Categories
વાચન સમૃદ્ધિ

શારીરિક શ્રમનો પ્રભાવ

રોડ્ઝ સ્કૉલર અને ન્યૂયૉર્કના એટર્ની કર્નલ ઇડી ઇગાન કામમાં અત્યંત વ્યસ્ત રહેતા હતા. ક્યારેક એમ વિચારતા કે ઘાણીના બળદની માફક એમને સતત મહેનત કરીને માનસિક ચકરાવા લેવા પડે છે. મન પર સતત ચિંતાનાં વાદળો રહેતાં હતાં, આમાંથી બહાર નીકળવા માટે એમણે એક નવો ઉપાય શોધી કાઢ્યો. એમણે જોયું કે જ્યારે જ્યારે એ કોઈ શારીરિક શ્રમ કરતા, ત્યારે મન પર ઘેરાયેલાં માનસિક ચિંતાનાં વાદળો વીખરાઈ જતાં હતાં. આથી એમણે જિમ્નેશિયમમાં જઈને પોતાની પસંદગીની રમત સ્ક્વોશ ખેલવાનું શરૂ કર્યું. આ સમયે એમનું મન પેલી ચિંતાઓના બોજથી મુક્ત થઈ જતું. એ પછી ક્યારેક ગૉલ્ફ કોર્ટનું ચક્કર લગાવતા અથવા તો પૅડલ ટેનિસની રમત રમતા. આ શારીરિક શ્રમ કરતી વખતે એમને સતત એવો અનુભવ થયો કે આવા શ્રમને પરિણામે કાયદાની આંટીઘૂંટીમાં જકડાયેલું એમનું ચિત્ત એની સમસ્યાઓમાંથી મુક્ત થઈ જતું હતું અને હળવાશ અનુભવતું હતું. એક પ્રકારની નવી તાજગી અને નવી શક્તિ આવી હોય તેમ લાગતું. કર્નલ ઇડી ઇગાને જોયું કે એ જ્યારે બૉક્સિંગ કરતા, ત્યારે એમના મનમાં કોઈ ચિંતા જાગવાની શક્યતા જ રહેતી નહીં. બૉક્સિંગમાં એવી ધારદાર એકાગ્રતાની જરૂર પડતી તેમજ પ્રતિસ્પર્ધી પર સતત એવી નજર ઠેરવવી પડતી કે મનમાં ચિંતા તો શું, પણ કોઈ બીજો વિચાર જાગે એવી પણ શક્યતા રહેતી નહીં અને એને પરિણામે પછીના સમયમાં નવીન વિચારો આસાનીથી આવતા અને કપરાં કાર્યો સાવ સરળ લાગવા માંડતાં. આથી એમણે મનમાં એક સૂત્ર રાખ્યું કે મન જ્યારે ચિંતાગ્રસ્ત બને ત્યારે માનસિક શ્રમ લેવાને બદલે શારીરિક શ્રમ કરવા માંડો. એના પરિણામથી તમે પોતે નવાઈ પામશો અને ન્યૂયૉર્કના આ એટર્ની ઑલિમ્પિક લાઇટ-હેવીવેઇટ ચૅમ્પિયન પણ થયા અને એ જ રીતે કાયદાની દલીલબાજીની જેમ મુક્કાબાજીમાં પણ માહેર બની ગયા.

Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રી મનસુખભાઈ મેદાણીપ્રેરિત

જીવન-ઉત્કર્ષ વ્યાખ્યાનશ્રેણી |

વિષય : ज्ञानજ્યોતિનો પ્રકાશ (મહાત્મા જોતીરાવ ફુલે અને ક્રાંતિજ્યોતી સાવિત્રીબાઈ ફુલેનું જીવનકાર્ય)

