Categories
વ્યક્તિ વિશેષ

હરમાન ગેત્સ

જ. ૧૭ જુલાઈ, ૧૮૯૮ અ. ૮ જુલાઈ, ૧૯૭૬

ભારતીય વિદ્યાના ઊંડા અભ્યાસી હરમાન ગેત્સનો જન્મ જર્મનીના કાર્લશૃહેમાં થયો હતો. તેઓ ૧૯૧૭માં મ્યૂનિકમાં જોડાયા અને અધ્યયન શરૂ કર્યું. ત્યાર પછી ૧૯૧૮માં લશ્કરમાં પણ સેવા આપી. ઇતિહાસ, પુરાતત્ત્વ અને કલામાં રસ હોવાથી પ્રાચીન ઇજિપ્ત અને ગ્રીક કલાનો ઇતિહાસ, બૌદ્ધ ધર્મ અને કલા, પૂર્વ અને પશ્ચિમના સાંસ્કૃતિક સંબંધો અને આર્થિક ઇતિહાસ વિશે જાણકારી પ્રાપ્ત કરી. તેઓ તુર્કી, અરબી, ઈરાની જેવી ભાષાઓ પણ શીખ્યા. તેમણે મ્યૂનિક અને બર્લિનમાં ભારતીય વિદ્યાનું અધ્યયન કર્યું. તેમણે પીએચ.ડી.ની પદવી માટે ‘મોગલ સામ્રાજ્ય’ના દરબારી પોશાકોનો અભ્યાસ કર્યો હતો. ભારતીય લઘુચિત્રોનો અભ્યાસ કરવા માટે તેઓ ૧૯૩૬થી ૧૯૫૫ સુધી ભારતમાં રહ્યા. ભારતમાં વસવાટ દરમિયાન ૧૯૩૯થી ૧૯૫૩ સુધી તેમણે બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગૅલરીના અધ્યક્ષ તરીકે પ્રશંસનીય કામગીરી કરી બરોડા મ્યુઝિયમની વિશ્વમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરી. તેમણે અનેક ક્ષેત્રોમાં અભ્યાસપૂર્ણ કાર્ય કર્યું હતું, જેમાં ઇતિહાસ, સ્થાપત્ય, શિલ્પ, પુરાવસ્તુ, ચિત્ર, ધર્મ, આધુનિક કલા તેમજ સંગ્રહાલય વિદ્યાનો સમાવેશ થાય છે. તેમણે લખેલાં પુસ્તકોમાં ‘ધ આર્ટ ઍન્ડ આર્કિટૅક્ચર ઑવ્ બિકાનેર’, ‘આર્ટ ઑવ્ વાય કે. શુક્લ’, ‘ઇન્ડિયા – ફાઇવ થાઉઝન્ડ યર્સ ઑવ્ ઇન્ડિયન આર્ટ’ તથા ‘બુલેટિન ઑવ્ બરોડા સ્ટેટ’નો સમાવેશ થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

સીરિયા

ભૂમધ્ય સમુદ્રને પૂર્વ કિનારે આવેલો આરબ દેશ. દેશનું સત્તાવાર નામ સીરિયન આરબ પ્રજાસત્તાક છે. તેની ઉત્તરે તુર્કી, પૂર્વમાં ઇરાક, દક્ષિણે જૉર્ડન તથા પશ્ચિમે ઇઝરાયલ, લેબેનૉન અને ભૂમધ્ય સમુદ્ર આવેલા છે. તેનો વિસ્તાર આશરે ૧,૮૫,૧૮૦ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી લગભગ ૨,૫૨,૫૫,૦૦૦ (૨૦૨૫, આશરે) જેટલી છે. દમાસ્કસ તેનું પાટનગર અને મોટામાં મોટું શહેર છે. દેશનો પૂર્વ ભાગ સીરિયાના રણથી બનેલો છે. બાકીના પ્રદેશમાં અસમતળ મેદાનો, ફળદ્રૂપ નદીખીણો અને ઉજ્જડ વિસ્તારો આવેલાં છે. આ દેશ ‘ફર્ટાઇલ ક્રેસન્ટ’ (ફળદ્રૂપ અર્ધચંદ્રાક્ર વિસ્તારવાળો) – એ નામથી ઓળખાતા સમૃદ્ધ ખેતપ્રદેશના પશ્ચિમ છેડે આવેલો છે. કિનારાના પ્રદેશની આબોહવા ભેજવાળી રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ લગભગ ૧૦૦૦ મિમી. જેટલો પડે છે. રણપ્રદેશમાં ગરમ અને સૂકી આબોહવા અનુભવાય છે. અહીં વરસાદ ખૂબ જ ઓછો પડે છે. કપાસ અને ઘઉં અહીંના મુખ્ય કૃષિપાકો છે. તે ઉપરાંત જવ, શર્કરાકંદ, તમાકુ, દ્રાક્ષ, ઑલિવ અને ટામેટાં જેવાં શાકભાજી અને ફળોનું પણ વાવેતર કરવામાં આવે છે. અહીંના બેદૂઈન લોકો તેમનાં ઢોર, ઘેટાં, બકરાં લઈ વિચરતા ફરે છે.

