Categories
વાચન સમૃદ્ધિ

ધૂળનું વાવેતર

‘ફિલાડેલ્ફિયા બુલેટિન’ સામયિક એની કેટલીક વિશેષતાઓ માટે પ્રસિદ્ધ હતું. એની એક વિશેષતા હતી સત્યોને આકર્ષક રીતે પ્રસ્તુત કરવાની. એના સંપાદક ફ્રેડ ફૂલર શેડ છટાદાર શૈલીમાં એવી રીતે વિચારોનું આલેખન કરતા કે વાચકને તે અત્યંત હૃદયસ્પર્શી બની જતું. સાંપ્રત સંવેદનાઓ અને સમસ્યાઓનું તેઓ પ્રભાવક રીતે આલેખન કરતા. સંપાદક ફ્રેડ ફૂલર શેડ આ કલામાં માહિર હતા. એક વાર આ સંપાદકને કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન માટે નિમંત્રણ આપવામાં આવ્યું. ફ્રેડ ફૂલર શેડે કૉલેજના યુવાન વિદ્યાર્થીઓને પૂછ્યું, ‘તમારામાંથી કોઈએ એમના જીવનમાં કોઈ લાકડું કાપ્યું છે ખરું ?’ આ વિસ્તારમાં એ સમયે ઘણા યુવાનો ખેતીકામ કરતા હતા. સંપાદકનો આ સવાલ સાંભળતાં ઘણાએ આંગળી ઊંચી કરી. એ પછી એમણે બીજો પ્રશ્ન પૂછ્યો, ‘તમારામાંથી કોઈએ ખેતરમાં બીજની જગ્યાએ ધૂળની વાવણી કરી છે ખરી ?’ યુવાન વિદ્યાર્થીઓ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, ‘આવું તે થતું હશે ? ધૂળ કંઈ વાવી શકાય ખરી ?’ ફ્રેડ ફૂલર શેડે કહ્યું, ‘દોસ્તો, તમારી વાત સાવ સાચી છે. ખેતરમાં ધૂળ વાવી શકાય નહીં, કારણ કે એ પહેલેથી જ ત્યાં મોજૂદ હોય છે, ખરું ને !’ વિદ્યાર્થીઓએ આ વાતનો સ્વીકાર કર્યો. ફ્રેડ ફૂલર શેડે કહ્યું, ‘ભૂતકાળની બાબતોને વારંવાર ઉખેળીને વર્તમાનને જીવવાનો પ્રયાસ કરવો નહીં. અતીતમાં દફનાવેલી બાબતોને તમે સતત બહાર લાવવાનો પ્રયાસ કરશો, તો તે તમારા ખેતરમાં ધૂળ વાવવા જેવું ગણાશે. એનો કશો જ અર્થ નથી.’

Categories
વાચન સમૃદ્ધિ

બટુભાઈ લાલભાઈ ઉમરવાડિયા

જ. ૧૩ જુલાઈ, ૧૮૯૯ અ. ૧૮ જાન્યુઆરી, ૧૯૫૦

ગુજરાતી નાટ્યકાર બટુભાઈ ઉમરવાડિયાનો જન્મ સૂરત જિલ્લાના વેડછી ગામે થયો થયો હતો. તેમણે ૧૯૨૦માં મુંબઈથી બી.એ. અને ૧૯૨૭માં એલએલ.બી.ની પદવી મેળવી હતી. એલએલ.બી. થયા પછી તેમણે વકીલાત કરી તેમજ સરકારી અને બીજી નોકરીઓ પણ કરી. એમણે કનૈયાલાલ મુનશીના અધ્યક્ષપદે રચાયેલી બિનસરકારી બારડોલી તપાસ સમિતિના મંત્રી તરીકે કામ કર્યું હતું. એમણે વિવિધ સામયિકો પણ ચલાવ્યાં હતાં જેમાં ‘ચેતન’ (૧૯૨૦-૧૯૨૩), ‘વિનોદ’ (૧૯૨૧-૧૯૨૩) માસિકો અને ‘સુદર્શન’ (૧૯૨૮-૧૯૨૯) સાપ્તાહિકનો સમાવેશ થાય છે. ૧૯૩૬થી ૧૯૪૯ દરમિયાન તેમણે અમદાવાદ મિલમાલિક મંડળના મંત્રી તરીકે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. કનૈયાલાલ મુનશીની સાહિત્યસંસદની પ્રવૃત્તિઓમાં પણ તેમણે સક્રિય ભાગ લીધો હતો. તેમણે સુન્દરરામ ત્રિપાઠી, કિશોરીલાલ શર્મા, હરરાય દ્વિવેદી, કમળ વગેરે નામોથી સાહિત્યલેખન કર્યું હતું. એમણે નિબંધ, વિવેચન, વાર્તા, નાટક, નવલકથા, ગરબા, ગદ્યકાવ્યો જેવા વિભિન્ન પ્રકારોમાં પોતાની કલમ ચલાવી હતી. ‘રસગીતો’ (૧૯૨૦), ‘સંસાર એક જીવનનાટ્ય’ (૧૯૨૧), ‘વાતોનું વન’ (૧૯૨૪), ‘મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો’ (૧૯૨૭), ‘માલાદેવી અને બીજાં નાટકો’ (૧૯૨૭), ‘રાસઅંજલિ’ (૧૯૩૫) વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમના અવસાન પછી તેમનાં પુત્રી મધુરીબહેને તેમનું અપ્રગટ સાહિત્ય પ્રકાશિત કર્યું, જેમાં ‘આપણા મહાજનો’ રેખાચિત્રો, ‘મધુસૂદન’ અધૂરી રહેલી નવલકથા અને ‘શેષ સાહિત્ય’ પ્રકીર્ણ લેખોના સંગ્રહનો સમાવેશ થાય છે. તેમની સ્મૃતિમાં ‘બટુભાઈ ઉમરવાડિયા ડ્રામેટિક રિસર્ચ એજ્યુકેશન ઍન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બુડ્રેટી’ નામની સંસ્થા પણ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમનાં નાટકો અને અન્ય સાહિત્ય પ્રકાશિત કર્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

સિંહ

બિલાડીના કુળનું જગપ્રસિદ્ધ શિકારી સસ્તન પ્રાણી.

