Categories
વાચન સમૃદ્ધિ

ગાયત્રીદેવી

જ. ૨૩ મે, ૧૯૧૯ અ. ૨૯ જુલાઈ, ૨૦૦૯

જયપુરના મહારાજા સવાઈ માનિંસહ(બીજા)નાં પત્ની, જયપુરનાં રાજમાતા ગાયત્રીદેવીનો જન્મ કૂચબિહારમાં મહારાજા જિતેન્દ્ર નારાયણ તથા વડોદરાનાં રાજકુંવરી ઇન્દિરા રાજેના કુટુંબમાં થયો હતો. કૂચબિહારની ગાદી તેમનાં માતા ઇન્દિરા વિધવા થતાં તેઓએ સંભાળી. ગાયત્રીદેવી સાથે પાંચ સંતાનોનો ઉછેર અત્યંત વૈભવી વાતાવરણમાં થયો હતો. ગાયત્રીદેવી લંડનની ગ્લેનડોવર સ્કૂલમાં ભણ્યાં હતાં. ત્યારબાદ શાંતિનિકેતન તથા સ્વિટ્ઝર્લૅન્ડ અને લંડનમાં ભણતર લીધું હતું. જ્યારે ૧૨ વર્ષનાં હતાં ત્યારે ગાયત્રીદેવી પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા યુવાન જયપુરના મહારાજા સવાઈ માનસિંહ(બીજા)ને મળ્યાં હતાં. તેઓ અવારનવાર કૂચબિહારની મુલાકાતે આવતા હતા, તેઓ પોલોના ઉત્તમ ખેલાડી હતા. ઈ. સ. ૧૯૪૦માં ગાયત્રીદેવી સાથે તેમનાં લગ્ન થયાં. બંને જીવનભર એક આદર્શ દંપતી બની રહ્યાં, દરેક કાર્યમાં બંને એકબીજાને સહકાર આપતાં હતાં. તેઓને ૧૯૪૯માં જગત નામે એક પુત્ર જન્મ્યો હતો. ગાયત્રીદેવી અતિ સુંદર, પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતાં હતાં. વિશ્વની શ્રેષ્ઠ, સુંદર મહિલાઓમાં તેમની ગણના થતી હતી. જયપુરની પ્રજાના કલ્યાણ માટે તેઓએ રાજ્ય વહીવટમાં ભાગ લીધો. જયપુરમાં સૌપ્રથમ કન્યાશાળા સ્થાપી, સ્ત્રીઓને કેળવણી આપવી શરૂ કરી. ભારત સ્વતંત્ર થયા બાદ તેઓએ રાજકારણમાં ઝંપલાવ્યું, જયપુરમાં વિશાળ બહુમતીથી ચૂંટાઈ આવ્યાં. ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં કટોકટીના સમયમાં તેઓએ જેલવાસ વેઠ્યો. તેઓએ પોતાની આત્મકથા ‘અ પ્રિન્સેસ રિમેમ્બર્સ’ લખી છે.

Categories
વાચન સમૃદ્ધિ

ખરીદીનો ખ્યાલ

ગ્રીસનો મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ (ઈ. સ. પૂર્વે ૪૬૯થી ઈ. સ. પૂર્વે ૩૯૯) એમ કહેતો કે ‘મારું જીવન એ જ મારું તત્ત્વજ્ઞાન છે.’ એનો એ આગ્રહ રહેતો કે એના તત્ત્વજ્ઞાનના વિચારો એના જીવનના આચરણમાં પ્રગટ થવા જોઈએ, કારણ કે જીવન સાથે સંકળાયેલા ન હોય એવા વિચારોનું સૉક્રેટિસને માટે કોઈ મૂલ્ય નહોતું. એમનો એક વિચાર એવો હતો કે ડાહ્યો માણસ ક્યારેય ઉડાઉ ન હોય, એને ખ્યાલ હોય કે જીવનમાં આગોતરી જાણ કર્યા વિના મુશ્કેલીના દિવસો પણ આવતા હોય છે, આથી તે બચત કરતો હોય છે. આ તત્ત્વજ્ઞાની એમ કહેતો પણ ખરો કે મારી માતા દાયણ અને પિતા શિલ્પી હોવાથી મેં પણ એમના વ્યવસાયના ગુણો અપનાવ્યા છે. માતાના ગર્ભમાંથી દાયણ શિશુને બહાર કાઢે છે, તેમ પોતે જનમાનસમાંથી અજ્ઞાનને બહાર ખેંચી કાઢે છે. શિલ્પી જેમ પથ્થરમાં માનવઆકૃતિ કંડારે, એ જ રીતે એ માનવ-વ્યક્તિત્વને કંડારવાનું કામ કરે છે. આથી સૉક્રેટિસ જ્યારે ગ્રીસના સૈન્યમાં હતો, ત્યારે બીજા બધા બૂટ-મોજાં પહેરીને બહાર નીકળતા, ત્યારે સૉક્રેટિસ ઉઘાડા પગે બીજાઓની જેટલી જ ઝડપથી ચાલતો હતો. એણે ક્યારેય બૂટ પહેર્યા નહોતા. એ ઍથેન્સની શેરીઓમાં અને બજારોમાં પોતાનો ઘણો સમય વિતાવતો હતો. અહીં કોઈ માણસ મળે અને કંઈક વાત શરૂ કરે એટલે એ પોતાની લાક્ષણિક ઢબે વાત કરવા માંડતો. ઍથેન્સની શેરીઓ અને એના બજારમાં વારંવાર ઘૂમતા સૉક્રેટિસને એનો એક મિત્ર બજારમાં મળી ગયો. એણે સૉક્રેટિસને કહ્યું, ‘તમે આટલો બધો સમય બજારમાં ફર્યા કરો છો અને એકે ચીજવસ્તુ તો ખરીદતા નથી. તો પછી આમ શહેરની બજારોમાં આટલું બધું ઘૂમવાનો અર્થ શો ?’ તત્ત્વજ્ઞાની સૉક્રેટિસે હસીને કહ્યું, ‘ભાઈ, હું બજારમાં ફરું છું અને ત્યાંની સઘળી ચીજવસ્તુઓને નિહાળું છું અને વિચારું છું કે હું મારા જીવનમાં કેટલી બધી ચીજવસ્તુઓ વગર ચલાવી શકું છું.’

