Categories
વાચન સમૃદ્ધિ

મારે શી ફિકર ?

ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા અને વિશ્વમાં શરૂઆતના અગ્રણી મોટર ઉત્પાદક હેન્રી ફોર્ડે (ઈ. સ. ૧૮૬૩થી ૧૯૪૭) જગતને મોટરકારના જથ્થાબંધ ઉત્પાદનનો ‘ઍસેમ્બ્લી પ્લાન્ટ’ આપ્યો, જે આજે મોટર, ટ્રક અને સ્કૂટરના ઉત્પાદનમાં જ નહીં, પણ રેડિયો, ટેલિવિઝન, ઘડિયાળો, રેફ્રિઝરેટરો વગેરેના નાના-મોટા ઘણા ભાગો ભેગા કરીને એનું જથ્થાબંધ ધોરણે ઉત્પાદન કરવા માટે ‘ઍસેમ્બ્લી લાઇન’ના સિદ્ધાંત તરીકે અમલમાં મુકાય છે. મોટરકારના જથ્થાબંધ ઉત્પાદનથી અમેરિકાના આર્થિક અને સામાજિક જીવન પર પ્રભાવ પાડનાર આ ઉદ્યોગપતિ સતત ફોર્ડ કારનાં જુદાં જુદાં મૉડલનું ઉત્પાદન કરતા હતા તેમજ ખાણ, સ્ટીલ-પ્લાન્ટ, રબર ઉત્પાદન અને યુદ્ધના માલસામાનના ઉત્પાદનમાં પણ કાર્યરત હતા. એ સમયે અમેરિકાના સામાજિક અને આર્થિક જીવન પર હેન્રી ફોર્ડનો ઘણો પ્રભાવ પડ્યો. આગવી સૂઝ ધરાવનાર ઉદ્યોગપતિએ જહાજખરીદી અને ગ્રંથલેખન પણ કર્યું. આવા હેન્રી ફોર્ડના અવસાનનાં થોડાં વર્ષ પહેલાં ડેલ કાર્નેગી એની મુલાકાતે ગયા. માનવમનના પારખુ ડેલ કાર્નેગીએ એવી કલ્પના કરી હતી કે આટલાં બધાં ઉત્પાદનો સાથે સંકળાયેલા અને કેટલાય પ્રકારના કારોબાર સંભાળતા હેન્રી ફોર્ડ અત્યંત વ્યસ્ત હશે. કામના બોજથી દબાયેલા હશે, એમના ચહેરા પર ચિંતાની રેખાઓ હશે અને મન સ્ટ્રેસ ધરાવતું હશે. એ સમયે હેન્રી ફોર્ડની ઉંમર ૭૮ વર્ષની હતી, આમ છતાં એ તદ્દન શાંત, સૌમ્ય અને સ્વસ્થ દેખાતા હતા. ડેલ કાર્નેગીને આ જોઈને ભારે આશ્ચર્ય થયું. એણે કહ્યું કે તમે દેશની કાયાપલટ કરી છે, આટલો વિશાળ કારોબાર સંભાળો છો અને છતાં તમારા ચહેરા પર કેમ કોઈ ચિંતા દેખાતી નથી ? ‘ચિંતાઓ ? ના, હું તો એમાં દૃઢ વિશ્વાસ ધરાવું છું કે ઈશ્વર જ મારા વ્યવસાયની સઘળી વ્યવસ્થા કરે છે અને એની દેખરેખના અંતે બધાં કાર્યો ઉત્તમ રીતે સંપન્ન થાય છે, પછી મારે એની ચિંતા-ફિકર કરવાની શી જરૂર ?’ ફોર્ડે ઉત્તર વાળ્યો.

