Categories
વાચન સમૃદ્ધિ

ટાસ્માનિયા

ઑસ્ટ્રેલિયા ખંડના અગ્નિ છેડા પર આવેલું તેનું અંતર્ગત રાજ્ય. તેનું ક્ષેત્રફળ જળવિસ્તાર સહિત ૯૦,૭૫૮ ચોકિમી. છે, જે ઑસ્ટ્રેલિયાનો ૧% કરતાં પણ ઓછો વિસ્તાર રોકે છે. આ રાજ્યનું જૂનું નામ ‘વાન ડાઇમન્સલૅન્ડ’ હતું. તેની વસ્તી ૫,૭૧,૦૦૦ (૨૦૨૨, આશરે) છે. હોબાર્ટ તેનું પાટનગર છે જે રાજ્યનાં ચાર મોટાં નગરો પૈકીનું એક છે. ટાસ્માનિયાનું ભૌગોલિક સ્થાન ઑસ્ટ્રેલિયા ખંડના વિક્ટોરિયા રાજ્યની દક્ષિણ તરફના એક ટાપુ પ્રકારનું છે; જેમાં કિંગ, ફિલન્ડર્સ અને બ્રુની જેવા ટાપુઓનો પણ સમાવેશ થાય છે. ૪૦°થી ૪૩° દક્ષિણ અક્ષાંશવૃત્તો અને ૧૪૪°થી ૧૪૮° પૂર્વ રેખાંશવૃત્તો વચ્ચે તે આવેલું છે. ટાપુ પ્રકારના તેના સ્થાનને કારણે ટાસ્માનિયાની આબોહવા પશ્ચિમ યુરોપની આબોહવા જેવી છે. આ કારણથી અહીં લગભગ બારેમાસ વધતાઓછા પ્રમાણમાં વરસાદ પડે છે. ઑસ્ટ્રેલિયા દેશનું આ ફક્ત એક જ રાજ્ય એવું છે જ્યાં રણવિસ્તાર નથી. બારેમાસ વરસાદ પડતો હોવાથી સિંચાઈની ખાસ જરૂરિયાત ઊભી થતી નથી.

હોબાર્ટ  શહેર

આ રાજ્યમાં લગભગ બારેમાસ હૂંફાળું હવામાન અનુભવાતું જોવા મળે છે. આથી અહીં ઉનાળાની ઋતુમાં ૧૫°થી ૨૦° સે. અને શિયાળામાં ૧૦° સે. જેટલો તાપમાનનો ગાળો રહે છે. પશ્ચિમિયા પવનો અહીં બારેમાસ વરસાદ આપે છે. રાજ્યના પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગમાં વધુ વરસાદ પડે છે. પશ્ચિમના પહાડી પ્રદેશ અને ઉચ્ચપ્રદેશના ઢોળાવમાં ૨૫૦૦ મિમી. કરતાં વધુ વરસાદ નોંધાય છે. મધ્ય ભાગમાં ૧૦૦૦ મિમી. વરસાદ પડે છે. મૅક્વેરી નદીની ઉપલી ખીણમાં તો ટાસ્માનિયાનો સૌથી ઓછો, ફક્ત ૪૫૦ મિમી. જેટલો જ વરસાદ થાય છે. રાજ્યનો સૌથી વધુ વરસાદ ૩૬૫૦ મિમી. માર્ગરેટ સરોવર પાસે થાય છે. આ રાજ્યમાં થતો વરસાદ વિવિધ પ્રકારના ખેતીપાક માટે ઉત્તમ પ્રકારનો ગણાય છે. પ્રાકૃતિક રચનાની રીતે જોઈએ તો તેના મધ્યમાં ઊંચો પહાડી વિસ્તાર આવેલો છે તે ૭૦૦ મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે. દક્ષિણ તરફના ભાગમાં આર્થર પર્વતમાળા છે. મધ્યમાં આવેલા પહાડી પ્રદેશમાંથી નદીઓ ચારે તરફ નીકળીને સમુદ્રને મળે છે. કોર્પ અને સસ્ક નદી ઉત્તરમાં જાય છે, ડરવેન્ટ દક્ષિણ તરફ અને ગૉર્ડન નદી પશ્ચિમમાં વહીને જાય છે. ઉપરાંત મર્સી, મૅક્વેરી, ઍસ્ક, તમાર વગેરે નદીઓ છે. ટાસ્માનિયાના મધ્યભાગમાં ગ્રેટ લેક, સેન્ટ ક્લેર અને ઇકો સરોવરો આવેલાં છે. દરિયાકિનારાના વિસ્તારમાં સાંકડાં મેદાનો તૈયાર થયાં છે જે વિવિધ ખેતીપાક માટે ઉપયોગી છે. ટાસ્માનિયા રાજ્યની ભૂસ્તર રચના, પ્રાકૃતિક રચના, આબોહવા તથા માનવપ્રવૃત્તિઓના આધારે તેને પાંચ વિભાગમાં વહેંચવામાં આવે છે. ૧. વાયવ્ય પ્રદેશ : ૧૨૫૦ મિમી.થી વધુ વાર્ષિક સરેરાશ વરસાદવાળા આ ભાગમાં ખેતી, પશુપાલન અને ઉદ્યોગોનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે. તેમાં લા ટ્રોબ, અલ્વરસ્ટોન, ડેવેનપૉર્ટ અને બર્ની મુખ્ય ઔદ્યોગિક શહેરો છે. તે દરિયાકિનારે આવેલાં છે તથા એકબીજાં જોડે રેલવેથી સંકળાયેલાં છે. ૨. ઈશાન કિનારાનો વિસ્તાર : ઉત્તરમાં ગૉર્ડન નદી, ફ્રેન્કલિન પર્વતમાળા અને છેક દક્ષિણમાં પૂર્વ બાજુએ આર્થર પર્વતમાળાથી બનેલો છે. આ વિસ્તાર ઊંચા પર્વતોવાળો તથા વધુ વરસાદવાળો છે. દરિયાકિનારે મેદાનોનો અભાવ છે. તે ગીચ જંગલોનો વિસ્તાર છે. આર્થિક વિકાસ ખાસ થયો ન હોવાથી વસ્તીનું પ્રમાણ એકદમ ઓછું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટાસ્માનિયા, પૃ. ૨૫૪)

