને તે જ વર્ષે ‘અતશીમામી અને અન્ય વાર્તાઓ’નો સંગ્રહ પ્રગટ થયો. 1936માં તેમની સૌથી લોકપ્રિય બે નવલકથાઓ ‘પદ્માનદીર માંઝી’ અને ‘પુતલનાચેર’ પ્રકાશિત થઈ, જે દુનિયાના પીડિતો અને દલિતો વાસ્તવિક પ્રતિનિધિના રૂપમાં આવે છે. 1941માં તેમણે ‘અહિંસા’ લખી જેમાં જે ધર્મને અસંખ્ય લોકો પાળી રહ્યા હતા તેની પોકળતા ઉઘાડી પાડી છે. વળી બીજા વિશ્વયુદ્ધના સમયે લોકો જે સંદેહમાં જીવન જીવતા હતા તેનો ચિતાર રજૂ કર્યો છે. તેઓએ માર્કસ, લેનિન અને સ્ટાલિન જેવા સોશિયાલિસ્ટ ફિલસૂફોની ફિલૉસૉફીથી પ્રભાવિત થઈ 1944માં ભારતની કૉમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય બનવાનું પસંદ કર્યું, જે જીવનભર નિભાવ્યું. 1945માં ‘દર્પણ’ની રચના થઈ જેમાં જુદા જુદા સમુદાયોની વચ્ચેનો સંઘર્ષ આલેખ્યો છે. આ ઉપરાંત ‘આદાયેર ઇતિહાસ’ (1947), ‘માટિર મશૂલ’(1948)ની વાર્તાઓમાં આઝાદી પછીના વ્યાપક ભ્રમનિરસનનું ચિત્રણ છે. ‘સ્વાધીનતાનો સ્વાદ’ (1951), ‘સોનાર ચેયે દામી’, ‘આરોગ્ય’ નવલકથાઓની રચના કરી છે. અઠ્ઠાવીસ વર્ષની સાહિત્યિક સફરમાં તેમણે 38 નવલકથાઓ, 306 વાર્તાઓ, નાટક, કવિતાઓ અને નિબંધોની રચના કરી હતી. તેમની નવલકથાઓ ભારતીય ભાષાઓ અને અંગ્રેજી ભાષામાં પણ અનૂદિત થયેલી છે. તેમની નવલકથા ‘પદ્માનદીર માંઝી’ (બોટમૅન ઑફ પદ્મા) 7-8 ભારતીય ભાષાઓમાં, ત્રણ વાર અંગ્રેજી ભાષામાં તથા સ્વીડિશ, ઝેક, જર્મન, હંગેરિયન, ચાઇનીઝ, બલ્ગેરિયન, રશિયન તથા ફ્રેન્ચ ભાષાઓમાં અનૂદિત થઈ છે. લગભગ 70 જેટલી ટૂંકી વાર્તાઓ ભારતીય અને બીજી વિદેશી ભાષાઓમાં અનુવાદ પામી છે.