Categories
વાચન સમૃદ્ધિ

પંડિત ઓમકારનાથ ઠાકુર

જ. ૨૪ જૂન, ૧૮૭૯ અ. ૨૯ ડિસેમ્બર, ૧૯૬૭

ભારતના શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાનાના મહાન ગાયક, સંગીતજ્ઞ. પંડિતજીનો જન્મ શિવઉપાસક દંપતી ગૌરીશંકર તથા ઝવેરબાને ત્યાં થયો હતો. પિતાનું અકાળે અવસાન અને વિકટ આર્થિક પરિસ્થિતિને કારણે બાળપણમાં રામલીલામાં કલાપ્રસ્તુતિની નોકરી સ્વીકારી. ત્યાં શ્રેષ્ઠી શાપુરજીની નજરમાં આવતાં એમને પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરજી પાસે સંગીતની તાલીમ અપાવવાની સગવડ કરી આપવામાં આવી. ઓમકારનાથજીની સંગીત પ્રત્યેની નિષ્ઠા, ખંત અને નિપુણતા જોતાં તાલીમને અંતે પલુસ્કરજીએ પંડિતજીના લાહોર ગાંધર્વ સંગીત મહાવિદ્યાલયમાં આચાર્યપદે નિમણૂક કરી, સાથે ભારત તથા યુરોપમાં પંડિતજીએ અનેક કાર્યક્રમો આપ્યા. પંડિતજીએ ગાયનમાં પલુસ્કરજીની સાથે ઉસ્તાદ રહેમત ખાનની ગાયનશૈલી પણ અપનાવી હતી. પંડિતજી ખયાલશૈલીની સાથે ધ્રુપદ-ધમાર તેમ જ ઠૂમરી પણ અદભુત રીતે પ્રસ્તુત કરતા. શાસ્ત્રીય સંગીતની શુદ્ધતા જાળવીને હૃદયને સ્પર્શે એવી પોતાની આગવી શૈલીમાં ભજન ગાયન એ પંડિતજીની ઓળખ બની હતી. પંડિતજીનો ગાયેલો રાગ નીલાંબરી, માલકોશમાં ‘પગ ઘૂંઘર બાંધ’, ભૈરવીમાં ‘જોગી મત જા’ તેમ જ કવિ શ્રી ન્હાનાલાલની રચના ‘વિરાટનો હિંડોળો’ સંગીતના ભાવકો માટે સાંગીતિક તૃપ્તિની સાથે એક તરસ છોડી જનાર કલાકૃતિ સમાન હતાં. તેઓ કુશળ તરવૈયા પણ હતા. પંડિતજીનાં પત્ની ઇંદિરા દેવી તેમજ નવજાત સંતાનના અવસાન બાદ પંડિતજીએ તોડી રાગને સદાને માટે તિલાંજલિ આપી. પંડિતજી સંગીતના મર્મજ્ઞ, પ્રકાંડ પંડિત હતા. સંસ્કૃત, હિન્દી, વેદો, શાસ્ત્રોના જ્ઞાતા અને અભ્યાસી હતા. ‘પ્રણવ રંગ’ તખલ્લુસથી એમણે અનેક શાસ્ત્રીય બંદિશોની રચના કરી. ‘રાગ અને રસ’, ‘સંગીતાંજલિ’ છ ભાગમાં તેમજ ‘પ્રણવભારતી પંડિતજીરચિત પુસ્તકો છે. પદ્મશ્રી અને અનેક સન્માનોથી તેમને નવાજવામાં આવ્યા હતા. પંડિતજીની જન્મશતાબ્દીએ ભારત સરકાર દ્વરા એમની સ્ટૅમ્પ પ્રકાશિત કરવામાં આવી હતી. બુલંદ છતાં મીઠા સુરીલા અવાજ, સંગીતના જ્ઞાન અને સેવા માટે પંડિત ઓમકારનાથ ઠાકુર સદાય યાદ રહેશે.

