Categories
વાચન સમૃદ્ધિ

નવી આશા આપતી નિષ્ફળતા

‘સંજોગો માનવીને ઘડે છે’ એ સૂત્ર તમે જીવનભર સાંભળતા આવ્યા છો. અનુકૂળ સંયોગને વ્યક્તિ આશીર્વાદરૂપ માને છે અને પ્રતિકૂળ સંયોગોને શાપરૂપ કે અવરોધરૂપ ગણે છે. જીવનપટ પર નજર નાખતી વખતે એ શોધે છે કે કયા સંજોગો સારા મળ્યા અને કયા નરસા મળ્યા ! કયા આનંદદાયી હતા અને કયા દુ:ખદાયી ! હકીકત એ છે કે સંજોગો વ્યક્તિને ઘડતા નથી, બલકે સંજોગો પ્રત્યેનો અભિગમ વ્યક્તિને ઘડે છે. એક જ સંજોગ એક વ્યક્તિને દુ:ખમાં ગરકાવ કરનારો લાગે, તો એ જ બનાવ પરથી બીજી વ્યક્તિ કોઈ જીવનબોધ તારવે છે. એક જ ઘટના એક વ્યક્તિને અવરોધક લાગે છે, તો બીજી વ્યક્તિને એ પ્રેરક લાગે છે. આમ સંજોગો મહત્ત્વના નથી, પરંતુ સંજોગો પ્રત્યેનો આપણો અભિગમ મહત્ત્વનો છે. અબ્રાહમ લિંકનને ચૂંટણીમાં વારંવાર હાર મળી, છતાં એ પરાજયથી પગ વાળીને બેસી રહેવાને બદલે પ્રયત્ન કરતા રહ્યા. બીજી વ્યક્તિને આટલા પરાજયો ખમવા પડ્યા હોય તો જિંદગીભર ચૂંટણીમાં ઊભા રહેવાનું નામ સુધ્ધાં ન લે. આમ સંજોગો કરતાં એ પ્રત્યેનો અભિગમ, એમાંથી તારવેલો મર્મ અને એમાંથી મેળવેલો સંકેત મહત્ત્વના છે. સંજોગ પ્રત્યેનું વલણ જ સામાન્ય માનવી અને અસામાન્ય માનવીનો ભેદ છતો કરી દે છે. સામાન્ય માનવી નિષ્ફળતા મળતાં આગળ વધવાનું માંડી વાળે છે, જ્યારે અસામાન્ય કે લોકોત્તર વ્યક્તિ નિષ્ફળતા મળે તો તેમને સફળતા-પ્રાપ્તિનો એક મુકામ માનીને આગળ વધતી રહે છે. પોતાની નિષ્ફળતામાંથી એ અર્થ શોધતી હોય છે, કારણ તપાસતી હોય છે અને એ પાર કરીને આગળ મંજિલ તૈયાર કરતી હોય છે. નિષ્ફળતા એ બીજાને નિરાશા જગાવનારી લાગે કિંતુ કર્તવ્યશીલને નવી આશાનો સંચાર કરતી લાગે છે.

Categories
વાચન સમૃદ્ધિ

મૂળશંકર મોહનલાલ ભટ્ટ

જ. ૨૫ જૂન, ૧૯૦૭ અ. ૩૧ ઑક્ટોબર, ૧૯૮૪

તેઓ ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી, બાળસાહિત્યકાર, અનુવાદક અને જીવનચરિત્રકાર હતા. તેમણે બાળસાહિત્ય અને સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેઓ ગુજરાતીમાં જૂલે વર્નની કૃતિઓનું ભાષાંતર કરવા માટે જાણીતા છે. ભાવનગરમાં મોહનલાલ અને રેવાબહેનને ત્યાં જન્મેલા મૂળશંકરભાઈએ ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિમાંથી શાળાકીય શિક્ષણ (વિનીત) પૂર્ણ કર્યું હતું. તેમણે ૧૯૨૧માં મૅટ્રિક પાસ કરીને ગૂજરાત વિદ્યાપીઠમાં ૧૯૨૭માં મુખ્ય વિષય તરીકે સંગીત અને દ્વિતીય વિષય તરીકે હિન્દી-ગુજરાતી સાથે સ્નાતક(સંગીતવિશારદ)ની પદવી પ્રાપ્ત કરી હતી. મૂળશંકર ભટ્ટે તેમના શિક્ષણકાર્યની શરૂઆત ૧૯૨૯માં મુંબઈના વિલેપાર્લે સ્થિત બૉમ્બે નૅશનલ સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે કરી હતી. ત્યારબાદ તેઓએ ભાવનગરમાં આવેલી દક્ષિણામૂર્તિ સંસ્થામાં ૧૯૩૦થી ૧૯૩૯ સુધી શિક્ષક અને રેક્ટર તરીકે, ઘરશાળામાં ૧૯૩૯થી ૧૯૪૫ સુધી શિક્ષક તરીકે, ૧૯૪૫થી ૧૯૫૩ સુધી ગ્રામદક્ષિણામૂર્તિ આંબલામાં આચાર્ય તરીકે અને ત્યારબાદ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં શિક્ષક અને રેક્ટર તરીકે સેવા આપી અને એ જ સમયગાળા દરમિયાન તેમણે લોકસેવા મહાવિદ્યાલયના આચાર્ય તરીકે પણ સેવા આપી. ૧૯૬૫માં નિવૃત્ત થયા પછી પણ અનેક સંસ્થાઓમાં તેમણે માનદ સેવા આપવાનું ચાલુ રાખ્યું. જૂલે વર્ન(ફ્રેન્ચ નવલકથાકાર, કવિ અને નાટ્યકાર)ની વિજ્ઞાન-સાહસકથાઓ જેમાં ‘સાગરસમ્રાટ’, ‘ગગનરાજ’, ‘પાતાળપ્રવેશ’, ‘સાહસિકોની સૃષ્ટિ’, ‘૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા’, ‘બલૂન પ્રવાસ’ વગેરે તેમની મુખ્ય અનુવાદની કૃતિઓ છે. આ ઉપરાંત વિક્ટર હ્યુગોની વિશ્વવિખ્યાત નવલકથા ‘લા-મિઝરેબલ’નો ‘દુ:ખિયારાં’ નામે તેમનો અનુવાદ જાણીતો છે. આવા મહાન ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી મૂળશંકર મોહનલાલ ભટ્ટે ભાવનગરમાં અંતિમ શ્વાસ લીધો. મૂળશંકર ભટ્ટને નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદોની પરંપરામાં અંતિમ કડી માનવામાં આવે છે. તેમની શિક્ષણપદ્ધતિઓ અને સાહિત્યિક યોગદાન આજે પણ પ્રેરણારૂપ છે.

Categories
વાચન સમૃદ્ધિ

ટેમ્સ નદી

ઇંગ્લૅન્ડની સૌથી મહત્ત્વની તથા સૌથી લાંબી નદી. તે દક્ષિણ ઇંગ્લૅન્ડમાં આવેલી છે. દેશના દક્ષિણ ભાગમાં ૩૪૬ કિમી. સુધી વહીને તે ઉત્તર સમુદ્રને મળે છે. આ નદી ગ્લુચેસ્ટરશાયરના કાસ્ટ વોલ્ડની પહાડીઓમાંથી અનેક ધારાઓના રૂપે વહે છે. તે નૈર્ઋત્યમાં વહીને આગળ જાય છે. ઑક્સફર્ડ પાસે તેના પ્રવાહની પહોળાઈ આશરે ૩૬.૫ મીટર અને ટેડિંગ્ટન પાસે તેનો પ્રવાહ આશરે ૭૫ મીટર અને ત્યાંથી આશરે ૨૫ કિમી. નીચે ગ્રેવલૅન્ડ પાસે આશરે ૬૩૦ મીટર પહોળો બને છે. જેમ જેમ તે સમુદ્રની નજીક પહોંચે છે તેમ તેમ આ પહોળાઈ વધતી જાય છે. શિયરનેસ અને શુલરીનેસ પાસે આ પહોળાઈ એકદમ વધીને ૮.૮ કિમી. બને છે.

લંડનની મધ્યમાં વહેતી ટેમ્સ નદી

લંડન બ્રિજની ઉપરવાસ આશરે ૨૪૬ કિમી. દૂર તેને ચર્ન નદી મળે છે. આગળ જતાં ટેમ્સને કોલ્ન, વિન્ડરશ, ઇવનલોર્ડ, ચર્નવેલ, ઓક અને થૅમ વગેરે નદીઓ મળે છે. ચિલટર્નની પહાડીઓને તે બર્કશાયરથી જુદી પાડે છે. લંડન બ્રિજથી આશરે ૩૦ કિમી. ઉપરવાસે અને ટેડિંગ્ટનથી નીચે ટેમ્સમાં પાણીનો પ્રવાહ ભરતીવાળો બને છે. ગ્રેટર લંડનથી પસાર થતાં તે ૧૮ રસ્તાઓ અને ૬ રેલવે પુલ નીચેથી પસાર થાય છે. લંડન શહેરને આ નદી પાણી પૂરું પાડે છે. ઑક્સફર્ડ, વીડિંગ, કિંગ્સ્ટન, લંડન તથા ટિલ્બરી જેવાં કેટલાંક અગત્યનાં શહેરો પોતાના પ્રવાહ દરમિયાન આવરી લે છે. તેમના જળમાર્ગ તરીકે તે ઉપયોગી બને છે. લંડનમાંથી પસાર થતાં તેના માર્ગ પર ટાવર ઑવ્ લંડન તથા દેશની સંસદનાં બંને ગૃહો હાઉસ ઑવ્ લૉર્ડ્ઝ તથા હાઉસ ઑવ્ કૉમન્સની ઇમારતો આવે છે. લંડનનાં મોટા ભાગનાં કારખાનાં આ નદીના કિનારે ઊભાં કરવામાં આવ્યાં છે. વ્યાપારના મથક તરીકે લંડનનું મહત્ત્વ પણ મુખ્યત્વે આ નદીને આભારી છે. નદીના મુખ પાસે તેલ-શુદ્ધીકરણના એકમો છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી