Categories
વાચન સમૃદ્ધિ

ગોવિંદ વલ્લભ પંત

જ. ૧૦ સપ્ટેમ્બર, ૧૮૮૭ અ. ૭ માર્ચ, ૧૯૬૧

ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામના અઠંગ લડવૈયા, રાષ્ટ્રીય કૉંગ્રેસના એક અગ્રણી નેતા, ઉત્તરપ્રદેશના પૂર્વ- મુખ્યમંત્રી અને પૂર્વકેન્દ્રીય ગૃહમંત્રી ગોવિંદ વલ્લભ પંતના પૂર્વજો દસમી સદીમાં મહારાષ્ટ્રમાંથી સ્થળાંતર કરી ઉત્તરપ્રદેશમાં સ્થાયી થયા હતા. બાળપણથી  તેમના પર પરદાદા અને મામાનો ખૂબ પ્રભાવ હતો. તેમણે મૅટ્રિક સુધીનું શિક્ષણ અલમોડા ખાતે લીધું હતું. ભણવામાં શરૂઆતથી જ એમની કારકિર્દી તેજસ્વી હતી. અલાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા બાદ તેમણે ત્યાંથી જ કાયદાશાસ્ત્રની પદવી પ્રાપ્ત કરી હતી અને લમ્સડેન સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. અલમોડા, રાણીખેત અને કાશીપુર ખાતે વકીલાતમાં નોંધપાત્ર નામના મેળવનાર પંતે વિખ્યાત ‘કાકોરી કાવતરા’ કેસમાં વકીલોની ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. કુમાઉ પ્રદેશના વિશિષ્ટ પ્રશ્નોને વાચા આપવા માટે તેમણે ‘શક્તિ’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. ૧૯૧૨માં સ્વરાજ પક્ષના સભ્ય તરીકે તેઓ ઉત્તરપ્રદેશની વિધાન પરિષદમાં ચૂંટાયા અને પોતાની વક્તૃત્વશક્તિના પ્રભાવથી ગૃહમાં પક્ષના નેતા તરીકે નિમાયા હતા. ‘ભારત છોડો’ ચળવળમાં તેમની નોંધપાત્ર હિસ્સેદારી હોવાથી તેમણે જેલવાસ પણ વેઠ્યો હતો. આઝાદી પૂર્વેની વિવિધ રાજકીય બેઠકો અને ઉચ્ચસ્તરની મંત્રણાઓમાં તેમણે જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલની સાથે રહી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બંધારણસભાના સભ્ય તરીકે તેમણે મૂળભૂત અધિકારોનાં પ્રકરણ લખવામાં વિશેષ ફાળો આપ્યો હતો. ૧૯૪૬થી ૧૯૫૪ સુધી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે રહ્યા બાદ પંડિત જવાહરલાલ નહેરુના આગ્રહથી જાન્યુઆરી, ૧૯૫૫માં કેન્દ્રીય પ્રધાનમંડળમાં પ્રથમ ખાતા વિનાના પ્રધાન અને ત્યારબાદ ગૃહમંત્રીપદે જવાબદારી સંભાળી હતી. જમીનદારી પ્રથા, વેશ્યાવૃત્તિ અને સ્ત્રીઓના વેપાર જેવાં આર્થિક અને સામાજિક દૂષણો ડામવા માટે તેમજ સર્વધર્મસમભાવ અને વ્યસનમુક્તિ માટે જીવનપર્યંત કાર્યો કર્યાં. માનવતાવાદી ગુણોથી વિભૂષિત પંતજી અજાતશત્રુ હતા. દેશ પ્રત્યેની તેમની સેવાઓની કદર રૂપે ૨૬ જાન્યુઆરી, ૧૯૭૫ના રોજ તેમને મરણોપરાંત ‘ભારતરત્ન’થી નવાજવામાં આવ્યા હતા.

Categories
સાંપ્રત કાર્યક્રમો

વિવેચક અને સંશોધક શ્રી યશવંત દોશી સ્મૃતિ-વ્યાખ્યાનશ્રેણી

વિષ : કાશ્મીરમાં આપણે |

વક્તા : સંજય-તુલા |

17 સપ્ટેમ્બર, 2025, બુધવાર, સાંજના 5-30

Categories
વાચન સમૃદ્ધિ

માત્ર માનવજાતને ભેદભાવનું ભૂત વળગેલું છે

નદીના વહેતા પાણી પાસે કેવો સર્વજન સમભાવ છે ! નદી બધાને સરખું પાણી આપે છે. ગમતી વ્યક્તિને મીઠું પાણી અને અણગમતાને ખારું એવો કોઈ ભેદ નહીં. કોઈને શીતળ જળ આપે અને કોઈને ગરમ પાણી – એવુંય નહીં. જે કોઈ આવે, એને કશાય ભેદના ભાવ વિના એકસરખું જળ આપે છે. વૃક્ષ સતત વિકસતું રહે છે. એ ધરતીમાં ખીલે છે અને રણમાં પણ મળે છે. કાળમીંઢ પથ્થર પણ એનો વિકાસ રોકી શકતો નથી. એ તો મોટા, વિશાળ પથ્થરને ભેદીને પણ એની વચ્ચે પ્રગટ થાય છે. ધરતી સદાય સહન કરતી રહે છે. માણસ એના પર ચાલે કે દોડે એ તો ઠીક, કિંતુ એને ઊંડે સુધી ખોદે તોય સહેતી રહે છે. ક્યારેય એ માણસને ઠપકો આપતી નથી કે પછી એની ઇચ્છાનો ઇન્કાર કરતી નથી. સૂર્ય સદા સહુને ચાહે છે. એનો પ્રકાશ માત્ર ધનિકોના મહેલો સુધી સીમિત નથી, પણ ગરીબોની ઝૂંપડીનેય અજવાળે છે. એનું તેજ માત્ર માનવી સુધી મર્યાદિત નથી, પ્રાણીમાત્ર પણ પામે છે. અંધારી રાતે ટમટમ થતા તારા સહુની આંખોનો આનંદ બને છે. ગામને પાદરે ખાટલામાં સૂતેલા બાળકને કે આકાશ પર આંખ માંડીને બેઠેલા ખગોળવિજ્ઞાનીને એ સરખું તેજ આપે છે. નદી, વૃક્ષ, ધરતી, સૂર્ય કે આકાશ ભેદના કશાય ભાવ વિના કાર્ય કરે છે. એ માનવીની માફક પ્રેમભર્યો સંવાદ કરતા નથી, પરંતુ પ્રેમથી સહુની સાથે સમભાવ રાખે છે, ત્યારે એક માનવી જ કેવો કે જે ભેદભાવ વિના જીવી શકતો નથી ! એને જ્ઞાતિનો ભેદ ગમે, એને જાતિનો ગર્વ ગમે, એેને દેશના સાંકડા સીમાડા પસંદ પડે. જ્યાં હોય ત્યાં એ ભેદ શોધે, એને ધર્મનો ભેદ હોય કે ત્વચાના રંગનો ભેદ હોય. એને ભેદ વિના સહેજેય ન ચાલે. આ ભેદમાં એટલો ડૂબ્યો કે એ જ્ઞાતિ, જાતિ કે ધર્મનો બની રહ્યો, પણ માણસાઈભર્યો માનવ ન રહ્યો.