Categories
વાચન સમૃદ્ધિ

ભય ભૂતકાળ કરતાં ભવિષ્યમાં વધુ જીવે છે

એ હકીકત છે કે ભય વિનાની કોઈ વ્યક્તિ તમને આ જગતમાં જડશે નહીં. નિર્ભયતાનો દાવો કરનારી વ્યક્તિ ઘણી વાર બડાશ હાંકીને એના ભયને છુપાવતી હોય છે. ગમે તેવો મહાન ખેલાડી પણ મેદાન પર જતી વખતે રમત પૂર્વે ભયથી એકાદ કંપારી અનુભવે છે. કોઈ કુશળ અદાકારને પૂછશો તો તે પણ કહેશે કે નાટકના તખ્તા પર પ્રવેશતાં પૂર્વે થોડી ક્ષણ ‘શું થશે ?’નો ભય એને સતાવતો હોય છે. અતિ તેજસ્વી વિદ્યાર્થીના મનમાં પણ પરીક્ષા પૂર્વે નિષ્ફળતાનો ભય લટાર લગાવી જતો હોય છે. એ સાચું કે કેટલાક ભયને હસી કાઢે છે અથવા તો એને વિશેષ મહત્ત્વ આપતા નથી. આવી વ્યક્તિ પણ ભીતરમાં ભય અનુભવતી હોય છે. કોઈને વસ્તુનો ભય લાગે છે, તો કોઈને વ્યક્તિનો ભય લાગે છે. કોઈને ગરીબીને કારણે ભવિષ્ય કેવું દુ:ખદ જશે એનો કાલ્પનિક ડર લાગતો હોય છે તો કોઈને પોતાની અમીરાઈ છીનવાઈ જશે તો શું  થશે એવો ભાવિનો ભય સતાવતો હોય છે. ભયને ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ વધુ પસંદ છે. આમ ભય એ એક સર્વવ્યાપક લાગણી છે, આથી નિર્ભયતાની બડાશ હાંકવાને બદલે પોતાના ભીતરના ભયને સ્વીકારીને ચાલવું જોઈએ અને માનવું જોઈએ કે પ્રત્યેક ભયગ્રસ્ત પરિસ્થિતિનો કોઈ ને કોઈ ઉકેલ હોય છે, એમ મારી ભયની ભાવનાનો પણ ઉકેલ શોધીને તેમને નિર્મૂળ કરીશ. નિર્ભયતા એ માનવમુક્તિનો પહેલો પાઠ છે. નીડરતા એ ડર કે ભય સામેનું બ્રહ્માસ્ત્ર છે અને અભય એ આધ્યાત્મિકતાનું ઉચ્ચ શિખર છે. વિચારની સ્પષ્ટતા, આચરણની દૃઢતા અને પરોપકારની ભાવના ધરાવનારને ભય કદી સ્પર્શી શકતો નથી.

