Categories
વાચન સમૃદ્ધિ

તુલસી

વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબીયેટી) કુળની એક જાતિ. તે ટટ્ટાર, શાકીય, બહુશાખિત, મૃદુરોમિલ, એકવર્ષાયુ અને 30થી 75 સેમી. ઊંચી હોય છે. તે સમગ્ર ભારતમાં હિમાલયમાં 1800 મી. ઊંચાઈથી માંડી આંદામાન અને નિકોબારના ટાપુઓમાં પણ થાય છે. સમગ્ર ભારતમાં હિંદુઓ આ વનસ્પતિને પવિત્ર માને છે અને મંદિરોમાં ઉગાડાય છે તેમજ દેવની પૂજામાં તેનો ઉપયોગ થાય છે. આયુર્વેદ અનુસાર તુલસી તીખી, ગરમ, તીક્ષ્ણ, દાહકર, પિત્તકર, પ્રસ્વેદક, પૌષ્ટિક, કફોત્સારક, કાલિકજ્વરરોધી (antiperiodic), ક્ષુધાવર્ધક, હૃદ્ય, તૂરી અને અગ્નિદીપક છે. તે વાયુ, શ્વાસ, કાસ, કૃમિ, ઊલટી, દુર્ગંધ, કોઢ, પાર્શ્વશૂળ, વિષ, મૂત્રકૃચ્છ, રક્તદોષ, શૂળ, તાવ અને હેડકીનો નાશ કરે છે.

તુલસી

આળસ, સુસ્તી, અરુચિ, દાહ, વાતવિકાર, પિત્ત, શરદી અને ખાંસી પર તુલસીની ચા ઉપયોગી છે. આશરે 10 ગ્રા. કે વધારે તુલસીનાં પર્ણો 250 મિલી. પાણીમાં નાખી અર્ધું અથવા ચતુર્થાંશ  ભાગનું પાણી બાળીને તુલસીની ચા તૈયાર કરી શકાય છે. ઉપરાંત, તેમાં તેટલું દૂધ, 10થી 20 ગ્રા. સાકર અને એક કે બે એલચી ઉમેરીને કાઢો બનાવી શકાય છે. શરદીમાં કે શરદીના તાવમાં તુલસીનો રસ, આદુનો રસ અને મધનું અનુપાન અત્યંત લાભદાયી ગણાય છે. કાયમી શરદીમાં પણ નિયમિતપણે તુલસીનો રસ અને મરી નંગ 5નું ચૂર્ણ મધ સાથે મેળવી ચાટી જવાથી લાભ થાય છે. પાચનશક્તિ ઓછી હોય ત્યારે તુલસી અને આદુંના રસનું નિયમિત સેવન કરવાથી પાચકરસો પૂરતા પ્રમાણમાં ઝરે છે. ભૂખ લાગે છે; વાયુ થતો નથી અને પેટ સાફ રહે છે. કૉલેરામાં તુલસી, આદું, ફુદીનો અને લીંબુનો ઉપયોગ લાભદાયી છે. તુલસી જંતુઘ્ન હોવાથી કૉલેરામાં તેનો ઉપયોગ સારું પરિણામ આપે છે. તુલસીમાં રહેલા બાષ્પશીલ તૈલી પદાર્થને કારણે શીતજ્વરના મચ્છરો છોડની આસપાસ ફરતા નથી. તે વાતાવરણ શુદ્ધ કરે છે. પદ્મપુરાણ પ્રમાણે ગણપતિના શાપથી તુલસીને વનસ્પતિસ્વરૂપ મળ્યું. અને તુલસીનો આ છોડ બ્રહ્માએ વિષ્ણુને આપ્યો. આમ, બધી પૌરાણિક કથાઓમાં તુલસીનો વિષ્ણુ સાથે સંબંધ રહ્યો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તુલસી, પૃ. 866 અથવા જુઓ https://gujarativishwakosh.org/તુલસી/)

Categories
વાચન સમૃદ્ધિ

કે. એસ. નરસિમ્હાસ્વામી

જ. 26 જાન્યુઆરી, 1915 અ. 27 ડિસેમ્બર, 2003

કન્નડ કવિ કિક્કેરી સુબ્બારાવ નરસિમ્હાસ્વામી(કે. એસ. નરસિમ્હાસ્વામી)નો જન્મ કિક્કેરી, મડિયા જિલ્લો, કર્ણાટકમાં થયો હતો. પિતાના મૃત્યુ બાદ અભ્યાસ છોડી દઈ મ્યુનિસિપાલિટીની ઑફિસમાં ક્લાર્ક તરીકે જોડાઈ ગયા. પિતા તેમને એન્જિનિયર બનાવવા માગતા હતા તેથી 1934માં બૅંગાલુરુની સેન્ટ્રલ કૉલેજમાં દાખલ થયા, પરંતુ આર્ટસની ડિગ્રી મેળવી. 1954માં બૅંગાલુરુ બદલી થઈ અને 1970માં કર્ણાટક હાઉસિંગ બોર્ડના સુપરિન્ટેન્ડેટ તરીકે નિવૃત્ત થયા. તેમની કવિતાઓ મોટા ભાગે લગ્નજીવનમાં પાંગરતા પ્રણયને અનુલક્ષીને હતી. તેના માટે તેઓ પોતાની પત્ની વેન્કમ્માને પ્રેરણાસ્રોત માનતા. જોકે તેમની પ્રણય કવિતાઓ રોબર્ટ બર્ન્સની કવિતાઓથી પ્રેરિત હતી. તે સમયમાં કન્નડ કવિતાઓ મોટા ભાગે કુદરત અને કુદરતી સૌંદર્ય ઉપર આધારિત રહેતી તેથી નરસિમ્હાસ્વામીની કવિતાઓ જુદી તરી આવતી. લગ્નપ્રસંગમાં યુગલને તેમની કવિતાનું પુસ્તક ભેટ આપવામાં આવતું. ‘માયસૂરુ મલિગે’ (Mysooru Mallige) તેમનો ખૂબ પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ છે, જેનું 32 વખત પુનઃમુદ્રણ થયું હતું. તેમણે લગભગ 20 કાવ્યસંગ્રહો લખ્યા છે, ત્રણ અનુવાદો કર્યા છે તથા ચાર ગદ્યસંગ્રહો આપ્યા છે.

તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર, કન્નડા સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા સાહિત્ય માટેના એશિયન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

હું જાગું છું !

ઇરાકના બસરાની ગરીબ વસ્તીમાં ઇસ્માઇલને ત્યાં જન્મેલી એની ચોથી પુત્રી રાબિયાને કારમી ગરીબી અને દૃઢ પ્રભુભક્તિ વારસામાં મળ્યાં હતાં. બાળપણથી જ રાબિયા નમાજ અને ઇબાદતમાં પિતાની સાથે રહેતી હતી અને મોડી રાત સુધી સતત નામસ્મરણ(જિકર)માં પિતાની સાથે એ પણ લીન રહેતી હતી. રાબિયાએ કઠોર તપશ્ચર્યા કરી. એનું જીવન આધ્યાત્મિક ચમત્કારોથી પરિપૂર્ણ હતું. સંત રાબિયાનું અધ્યાત્મ સૂફી મતમાં આગવું સ્થાન ધરાવે છે. અગાઉના સૂફી સંતો નરકના ભય અને સ્વર્ગની લાલસાથી અલ્લાહની પ્રાર્થના કરતા હતા, પણ એમનામાં અખંડ પ્રભુભક્તિ ધરાવતું જીવનસમર્પણ નહોતું. રાબિયાએ સૂફી પરંપરામાં નરકના ભય અને સ્વર્ગની લાલસાને હટાવીને માત્ર નિઃસ્વાર્થ પ્રભુભક્તિનો મહિમા કર્યો. પોતે ગરીબ હોવા છતાં કોઈની સહાય કે મદદ સ્વીકારતા નહીં, કારણ કે તેઓ માનતા કે લોકો પાસે જે ભેટસોગાદો છે, તે પણ અલ્લાહે જ આપેલી છે. એમનું પોતાનું તો આમાં કશું નથી ! ઈશ્વર પરત્વેના પ્રેમની આવી સમર્પણશીલતાની ભાવના એ ‘ઇશ્કેહકીકી’ એ સૂફી મતના પાયાનો સિદ્ધાંત બની ગયો. એ કહેતી કે ‘અલ્લાહ મારી પરિસ્થિતિથી વાકેફ છે, પછી મારે કંઈ એમને યાદ કરાવવાનું રહેતું નથી.’

એક વાર રાબિયાની ઝૂંપડીમાં ચોર આવ્યો. એની ઝૂંપડી સાવ ખાલી હતી. માત્ર રાબિયાએ ઓઢેલી એક ચાદર હતી. રાબિયાની ચાદર ઉઠાવીને ચોર ભાગવા ગયો, તો એને દરવાજો દેખાતો બંધ થઈ ગયો. એ સમયે ચોરને એક ગેબી અવાજ સંભળાયો, ‘તું એમ માનીશ નહીં કે બધા ઊંઘે છે અને તું ચોરી કરી રહ્યો છે.’ આ અવાજ સાંભળીને ચોર હેરાન-પરેશાન થઈ ગયો. એ ગેબી અવાજે કહ્યું, ‘સાંભળ, રાબિયાએ પોતાની જાત મને સમર્પિત કરી છે અને આથી એ સૂતી હોય છે, ત્યારે હું જાગતો હોઉં છું.’

આ અવાજ સાંભળીને ચોર ચાદર છોડીને ભાગ્યો.