Categories
વાચન સમૃદ્ધિ

તેગુસિગાલ્પા (Tegucigalpa)

મધ્ય અમેરિકાના હોન્ડુરાસ દેશનું પાટનગર તથા મોટામાં મોટું નગર. દેશના દક્ષિણ-મધ્ય વિસ્તારમાં પર્વતીય પ્રદેશમાં તે વસેલું છે. તે આશરે 14° 05´ ઉ. અક્ષાંશ તથા 87° 14´ પ. રેખાંશ પર અને સમુદ્રસપાટીથી લગભગ 1007 મીટરની ઊંચાઈએ આવેલું છે. ‘તેગુસિગાલ્પા’નો અર્થ ‘ચાંદીની ટેકરી’ એવો થાય છે. હકીકતમાં આ શહેરના ઉદ્ભવ અને વિકાસમાં તેની નજીક આવેલી ચાંદી અને સોનાની ખાણોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. હોન્ડુરાસના આ ડુંગરાળ પ્રદેશમાં શરૂઆતના ચાંદી અને સોનાની ખનન-છાવણી(mining camp)માંથી પિકાસો પહાડના ઢોળાવ  પર ચોલ્યુટેકા નદીના ઉત્તર કાંઠે એક ખાણકેન્દ્ર તરીકે મૂળ સ્પેનના લોકોએ ઈ. સ. 1578માં આ શહેરની સ્થાપના કરી હતી. 1880માં તે દેશનું પાટનગર બન્યું. ધીમે ધીમે તેનો વિકાસ થતો ગયો અને ઈ. સ. 1938માં ચોલ્યુટેકા નદીના સામેના કાંઠે વસેલા કોમાયાગ્વેલા શહેર સાથે તે ભળી ગયું. તેગુસિગાલ્પાનું જાન્યુઆરી માસનું દૈનિક સરેરાશ ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 25° સે. અને 14° સે. તેમજ જુલાઈનું દૈનિક સરેરાશ ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 28° સે. અને 18° સે. જેટલું હોય છે. તેનો વાર્ષિક સરેરાશ વરસાદ 832 મિમી. જેટલો હોય છે.

તેગુસિગાલ્પા શહેર

આ નગરને હજુ સુધી રેલમાર્ગની સુવિધા મળી નથી. રેલમાર્ગની સેવાથી વંચિત એવાં દુનિયાનાં ખૂબ થોડાં પાટનગરો પૈકીનું તે એક છે. રેલપરિવહન સેવાઓની ત્રુટિના બદલામાં તેની હવાઈ તથા સડકપરિવહન સેવાઓ ઘણી સંતોષજનક છે. તે ટોકોન્ટિન નામનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક ધરાવે છે, જેનાથી તે દેશ અને દુનિયા સાથે સંકળાયેલું છે. વળી તેની નજીકથી પસાર થતા પાન અમેરિકન ધોરી માર્ગ દ્વારા તે ગ્વાટેમાલા, અલ સૅલ્વાડોર, નિકારાગુઆ અને મધ્ય અમેરિકાના અન્ય દેશો સાથે સંકળાયેલું છે. તે પૅસિફિક કાંઠા પરના દેશના અગત્યના બંદર સાન લોરેન્ઝો તેમજ દેશનાં અગત્યનાં નગરો સાથે સડકમાર્ગે જોડાયેલું છે. આ નગરમાં માત્ર સ્થાનિક વપરાશની ચીજવસ્તુઓના ઉત્પાદનને લગતી નાના પાયા પરની ઔદ્યોગિક પ્રવૃત્તિ થાય છે. આ પૈકી કાપડ, ખાંડ અને સિગારેટ જેવા ઉદ્યોગો મહત્ત્વના છે. આ નગરની અગત્યની ઇમારતોમાં ધારાસભાગૃહ, સરકારી સચિવાલય અને અન્ય વહીવટી કચેરીઓનો સમાવેશ થાય છે. આ નગર દેશની રાજકીય, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. હોન્ડુરાસની સ્વાયત્ત યુનિવર્સિટી (1847) અહીં છે. આ શહેરમાં 18મી સદીનાં ચર્ચ અને કેથીડ્રલ જોવાલાયક સ્થળો છે. વસ્તી : 13,26,460 (2023, આશરે).

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તેગુસિગાલ્પા (Tegucigalpa), પૃ. 904 અથવા જુઓ https://gujarativishwakosh.org/તેગુસિગાલ્પા/)

Categories
વાચન સમૃદ્ધિ

જગન્નાથ શંકરશેઠ મુરકુટે

જ. 10 ફેબ્રુઆરી, 1803 અ. 31 જુલાઈ, 1865

ભારતીય પરોપકારી શિક્ષાવિદ અને સમાજસેવક જગન્નાથ મુરકુટેનો જન્મ મુરબાદમાં ધનિક મરાઠી પરિવારમાં થયો હતો. પિતા શંકરશેઠ સુવર્ણકાર હતા અને તેઓ શંકરશેઠ તરીકે ઓળખાતા. જગન્નાથ પોતે નાના શેઠ તરીકે જાણીતા થયા હતા. પાંચ વર્ષની વયે માતાનું અવસાન થયું અને 18 વર્ષની વયે પિતા ગુમાવ્યા. તેઓ તેમનો પારંપરિક વ્યવસાય છોડીને મુંબઈમાં આવી વસ્યા. અહીં તેમણે પારસી અને અફઘાની વેપારીઓ સાથે વ્યવસાય કર્યો અને મુંબઈના વિકાસ અને શિક્ષણક્ષેત્રે અત્યંત મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમણે અનેક શાળાઓની સ્થાપના કરી. એ માટે તેમણે સ્કૂલ સોસાયટી અને નેટિવ સ્કૂલ ઑફ મુંબઈની સ્થાપના કરી. 1856માં તેમના દ્વારા સ્થાપિત મુંબઈ વિશ્વવિદ્યાલયની સૌથી પ્રાચીન કૉલેજમાંથી એક તે ઍલ્ફિન્સ્ટન કૉલેજ છે, જેમાં પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી, સમાજસેવક અને નેતા, દાદાભાઈ નવરોજી, મહાદેવ રાનડે, ગોપાલકૃષ્ણ ગોખલે, બાલગંગાધર ટિળક જેવા મહાનુભાવોએ શિક્ષણ પ્રાપ્ત કર્યું.

