Categories
વાચન સમૃદ્ધિ

મંગેશ કેશવ પડગાંવકર

જ. 10 માર્ચ, 1929 અ. 30 ડિસેમ્બર, 2015

વિખ્યાત મરાઠી કવિ અને પ્રાધ્યાપક મંગેશ પડગાંવકરનો જન્મ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના વેંગુર્લામાં થયો હતો. તેમણે મૅટ્રિક સુધીનું શિક્ષણ વેંગુર્લામાં લીધું. પછી ઉચ્ચશિક્ષણ માટે મુંબઈ ગયા. 1956માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવી તરખડકર સુવર્ણચંદ્રક મેળવ્યો. એ જ પ્રમાણે 1958માં એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવી ન. ચિં. કેળકર સુવર્ણચંદ્રક મેળવ્યો. તેમણે 1951-52માં મુંબઈની વિલ્સન હાઈસ્કૂલમાં નોકરી કરી. 1953થી 1955 ‘સાધના’ સાપ્તાહિકના સહાયક સંપાદક તરીકે કાર્ય કર્યું. 1957માં આકાશવાણીના મુંબઈ કેન્દ્રમાં આસિસ્ટન્ટ પ્રોડ્યુસર તરીકે જોડાયા. 1964થી 1970 સુધી પ્રોડ્યુસર તરીકે કાર્ય કર્યું. તેમણે મુંબઈની સોમૈયા કૉલેજ તથા મીઠીબાઈ કૉલેજમાં મરાઠી ભણાવ્યું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં ઑનરરી પ્રોફેસર તરીકે સેવા આપી હતી. તેમણે 14 વર્ષની ઉંમરે કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતું. મરાઠીમાં ‘નવકાવ્ય’ તરીકે જાણીતો કાવ્યપ્રકાર તેમણે પ્રયોજ્યો છે. તેમનાં મોટા ભાગનાં ગીતોની ગ્રામોફોન રેકર્ડસ બહાર પડી છે. પુણે યુનિવર્સિટીનું થીમ ગીત પણ તેમણે લખ્યું છે. તેઓ મરાઠી ‘મુર્ગી ક્લબ’ના સભ્ય હતા. 2010માં દુબઈમાં યોજાયેલા બીજા વિશ્વ મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખ હતા. તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે જેમાં ‘ધારાનૃત્ય’, ‘જિપ્સી’, ‘ઉત્સવ’, ‘વિદૂષક’ કાવ્યસંગ્રહો; મીરાંબાઈનાં હિંદી ગીતોનો પદ્યાનુવાદ ‘મીરા’, ‘બબલગમ’, ‘ભોલાનાથ’, ‘ભટકે પક્ષી’ વગેરે મુખ્ય બાળકાવ્યસંગ્રહો છે. તેમણે કેટલીક અમેરિકન કૃતિઓ તથા જે. કૃષ્ણમૂર્તિનાં ભાષણોના મરાઠીમાં અનુવાદ કર્યા છે. તેમના કાવ્યસંગ્રહો ‘જિપ્સી’ અને ‘છોરી’ને તથા બાળગીતોનો સંગ્રહ ‘બબલગમ’ને મહારાષ્ટ્ર રાજ્ય પારિતોષિક મળ્યાં છે. ‘સલામ’ કાવ્યસંગ્રહને સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો છે. તેમને 1956માં એમ. પી. લિટરરી ઍવૉર્ડ, 2008માં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર, 2012માં પુણે યુનિવર્સિટી દ્વારા જીવનસાધના ગૌરવ પુરસ્કાર અને 2013માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ત્રિચુર (ત્રિશુર)

ભારતના કેરળ રાજ્યના 14 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને જિલ્લામથક તે 10° 52´ ઉ. અ. અને 76° 21´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે પલક્કડ અને મલ્લાપ્પુરમ્, દક્ષિણે અર્નાકુલમ્ અને ઈડુક્કી, પૂર્વે કોઈમ્બતુર જ્યારે પશ્ચિમે અરબસાગર અને પશ્ચિમ ઘાટ સીમા બનાવે છે. ઐતિહાસિક મલબાર કિનારાનો થોડો ભાગ પણ આવેલો છે. આ જિલ્લાની કુરુવન્નુર નદીની શાખાઓ પેરિયાર, ચલાકુડી અને કુરુવન્નુર તેમજ પોન્નાની નદી મુખ્ય નદીઓ છે. અથીરાપિલ્લી (Athirappilly) જળધોધ(ઊંચાઈ આશરે 30 મીટર)ની વિશાળતા અને સૌંદર્યને કારણે ‘ભારતનો નાયગરા’ કહેવામાં આવે છે. આ જિલ્લાનો વિસ્તાર 3,032 ચો.કિમી. છે, જ્યારે વસ્તી આશરે 32,80,000 (2025) છે. જિલ્લાને વહીવટી દૃષ્ટિએ 7 તાલુકામાં વિભાજિત કરેલ છે. સાક્ષરતાનું પ્રમાણ 95.32% છે.

અથીરાપિલ્લી (Athirappilly) જળધોધ

અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય ભેજવાળી છે. માર્ચથી મે માસ ઉનાળાની ઋતુ અનુભવાય છે. વરસાદની માત્રા 3000 મિમી. જેટલી રહે છે. આ જિલ્લામાં આવેલાં જંગલો નિત્ય લીલાં અને ભેજવાળાં પાનખર જંગલોનું મિશ્રિત સ્વરૂપ છે. અહીં ભેજનું પ્રમાણ 80% કરતાં વધુ છે. વાંસનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ સરગવો, આમલી, રોઝવુડ, કદમ, કુસુમ, ભારતીય ચેસ્ટનટ જેવાં વૃક્ષો અધિક છે. ફળાઉ વૃક્ષોમાં ફણસ, કેરી, નાળિયેરી, સોપારી જ્યારે બાગાયતી ખેતીમાં રબર, ચા, કૉફી, મરી, લવિંગ, ઇલાયચી વગેરે છે. અહીં ખેતી લોકોની મુખ્ય પ્રવૃત્તિ છે. જમીનનો રંગ કાળો, ભૂરો કે લાલ રંગનો હોય છે. આ જમીનમાં પોટાશ, ફૉસ્ફરસ તત્ત્વોની ઊણપ હોય છે. આવી જમીનમાં રબર, ચા, કૉફી, મસાલા, ફળો, શાકભાજીની ખેતી ‘બાગાયતી ખેતી’ સ્વરૂપે લેવાય છે. ખાદ્યાન્ત તરીકે ડાંગર, જવ, ઘઉં મુખ્ય છે. જ્યારે કપાસ, તમાકુ, નાળિયેરીની ખેતી જોવા મળે છે. અહીં પાવરલૂમ ઇન્ડસ્ટ્રીઝ અને કાપડ બનાવવાની મિલો આવેલી છે. કાથી અને નળિયાં બનાવવાના નાનામોટા ઉદ્યોગો આવેલા છે. આ સિવાય દવાઓ, રંગ બનાવવાના એકમો આવેલા છે. કેરળ રાજ્યમાં સૌપ્રથમ કૉફી બનાવવાનો પ્લાન્ટ 1957માં અહીં સ્થપાયો હતો. પુન્તાથુર કોટા હાથી અભયારણ્ય, પેરસી બંધ, પેચી-વાઝાની વન્ય અભયારણ્ય, પુનમાલા બંધ, પેરુવનમાલાની ટેકરી, વાઝાની બંધ, સ્નેહાથીરમ રેતીપટ, ચીમોની બંધ, કુડાલ મનીકયામ મંદિર, ત્રિચુર પ્રાણીસંગ્રહાલય વગેરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, ત્રિચુર (ત્રિશુર), પૃ. 45 અથવા જુઓ https://gujarativishwakosh.org/ત્રિચુર/)

Categories
વાચન સમૃદ્ધિ

સોલી જહાંગીર સોરાબજી

જ. 9 માર્ચ, 1930 અ. 30 એપ્રિલ, 2021

પ્રખ્યાત નિર્ભીક ધારાશાસ્ત્રી અને ભારતના એટર્ની જનરલ સોલી સોરાબજીનો જન્મ મુંબઈમાં પારસી પરિવારમાં થયો હતો. પિતા જહાંગીર અને માતા પેરીન. તેમણે મુંબઈમાં ભરડા ન્યૂ હાઈસ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અને ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં ભણતા હતા ત્યારે તેમને રોમન લૉ અને ન્યાયશાસ્ત્રમાં કિન્લોચ ફોર્બ્સ ગોલ્ડ મેડલ મળ્યો હતો. 1953થી 1970 સુધી મુંબઈની વડી અદાલતમાં વકીલાત કરી. તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતના વકીલ હતા. તેઓ 1977થી 1980 સુધી ભારતના સૉલિસિટર જનરલ અને 9 ડિસેમ્બર, 1989થી 2 ડિસેમ્બર, 1990 સુધી એટર્ની જનરલ તરીકે નિયુક્ત થયા. એ પછી ફરીથી 7 એપ્રિલ, 1998થી પુનઃ પદ સંભાળ્યું. તેમણે અનેક કેસોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કટોકટી દરમિયાન રાજકીય કેદીઓને કાયદાકીય સેવા પૂરી પાડી હતી. 1984નાં શીખ વિરોધી રમખાણોના પીડિતો માટેની નાગરિક ન્યાય સમિતિ માટે કાર્ય કર્યું. તેઓ ભારતના બંધારણના અર્થઘટનના નિષ્ણાત હતા. તેમણે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના અધ્યક્ષ તરીકે, લઘુમતી અધિકાર જૂથના કન્વીનર તરીકે, લઘુમતીઓના સંરક્ષણ માટે  સંયુક્ત રાષ્ટ્રમાં સબકમિશનના સભ્ય તરીકે, હેગ ખાતે કાયમી મધ્યસ્થ અદાલતના સભ્ય તરીકે, કૉમનવેલ્થ લૉયર્સ ઍસોસિયેશનના ઉપપ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું. તેઓ ભારત-પાકિસ્તાન ફ્રૅન્ડશિપ સોસાયટીના સ્થાપક સભ્ય હતા. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે જેમાં, ‘ધ લૉ ઑવ્ ધ પ્રેસ સેન્સરશિપ ઇન ઇન્ડિયા’, ‘ધી ઇમરજન્સી, સેન્સરશિપ ઍન્ડ ધ પ્રેસ ઇન ઇન્ડિયા’, ‘ઇક્વાલિટી ઇન ધ યુ.એસ. ઍન્ડ ઇન્ડિયા’, ‘ચૅપ્ટર ઑન ધ કૉન્સ્ટિટ્યૂશન ઍન્ડ ધ ગવર્નર’નો સમાવેશ થાય છે. તેમણે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેમને 1991માં પદ્મભૂષણ, 2002માં પદ્મવિભૂષણ, 2006માં જસ્ટિસ કે. એસ. હેગડે ફાઉન્ડેશન ઍવૉર્ડ અને 2006માં ઇન્ટરનેશનલ બાર ઍસોસિયેશનનો હ્યુમન રાઇટ્સ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.