Categories
વાચન સમૃદ્ધિ

રાજા રામમોહનરાય

જ. ૨૨ મે, ૧૭૭૨ અ. ૨૭ સપ્ટેમ્બર, ૧૮૩૩

ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા પ્રયાસ કરનાર રાજા રામમોહનરાય સમાજસુધારક હતા. રામમોહનરાયનો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો. તેમના પિતા રમાકાંત વૈષ્ણવ કુટુંબના તથા માતા તારિણીદેવી શૈવ કુટુંબનાં હતાં. રામમોહનરાયનું બાળપણનું શિક્ષણ તેમના ગામની નિશાળમાં થયું હતું. જ્યાં તેઓએ બંગાળી, સંસ્કૃત, ફારસી ભાષાનું જ્ઞાન મેળવ્યું હતું. ત્યારબાદ તેઓ વેદ અને ઉપનિષદ જેવા સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કરવા માટે બનારસ ગયા. ભાષાઓનો અભ્યાસ કર્યા બાદ તેમના પર એકેશ્વરવાદના વિચારનો પ્રભાવ પડ્યો અને તેમણે પોતાનો પહેલો ગ્રંથ આ વિષય પર લખ્યો. રામમોહને સમાજસુધારણા માટે ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’ની નોકરી છોડી દીધી. તેમના સમાજસુધારણાના કાર્યથી ખુશ થઈને મુઘલ બાદશાહે સાલ ૧૮૩૧માં તેમને ‘રાજા’નો ઇલકાબ આપ્યો અને પોતાના વકીલ તરીકે ઇંગ્લૅન્ડ મોકલ્યા. તેમણે બ્રહ્મોસમાજ નામે એક સંસ્થા સ્થાપી. આ સંસ્થાએ બંગાળમાં સમાજ અને ધર્મસુધારણાના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. બ્રહ્મોસમાજ તરફથી એક ‘સંવાદ કૌમુદી’ નામનું સાપ્તાહિક પ્રગટ કરતા હતા. તેઓએ બાળલગ્નો, બહુપત્નીપ્રથા દૂર કરવા પ્રયત્નો કર્યા. તેમના ઘરમાં જ તેમનાં ભાભીને બળજબરીથી સતી બનાવ્યાં તે ઘટના તેઓએ બાળપણમાં જોયેલી, જેની ઘેરી અસર તેમના મન પર થયેલી. આથી ‘સતીપ્રથા’ની વિરુદ્ધ તેમણે મોટી ઝુંબેશ ચલાવી. તેમણે બતાવ્યું કે ધર્મશાસ્ત્રમાં ક્યાંય તેનો ઉલ્લેખ નથી. રાજા રામમોહનરાય ભારતના આદ્યસુધારક ગણાય છે. નવા યુગના તેઓ અગ્રદૂત અને જ્યોતિર્ધર પણ કહેવાય છે. આજે પણ બ્રહ્મસમાજ સમાજસુધારણા માટે કાર્યરત છે. એમના પ્રયાસો થકી બાળલગ્ન, સતીપ્રથા અને બહુપત્નીપ્રથા વગેરે નાબૂદ થયાં છે. ભારત સરકારે ૧૯૬૪ની સાલમાં તેમના માનમાં ટિકિટ બહાર પાડી છે.