તેમણે દક્ષિણ મુંબઈના ગિરગાંવમાં સ્થપાયેલી સ્ટુડન્ટ લાઇબ્રેરી માટે આર્થિક સહાય કરી. હિન્દુ સમાજનો ભારે વિરોધ હોવા છતાં તેમણે મહિલાઓ માટેની શાળાની સ્થાપના માટે વિપુલ ધનરાશિ અર્પણ કરી. પોતાની શાળાઓમાં તેમણે અંગ્રેજી સાથે સંસ્કૃત લાઇબ્રેરી પણ સ્થાપી. 26 ઑગસ્ટ, 1852માં તેમણે બૉમ્બે ઍસોસિયેશનના નામે રાજનીતિક દળની સ્થાપના કરી જેમાં તત્કાલીન મુંબઈની એક પ્રસિદ્ધ વ્યક્તિ સભ્ય બની હતી. ગિરગાંવમાં નાના ચોક પાસે ભવાની – શંકરમંદિર અને રામમંદિર જગન્નાથ મુરકુટેની જ દેણ છે. પ્રાચીન મુંબઈનાં અનેક ક્ષેત્રે આજે પણ તેમનાં સ્થાપત્યો મુંબઈના વિકાસ અને મહત્ત્વપૂર્ણ યોગદાનનાં સાક્ષી છે. તત્કાલીન બ્રિટિશ રાજને પણ તેમણે મુંબઈનાં અનેક વિકાસકાર્યો માટે આર્થિક સહાયતા પ્રદાન કરી છે. જગન્નાથ મુરકુટેને મુંબઈના ‘આદ્ય શિલ્પકાર’ માનવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

ચર્ચાનો ચોતરો

સાયમન ઍન્ડ શુસ્ટર નામની પ્રકાશન સંસ્થાના અધ્યક્ષ અને એ પછી અમેરિકાની પૉકેટ બુક્સ કંપનીના પ્રેસિડેન્ટ બનેલા લીઓન શિમકિનની કાર્યપદ્ધતિ એવી હતી કે રોજ સવારે પોતાના કર્મચારીઓને એકઠા કરીને એમની સાથે ઘણી લાંબી ચર્ચા કરતા. દરેક કર્મચારી પોતાની સમસ્યાની લંબાણભરી વાત કરતા અને એ પછી એ વાતમાં બીજી વાતો નીકળતી. એક વ્યક્તિ એક સૂચન આપે, તો બીજી વ્યક્તિ બીજું સૂચન આપે. જ્યારે ત્રીજી વ્યક્તિ એ બંનેને ખોટા ઠેરવવા પ્રયત્ન કરે અને ચોથી વ્યક્તિ સાવ જુદી જ વાત કરે. પરિણામે મૂળ પ્રશ્નો અને સમસ્યાઓ બાજુ પર રહી જતાં અને કલાકો સુધી ચર્ચા ચાલવા છતાં કશું નક્કર કામ થતું નહોતું.  લીઓન શિમકિન આવી લાંબી ચાલેલી એક મિટિંગ પૂરી કરે, ત્યાં એમને બીજે કૉન્ફરન્સમાં જવાનો સમય થઈ જતો. ચર્ચા અધૂરી રહેતી અને આખો દિવસ આમ મિટિંગોમાં વ્યતીત થઈ જતો. પંદરેક વર્ષ સુધી આવી પરિસ્થિતિ રહ્યા પછી એક દિવસ શિમકિને વિચાર્યું કે એમની જિંદગીનો મોટા ભાગનો સમય તો ચર્ચા-વિચારણા અને સભામાં જ પૂરો થઈ જાય છે. આને બદલે કોઈ બીજો ઉપાય કરવો જોઈએ. એમણે પોતાની જૂની રીત બંધ કરી. બધા કર્મચારીઓને બોલાવીને એક સાથે ચર્ચા કરવાને બદલે એમણે કાર્યકરોને કહ્યું કે, હવે તમે આવો ત્યારે સ્પષ્ટ રૂપે લખીને આવજો કે તમારી સમસ્યા કેમ ઉદ્ભવી છે ? એના ઉકેલની કઈ શક્યતાઓ છે ? અને એનો તમે કયો ઉકેલ આપવા માંગો છો ? આ પદ્ધતિને પરિણામે લીઓન શિમકિનની જિંદગી બદલાઈ ગઈ. પહેલાં લોકો એક ને એક વાતો વારંવાર કરતા, સભામાં અંગત મંતવ્યોને આમતેમ ઉછાળતા. એને બદલે એમની પાસેથી જ વિશ્લેષણ મળતાં લીઓન શિમકિનનો ઝાઝો સમય ચર્ચામાં બરબાદ થતો અટકી ગયો અને સમસ્યા જાણીને એના ઉકેલનો રસ્તો શોધવા પર ધ્યાન આપવા લાગ્યા. અભિગમ બદલાતાં લીઓન શિમકિનની જિંદગી બદલાઈ ગઈ.