દમાસ્કસ શહેર, સીરિયા

સીરિયાના અર્થતંત્રમાં ૭% જેટલો ફાળો ખાણકાર્યમાંથી મળી રહે છે. દેશના ઈશાન ભાગમાંથી ખનિજતેલ અને મયના પાલ્મીરામાંથી ફૉસ્ફેટ-ખડકો મળી રહે છે. અહીં ખનિજતેલની શોધ ૧૯૫૬માં થયેલી. દેશના અન્ય ભાગોમાંથી ચિરોડી, ચૂનાખડક અને કુદરતી વાયુ મળી રહે છે. દમાસ્કસ, ઍલેપ્પો, હોમ્સ અને લેતકિયા મહત્ત્વનાં ઔદ્યોગિક મથકો છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં કાપડ, પીણાં, સિમેન્ટ, ખાતર, કાચ, પ્રક્રમિત ખાદ્યપેદાશો તથા ખાંડનો સમાવેશ થાય છે. દેશના અર્થતંત્રમાં ૬૦% હિસ્સો સેવા-ઉદ્યોગોનો છે. નાણાકીય બાબતો, શિક્ષણ, સ્વાસ્થ્ય-સંભાળ અને ઉપભોક્તા ચીજવસ્તુઓનું ખરીદ-વેચાણ સેવા-ઉદ્યોગમાં ગણાય છે. દમાસ્કસમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. દેશનો ઘણોખરો વિદેશી વેપાર ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા લેતકિયા બંદરેથી થાય છે. દેશમાં વસતા મોટા ભાગના લોકો જૂના વખતમાં અહીં આવીને વસેલી સેમાઇટ જાતિમાંથી ઊતરી આવેલા છે. અરબી લોકો ઉપરાંત અહીં આર્મેનિયન અને કુર્દ લોકો પણ વસે છે. સીરિયાની ભૂમિ અને તેની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા ઘણી પ્રાચીન ગણાય છે. આફ્રિકા, એશિયા અને યુરોપને જોડતા મુખ્ય વેપારી માર્ગોના ત્રિભેટે આ દેશ આવેલો હોવાથી તેનો ખૂબ વિકાસ થયો હતો. સ્થાપત્ય, જહાજી બાંધકામ અને લોખંડની ચીજવસ્તુઓનું કામ પણ સીરિયામાંથી શરૂ થયેલું. સાહિત્યક્ષેત્રે પણ સીરિયાનો ફાળો ઘણો અગત્યનો છે. આ દેશના જાણીતા કવિઓ, જ્ઞાનીઓ અને લેખકોમાં અલ્ મુતાનબ્બી, અલ્ મારી, અલ્ ફરાબી, ઓમર અબુ રીશ, નિઝાર કબ્બાની અને અલી અહમદ સઈદનો સમાવેશ થાય છે. અહીં આવેલાં પાલ્મીરાનાં ખંડિયેર જોવાલાયક છે. સીરિયા પ્રજાસત્તાક દેશ છે. તે ૧૩ પ્રાંતોમાં તથા દમાસ્કસ શહેરના એક અલગ એકમમાં વહેંચાયેલ છે. દમાસ્કસ ઉપરાંત ઍલેપ્પો, હોમ્સ, લેતકિયા તથા હામા અગત્યનાં શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સીરિયા, પૃ. ૨14)

Categories
વાચન સમૃદ્ધિ

અરુણા અસફઅલી

જ. ૧૬ જુલાઈ, ૧૯૦૯ અ. ૨૯ ઑગસ્ટ, ૧૯૯૬

અરુણાનો જન્મ બંગાળી બ્રાહ્મણ પરિવારમાં ઉપેન્દ્રનાથ ગાંગુલીને ત્યાં થયો હતો. પિતા પત્રકાર અને બ્રહ્મોસમાજના અગ્રણી હોવાથી અરુણાને ઉચિત સંસ્કાર મળ્યા. તેમણે નૈનીતાલમાં અભ્યાસ પૂરો કરી ગોખલે કૉલેજમાં અધ્યાપન કાર્ય કર્યું તે ઉપરાંત રાજકીય ચળવળમાં પણ ભાગ લેતાં હતાં. આ દરમિયાન તેઓ કૉંગ્રેસના અગ્રણી એવા અસફઅલીના પરિચયમાં આવ્યાં અને ૧૯૨૮માં તેમની સાથે લગ્ન કર્યાં. ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહમાં જોડાતાં તેમની ધરપકડ થઈ અને જેલવાસ થયો. જેલના કેદીઓ પર થતા જુલમો સામે ભૂખહડતાળ કરી. અંતે અંગ્રેજોને તેમની માંગણીઓ સ્વીકારવી પડી, પરંતુ અંગ્રેજોએ કપટ કરી અરુણાજીને કાળકોટડીની સજા કરી. છેવટે બીજી મહિલા કેદીઓએ તેમને સાથ આપ્યો, તેથી નછૂટકે અંગ્રેજાએ અરુણાજીને છોડવાં પડ્યાં. ૧૯૪૨માં ‘ભારત છોડો’ આંદોલન વખતે ૯મી ઑગસ્ટે ધ્વજવંદનનો કાર્યક્રમ ગોવાલિયા ટૅન્ક(મુંબઈ)ના ચોગાનમાં હતો. તે સમયે સરકારે ગાંધીજી, અસફઅલી સહિત દેશના અગ્રણી નેતાઓની ધરપકડ થઈ હોવાથી તે કામ અરુણાજીએ કરવાનું નક્કી કર્યું. તેમણે વીરતાપૂર્વક ત્રિરંગો ફરકાવી, સલામી આપી અંગ્રેજોને ભારત છોડી દેવાનો પડકાર આપ્યો. તેમના માટે વૉરંટ નીકળ્યું, આથી સમયસૂચકતાથી અરુણાજી ભૂગર્ભમાં ચાલ્યાં ગયાં અને સાડા ત્રણ વર્ષ સુધી ત્યાંથી ચળવળ ચલાવી. ક્રાંતિકારી હોવાથી સરકારી કામકાજમાં અસહકાર કરતાં. અંગ્રેજો સામે ખૂબ લડત આપી અને મચક ન આપી. દેશ આઝાદ થયા પછી દિલ્હીમાં પ્રથમ મેયર થયાં. ‘ઇન્કિલાબ’ પત્રિકાનાં સંપાદક થયાં. તેઓને ૧૯૬૪માં લેનિન શાંતિ પારિતોષિક, ઇંદિરા ગાંધી પુરસ્કાર, નહેરુ પુરસ્કાર, ૧૯૯૨માં ‘પદ્મવિભૂષણ’ અને બીજાં અનેક સન્માન પ્રાપ્ત થયાં. તેઓને ૧૯૯૭માં મરણોત્તર ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારતરત્ન’થી સન્માનિત કર્યાં હતાં. તેમની સ્મૃતિમાં ૧૯૯૮માં ટપાલટિકિટ, દિલ્હીમાં તેમના નામે માર્ગ અને ‘અરુણા અસફઅલી સદભાવના ઍવૉર્ડ’ દર વર્ષે આપવામાં આવે છે.