Categories
વાચન સમૃદ્ધિ

વસંત કૃષ્ણા દેસાઈ

જ. ૯ જૂન, ૧૯૧૨ અ. ૨૨ ડિસેમ્બર, ૧૯૭૫

ભારતીય ચલચિત્રજગતના વિખ્યાત સ્વરકાર અને વી. શાંતારામની ‘શકુન્તલા’ (૧૯૪૩), ‘ડૉ. કોટનીસ કી અમર કહાની’ (૧૯૪૬), ‘ઝનક ઝનક પાયલ બાજે’ (૧૯૫૫), ‘તૂફાન ઔર દિયા’ (૧૯૫૬), ‘દો આંખેં, બારા હાથ’ (૧૯૫૭) તથા વિજય ભટ્ટની ‘ગૂંજ ઉઠી શહનાઈ’ (૧૯૫૯), ‘સંપૂર્ણ રામાયણ’ (૧૯૬૧), ‘આશીર્વાદ’ (૧૯૬૮)  અને  હૃષીકેશ મુખર્જીની ‘ગુડ્ડી’ (૧૯૭૧)માં  સ્વરકાર તરીકે વિશેષ પ્રસિદ્ધ થયા. ‘પ્રભાત’ ફિલ્મ કંપનીની ‘ધર્માત્મા’ અને ‘સંત ધ્યાનેશ્વર’ જેવી ફિલ્મોમાં ગાયક-કલાકાર અને સ્વરકારની એમણે ભૂમિકા ભજવી, પરંતુ એ પછી માત્ર સ્વરકાર તરીકે જ પોતાની કારકિર્દીને આગળ ધપાવી. વી. શાંતારામ ઉપરાંત વિજય ભટ્ટ અને બાબુભાઈ મિસ્ત્રી જેવા નિર્માતાઓએ તૈયાર કરેલાં અનેક પૌરાણિક ચલચિત્રોની પણ એમણે સ્વરરચના કરી. શાંતારામની મોટા ભાગની ફિલ્મોમાં સંગીત આપનાર વસંત દેસાઈએ પ્રભાત ફિલ્મ કંપનીથી જુદા થઈને પોતાનો ફિલ્મ સ્ટુડિયો તૈયાર કર્યો અને ૧૯૫૦ના દાયકામાં શાંતારામ સાથેના સંબંધો વણસી જતાં એ પછી એમણે ક્યારેય પોતાના મેન્ટર વી. શાંતારામની ફિલ્મો માટે કામ કર્યું નથી. ૬૬ જેટલાં ચલચિત્રોની સ્વર-રચના કરનાર વસંત દેસાઈને રાષ્ટ્રપતિનાં સુવર્ણચંદ્રક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘દો આંખે, બારહ હાથ’નું ‘યે માલિક તેરે બંદે હમ’ (૧૯૭૫) અને ‘ગુડ્ડી’ ફિલ્મમાં વાણી જયરામે ગાયેલા એમના સર્વપ્રથમ ગીત ‘બોલ રે પપિહરા’ (૧૯૭૧) યાદગાર ગીતો બની રહ્યાં. વસંત દેસાઈએ ‘રામમાલિકા’માં સ્વરબદ્ધ કરેલા કાચી મઠનાં જગદગુરુ શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતીનાં સંસ્કૃત ભક્તિકાવ્યને ૧૯૬૬ની ૨૩મી ઑક્ટોબરે ‘યુનાઇટેડ નૅશન્સ દિવસે’ યુનોમાં ભારતરત્ન શ્રીમતી એમ. એસ. સુબ્બલક્ષ્મી દ્વારા ગાવામાં આવ્યું હતું. તેમણે તેમની કેટલીક સ્વરરચનાઓમાં મરાઠીના પવાડા અને લાવણીના પરંપરાગત સંગીતપ્રકારોને વણી લેવાનો સફળ પ્રયાસ કર્યો હતો. તેમના સંગીતનિર્દેશન હેઠળ તૈયાર થયેલ તેમના છેલ્લા ચલચિત્ર ‘તૂચ માઝી રાણી’(મરાઠી)ના રેકૉર્ડિંગ પછી તેઓ નિવાસ તરફ પરત જતા હતા ત્યારે લિફ્ટ તૂટી પડતાં અકસ્માતથી તેમનું અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

ટાસ્માનિયા

ઑસ્ટ્રેલિયા ખંડના અગ્નિ છેડા પર આવેલું તેનું અંતર્ગત રાજ્ય. તેનું ક્ષેત્રફળ જળવિસ્તાર સહિત ૯૦,૭૫૮ ચોકિમી. છે, જે ઑસ્ટ્રેલિયાનો ૧% કરતાં પણ ઓછો વિસ્તાર રોકે છે. આ રાજ્યનું જૂનું નામ ‘વાન ડાઇમન્સલૅન્ડ’ હતું. તેની વસ્તી ૫,૭૧,૦૦૦ (૨૦૨૨, આશરે) છે. હોબાર્ટ તેનું પાટનગર છે જે રાજ્યનાં ચાર મોટાં નગરો પૈકીનું એક છે. ટાસ્માનિયાનું ભૌગોલિક સ્થાન ઑસ્ટ્રેલિયા ખંડના વિક્ટોરિયા રાજ્યની દક્ષિણ તરફના એક ટાપુ પ્રકારનું છે; જેમાં કિંગ, ફિલન્ડર્સ અને બ્રુની જેવા ટાપુઓનો પણ સમાવેશ થાય છે. ૪૦°થી ૪૩° દક્ષિણ અક્ષાંશવૃત્તો અને ૧૪૪°થી ૧૪૮° પૂર્વ રેખાંશવૃત્તો વચ્ચે તે આવેલું છે. ટાપુ પ્રકારના તેના સ્થાનને કારણે ટાસ્માનિયાની આબોહવા પશ્ચિમ યુરોપની આબોહવા જેવી છે. આ કારણથી અહીં લગભગ બારેમાસ વધતાઓછા પ્રમાણમાં વરસાદ પડે છે. ઑસ્ટ્રેલિયા દેશનું આ ફક્ત એક જ રાજ્ય એવું છે જ્યાં રણવિસ્તાર નથી. બારેમાસ વરસાદ પડતો હોવાથી સિંચાઈની ખાસ જરૂરિયાત ઊભી થતી નથી.