Categories
વાચન સમૃદ્ધિ

કરુણાના સંદેશવાહક

અપરાધીઓની વસ્તીથી ઊભરાતું હતું ઇંગ્લૅન્ડનું વોલવર્થ ઉપનગર. અહીંના મોટા ભાગના લોકો અત્યંત ગરીબ અને નિરક્ષર હતા. આને કારણે આ વિસ્તારની વસ્તીમાં ખૂબ ગુનાખોરી હતી. સ્વાભાવિક રીતે જ આની એમનાં સંતાનો પર વિપરીત અસર પડે. વળી નાનાં નાનાં છોકરાઓ પાસે પણ ખોટાં કામો કરાવતા હતા. આ સમયે કેમ્બ્રિજની પેમબ્રૂક કૉલેજનો વિદ્યાર્થી ચાર્લ્સ ફેરર એન્ડ્રુઝ આ વિસ્તારમાં રહેવા આવ્યો. એના પિતા પાદરી હતા અને એ પણ ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડ સાથે જોડાયેલો હતો. આ એન્ડ્રુઝે પહેલું કામ આસપાસની વસતીનાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું એમને એમના દૈનિક જીવનની નાની પણ મહત્ત્વપૂર્ણ વાતો સોદાહરણ સમજાવતા હતા. બાળકોને એમની વાત ખૂબ પસંદ પડી ગઈ. એ પછી એન્ડ્રુઝે ધીરે ધીરે એમનામાં ઉત્તમ સંસ્કાર સીંચવાનો પ્રારંભ કર્યો. આ વસતીમાં વસતા ઘણા લોકોએ અનુભવ્યું કે એમનાં બાળકોનાં કામ અને આચરણમાં ઘણો સુધારો થયો છે. આ બાળકો યુવાન બન્યાં એટલે એમણે એન્ડ્રુઝના સદાચારનો સંદેશ આપતા લોકોને કહ્યું, ‘તમે પ્રત્યેક રવિવારે સભામાં આવો અને નિર્ધાર કરો કે સપ્તાહમાં એક દિવસ અપરાધ નહીં કરો.’ યુવાનોની વાતથી સહુને એટલી બધી ખુશી ઊપજી કે એમણે નક્કી કર્યું કે અઠવાડિયામાં ચાર દિવસમાં કોઈ અપરાધ નહીં કરે અને સારું જીવન જીવશે. સમય જતાં વોલવર્થ વિસ્તારની સંપૂર્ણ કાયાપલટ થઈ ગઈ અને સભ્યસમાજનું એક અંગ બની ગયો. આ જ સી. એફ. એન્ડ્રુઝ હંમેશાં ન્યાયના પક્ષે રહ્યા અને તેથી જ બ્રિટિશ સામ્રાજ્ય સામેની ભારતની લડતને એમણે ટેકો આપ્યો. ભારતીય રાજકીય કૉંગ્રેસની પ્રવૃત્તિમાં ભાગ લેવા માંડ્યા અને ૧૯૧૩માં ચેન્નાઈમાં વણકરોની હડતાળનો યોગ્ય હલ લાવ્યા. આ ચાર્લ્સ ફેરર એન્ડ્રુઝને એમના પ્રથમ અક્ષરને લઈને ગાંધીજી Christ’s Faithful Apostole કહેતા હતા. ગાંધીજીને દક્ષિણ આફ્રિકાથી ભારત આવવાનો આગ્રહ કરનાર પણ આ જ એન્ડ્રુઝ હતા અને ગરીબોના મિત્ર એવા એન્ડ્રુઝને સહુ ‘દીનબંધુ એન્ડ્રુઝ’ કહેવા લાગ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રબોધ બેચરદાસ પંડિત

જ. ૨૩ જૂન, ૧૯૨૩ અ. ૨૮ નવેમ્બર, ૧૯૭૫

જાણીતા ભાષાવિજ્ઞાની. ભાવનગર જિલ્લાના વળા ગામમાં તેમનો જન્મ. તેમણે અમદાવાદ અને અમરેલીમાં અભ્યાસ કર્યો હતો. ૧૯૩૯માં મૅટ્રિક થયા. ૧૯૪૨ની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને છ મહિના જેલવાસ પણ ભોગવ્યો હતો. સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા વિષયો સાથે ૧૯૪૪માં બી.એ. થયા. ૧૯૪૬માં સંસ્કૃત અને ભાષાશાસ્ત્રના વિષય સાથે ભારતીય વિદ્યાભવનમાંથી એમ.એ. થયા. વધુ અભ્યાસ માટે લંડન ગયા અને સ્કૂલ ઑફ ઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝમાં જોડાયા. ‘ષડાવશ્યક બાલાવબોધ વૃત્તિ’ ઉપર રાલ્ફ લિલી ટર્નરના માર્ગદર્શન હેઠળ સંશોધન કરીને ૧૯૫૦માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ ભાષાશાસ્ત્રમાં રુચિ કેળવાતી ગઈ. જુલ્સ બ્લોચના સંપર્કમાં આવ્યા. તેમની પાસેથી વિવિધ ભારતીય બોલીઓનો અભ્યાસ કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ. તેમની શૈક્ષણિક કારકિર્દી અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાંથી શરૂ થઈ. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ભાષાશાસ્ત્રના અધ્યાપક, પુણેની ડેક્કન કૉલેજમાં પણ અધ્યાપન કરાવ્યું. દિલ્હી યુનિવર્સિટીમાં પણ ભાષાશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું. વિદેશમાં પણ અનેક યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક તરીકે રહ્યા અને ત્યાં પણ ભાષાશાસ્ત્રવિષયક અધ્યાપન કરાવ્યું. ગુજરાતી સાહિત્યમાં ભાષાવિજ્ઞાનના શુદ્ધ અભિગમથી કાર્ય કરનાર પ્રબોધભાઈ પંડિતે ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ (૧૯૬૬), ‘ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો’ (૧૯૭૩), ‘પંચરંગ સમાજમાં ભાષા’ (૧૯૮૩) વગેરે ભાષાવિજ્ઞાનને લગતા મહત્ત્વના ગ્રંથો આપ્યા છે. તેમનું પુસ્તક ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ને ૧૯૬૭માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ગુજરાતી ભાષા અને ભાષાશાસ્ત્રમાં યોગદાન આપવા માટે ૧૯૭૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.