Categories
વાચન સમૃદ્ધિ

મૃત્યુ પછી પણ જીવતાં-ધબકતાં સત્કર્મો

આ જગત પરથી જીવનલીલા સંકેલી લીધા બાદ કશું શેષ રહે છે ખરું  કે પછી વ્યક્તિના દેહનાશની સાથોસાથ એણે પ્રાપ્ત કરેલાં યશ, સિદ્ધિ અને સમૃદ્ધિ સઘળું સમાપ્ત થઈ જાય છે ? વ્યક્તિનું અવસાન થયા પછી ધરતી પર એનું કશું બચે છે ખરું કે અગ્નિસંસ્કારની ભડભડતી આગમાં બધુંય ભસ્મીભૂત થઈ જાય છે ? નાશવંત જીવનમાં અવિનાશી હોય તો તે સત્કર્મ છે. કર્મ તો સહુ કોઈ કરે છે, કોઈ આજીવિકા માટે તો કોઈ અંગત સિદ્ધિ માટે, પરંતુ આવાં કર્મો કરનાર મૃત્યુ બાદ વિસ્મૃતિ પામે છે. કારણ કે માનવીનાં અંગત કામ તો વહેતા પ્રવાહમાં વહી જનારાં હોય છે. એ સામા પૂરે તરીને કોઈ સત્કર્મ કરનારો હોતો નથી. ગાડરિયા પ્રવાહે ચાલનાર વ્યક્તિના અસ્તિત્વની એના મૃત્યુ પછી કોઈ નોંધ પણ લેતું નથી અને એનો કોઈ અણસાર રહેતો નથી. દેહ સાથે સઘળું ભસ્મીભૂત થઈ જાય છે, જ્યારે સ્વાર્થ, સંકુચિતતા અને ભૌતિકતા જેવા અવરોધો પાર કરીને માનવી માટે કલ્યાણકારી સત્કર્મો કરનારને સહુ કોઈ યાદ કરે છે. સત્કર્મ કરવાની બે જ રીત છે, કાં તો તમે તમારી વાણી કે લેખિની દ્વારા સત્કર્મને પ્રગટ કરો અથવા તો તમે સ્વયં સત્કર્મ કરી બતાવો. આમ કાર્ય અને કલમ દ્વારા થયેલાં સત્કર્મો જ વ્યક્તિના મૃત્યુ પછી એના સ્મરણની સુવાસ આપતાં રહે છે. નાશવંત અને શાશ્વતનો ભેદ વહેલી તકે પારખી લેવો જોઈએ અને જેની નજર શાશ્વત સત્કર્મ પર છે તેની સામે નાશવંત બાબતો નાશ પામે છે. સત્કર્મ અ-મૃત છે. એ વ્યક્તિ જીવંત હોય કે દિવંગત હોય, પણ એના ભાવ સદાય વાતાવરણમાં સુવાસ પ્રેરતા હોય છે. પોતાના દેહની અને મનની શક્તિઓ સામાજિક કાર્યોમાં રેડીને કાર્ય કરનાર માનવીનાં દેહ કે મન ન હોય, તોપણ એનાં સત્કર્મ શાશ્વત રહે છે.

Categories
વાચન સમૃદ્ધિ

નારાયણ મલ્હાર જોશી

જ. ૫ જૂન, ૧૮૭૯ અ. ૩૦ મે, ૧૯૫૫

ભારતના મહાન શ્રમિક નેતા, સમાજસુધારક અને સ્વતંત્રતાસંગ્રામના સૈનિક નારાયણ મલ્હાર જોશી કે જે નાનાસાહેબ જોશી તરીકે પણ ઓળખાય છે. તેમણે શ્રમિક આંદોલન અને સામાજિક સેવાઓના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના કોલાબા (હાલનું રાયગઢ) જિલ્લાના ગોરેગાંવ ખાતે બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પુણેની ડેક્કન કૉલેજમાંથી શિક્ષણ લીધું અને ૧૯૦૧માં બી.એ.ની ડિગ્રી મેળવી હતી. શરૂમાં તેઓ શિક્ષક તરીકે કામ કરતા હતા, પરંતુ પછી તેઓ ગોપાલકૃષ્ણ ગોખલે દ્વારા સ્થાપિત ‘સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટી’માં ૧૯૦૯માં જોડાયા. ૧૯૧૧માં જોશીએ મુંબઈમાં ‘સોશિયલ સર્વિસ લીગ’ની સ્થાપના કરી. આ સંસ્થા ભૂકંપ, પૂર, રોગચાળો જેવી વિપદાઓમાં રાહત કામગીરી તેમજ ગરીબો માટે કલ્યાણકારી કામગીરી કરતી હતી. તેમણે શ્રમિક કલ્યાણ માટે અનેક કાયદાકીય સુધારાઓમાં ભાગ લીધો જેમાં ફૅક્ટરી ઍક્ટમાં સુધારાઓ, વર્કમૅન કૉમ્પેન્સેશન ઍક્ટ, ઇન્ડિયન ટ્રેડ યુનિયન ઍક્ટ, પેમેન્ટ ઑફ વેજેસ ઍક્ટ સામેલ છે. આ ઉપરાંત તેમણે ૧૯૧૯માં વિદેશમાં યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે ૧૯૨૦માં લાલા લાજપતરાય સાથે મળીને ‘ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ’(AITUC)ની સ્થાપના કરી હતી અને તેઓ ૧૯૨૫થી ૧૯૨૯ દરમિયાન સંગઠનના મહાસચિવ રહ્યા. આ ઉપરાંત તેઓ બૉમ્બે પ્રાંતીય કૉંગ્રેસ સમિતિના અને પીપલ્સ વૉલન્ટિયર બ્રિગેડના અગ્રણી સભ્ય પણ હતા. ૧૯૩૧માં તેમણે ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ છોડીને ‘ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન ફેડરેશન’ની સ્થાપના કરી. તેઓ એક સક્રિય લેખક અને પત્રકાર પણ હતા. તેમણે ‘જ્ઞાનપ્રકાશ’ અને ‘કામગાર સમાચાર’ નામનાં સાહિત્યિક અને શ્રમિક પત્રોનું સંપાદન કર્યું. તેમણે ૨૦ સપ્ટેમ્બર, ૧૯૨૨ના રોજ મજૂરો માટે ‘સહકારી મનોરંજન મંડળ’ની સ્થાપના કરી. ૧૯૩૦ અને ૧૯૩૨માં ગોળમેજી પરિષદમાં પણ તેમણે હાજરી આપી હતી. તેમના મહત્ત્વપૂર્ણ યોગદાનને લીધે ૧૯૮૦માં તેમના સન્માનમાં ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા એક સ્મારક ટપાલટિકિટ બહાર પાડવામાં આવી છે.

Categories
સાંપ્રત કાર્યક્રમો

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

વિષય : કાવ્યાસ્વાદ |

કાવ્ય : હળવે તે હાથે |

કવિ : માધવ રામાનુજ |

વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર |

12 જૂન 2025, ગુરુવાર |

સમય : સાંજના 5-00 |

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, રમેશપાર્કની બાજૂમાં

વિશ્વકોશમાર્ગ ઉસ્માનપુરા અમદાવાદ 380 013