Categories
વાચન સમૃદ્ધિ

ગણપતરાવ(ગણેશ) બોડસ

જ. ૨ જુલાઈ, ૧૮૮૦ અ. ૨૩ ડિસેમ્બર, ૧૯૬૫

ભારતીય રંગમંચ અભિનેતા અને મરાઠી નાટકો માટે જાણીતા ગણપતરાવ ઉર્ફે ગણેશ ગોવિંદ બોડસનો જન્મ ભારતના અહમદનગર જિલ્લાના શેવગાંવ ગામે થયો હતો. તેમણે માત્ર હાઈસ્કૂલ સુધી જ અભ્યાસ કર્યો હતો. બાળપણથી જ તેમને સંગીત અને અભિનય બંનેમાં રસ જાગ્યો હતો. તેઓ શાળામાં એક કલાપ્રેમી અભિનેતા તરીકે જાણીતા હતા. ૧૮૯૫માં બોડસ કિર્લોસ્કર નાટકમંડળીમાં જોડાયા. એ થિયેટરક્ષેત્રે એમનો સત્તાવાર પ્રવેશ હતો. શાસ્ત્રીય સંગીતમાં યોગ્ય તાલીમ પ્રાપ્ત ન કરી હોવા છતાં જી. બી. દેવલે ૧૯૦૧માં તેમને પોતાના ‘સંશયકલ્લોલ’, કિર્લોસ્કરના ‘સંભદ્ર’, એસ. કે. કોલ્હાટકરના ‘મૂકનાયક’ અને ૧૯૧૧માં ખાદિલકરના ‘માનાપમાન’ (સન્માન અને અપમાન) જેવાં મંડળીનાં નાટકોમાં નાની સ્ત્રી-ભૂમિકાઓ માટે તાલીમ આપી ત્યારે તેમનામાં સંગીત પ્રત્યેની સંવેદનશીલતા વિકસી હતી. આ નિર્માણમાં તેમને મુખ્ય ભૂમિકાઓ પણ સોંપવામાં આવી હતી. તેમણે પૌરાણિકથી લઈને સામાજિક અને ગંભીરથી લઈને હાસ્ય સુધીની વિવિધ ભૂમિકાઓ કરી હતી. ૧૯૧૩માં બોડસે ગોવિંદરાવ ટેમ્બે સાથે મળીને ગંધર્વ નાટક મંડળીની રચના કરવામાં બાલ ગંધર્વને સારી મદદ કરી હતી. તેમની યાદગાર ભૂમિકામાં ‘સંશયકલ્લોલ’માં હાસ્યાસ્પદ ફાલ્ગુનરાવ, ૧૯૧૬માં ખાદિલકરના ‘સિવાયમ્વર’(પુરુષની પસંદગી)માં કૃષ્ણ અને ૧૯૧૯માં ગડકરીના ‘એકચ પ્યાલા’(જસ્ટ વન ગ્લાસ)માં દારૂડિયા સુધાકરનો સમાવેશ થાય છે. ૧૯૫૬ સુધીમાં તેમણે યશવંત સંગીત નાટક મંડળી જેવી ઘણી અન્ય કંપનીઓ સાથે જોડાઈને અભિનય કર્યો હતો. ગણપતરાવ બોડસે મરાઠી રંગભૂમિમાં ‘રાત્રિ’ પ્રણાલીને લોકપ્રિય બનાવી હતી જેમાં કલાકારોને તેમના પ્રદાન બદલ માતબર રકમ આપવામાં આવતી હતી. તેમની આત્મકથા ‘માજી ભૂમિકા’ (મારી ભૂમિકા) ૧૯૪૦માં પ્રકાશિત થઈ હતી.  અભિનયક્ષેત્રે તેમને અનેક ઍવૉર્ડ અને પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં. ૧૯૬૫માં ૮૫ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