સિંહનું વૈજ્ઞાનિક નામ Panthera Leo, persica છે. સસ્તન વર્ગનું આ પ્રાણી ભારતનું અને ખાસ કરીને ગુજરાતનું ગૌરવ છે. વાઘ, દીપડો, ચિત્તા જેવાં પ્રાણીઓમાં સિંહનું સ્થાન મોખરાનું માનવામાં આવે છે. આ પ્રાણીનો દેહ મજબૂત, ખડતલ, સ્નાયુમય અને શક્તિશાળી હોય છે. નર અને માદાની ત્વચા બદામી, સોનેરી રંગની હોય છે. નરને કેશવાળી હોવાથી તે વધુ પ્રભાવશાળી લાગે છે. આને લીધે નર માદાથી અલગ પડે છે. સિંહનું કદ વાઘથી થોડું નાનું હોય છે. સિંહને ઘણા લોકો આળસુ પ્રાણી ગણે છે, પરંતુ સિંહ નિશાચર પ્રાણી છે તેથી દિવસે ગરમીમાં મોટા ભાગે આરામ કરતો હોય છે એટલે તે આળસુ લાગે છે. ખરેખર તે ઉમદા સ્વભાવનું પ્રાણી છે. સિંહનું કુદરતી રહેઠાણ સવાના પ્રકારનું ઘાસિયું જંગલ, સૂકું કંટકવન કે પાનખરનું ઝાંખરાંયુક્ત જંગલ છે. સિંહ ગુજરાતમાં સાસણગીરના જંગલમાં વાસ કરે છે. આ સિવાય હાલમાં ભારતમાં બીજી કોઈ જગ્યાએ સિંહ વસતા નથી. વિશ્વમાં આફ્રિકા ખંડના ઘણા દેશોમાં સિંહ વસે છે.

સિંહનું જીવન મનુષ્યની જેમ સામાજિક હોઈ ઘણું રસપ્રદ છે. તે ૧૦થી ૪૦ની સંખ્યામાં જૂથમાં રહે છે. તેમાં ૪થી ૫ નર, ૧૫થી ૨૦ જેટલી માદાઓ અને બાકીનાં બચ્ચાં હોય છે. પુખ્ત પ્રભાવી નર એ ટોળાનો નાયક હોય છે. ઘણી વાર નર સિંહ બીજા જૂથના સરદારને મારી ટોળાનો સરદાર બની જાય છે, આ સમયે જૂથમાં આવેલાં બીજાં નર બચ્ચાંને પણ તે મારી નાંખે છે. સિંહણો જીવનપર્યંત એક જ જૂથમાં રહે છે. વાઘ, ચિત્તો, દીપડો વગેરે આ કુળનાં બીજાં પ્રાણીઓ જૂથમાં રહેતાં નથી. આફ્રિકાનાં જંગલમાં જંગલી ભેંસ, વાઇલ્ડ બીસ્ટ જેવાં મોટાં પ્રાણીઓ હોવાથી તેમના શિકાર કરવા એકથી વધુ સિંહોની જરૂર પડે છે; તેથી ત્યાં સિંહોનાં મોટાં જૂથ હોય છે; જ્યારે ગીરમાં તેમનો મુખ્ય શિકાર ચીતળ હોવાથી જૂથમાં એક નર સિંહ જ રહે છે. સિંહણો બે કે ત્રણની સંખ્યામાં શિકારનો પીછો કરી, શિકાર કરે છે. તેઓની દોડવાની ઝડપ ચિત્તા કે વાઘ કરતાં ઓછી હોય છે અને લાંબા અંતર સુધી ભક્ષ્યનો પીછો તેઓ કરી શકતા નથી, પરંતુ શિકાર હાથવેંત આવતાં તેના ઉપર એકદમ તૂટી પડે છે. આકાશમાં ઊડતાં ગીધ, સમડી વગેરેના અને વાંદરાના અવાજોને આધારે તે પોતાનો શિકાર શોધી લે છે. શિકાર કરવાનો સમય સાંજ કે રાત્રિનો હોય છે. સિંહણો સાથે મળી શિકાર કરે અને સિંહ સૌપહેલાં તેને આરોગે પછી માદા અને બચ્ચાંનો વારો આવે છે. સિંહની ગર્જના લાક્ષણિક હોય છે. જંગલમાં સિંહની ડણક દૂર દૂર સુધી સંભળાય છે. ગર્જના કરતા સિંહ માથું જમીન તરફ રાખે છે અને તેથી તેનો શિકાર કે ભક્ષ્ય થનાર પ્રાણીઓ સિંહનું સ્થાન જાણી શકતાં નથી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિંહ, પૃ. ૨11)