Categories
વાચન સમૃદ્ધિ

ટેમ્પરા ચિત્રકળા

એક પ્રકારની ચિત્રશૈલી. આ પદ્ધતિમાં જળદ્રાવ્ય રંગોને ઘટ્ટતાદાયક પદાર્થો સાથે ભેળવવામાં (temper) આવે છે; એ સંદર્ભમાં આ શૈલી ટેમ્પરા તરીકે ઓળખાય છે. આવા ચીટકવાના ગુણધર્મો ધરાવતા પદાર્થો કૃત્રિમ (synthetic) રીતે બનાવવામાં આવે અથવા કુદરતી પદાર્થો તરીકે પ્રાણિજ ગુંદર, અંજીરના ઝાડનો રસ, દૂધ અથવા ઈંડાંની જરદીનો ઉપયોગ થઈ શકે. ટેમ્પરા ચિત્રશૈલીમાં મોટે ભાગે  ઈંડાંની જરદી જ વિશેષ વપરાતી હતી. ટેમ્પરાનું આવું મિશ્રણ કાગળ, કૅન્વાસ, તેલનો હાથ મારેલું લાકડું અથવા સલ્લો (plaster) કરેલી સપાટી પર લગાડી શકાય. ચિત્રકામની આ અત્યંત પ્રાચીન પદ્ધતિ ઇજિપ્ત, ગ્રીસ તથા રોમની પ્રજામાં વ્યાપક પ્રચારમાં હતી. ચીટકવાનો ગુણધર્મ લાવવા માટે ઈંડાંનો સૌપ્રથમ ઉપયોગ બાઇઝન્ટાઇન પ્રજાએ કર્યો. ત્યારથી લગભગ આખી પંદરમી સદી સુધી આ ચિત્રશૈલીનો બહોળો પ્રસાર રહ્યો.

ટેમ્પરા ચિત્રશૈલીમાં દોરાયેલું એક ચિત્ર

ટેમ્પરાની વિશેષતા એ છે કે તે જલદી સુકાઈ શકે છે અને જળદ્રાવ્ય બનતું અટકી જાય છે; આથી રંગનાં ઘણાં અસ્તર લગાડી શકાય છે અને અર્ધપારદર્શક ઉપરાઉપરી પડના પરિણામે આ શૈલીનાં ચિત્રોમાં અનેરી તેજસ્વિતા ઊભરી આવે છે. જોકે આ પ્રકારના ક્રમિક ચિત્રાંકનમાં ચિત્રકારે ખૂબ ધીરજ તથા પૂર્વતૈયારી દાખવવી પડે છે અને તેમાં સ્ફૂર્તિલી સર્જનાત્મકતા તથા આકારોની તરલતાને અવકાશ રહેતો નથી. અલબત્ત, ટેમ્પરામાં રંગછટાનું વૈવિધ્ય તથા વિગતોની ઝીણવટ સહેલાઈથી આલેખી શકાય છે. પ્રારંભિક સમયથી તે છેક આખી પંદરમી સદી દરમિયાન સહિયારી કાર્યશાળા રૂપે ચિત્રો તૈયાર કરવાની જે પ્રથા હતી તેને માટે આ સુયોગ્ય શૈલી હતી. ટેમ્પરાની વ્યાપક લોકપ્રિયતા દક્ષિણ યુરોપમાં છેક ૧૫૦૦ સુધી રહી, પરંતુ ઉત્તર યુરોપના કલાકારોએ પંદરમી સદીનાં પ્રારંભિક વર્ષો દરમિયાન ટેમ્પરા સાથે તૈલી પદાર્થોના મિશ્રણના પ્રયોગો કરવા માંડ્યા. જૅન વૅન આઇક તૈલી રંગોના શોધક ગણાય છે. તેમણે રંગો સાથે તેલ તથા ઈંડાંનું મિશ્રણ કરવાની પહેલ કરી. તેને પગલે સોળમી સદીનાં પ્રારંભિક વર્ષો દરમિયાન ટેમ્પરા ચિત્રશૈલીના સ્થાને તૈલચિત્રોની શૈલીનો વ્યાપક પ્રસાર થયો. છેક વીસમી સદીમાં કેટલાક અનુ-સંસ્કારવાદી (post-impressionist) કલાકારોએ આ શૈલીમાં અનેકવિધ પ્રયોગો કરીને તેમાંની મનોરમ ખૂબીઓનું નવેસર સર્જન કર્યું. એમાં શાન તથા ઍન્ડ્રૂ વાઇથ અગ્રેસર છે. ભારતમાં પ્રાચીન કાળથી ચિત્રાંકનની ચાર પદ્ધતિઓ વિશેષ રૂપે જોઈ શકાય છે : તેમાં ઈંડાંની જરદીનો ઉપયોગ મુઘલકાલીન ચિત્રો સિવાય બહુ ઓછો થયો છે; પણ તેમાં ગુંદર, ખીરું, સરેશનો ઉપયોગ થયેલો છે. એ રીતે આ ચિત્રોને સાદા ‘ટેમ્પરા’ કહી શકાય. તે પરંપરામાં (૧) ભીંત પરનાં રંગચિત્રો, (૨) કપડાનાં ઓળિયાં પરનું રંગચિત્રાંકન, (૩) લાકડાની પાટી પર રંગચિત્રો, પત્ર પર ચિત્રો તથા (૪) કાગળ પરનાં ચિત્રો – તેમનો ઉલ્લેખ કરી શકાય. ભીંત પર રંગચિત્રો આલેખવાની પદ્ધતિ બુદ્ધકાળમાં વ્યાપક હતી; જેમ કે, જોગીમારા, અજંતા. વસ્ત્રપટ પર ચિત્રાંકનનું ચલણ મૌર્યકાલ શુંગકાળમાં હતું, જેમાં ખાદીના વેજાને દૂર્વાના રસનો પાસ આપી તે પછી રાંધેલા ભાતના ઓસામણની ખેળ ચડાવી ઉપર ગાળેલી ખડીનું અસ્તર લગાવી તેના પર ચિત્રાંકન થતું. લાકડાની પાટીને છોલી, ઘસીને તેના પર ભાતના ઓસામણનો લેપ કરી પૃષ્ઠભૂમિ તૈયાર કરી ધવનો ગુંદર ઉમેરેલા મિશ્રણથી ચિત્રાંકન થયું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટેમ્પરા ચિત્રકળા, પૃ. ૩૧૭)

Categories
વાચન સમૃદ્ધિ

રામપ્રસાદ બક્ષી

જ. ૨૦ જૂન, ૧૮૯૪ અ. ૨૨ માર્ચ, ૧૯૮૭

ગુજરાતી સાહિત્યના પ્રશિષ્ટ પરંપરાના વિવેચક, સંપાદક અને અનુવાદક રામપ્રસાદ બક્ષીનો જન્મ જૂનાગઢમાં પ્રેમશંકર બક્ષીને ત્યાં થયો હતો. વતન મોરબી. તેમણે પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં અને માધ્યમિક શિક્ષણ રાજકોટ-વઢવાણમાં લીધું હતું. ૧૯૧૦માં વઢવાણથી મૅટ્રિક થયા. ૧૯૧૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા. ૧૯૧૫થી તેઓ મુંબઈમાં સ્થિર થયા. ૧૯૨૭થી ૧૯૫૯ સુધી આનંદીલાલ પોદ્દાર હાઈસ્કૂલ, શાન્તાક્રૂઝના આચાર્યપદે રહ્યા. નિવૃત્તિ બાદ મીઠીબાઈ કૉલેજ, વિલેપાર્લેમાં ગુજરાતીના અધ્યાપક થયા. એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાં ત્રણ વર્ષ મુલાકાતી અધ્યાપક પણ રહેલા. તેઓ સંસ્કૃત અને અંગ્રેજીના સારા વાચક અને અભ્યાસી હશે તેવું તેમના લેખો પરથી કહી શકાય. બહુશ્રુતતાનો સ્પર્શ, શાસ્ત્રીયતાનો અભિગમ અને વિવરણપ્રધાન શૈલીવાળું તેમનું વિવેચન તેમને સંસ્કૃત પરિપાટીના વિવેચક તરીકે ઉપસાવે છે. ‘વાઙમયવિમર્શ’(૧૯૬૩)માં સાહિત્યના તત્ત્વની મીમાંસા કરતા લેખો છે. ‘નાટ્ય રસ’ અને ‘કરુણ રસ’માં ભારતીય સંગીતનૃત્યનાટ્ય મહાવિદ્યાલય, વડોદરાના ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનો સંગૃહિત થયાં છે. તેમાં સંસ્કૃત નાટ્યસિદ્ધાંત અને પાશ્ચાત્ય નાટ્યમીમાંસાનો તુલનાત્મક અભ્યાસ છે. ‘ગોવર્ધનરામનું મનોરાજ્ય’(૧૯૭૬)માં ગોવર્ધનરામની તત્ત્વમીમાંસા અને સાહિત્યિક વિશેષતાની ચર્ચા કરતા લેખો છે. તેમની પાસેથી ‘ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીઝ સ્ક્રેપબુક’, ‘નરિંસહરાવની રોજનીશી’, કરસનદાસ માણેક ષષ્ઠિપૂર્તિગ્રંથ ‘અક્ષર આરાધના’ (અન્ય સાથે), ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ’ વગેરે અનેક સંપાદનો મળ્યાં છે. અનુવાદક્ષેત્રે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે. ‘કથાસરિતા’, ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય’ (નરિંસહરાવનાં વ્યાખ્યાનો, ભાગ ૧-૨), શીખધર્મસ્તોત્ર ‘સુખમની’ વગેરે તેમની અનૂદિત કૃતિઓ છે. ૧૯૭૬-૭૭માં પોરબંદર ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ હતા. તેમને ૧૯૬૦-૬૪નો નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

શહીદનો પિતા

સ્પેનમાં આંતરવિગ્રહનો ચરુ ઊકળતો હતો. સ્પેનની સરકાર અને સામ્યવાદી પક્ષ વચ્ચે ભીષણ આંતરવિગ્રહ ચાલતો હતો. સ્પેનની સેનાનું નેતૃત્વ કર્નલ માર્સ્કરાડો કરતા હતા. કર્નલ પાસે લશ્કરી વ્યૂહરચનાની આગવી કુનેહ હતી. એમની કાબેલિયતને પરિણામે સામ્યવાદીઓને ઠેરઠેરથી ઘોર પરાજય સહન કરવા પડ્યા. દુશ્મનોએ સ્પેનના લશ્કરના કર્નલ માર્સ્કરાડોના પુત્ર ઇમેન્યુઅલનું અપહરણ કર્યું. સ્પેનની રાજધાની મૅડ્રિડમાં અભ્યાસ કરતા ઇમેન્યુઅલનું અપહરણ કર્યા બાદ સામ્યવાદી દળોએ કર્નલને ચીમકી આપતાં કહ્યું, ‘તારો પુત્ર ઇમેન્યુઅલ અમારા કબજામાં છે. જો એને જીવતો રાખવા ચાહતો હોય, તો રાજધાની મૅડ્રિડમાંથી તમારી સેના હટાવી લો. અમારે શરણે આવો, મૅડ્રિડ અમારે હવાલે કરી દો.’ રાષ્ટ્રભક્ત કર્નલ માર્સ્કરાડોએ વિરોધીઓને આનો ઉત્તર આપતાં લખ્યું, ‘મને દેશની પહેલી ચિંતા છે, દીકરાની નહીં. રાષ્ટ્ર પ્રત્યેના મારા કર્તવ્યમાંથી હું સહેજે ચલિત નહીં થાઉં. અપહૃત ઇમેન્યુઅલને તમે ઇચ્છો તે સજા કરી શકો છો.’ સામ્યવાદી દળો તો આ ઉત્તર સાંભળીને અકળાઈ ઊઠ્યાં. એમને થયું કે કર્નલની સાથે એમનો લાચાર પુત્ર વાત કરશે, એટલે એની સાન ઠેકાણે આવશે. ઇમેન્યુઅલને વાત કરવા માટે ફોન આપવામાં આવ્યો, ત્યારે એણે એના પિતાને કહ્યું, ‘પિતાજી, દુશ્મનોએ છળકપટથી મારું અપહરણ કર્યું છે અને હવે મને સતત મારી નાખવાની ધમકી આપે છે.’ માર્સ્કરાડોએ એના પુત્રને રાષ્ટ્રપ્રેમીને છાજે તેવા શબ્દોમાં કહ્યું, ‘દીકરા, રાષ્ટ્ર પ્રત્યેના મારા કર્તવ્યને તું જાણે છે. તારી ફરજનો પણ તને પૂરો ખ્યાલ છે અને તેથી જ એક શહીદના પિતા તરીકે ઓળખાવું મારે મન મહાન ગૌરવભરી બાબત બની રહેશે.’ આ સંવાદ સાંભળતાં સામ્યવાદી પક્ષના નેતાઓએ ઇમેન્યુઅલના કપાળમાં ગોળી મારીને એની હત્યા કરી. રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યમાં પિતા-પુત્ર એકેયે પાછી પાની કરી નહીં.