મરેલા કૂતરાને લાત

રોબર્ટ હટકિન્સ નામના યુવકે પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી. અમેરિકાની પ્રસિદ્ધ યેલ યુનિવર્સિટીમાંથી એ સ્નાતક થઈને બહાર નીકળ્યો, પરંતુ આ ગરીબ છોકરાને કોણ નોકરીએ રાખે ? આથી એણે હોટલમાં વેઇટરની નોકરી સ્વીકારી. એ પછી ભંગાર ભેગો કરનારા કબાડી તરીકે કામ કર્યું. ક્યાંક ટ્યૂટર તરીકે ભણાવવા લાગ્યો તો પછી સાબુના સેલ્સમૅન તરીકે પણ એ ઠેર ઠેર ફરવા લાગ્યો. પરંતુ પોતાના પ્રયત્નોમાં કોઈ કચાશ રાખી નહીં અને એનું ચમત્કારિક પરિણામ એ આવ્યું કે માત્ર આઠ જ વર્ષમાં આ તેજસ્વી વિદ્યાર્થી ઘણું ઊંચું પદ પામ્યો. અમેરિકાની ચોથા ક્રમની જાણીતી યુનિવર્સિટી શિકાગો યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ તરીકે માત્ર ત્રીસ વર્ષની ઉંમરે નિયુક્ત થયો. અખબારોએ એની આ સિદ્ધિને ‘યુવા-ચમત્કાર’ ગણાવી. એને વિશે પ્રશંસાના લેખો પ્રસિદ્ધ થયા, પણ સાથોસાથ એને વિશે ટીકાઓ પણ થવા લાગી. કોઈએ એની વયને જોઈને કહ્યું કે, ‘એ તો સાવ બાળક જેવો છે. એને ક્યાંથી શિક્ષણની ગતાગમ પડે.’ કોઈએ એના શિક્ષણવિષયક ખ્યાલોનું વિશ્લેષણ કરીને એ સાવ વાહિયાત હોવાનું જાહેર કર્યું. ટીકાની દોડમાં અમેરિકાનાં મોટાં અખબારો પણ જોડાયાં અને એમણે આ યુવાનની ઠેકડી ઉડાડી. આ સમયે રોબર્ટ હટકિન્સના પિતાને એમના એક નજીકના મિત્રએ કહ્યું, ‘જુઓ, તમારા દીકરાની કેવી દશા થઈ છે ! નાની ઉંમરમાં આટલી મોટી સિદ્ધિ મેળવી એ સાચું. પરંતુ એને વિશે અખબારોમાં કેટલી બધી ટીકાઓ, આક્ષેપો થાય અને અભિપ્રાયો પ્રગટ થાય છે. એનાથી ખૂબ દુ:ખ થાય છે અને હૃદય બેચેન બની જાય છે.’ રોબર્ટ હટકિન્સના પિતાએ કહ્યું, ‘સાવ સાચી વાત છે તમારી. એના પર બેફામપણે ટીકા-ટિપ્પણીનો વરસાદ વરસે છે, પણ એક વાત યાદ રાખવી જોઈએ કે આ દુનિયામાં કોઈ માણસ મરેલા કૂતરાને લાત મારતો નથી.’

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. સુમંતભાઈ મહેતા

જ. ૧ જુલાઈ, ૧૮૭૭ અ. ૧૫ ડિસેમ્બર, ૧૯૬૮

શ્રી સુમંતભાઈ મહેતાનો જન્મ સૂરતના પ્રગતિશીલ નાગરબ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતાનું નામ ડૉ. બટુકરામ શોભારામ મહેતા. માતાનું નામ ડાહીગૌરી. પિતા બટુકરામ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અંગત ડૉક્ટર હતા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા તથા મુંબઈમાં લીધું. ત્યારબાદ મુંબઈની મેડિકલ કૉલેજમાં ત્રણ વર્ષનો અભ્યાસ કરી, વધુ અભ્યાસ અર્થે ઇંગ્લૅન્ડ ગયા. ૧૯૦૧માં તેમણે વિક્ટોરિયા યુનિવર્સિટીમાંથી એમ.બી.સીએચ.બી.ની ડિગ્રી મેળવી. પિતાના અવસાન બાદ તેઓ વડોદરાના મહારાજાના ડૉક્ટર અને રાજ્યના સૅનિટરી કમિશનર બન્યા. ૧૮૯૮માં તેમનાં લગ્ન સુધારક પરિવારની પુત્રી શારદાબહેન સાથે થયાં. શારદાબહેન પણ વિદુષી હતાં અને પતિ સાથે જાહેરજીવનમાં ભાગ લેતાં હતાં. સુમંતભાઈએ ૧૯૧૦-૧૯૧૧ દરમિયાન વડોદરાના મહારાજા સાથે અનેક દેશોનો પ્રવાસ કરેલો. તેમને વાંચનનો ખૂબ શોખ હતો. રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, ઉંમર ખય્યામના તથા બૌદ્ધ અને ઇસ્લામ ધર્મના ગ્રંથોનું તેમણે વાંચન કરેલું, જેણે તેમના ઉપર ગાઢ પ્રભાવ પાડ્યો હતો. કારકિર્દીનાં શરૂઆતનાં વર્ષોમાં તેઓ પાશ્ચાત્ય ઢબનું જીવન જીવતા હતા, પણ પાછળથી તેમાં પરિવર્તન થયું. ૧૯૦૬માં કૉલકાતા ખાતે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની બેઠકમાં તેમણે હાજરી આપી અને ગોપાલ કૃષ્ણ ગોખલેથી પ્રભાવિત થયા. તેમણે આજીવન ખાદી પહેરવા માંડી અને પોતાની જરૂરિયાતો ઘટાડી. તેઓ સ્પષ્ટવક્તા હતા અને અનેક ક્ષેત્રે સુધારાના હિમાયતી હતા. ૧૯૨૧ સુધી તેઓ વડોદરા રાજ્યની સેવામાં ચાલુ હતા. ૧૯૨૨થી ૧૯૫૫ સુધી વિવિધ સામાજિક, રાજકીય પ્રવૃત્તિમાં સક્રિય હતા. તેમણે સાબરમતી, વીસાપુર અને નાશિક જેલમાં જુદી જુદી લડતોમાં કુલ પાંચ વરસની જેલ ભોગવી હતી. ૧૯૩૨થી ૧૯૩૫ સુધી ‘યુગધર્મ’ માસિકનું સંપાદન કરતા હતા. ‘સમાજદર્પણ’ નામના ગ્રંથમાં તેમણે તેમનાં જીવનસંભારણાં રજૂ કર્યાં છે. તેઓ એક સ્વાતંત્ર્યસૈનિક, જાહેર કાર્યકર અને સમાજસુધારક તરીકે પ્રતિષ્ઠિત છે.