Categories
વાચન સમૃદ્ધિ

લે્ટનન્ટ કર્નલ અરદેશર તારાપોર

જ. ૧૮ ઑગસ્ટ, ૧૯૨૩ અ. ૧૬ સપ્ટેમ્બર, ૧૯૬૫

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અદ્વિતીય પરાક્રમ કરી જીત અપાવનાર લે્ટનન્ટ કર્નલ અરદેશર તારાપોરનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમના પૂર્વજ રતનજીબા છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં હતા. શિવાજીએ તેમને તારાપોર સહિત ૧૦૦ ગામ ઇનામ સ્વરૂપે આપ્યાં હતાં. આથી તેઓ તારાપોર કહેવાયા. પુણેની સરદાર દસ્તુર બૉય્ઝ સ્કૂલમાં અભ્યાસ કરી ૧૯૪૦માં મૅટ્રિક થયા પછી પહેલી જાન્યુઆરી, ૧૯૪૨ના રોજ સાતમી હૈદરાબાદ ઇન્ફન્ટ્રીમાં જોડાયા. હૈદરાબાદ ભારતમાં વિલીન થયું પછી તેઓ ભારતીય સેનામાં પૂના હોર્સમાં સામેલ થયા. ૧૯૬૫ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ફિલોરા પર આક્રમણ કરવા તારાપોર એમની ટુકડી સાથે આગળ વધ્યા. દુશ્મનોએ મોટી સંખ્યામાં રણગાડીઓ સાથે હુમલો કર્યો. ધમસાણ યુદ્ધ થયું. દુશ્મનની શક્તિનો તાગ મેળવવા તેઓ ટૅન્કમાંથી બહાર નીકળ્યા ત્યાં જ દુશ્મનનો તોપગોળો તેમની નજીક ફૂટ્યો, આથી તેઓ ઘાયલ થયા. સારવાર માટે યુદ્ધમેદાન ન છોડ્યું અને યુદ્ધ ચાલુ રાખ્યું. તેમણે દુશ્મનની ટૅન્કોનો ખાતમો બોલાવ્યો અને ફિલોરા જીત્યું. ફિલોરાથી ચવિન્દા જવાનું હતું. માર્ગમાં વઝીરવાલી મુકામે પાકિસ્તાની સેનાએ ભારે હુમલો કર્યો. તારાપોરે દુશ્મનોની ટૅન્કો ઉડાવી વઝીરવાલી કબ્જે કર્યું. ત્યાંથી આગળ વધી બુતુર દોગરણ પહોંચતાં જ કૅપ્ટન અજયિંસહના કાફલા પર હુમલો થયો. તારાપોર તેમના કાફલા સાથે બુતુર દોગરણ પહોંચ્યા. કલાકો સુધી ગોળાબાજી ચાલી. એમાં તારાપોરની ટૅન્કનું બખ્તર ભેદાયું. તેમ છતાંય તેઓ લડતા રહ્યા. સાંજ સુધીમાં ભારતીય સૈન્યએ જીત મેળવી પણ પાકિસ્તાનની ટૅન્કના ગોળાથી તારાપોર શહીદ થયા. તારાપોરની ટુકડીએ પાકિસ્તાનની ૬૦ ટૅન્કોનો નાશ કરી અસાધારણ શૌર્યથી દુશ્મનોને હરાવ્યા હતા. યુદ્ધભૂમિમાં કરેલ અપ્રતિમ પરાક્રમ માટે ભારત સરકારે પરમવીર ચક્ર(મરણોત્તર)થી અરદેશર તારાપોરને સન્માનિત કર્યા.

Categories
વાચન સમૃદ્ધિ

સુવર્ણમંદિર (અમૃતસર)

પંજાબમાં અમૃતસરમાં આવેલું શીખોનું પવિત્ર મંદિર. તેનું મૂળ નામ હરિમંદિર સાહિબ છે. તેના પર સોનાના ઢોળવાળાં તાંબાનાં પતરાં જડેલાં હોવાથી તે સુવર્ણમંદિર તરીકે જાણીતું છે. ચોથા શીખ ગુરુ રામદાસે અમૃતસર નામનું તળાવ બંધાવી એ જ નામનું ત્યાં નગર પણ વસાવ્યું. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવ(૧૫૮૧–૧૬૦૬)ના સમયમાં ૧૫૮૮માં મંદિરનું બાંધકામ શરૂ થયું અને ૧૬૦૧માં તે પૂરું થયું. મંદિર સરોવરની મધ્યમાં છે. મંદિરનું આરસનું સુશોભન અને સોનાનું કામ ૧૮૦૦ પહેલાંનું છે. આ કામ માટે પંજાબના શીખ રાજ્યના મહારાજા રણજિતસિંહે પુષ્કળ પ્રમાણમાં સોનું અને આરસ પૂરાં પાડ્યાં હતાં. તેમણે મંદિરના ઘુમ્મટ વગેરે ભાગોને સોનાના ઢોળવાળાં તાંબાનાં પતરાં જડાવ્યાં હતાં.

સુવર્ણમંદિર (અમૃતસર), પંજાબ

સુવર્ણમંદિર આરસનું બાંધેલું ચોરસ મંદિર છે. તેનો વિસ્તાર ૨૦ મી.  ૨૦ મી. છે. મંદિરને ફરતું સરોવર છે. સરોવર ૬૧ મી. લાંબા આરસના માર્ગ વડે ઘેરાયેલું છે. તેની ઉપર તોરણવાળો માર્ગ છે. મંદિરને ચાર પ્રવેશ છે. તેના ઘુમ્મટ નીચે રેશમમંડિત બેઠકમાં શીખોના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહેબ’ની પ્રતિષ્ઠા કરેલી છે. કોઈ પણ વ્યક્તિ ધર્મ, વર્ણ, પંથ કે જાતિના ભેદભાવ વિના મંદિરમાં પ્રવેશી શકે છે. મંદિરમાં દારૂ, સિગારેટ, માંસ કે અન્ય કોઈ પદાર્થ લઈ જવા પર પ્રતિબંધ છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે મંદિરમાં પ્રવેશે ત્યારે તેણે તેનું માથું ઢાંકેલું રાખવું જોઈએ. મંદિરપ્રવેશ પહેલાં હાથ-પગ ધોયેલા હોવા જરૂરી છે. ગુરુવાણીનું પઠન સાંભળવા મંદિરમાં બેસી શકાય છે. મંદિર સંકુલમાં રોજ લગભગ ૧,૦૦,૦૦૦ લોકો વિનામૂલ્યે ભોજન કરી શકે છે. આ વ્યવસ્થા ‘લંગર’ તરીકે જાણીતી છે. મંદિર સંકુલમાં શીખ ધર્મના ગુરુઓ, શહીદો વગેરેનાં સ્મારકો આવેલાં છે. અહીં બૈસાખી તેમ જ ધર્મગુરુઓના જન્મદિવસો ધામધૂમથી ઊજવાય છે. ૧૯૮૪ના અરસામાં મંદિરને ઘણું નુકસાન થયું હતું. ભારત સરકાર જેને આતંકવાદી માનતી હતી અને શીખો જેને ધાર્મિક નેતા માનતા હતા તે જરનૈલસિંઘ ભિંડરાંવાલે અને તેના સાથીદારોએ સુવર્ણમંદિરમાં આશરો લીધો હતો. આતંક ઉગ્ર બનતાં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ સાહસપૂર્ણ નિર્ણય લઈ ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ નામક લશ્કરી પગલું ભરવું પડ્યું હતું. તેમાં સુવર્ણમંદિરમાં સૈનિકો મોકલી ભિંડરાંવાલે સહિત ઘણા આતંકીઓનો નાશ કર્યો હતો. ગોળીબાર, તોપમારો અને હેલિકૉપ્ટરને કારણે મંદિરના સંકુલને ઘણું નુકસાન પહોંચ્યું હતું. પાછળથી કારસેવકો દ્વારા આ નુકસાનનું સમારકામ કરાવવામાં આવ્યું હતું.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી