Categories
સાંપ્રત કાર્યક્રમો

પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ 

2025નો ઍવૉર્ડ લોકસંગીતના મર્મજ્ઞ શ્રી ભીખુદાન ગઢવીને એનાયત કરવામાં આવશે. |

અતિશિવિશેષ : શ્રી શાહબુદ્દીન રાઠોડ |

પ્રાસંગિક : શ્રી વસંત ગઢવી |

27 જૂન, 2025 શુક્રવાર |

સમય : સાંજના 5-30

Categories
વાચન સમૃદ્ધિ

સંકલ્પને કોઈ સીમા હોતી નથી

માનવીને સંકલ્પ જ સિદ્ધિ અપાવે છે, પરંતુ એ સંકલ્પને બદલે માન્યતાઓથી જીવન વ્યતીત કરવાનું વિશેષ પસંદ કરે છે. એની મોટા ભાગની માન્યતાઓનું પીઠબળ ગતાનુગતિકતા, ધાર્મિક ક્રિયાકાંડ કે સામાજિક વ્યવહાર હોય છે. એક સમયે અમુક વિશિષ્ટ સંજોગોમાં જાગેલી આવશ્યકતાને કારણે ધર્મ કે સમાજે પ્રચલિત કરેલી વિચારધારા કાળના પ્રવાહમાં જડ કે શુષ્ક માન્યતા બની જાય છે. આવી માન્યતાઓની પાછળ બધું જ હોય છે, પરંતુ અંત:કરણનું બળ હોતું નથી. એનું આચરણ કરવામાં આવે છે, ત્યારે એ આચરણનો અર્થ વિચારવામાં આવતો નથી. આવી માન્યતાઓ ક્યારેક જીવનને ઉપયોગી બને છે, પરંતુ સંકલ્પનું બળ ખૂટતું હોવાથી એમાં થનગનતો ઉત્સાહ, સતત સ્ફૂર્તિ અને પ્રબળ શક્તિનો અભાવ હોય છે. સંકલ્પ પાસે અવિરત ધગશ અને પ્રયત્નનો વિસ્ફોટ હોય છે. એને સિદ્ધિ કરવા નીકળેલી વ્યક્તિ પાસે ખુમારી અને ખુદ્દારી હોય છે. વળી એ સંકલ્પ સાથે કોઈ વિચાર કે ધ્યેય જોડાયેલું હોવાથી એ માન્યતા કરતાં વધુ સુદૃઢ હોય છે. માન્યતા આજે હોય અને કાલે આથમી પણ ગઈ હોય, આજે જેનું અનુસરણ કરતા હોઈએ તેની આવતી કાલે સદંતર ઉપેક્ષા પણ કરતા હોઈએ. આજે જે માન્યતાને અતિ મહત્ત્વની માનતા હોઈએ, તેને  આવતી કાલે સાવ નિરર્થક પણ માનીએ, જ્યારે સંકલ્પ પાસે એક નિશ્ચિત લક્ષ્ય હોવાથી વ્યક્તિ એની સિદ્ધિને માટે નિશાન પ્રતિ છૂટેલા તીરની માફક અવિરત ઉદ્યમવંત રહે છે. માન્યતા પોતે આંકેલી મર્યાદાઓના બંધનમાં જીવવાનો મરણિયો પ્રયાસ કરે છે, જ્યારે સંકલ્પને કોઈ સીમારેખા હોતી નથી. ચીલાચાલુ માર્ગે ચાલતી માન્યતા કશું આપતી કે નવું સર્જતી નથી, જ્યારે સંકલ્પ એ મહાન કાર્યો અને અપૂર્વ સિદ્ધિઓનો જન્મદાતા બને છે.

Categories
વાચન સમૃદ્ધિ

બી. જી. વર્ગીસ

જ. ૨૧ જૂન, ૧૯૨૭ અ. ૩૦ ડિસેમ્બર, ૨૦૧૪

ભારતીય પત્રકારત્વને નવી દિશા આપનાર વરિષ્ઠ પત્રકાર બી. જી. વર્ગીસનું પૂરું નામ બૂબલી જ્યૉર્જ વર્ગીસ હતું. પિતા જ્યૉર્જ અને માતા અન્ના. વતન કેરળ રાજ્યનું તિરુવલ્લા ગામ અને જન્મ બર્માના મેમ્યોમાં. ધ દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો. દૂનમાં હતા ત્યારે ‘ધ દૂન સ્કૂલ વીકલી’નું સંપાદન કર્યું. ૧૯૪૮માં દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે સ્નાતક થયા. પછી કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાંથી અનુસ્નાતકની પદવી મેળવી. તેમણે પત્રકારત્વક્ષેત્રે કારકિર્દીનો આરંભ કર્યો. ૧૯૪૮થી ૧૯૬૬ સુધી ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’માં કામ કર્યું. ૧૯૬૬થી તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના માહિતીસલાહકાર અને ભાષણલેખક હતા. એ સમયે રોટરી ક્લબ ઑવ્ બૉમ્બે નૉર્થે તેમને વર્ષના શ્રેષ્ઠ પત્રકાર તરીકે સન્માનિત કર્યા હતા. ૧૯૬૯થી ૧૯૭૫ સુધી ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના તંત્રી તરીકે કાર્ય કર્યું. કટોકટી દરમિયાન ઇન્દિરા ગાંધીની ટીકા કરવા બદલ તેમને તંત્રીપદ છોડવું પડ્યું. ૧૯૭૭થી ૧૯૮૨ સુધી ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના ફેલો હતા. તેમણે ‘વૉલન્ટરી ઍક્શન’ના તંત્રી તરીકે સફળ કામગીરી બજાવી હતી. ૧૯૮૨થી ૧૯૮૬ સુધી ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રી રહ્યા. તેઓ સેન્ટર ફોર પૉલિસી રિસર્ચ, નવી દિલ્હીમાં પ્રાધ્યાપક હતા. તેમણે ૧૯૭૭માં કેરળના માવેલિક્કારાથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગયા હતા. તેઓ કારગીલ સમીક્ષા સમિતિના તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના સભ્ય પણ હતા. ૨૦૦૨માં ગુજરાતમાં રમખાણો થયાં પછી તેઓ એડિટર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયા ફેક્ટ ફાઇન્ડિંગ મિશનમાં હતા. દેશની નદીઓના આંતર-જોડાણ માટેના ટાસ્ક ફોર્સના સભ્ય તરીકે અને નર્મદા કંટ્રોલ ઑથૉરિટીના પર્યાવરણીય પેટા જૂથના સભ્ય તરીકે તેમણે કામ કર્યું હતું. ૧૯૭૮થી ૧૯૮૧ સુધી તેઓ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન, અમદાવાદના અધ્યક્ષ હતા. તેમણે રાષ્ટ્રકુળ માનવઅધિકાર પંચના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું. ‘વૉટર્સ ઑવ્ હોપ’ (૧૯૯૦), ‘વિનિંગ ધ ફ્યુચર’ (૧૯૯૪), ‘ડિઝાઇન ફોર ટુમોરો’ (૧૯૬૫) વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના માલિક રામનાથ ગોએન્કાનું જીવનચરિત્ર ‘વોરિયર ઑવ્ ધ ફોર્થ એસ્ટેટ’ લખ્યું છે. ‘ફર્સ્ટ ડ્રાફ્ટ : વિટનેસ ટુ મેકિંગ ઑવ્ મૉડર્ન ઇન્ડિયા’ તેમની આત્મકથા છે. ૧૯૭૫માં પત્રકારત્વક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેમને રેમન મૅગ્સેસે ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.