Categories
વાચન સમૃદ્ધિ

ગંભીરસિંહ ગોહિલ

જ. ૮ જૂન, ૧૯૩૪ અ. ૯ મે, ૨૦૨૫

ગુજરાતની આચાર્ય પરંપરામાં જેમનું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે તે ગંભીરસિંહનો જન્મ સિહોર તાલુકાના સેંદરડા ગામમાં થયો હતો. ત્યાં ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. નાનપણમાં કોઈક બીમારીને કારણે બહેરાશ આવી ગઈ. આથી પિતા ભૂરુભાએ ઢોરઢાંખરના કામમાં જોડી દીધા. કોઈક કારણસર ભાવનગર ગયા. ત્યાંની મનહરકુંવરબા રાજપૂત છાત્રાલયમાં ગયા. ત્યાંના ગૃહપતિના પ્રેમને કારણે ભાવનગરમાં રહી પોતાને ભણવું છે તેવી પિતા પાસે જીદ કરી. અંતે છાત્રાલયમાં રહી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. ૧૯૫૪માં પૂના બોર્ડની એસ.એસ.સી.ની પરીક્ષામાં ઇતિહાસ વિષયમાં સમગ્ર બોર્ડમાં પ્રથમ આવ્યા. તે સમયે તેમના સહાધ્યાયીઓ હતા દિનકર જોષી, માય ડિયર જયુ અને ખોડીદાસ પરમાર. છાત્રાવાસ દરમિયાન તેઓ ‘ઉદય’ નામનું ભીંતપત્ર ચલાવતા હતા. પછી શામળદાસ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ.; એમ.એ. થયા. ત્યાં ફેલો તરીકે થોડું અધ્યાપનકાર્ય પણ કર્યું. ૧૯૬૬થી ઉપલેટા કૉલેજના અધ્યાપક, અધ્યક્ષ અને આચાર્ય થયા ને તેમની કારકિર્દી ઘડાતી ગઈ. ત્યારબાદ સાવરકુંડલા, પછી ભાવનગરની વળિયા આર્ટ્સ કૉલેજ અને અંતે ભાવનગરની શામળદાસ કૉલેજના આચાર્યપદેથી ૧૯૯૪માં નિવૃત્ત થયા. ગંભીરસિંહ એક એવા આચાર્ય હતા જેઓ નિવૃત્ત થયા પછી ૨૦૦૬માં પીએચ.ડી. થયા હતા, જે તેમની વિદ્યાપ્રીતિ દર્શાવે છે. તેમની પાસેથી મળેલ ‘પ્રજાવત્સલ રાજવી’ જીવનચરિત્રમાં તેમણે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ચરિત્ર ઘણા અભ્યાસથી આલેખ્યું છે. સાડાચારસોથી વધુ પૃષ્ઠો ધરાવતા આ ચરિત્રને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી અને બીજાં અનેક સન્માનો મળ્યાં છે. તેમની પાસેથી ‘ગ્રંથવિવેક’ (૨૦૧૦), ‘ગ્રંથવિશેષ’ (૨૦૧૧) જેવા વિવેચનગ્રંથો મળ્યા છે. ‘ખિસકોલી તો ખિસકોલી જ’ અને ‘પંખીડું ઊડી ઊડી જાય’ જેવા બાળવાર્તાસંગ્રહો પણ મળ્યા છે. તેમણે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ચૅરમૅનપદને પણ શોભાવ્યું હતું. ‘ભાવનગર ગદ્યસભા’ના સ્થાપક પ્રમુખ તરીકે તેમણે કેટલાંય વર્ષો સુધી નવોદિતોને માર્ગદર્શન આપ્યું હતું. તેઓ એક સાહિત્યકાર તથા ઉમદા, શિસ્તપ્રિય વહીવટકર્તા તરીકે જાણીતા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

