Categories
વાચન સમૃદ્ધિ

સમય જતાં વૃત્તિ રોજની આદત બની જાય છે

કૈકેયીના કારણે રામને વનવાસ ભોગવવો પડ્યો, તેમ છતાં એ સદૈવ કૈકેયીનો ઉપકાર માનતા રહ્યા. ચંડકૌશિક નામના દૃષ્ટિવિષ સર્પે વિના કારણે ભગવાન મહાવીરને દંશ દીધો, છતાં મહાવીર એના પર વાત્સલ્ય વેરતા રહ્યા. ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચઢાવનાર પ્રત્યે એમની કરુણા વહેતી જ રહી. આવું કેમ બન્યું હશે ? કૈકેયી પ્રત્યે ગુસ્સો, ચંડકૌશિક પ્રત્યે ક્રોધ અને વધસ્તંભે ચઢાવનારા પ્રત્યે ધિક્કાર કેમ જાગ્યો નહીં ? કારણ એટલું જ કે એમના હૃદયમાં ગુસ્સો, ક્રોધ કે ઘૃણાની વૃત્તિ જ નહોતી. જે હૃદયમાં ન હોય, તે પ્રગટ કેવી રીતે થાય ? હકીકતમાં વૃત્તિ મનમાં વસતી હોય છે અને પછી એને યોગ્ય આધાર કે આલંબન મળતાં એ પ્રગટ થતી હોય છે. તમારા મનમાં ક્રોધવૃત્તિ પડેલી જ હોય અને પછી કોઈ અપશબ્દ બોલે કે અપમાન કરે, એટલે કે વૃત્તિના જ્વાળામુખીનો વિસ્ફોટ થાય છે. મનમાં મોહ સળવળતો જ હોય અને જેવી કોઈ આકર્ષક વસ્તુ કે વાસનાનું સ્થાન જુએ એટલે મોહ તત્ક્ષણ પ્રગટ થશે. આનો અર્થ એ છે કે તમે ક્રોધિત થતા નથી, પરંતુ તમારા મનમાં  રહેલી ક્રોધની વૃત્તિ જ ક્રોધનું કારણ શોધતી હોય છે અને સહેજ કારણ મળી જાય, એટલે એ ક્રોધ પ્રગટ થતો હોય છે. ધીરે ધીરે એ વૃત્તિ એટલી બધી પ્રબળ બને છે કે પછી તમારો ભીતરનો એ ક્રોધ પ્રગટવા માટે બહાર સતત કારણો શોધતો હોય છે અને સહેજ નાનું કારણ મળે એટલે એ તરત પ્રગટ થતો હોય છે. પહેલાં જે વૃત્તિ હતી, એ સમય જતાં આદત બની જાય છે અને પછી એને ક્રોધ કર્યા વિના ફાવતું નથી. એનો મોહ પહેલાં નાની નાની બાબતો ઉપર આધારિત હતો, તે હવે મોટી મોટી વસ્તુઓનો મોહ રાખે છે. નાની ચોરીથી થયેલી શરૂઆત મોટી ધાડમાં પરિણમે છે.

Categories
વાચન સમૃદ્ધિ

સવિતાબહેન મહેતા

જ. ૧૬ ઑગસ્ટ, ૧૯૨૧ અ. ૧૨ ઑગસ્ટ, ૨૦૦૬

પૂર્વ ભારતની મણિપુરી નૃત્યશૈલીને ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી વિસ્તારનાર નૃત્યાંગના સવિતાબહેનનો જન્મ પોરબંદરના સાહસિક ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ તથા સંતોકબાના કુટુંબમાં થયો હતો. વડોદરાની આર્યકન્યા વિદ્યાલયમાં શિક્ષણ લીધું ત્યારબાદ લંડન યુનિવર્સિટીમાંથી શિક્ષણનો ડિપ્લોમા મેળવી ૧૯૫૦માં પિતાએ પોરબંદરમાં સ્થાપેલ આર્યકન્યા શાળાના આચાર્યાની પદવી સંભાળી. નૃત્યશૈલીમાં વિશેષ રસ જાગ્રત થતાં પિતાની નામરજી છતાં મણિપુરી નૃત્યશૈલી અપનાવવા મણિપુરનો અઘરો પ્રવાસ ખેડ્યો. ત્યાંના રાજવી કુટુંબના નૃત્યગુરુ પંડિતરાજ આતોમ્બાબુની સલાહથી તબેતસંગબન અમુદનજી શર્મા પાસે નૃત્યશિક્ષણ મેળવ્યું. ૩૦૦૦ વર્ષ પૂર્વેનાં ગુહ્યાર્થવાળાં નૃત્યો શીખ્યાં. સાથે સાથે તેના સાંકેતિક તાલ, અંગસંચાલન, લાસ્ય-તાંડવ પ્રકાર, કરતાલ, મૃદંગ અને ડફ વગાડવાની પદ્ધતિ, સંગીતના રાગો, મૈતેયી સાહિત્ય, મણિપુરી સંસ્કૃતિ, યોગ અને ત્યાંની ગૂઢ વિદ્યાનો પણ ઊંડો અભ્યાસ કર્યો. ૧૯૫૫માં મણિપુરી નૃત્યની સાધનાને અપનાવી બિરદાવવા બદલ ત્યાંના રાજવી પરિવાર, ગુરુજનો અને સંસ્થાઓએ સવિતાબહેનને ‘મૈતેયી જગોઈ હંજબી’, ‘દ્વિતીય ઉષ્મ’, ‘સંગીતરત્નાકર’ અને ‘ચંદ્રપ્રભા’ જેવા માનાર્હ પુરસ્કારોથી નવાજ્યાં. હોળીના મુખ્ય ઉત્સવ નિમિત્તે શ્રી ગોવિંદજીના મંદિરમાં નૃત્ય સાથે મૃદંગ, ડફ અને કંજરી વાદન કરવાનો એક બિન-મણિપુરી ઉપરાંત મહિલા તરીકેનો વિરલ અવસર પ્રાપ્ત થયો. ૧૯૭૨માં ‘જયપત્ર’ એનાયત થયું. તેમણે મણિપુરી નૃત્યશૈલીના અટપટા તાલ અને રાગપદ્ધતિ વિશે ગુરુઓ પાસેથી માર્ગદર્શન મેળવી, સંશોધન કરી ‘દશકોશ’ નામે ગ્રંથ તૈયાર કર્યો જેનું ૧૯૮૨માં વિમોચન કર્યું. ગુજરાત રાજ્યે ૧૯૩૭માં તેમને તામ્રપત્ર અર્પિત કર્યું. મણિપુરી સાહિત્ય પરિષદે ૧૯૭૬માં ‘નૃત્યરત્ન’થી તેમને પુરસ્કૃત કર્યાં અને મણિપુરી રાજ્યકલા અકાદમીએ ‘ફેલોશિપની પદવી આપી. તેમને ‘વિશ્વગુર્જરી’નો ઍવૉર્ડ પણ અર્પણ થયેલો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેમને ડી.લિટ.ની પદવી એનાયત કરી હતી. આ ઉપરાંત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલિંસઘે ‘યોગશિરોમણિ’ના ઇલકાબથી સવિતાબહેનને નવાજ્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

ટ્રક

ભૂમિ પર માલસામાનના ઝડપી પરિવહન માટે વપરાતું ભારે યાંત્રિક વાહન. આદિમાનવ જાતે ચીજવસ્તુ પાસે પહોંચી જતો. આશરે ૯,૦૦૦ વર્ષ પૂર્વે ભારતમાં તથા આનાતોલિયામાં માણસે ગોવંશને પાળવાની શરૂઆત કરી. બેએક હજાર વર્ષ પછી માણસ ઘોડો પાળતો થયો. પશુની સહાયથી સામાનની હેરફેર કરવાનું સરળ બન્યું. આ પરિસ્થિતિમાં હજારો વર્ષો સુધી ફરક પડ્યો નહિ. ૧૭૬૫માં વરાળયંત્રની શોધ સાથે શરૂ થયેલી ઔદ્યોગિક ક્રાંતિથી પરિસ્થિતિ ઝડપથી બદલાવા લાગી. કારખાનાં માટે કાચા માલ તથા તૈયાર માલની હેરફેર માટે નાનાં અને ઝડપી વાહનો આવશ્યક બન્યાં. પ્રારંભે વરાળયંત્ર ઉપયોગી જણાયું; પણ ટૂંક સમયમાં જ ધીરો વેગ, વધારે પડતો ભાર, પાટાની જરૂર, ઇંધન રાખવાની અગવડ, ખૂણેખાંચરે પહોંચી જવામાં અક્ષમતા વગેરે મર્યાદાઓ સામે આવી. ૧૮૮૫માં જર્મનીના કાર્લ બેન્ઝે અંતરદહન–પેટ્રોલ–એંજિનની શોધ કરી. ૧૮૯૬માં એ જ દેશના ઇજનેર ગોટલીબ ડેમલરે પ્રથમ ટ્રક બનાવી અને નવો યુગ બેઠો. પ્રારંભિક ટ્રકો પ્રમાણમાં અણઘડ યંત્રકામવાળી તથા બહુ ભારે હતી. નગરની પાકી સડકોની બહાર તે નકામી હતી. ૧૯૦૩માં અમેરિકામાં યોજાયેલી ટ્રકસ્પર્ધાએ સુધારેલાં વાહનોના નિર્માણને ઉત્તેજન પૂરું પાડ્યું. પ્રથમ વિશ્વયુદ્ધના અંતસમયે (૧૯૧૮) એકલા અમેરિકામાં જ ૧૦ લાખથી વધારે ટ્રકો લગભગ તમામ ભાગોમાં દોડતી હતી.

આ સમયે ટ્રકોને છાપરું કે બારણાં નહોતાં. આગળ રક્ષણ નહોતું. એંજિન છેક આગળ હતું. પૈડાં પર રબરનો પાટો હતો. કલાકના વધારેમાં વધારે ૩૦ કિમી.ના વેગે આ ટ્રકો માર્ગ પર જમણી બાજુ દોડતી. સમય જતાં વધુ સુધારા થયા. ૧૯૩૦માં વર્તમાન પ્રકારની ટ્રક આવી. હવે વિવિધ પ્રકારનાં ટ્રેલરોનો ઉપયોગ પણ વ્યાપક બન્યો. ત્રીસીના દસકામાં ટ્રક એંજિન માટે ઇંધન તરીકે ડીઝલ તેલનો ઉપયોગ શરૂ થયો. આધુનિક ટ્રક યંત્ર-ઇજનેરીની કુશળતાનો એક અદભુત નમૂનો છે. પોતાનો તથા સામાનનો મળીને એકત્ર ભાર વહન કરવાની ક્ષમતા અનુસાર બે ધરીવાળી ટ્રકોના ત્રણ વર્ગો પાડવામાં આવે છે : (૧) હળવા વજનવાળી ટ્રક : આમાં વાહનના એકંદર વજન(gross vehicle weight)ની મર્યાદા ૬૦૦૦ કિગ્રા. સુધીની હોય છે. (૨) મધ્યમ વજનવાળી ટ્રક : આમાં વાહનના એકંદર વજનની મર્યાદા ૬,૦૦૦ કિગ્રા.થી ઉપર અને ૧૨,૦૦૦ કિગ્રા.થી વધુ નહિ તે મુજબની હોય છે. (૩) ભારે વજનવાળી ટ્રક : આમાં વાહનના એકંદર વજનની મર્યાદા ૧૨,૦૦૦ કિગ્રા.થી વધારે હોય છે. સામાન્ય રીતે આ વજનની મર્યાદા ૧૬,૦૦૦ કિગ્રા. આસપાસની હોય છે. આ ઉપરાંત વધુ વજન વહન કરવા માટે બેથી વધુ ધરી(ઍક્સલ)નો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે માલસામાનના પરિવહન માટે ૯,૦૦૦થી ૧૦,૦૦૦ કિગ્રા. વજન લઈ જવાની ક્ષમતા(pay load)ની ટ્રકનો ઉપયોગ થાય છે, જ્યારે નાના રસ્તાઓ તથા ગીચ ટ્રાફિક માટે હળવાં વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રકની રચનાની વિગતો નીચે મુજબ છે : (૧) વ્હીલ બેજ : આગળની ધરીથી પાછળની ધરી વચ્ચેના અંતરને વ્હીલ બેજ કહેવામાં આવે છે. (૨) રિયર ઓવર હગ : પાછળની ધરીથી પાછળ તરફ ચેસીસનો જેટલો ભાગ લંબાયેલ હોય તેને રિયર ઓવરહગ કહે છે અને મોટર વિહિકલ ઍક્ટ ઍન્ડ રૂલ્સની જોગવાઈને ધ્યાનમાં લઈ ટ્રકનું પાછળનું બૉડી બાંધવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટ્રક, પૃ. ૩૭૫)