વક્તા : સંજય ભાવે |

તારીખ – 9 મે, 2025 શુક્રવાર,

સાંજના 5-30 

Categories
વાચન સમૃદ્ધિ

ઝિગુરાત

પ્રાચીન સુમેર, બૅબિલોનિયા અને ઍસીરિયન સંસ્કૃતિ સાથે સંકળાયેલ વિશિષ્ટ ધાર્મિક સ્થાપત્ય. ‘ઝિગુરાત’નો અર્થ થાય છે પર્વતની ટોચ કે શિખર. સુમેરિયનો પોતાના પર્વતાળ પ્રદેશના વતનને છોડીને ઈ. સ. પૂ. ચોથી સહસ્રાબ્દીના અંતમાં મેસોપોટેમિયાનાં મેદાનોમાં આવ્યા ત્યારે આ પ્રકારનાં ધાર્મિક સ્થળોની જરૂરિયાત ઊભી થઈ. મંદિર-મિનાર(temple-tower)ની રચના પગથીવાળી અને પિરામિડ આકારની હતી. ઝિગુરાતનો સંકુલ એક વિશાળ પરિસરમાં પથરાયેલો રહેતો. તેની સાથેનાં મકાનોનો વિવિધ રીતે ઉપયોગ થતો. સમચોરસ અથવા લંબચોરસ પાયાવાળી આ ઇમારત અનેક મજલાની અને ઉપર જતાં ક્રમશ: નાના કદના મજલાવાળી બનતી. ઉર વંશના રાજાઓએ ઈ. સ. પૂ. ૨૨૫૦માં એક જ અગાશીવાળા ઝિગુરાતને બદલે એક ઉપર બીજા થરની રચના કરેલી. તેમાં સુશોભન સારુ ગોખ અને પડભીંત રખાતાં. ઝિગુરાતની બાજુઓ ઢળતી રખાતી. ઢળતી બાજુઓ અને અગાશીઓમાં વૃક્ષ અને છોડ ઉગાડાતાં. આ સંદર્ભમાં બૅબિલોનના ઝૂલતા બગીચાનો ઉલ્લેખ કરી શકાય. બૅબિલોનના મરદૂકનું ઝિગુરાત કાલ્પનિક બેબલના મિનાર સાથે સંકળાયેલું છે. અંદરનો ભાગ સૂર્યના તાપથી પકવેલી ઈંટોનો અને બહારનો ભાગ ભઠ્ઠાની પાકી ઈંટોનો બનતો. પગથીવાળા સ્તરો અને સીડીઓથી મજલા એકબીજા સાથે ગૂંથાયેલા રહેતા. સૌથી ઉપરનો મજલો દેવોને આહુતિ આપવા તથા પ્રાર્થના માટે વપરાતો.

ઝિગુરાત

મેસોપોટેમિયાનાં નગરરાજ્યો ઈશ્વરથી રક્ષાયેલાં મનાતાં અને રાજા ઈશ્વરનો પ્રતિનિધિ ગણાતો. તે કારણથી નગરનું આયોજન એક-કેન્દ્રીયતાવાળું રહેતું. ધાર્મિક અને આર્થિક દૃષ્ટિએ નગર એક અગત્યનું કેન્દ્ર બનતું અને તે રીતે ઝિગુરાત મંદિરની પ્રતિકૃતિ મનાતું. આ સ્થાપત્યની રચનાના વિવિધ તબક્કા પાતાળ, પૃથ્વી, અંતરીક્ષ ઇત્યાદિનાં પ્રતીકો દર્શાવતા. સૌથી ટોચ ઉપરની રચના સ્વર્ગનું સૂચન કરતી. ઍસીરિયન ઝિગુરાત સાતથી આઠ મજલાનાં રચાતાં. વારંવાર થયેલા સમારકામને કારણે આ ભવ્ય ઇમારતના ઉદભવ અને ઉપયોગ વિશે સચોટ ખ્યાલ હજી પણ ઉપલબ્ધ નથી. એરિડુના ઝિગુરાતનો રચનાકાળ ઈ. સ. પૂ. પાંચમી સહસ્રાબ્દીનો છે. નવા બૅબિલોનકાળ દરમિયાન ઈ. સ. પૂ. ૨૨૩૦થી ઈ. સ. પૂ. ૨૦૦૦ દરમિયાન બંધાયેલું ઝિગુરાત ચંદ્રદેવને માટેનું સ્થાન ગણાય છે. સુમેરનાં ઐતિહાસિક શહેરોમાં ઉર, વાર્કા, નિપુર, લાર્સા, એરિડુ વગેરેમાંનાં ખંડિત ઝિગુરાતો ઉલ્લેખનીય છે. સૌથી વિશાળ કદનું અને સારી રીતે જળવાયેલું ઝિગુરાત ચોગા-ઝંબિલ ઈ. સ. પૂ. ૧૨૫૦નું છે. ઝિગુરાત–ઉર : ઉરમાં મળતું ઝિગુરાત બૅબિલોનિયાનું અત્યંત પ્રાચીન ઉદાહરણ છે. ઉર્નામ્મુ અને બીજા રાજાઓના શાસનકાળ દરમિયાન તેનું સમારકામ આશરે ઈ. સ. પૂ. ૨૧૨૫થી ઈ. સ. પૂ. ૨૦૨૫ વચ્ચે થયેલું છે. લંબગોળાકાર ઉર શહેરની મધ્યમાં એક સમથળ પ્રાંગણમાં મંદિરો, રાજમહેલ વગેરેની રચના કરાયેલી છે. આ બાંધકામ આજુબાજુથી ૬ મીટર ઊંચાઈએ કરાયેલું છે. ઉરના ઝિગુરાતના પાયાનું માપ ૬૧.૫મી. લાંબું અને ૪૨ મી. પહોળું રખાયેલ છે. તેની ઊંચાઈ ૨૧ મી.ની છે. આવાં સ્થાપત્ય દક્ષિણ અને થોડે અંશે ઉત્તર મેસોપોટેમિયામાં મળે છે. ઉરનું ઝિગુરાત બૅબિલોનિયાનાં પ્રસિદ્ધ સ્થાપત્યોનું સચોટ દૃષ્ટાન્ત છે. તે ઈ. સ. પૂ. ચોથી સહસ્રાબ્દીમાં બંધાયા પછી વારંવાર ફરીથી બંધાયેલું છે. તે સતત ૪૦૦૦ વર્ષ સુધી ઉપયોગમાં હતું.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી