Categories
વાચન સમૃદ્ધિ

અંતિમ પ્રવાસ માટે કેટલી તૈયારી કરી ?

બે દિવસના પ્રવાસમાં જતી વખતે કેટલી બધી તૈયારી કરીએ છીએ! પ્રવાસમાં જેની જરૂર પડવાની છે એવી કેટલીય ચીજવસ્તુઓ એકઠી કરીને સાથે લઈએ છીએ. એને બરાબર ગોઠવીએ છીએ. પ્રવાસે નીકળતી વખતે ટિકિટ લેવી પડે છે અને શક્ય એટલી અનુકૂળતાઓ ગોઠવીને પરિચિત વ્યક્તિ સાથે પ્રવાસ ખેડવા નીકળીએ છીએ. જ્ઞાત પ્રવાસની આટલી બધી તૈયારી, પરંતુ જિંદગીના અજ્ઞાત પ્રવાસની કેટલી તૈયારી ? કેવા પ્રદેશમાં એ પ્રવાસ ખેડવાનો છે એની કશી જાણ નથી. મૃત્યુ પછીની પરિસ્થિતિનો ઝાંખોય અંદાજ નથી. એમાં આવનારી પ્રતિકૂળતાઓની સહેજે ઝાંખી નથી. વળી સાથે કોઈ માર્ગદર્શક કે મદદગાર પણ નથી. એને એકલા જિંદગીનો અંતિમ પ્રવાસ  ખેડવાનો છે, ત્યારે એને માટે એણે કેટલી તૈયારીઓ કરી છે ? આ અંતિમ પ્રવાસમાં કામ આવે એવું કેટલું ભાતું લઈને એ નીકળ્યો છે ? આ પ્રવાસ માટે એની પાસે કેટલી ભીતરી પ્રસન્નતા છે ? અરે ! જુઓ તો ખરા ! અંતિમ પ્રવાસની ઘડી આવતાં એ કેટલો બધો અકળાઈ જાય છે ! પોતાના જીવનને એ જોશથી વળગી રહે છે. પોતાનાં સાધનો અને સંપત્તિને ચુસ્ત રીતે વળગીને એ બેસે છે. ‘હજી આટલું ભોગવી લઉં’ એમ વિચારીને જિજીવિષાને પ્રબળ કરતો જાય છે, ત્યારે વિચારવું એ પડે કે જીવનના પ્રવાસોની તૈયારી કરનાર માણસ એના મૃત્યુના અંતિમ પ્રવાસ માટે સજ્જતા કેળવવાનો કોઈ વિચાર કરે છે ખરો ? અંતે જે મુકામે પહોંચવાનું છે એ મુકામની એને જાણકારી છે ખરી ? એક વાર કાશ્મીરના પ્રવાસે ગયા અને મજા ન આવી તો એ પ્રવાસ બીજી વાર ખેડી શકાય છે, પણ આ અંતિમ મુકામે જવાનો પ્રવાસ તો એક જ વાર ખેડવાનો હોય છે. એ પુન: ખેડી શકાતો નથી, ત્યારે એને માટે કેટલી તૈયારી કરી છે તે વિચારવું જોઈએ.