હોબાર્ટ  શહેર

આ રાજ્યમાં લગભગ બારેમાસ હૂંફાળું હવામાન અનુભવાતું જોવા મળે છે. આથી અહીં ઉનાળાની ઋતુમાં ૧૫°થી ૨૦° સે. અને શિયાળામાં ૧૦° સે. જેટલો તાપમાનનો ગાળો રહે છે. પશ્ચિમિયા પવનો અહીં બારેમાસ વરસાદ આપે છે. રાજ્યના પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગમાં વધુ વરસાદ પડે છે. પશ્ચિમના પહાડી પ્રદેશ અને ઉચ્ચપ્રદેશના ઢોળાવમાં ૨૫૦૦ મિમી. કરતાં વધુ વરસાદ નોંધાય છે. મધ્ય ભાગમાં ૧૦૦૦ મિમી. વરસાદ પડે છે. મૅક્વેરી નદીની ઉપલી ખીણમાં તો ટાસ્માનિયાનો સૌથી ઓછો, ફક્ત ૪૫૦ મિમી. જેટલો જ વરસાદ થાય છે. રાજ્યનો સૌથી વધુ વરસાદ ૩૬૫૦ મિમી. માર્ગરેટ સરોવર પાસે થાય છે. આ રાજ્યમાં થતો વરસાદ વિવિધ પ્રકારના ખેતીપાક માટે ઉત્તમ પ્રકારનો ગણાય છે. પ્રાકૃતિક રચનાની રીતે જોઈએ તો તેના મધ્યમાં ઊંચો પહાડી વિસ્તાર આવેલો છે તે ૭૦૦ મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે. દક્ષિણ તરફના ભાગમાં આર્થર પર્વતમાળા છે. મધ્યમાં આવેલા પહાડી પ્રદેશમાંથી નદીઓ ચારે તરફ નીકળીને સમુદ્રને મળે છે. કોર્પ અને સસ્ક નદી ઉત્તરમાં જાય છે, ડરવેન્ટ દક્ષિણ તરફ અને ગૉર્ડન નદી પશ્ચિમમાં વહીને જાય છે. ઉપરાંત મર્સી, મૅક્વેરી, ઍસ્ક, તમાર વગેરે નદીઓ છે. ટાસ્માનિયાના મધ્યભાગમાં ગ્રેટ લેક, સેન્ટ ક્લેર અને ઇકો સરોવરો આવેલાં છે. દરિયાકિનારાના વિસ્તારમાં સાંકડાં મેદાનો તૈયાર થયાં છે જે વિવિધ ખેતીપાક માટે ઉપયોગી છે. ટાસ્માનિયા રાજ્યની ભૂસ્તર રચના, પ્રાકૃતિક રચના, આબોહવા તથા માનવપ્રવૃત્તિઓના આધારે તેને પાંચ વિભાગમાં વહેંચવામાં આવે છે. ૧. વાયવ્ય પ્રદેશ : ૧૨૫૦ મિમી.થી વધુ વાર્ષિક સરેરાશ વરસાદવાળા આ ભાગમાં ખેતી, પશુપાલન અને ઉદ્યોગોનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે. તેમાં લા ટ્રોબ, અલ્વરસ્ટોન, ડેવેનપૉર્ટ અને બર્ની મુખ્ય ઔદ્યોગિક શહેરો છે. તે દરિયાકિનારે આવેલાં છે તથા એકબીજાં જોડે રેલવેથી સંકળાયેલાં છે. ૨. ઈશાન કિનારાનો વિસ્તાર : ઉત્તરમાં ગૉર્ડન નદી, ફ્રેન્કલિન પર્વતમાળા અને છેક દક્ષિણમાં પૂર્વ બાજુએ આર્થર પર્વતમાળાથી બનેલો છે. આ વિસ્તાર ઊંચા પર્વતોવાળો તથા વધુ વરસાદવાળો છે. દરિયાકિનારે મેદાનોનો અભાવ છે. તે ગીચ જંગલોનો વિસ્તાર છે. આર્થિક વિકાસ ખાસ થયો ન હોવાથી વસ્તીનું પ્રમાણ એકદમ ઓછું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટાસ્માનિયા, પૃ. ૨૫૪)