વિરોધીની ચિંતા

ગ્રીસના અત્યંત પ્રભાવશાળી રાજપુરુષ, પ્રખર વક્તા અને ઍથેન્સ નગરના જનરલ પેરિક્લિસે (ઈ. સ. પૂર્વે ૪૯૫થી ઈ. સ. પૂર્વે ૪૨૯) ઍથેન્સ નગરના સમાજજીવન પર ગાઢ પ્રભાવ પાડ્યો. એને ઍથેન્સનો ‘પ્રથમ નાગરિક’ તરીકે ઓળખવામાં આવ્યો. એણે ઍથેન્સમાં કલા અને સાહિત્યની પ્રવૃત્તિને ઉત્તેજન આપીને પ્રાચીન ગ્રીસના આ નગરને શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવ્યું. પેરિક્લિસ એ લોકશાહીનો પ્રબળ પુરસ્કર્તા હતો અને ઉત્તમ શાસક હોવા છતાં પ્રજામાં એના ટીકાખોરો અને નિંદાખોરો તો હતા. એક દિવસ એના એક પ્રખર વિરોધીએ પેરિક્લિસ પર આક્ષેપોનો મારો ચલાવ્યો. સવારથી એને વિશે બેફામ વિધાનો કર્યાં. દોષારોપણ કર્યાં અને ગુસ્સાભેર એની સમક્ષ અપમાનજનક વચનો કહ્યાં. પેરિક્લિસ વિરોધીઓની ટીકાથી સહેજે અકળાતો નહીં. એ શાંતિથી  સઘળું સાંભળતો રહ્યો. એના વિરોધીએ આખી બપોર આક્ષેપબાજીમાં ગાળી અને સાંજ પડી છતાં એ અટક્યા નહીં. અંધારું થવા લાગ્યું. પેલો વિરોધી બોલી બોલીને અને હાથ ઉછાળી ગુસ્સો કરીને થાક્યો. એ ઘેર જવા લાગ્યો ત્યારે પેરિક્લિસે એના સેવકને બોલાવીને કહ્યું, ‘તું એની સાથે ફાનસ લઈને જા. અંધારામાં એને રસ્તો નહીં જડે અને ક્યાંક ભૂલો પડી જશે.’ પેરિક્લિસનાં આ વચનો સાંભળી એનો પ્રખર વિરોધી વિચારમાં પડ્યો. એના પર આક્ષેપોની ઝડી વરસાવી. કશું કહેવામાં બાકી રાખ્યું નહીં છતાં પેરિક્લિસ મારી આટલી બધી સંભાળ લે છે. આમ વિચારતાં એનો ગુસ્સો ઓગળી ગયો અને પોતાના દુર્વર્તન બદલ ક્ષમા માગી.