Categories
વાચન સમૃદ્ધિ

એન. ટી. રામારાવ

જ. ૨૮ મે, ૧૯૨૩ અ. ૧૮ જાન્યુઆરી, ૧૯૯૬

NTR તરીકે જાણીતા એન. ટી. રામારાવ એક ભારતીય અભિનેતા, ફિલ્મનિર્માતા, ફિલ્મદિગ્દર્શક, પટકથાલેખક, ફિલ્મસંપાદક અને રાજકારણી હતા. તેમનું પૂરું નામ નંદમુરી તારકા રામારાવ છે. તેમણે ચાર ટર્મમાં સાત વર્ષ સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેમને ભારતીય સિનેમાના સૌથી પ્રભાવશાળી કલાકારોમાંના એક માનવામાં આવે છે. રામારાવે ૧૯૪૯માં એલ. વી. પ્રસાદદિગ્દર્શિત તેલુગુ સામાજિક ફિલ્મ ‘માના દેશમ્ֹ’થી અભિનેતા તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. તેમને ૧૯૫૪માં ‘રાજુ પેડા’ નામની ફિલ્મથી વિશેષ સફળતા પ્રાપ્ત થઈ હતી. ૧૯૪૯થી ૧૯૮૨ સુધીમાં આશરે ૩૦૦ ફિલ્મોમાં તેમણે વિવિધ ભૂમિકાઓ ભજવી. મુખ્યત્વે પૌરાણિક પાત્રો કૃષ્ણ, શિવ અને રામની ભૂમિકા દ્વારા તેઓ વધુ જાણીતા બન્યા હતા. જેના કારણે તેઓ ‘જનતાના મસીહા’ અને સિનેમાના ઇતિહાસમાં એક અગ્રણી વ્યક્તિ બન્યા હતા. બાદમાં તેઓ ફિલ્મોમાં ખલનાયક અને રોબિન હૂડ જેવાં હીરો પાત્રો દર્શાવવા માટે જાણીતા બન્યા હતા. તેમણે ૧૯૫૧માં ‘પથલા ભૈરવી’ ફિલ્મમાં અભિનય કરેલો, જે ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શિત થયેલી એકમાત્ર દક્ષિણ ભારતીય ફિલ્મ હતી તો ‘મલ્લીશ્વરી’ ફિલ્મને પેકિંગ ફિલ્મ ફેસ્ટિવલ બેઇજિંગ, ચીનમાં દર્શાવવામાં આવી હતી. ઇન્ડોનેશિયાના જાકાર્તામાં યોજાયેલ આફ્રો-એશિયન ફિલ્મ મહોત્સવમાં દર્શાવવામાં આવેલી તેમની શાશ્વત ક્લાસિક ફિલ્મ ‘માયાબજાર’ (૧૯૫૭) અને ‘નર્તનશાલા’ (૧૯૬૩) જેવી ફિલ્મ CNN-IBNની સર્વકાલીન ૧૦૦ મહાન ભારતીય ફિલ્મોની યાદીમાં સામેલ કરવામાં આવી હતી. રામારાવે ૧૯૮૨માં તેલુગુ દેશમ્ પાર્ટી TDPની સ્થાપના કરી હતી અને ૧૯૮૩થી ૧૯૯૫ દરમિયાન આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ત્રણ કાર્યકાળ વખતે સેવા આપી હતી. તેઓ આંધ્રપ્રદેશની વિશિષ્ટ સાંસ્કૃતિક ઓળખના હિમાયતી તરીકે જાણીતા હતા. રામારાવે ૧૯૭૦માં ‘કોડાલુ દીદીના કપુરમ્’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો નંદી પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો તો નૅશનલ આર્ટ થિયેટર, ચેન્નાઈ દ્વારા ‘થોડ ડોંગાલુ’ (૧૯૫૪) અને ‘સીતારામ કલ્યાણમ્’ (૧૯૬૦)ના સહનિર્માણ માટે ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો પણ મેળવ્યા હતા. ૧૯૬૮માં તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી વિભૂષિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ટગબોટ

રેલવેના એન્જિન માફક બજરાઓ(barges)ને તથા સમુદ્રની મોટી ખેપ કરતી સ્ટીમરોને બારામાં ધક્કા(dock) સુધી અને બારા બહાર મધદરિયા સુધી ખેંચી લાવતું શક્તિશાળી અને ઝડપી નાનું જહાજ. કોઈ કારણસર જહાજ લાધી ગયું હોય કે તેનાં યંત્રો કામ કરતાં બંધ પડ્યાં હોય તો તેવા જહાજને સુરક્ષિત રીતે ખેંચી લાવવાનું કામ પણ તે કરે છે. વરાળયુગના પ્રારંભમાં ઈ. સ. ૧૮૦૦ની આસપાસ પૅડલ-વ્હીલ (paddle – ક્ષેપણી) સંચાલિત ટગબોટ કામ કરતી હતી. ૧૮૫૦માં સ્ક્રૂ-સંચાલિત ટગબોટ અસ્તિત્વમાં આવી હતી. ઈ. સ. ૧૯૦૦થી વરાળ-એન્જિનનું સ્થાન ડીઝલ-એન્જિને લીધું હતું. ૧૭૩૬માં જોનાધન હલે (ગ્લૉસેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ) ન્યૂકોમેન સ્ટીમ-એન્જિન દ્વારા સંચાલિત ટગબોટ માટે પેટન્ટ લીધો હતો. સર્વપ્રથમ બંધાયેલ ટગબોટ ‘શાર્લોટ ડુન્ડાસ’ હતી, જેનું સંચાલન વૉટ એન્જિન અને પૅડલ-વ્હીલ દ્વારા થતું હતું, તેનો ઉપયોગ સ્કૉટલૅન્ડની ફૉર્ડ નદી અને ક્લાઇડ નદીની નહેરમાં જહાજોને લાવવા લઈ જવા થતો હતો. યુ.એસ.માં ૧૮૫૦માં સ્ક્રૂ પ્રોપલ્ઝનવાળી ટગબોટનો ઉપયોગ થતો હતો.

જહાજને ખેંચી લાવતી ટગબોટ

ઓગણીસમી સદી દરમિયાન ટગનું કદ એકસરખું અને સ્થિર (૨૧ મી.થી ૬૪ મી. સુધીનું) રહ્યું હતું. અગાઉની ટગ કરતાં હાલમાં વપરાતી ટગનું એન્જિન દસગણી વધારે શક્તિ ધરાવે છે. કેટલીક ટગનાં તો ૩૦૦૦ હો.પા.થી વધારે પાવરનાં એન્જિનો હોય છે. સામાન્ય રીતે માત્ર બારામાં જ હેરફેર કરતી ટગ ૨૧.૪૬ મી. લાંબી, એક સ્ક્રૂવાળી અને ૧૭૫૦ હોર્સપાવરવાળી હોય છે. ખુલ્લા સમુદ્રમાંથી લાધેલાં જહાજને કાંઠે બારામાં ધક્કા સુધી લાવવા વધારે શક્તિશાળી ટગની જરૂર પડે છે. લાધી ગયેલા જહાજને કાંઠે લાવતી ટગ ૩૮ મી.થી ૬૦ મી. લાંબી હોય છે અને તેનું એન્જિન ૫૦૦૦ હો.પા. સુધીનું હોય છે. આંતરિક જળમાર્ગ માટે યંત્રવિહીન બજરા(dumb barge)ને ખેંચવા ટગ વપરાય છે. રેલવેના ડબાની માફક દોરડાં કે સાંકળ દ્વારા ૧૦થી ૨૦ બજરાઓને ટગ ખેંચે છે. ધક્કા સુધી બજરાને કે જહાજને ખેંચી લાવતી ટગનું ખોખું (hull) સ્થિતિસ્થાપક (resilient) લાકડાનું બનેલું હોય છે, જેથી જહાજ કે ટગને ખેંચવાથી નુકસાન થતું નથી. ટગ સહેલાઈથી અવરજવર કરી શકે તે માટે તેની લંબાઈ ઓછી અને તેનો મોરો (stern) સાંકડો હોય છે. પાણી ઉપર તેના પ્રૉપેલરની સારી પકડ રહે તે માટે તેની ગતિ ધીમી હોય છે. ટેમ્સ નદીમાં ફરતી ટગો ૨૪ મી.થી ૩૬ મી. લાંબી હોય છે. દુનિયાના અન્ય ભાગોમાં તેનો દેખાવ, લંબાઈ વગેરે જુદાં જુદાં હોય છે. જર્મનીની રહાઇન નદી અને યુ.એસ.ની મિસિસિપી નદીમાં લાંબા અંતર સુધી ઘણા દિવસો સુધી બજરાઓના સમૂહને ટગ ખેંચી જતી હોય છે. આવી ટગોમાં ટગના કર્મચારીઓ માટે રહેવાની તથા ખોરાક વગેરે સંઘરવાની સગવડ હોય છે. લાધી ગયેલાં જહાજોને સલામત લાવતી ટગ ખૂબ જ શક્તિશાળી અને દરિયામાં લાંબો વખત રહી શકે તેવી હોય છે. જહાજને ખેંચી લાવવા ભારે ગિયર કે ગેરવાળી ટગ હોય છે. આવી ટગમાં લોખંડના તારનાં દોરડાં, પાણી ઉલેચવાનો પંપ તથા અગ્નિ શમાવવાનાં સાધનો હોય છે. ગુજરાતમાં ઘોઘામાં ૨૦૦ ટનથી ૨૫૦ ટનની ટગ બંધાય છે. મુંબઈ, કૉલકાતા તથા વિશાખાપટ્ટનમમાં પણ તે જરૂર પ્રમાણે બંધાય છે. ડચ લોકો ટગના બાંધકામ માટે સમગ્ર દુનિયામાં જાણીતા છે. તેમણે ૬૫ મી. લાંબી, ૧૫.૬ મીટરના સ્તંભવાળી ૧૬,૦૦૦ કિવૉ.ની શક્તિશાળી ‘સ્મીટ લંડન’ ટગ બાંધી હતી, જે ગમે તેવા વિશાળકાય જહાજને ખેંચી લેવા સમર્થ હતી.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી