Categories
વાચન સમૃદ્ધિ

સીસમ

દ્વિદળી વર્ગની, મજબૂત કાષ્ઠ ધરાવતી, શિંબી કુળની વૃક્ષ-સ્વરૂપ વનસ્પતિ.

સીસમનાં વૃક્ષો હિમાલયના નીચેના ભાગોમાં સહ્યાદ્રિ પર્વત ઉપર તેમ જ મલબાર વિસ્તારમાં વિશેષ જોવા મળે છે. તે ઉપરાંત પંજાબ, ઉત્તરપ્રદેશ અને આસામ રાજ્યમાં પણ તે પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. તે રસ્તાની બંને બાજુએ અને ચાના બગીચાઓમાં છાયાવૃક્ષ તરીકે ઉગાડવામાં આવે છે.

સીસમનું વૃક્ષ

સીસમનાં વૃક્ષો  ૨૪ મીટરથી ૩૦ મીટર સુધીની ઊંચાઈનાં અને ૨થી ૪ મીટરના ઘેરાવાવાળાં હોય છે. સીસમનું વૃક્ષ ચાલીસથી પચાસ વર્ષનું થતાં ખૂબ જ મજબૂત બની જાય છે. તેનું લાકડું લોખંડી મજબૂતાઈ ધરાવે છે. તે કાળા રંગનું અને ખૂબ જ મોંઘું હોય છે. આ લાકડાને વર્ષો સુધી સડો લાગતો નથી. તેનાં પાન સંયુક્ત પીંછાકાર હોય છે. દરેક પાન ૩ અથવા ૫ કે ૭ પર્ણિકાઓ ધરાવે છે. આ પર્ણિકાઓ અંડાકાર હોય છે. તેનાં પતંગિયાકાર પીળાં ફૂલો ૫થી ૭.૫ સેમી. લાંબાં હોય છે તેની શિંગો ચપટી, ૧૦ સેમી. લાંબી અને ૧.૨૫ સેમી. પહોળી હોય છે. ફૂલો અને શિંગો માર્ચ-એપ્રિલ મહિનામાં આવે છે. તેનો ઔષધિ તરીકે પણ ઉપયોગ થાય છે. આયુર્વેદ અનુસાર સીસમ કડવું, ચામડીનો રંગ સુધારનાર, બળદાયક તથા રુચિકર છે. તે પિત્ત, દાહ, સોજા, ઊલટી, હેડકી, કોઢ, અજીર્ણ, અતિસાર, મેદ અને કૃમિનો નાશ કરે છે. આ ઉપરાંત તાવમાં તેનો પાણી તથા દૂધમાં ક્વાથ બનાવી પીવામાં આવે છે. આંખના રોગોમાં પણ સપ્રમાણ માત્રામાં તેના પાનનો રસ મધ સાથે મેળવીને આંજવાથી ફાયદો થાય છે. સીસમનું કાષ્ઠ સાગ કરતાં વધારે મજબૂત, ભારે અને બરછટ હોય છે. તેનું અંદરનું કાષ્ઠ ટકાઉ હોય છે. તેનો ઉપયોગ ફર્નિચર અને કૅબિનેટ બનાવવામાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેની સ્થિતિસ્થાપક્તા અને ટકાઉપણાને લીધે તે બાંધકામમાં, પલંગના પાયાઓ, હીંચકો, ખુરસીઓ, હથોડીઓ, હૂકાની નળીઓ અને ચલમો બનાવવામાં વપરાય છે. તે કોતરકામ માટે શ્રેષ્ઠ ગણાય છે. તેના કાષ્ઠનો ઉપયોગ બળતણમાં કરવામાં આવે છે. સીસમનાં પાનનો ચારા તરીકે ઉપયોગ થાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

પંડિત પન્નાલાલ ઘોષ

જ. ૨૪ જુલાઈ, ૧૯૧૧ અ. ૨૦ એપ્રિલ, ૧૯૬૦

બાંસુરીવાદક, સંગીતનિર્દેશક પન્નાલાલ ઘોષનું મૂળ નામ અમલજ્યોતિ ઘોષ. સંગીતયાત્રા દરમિયાન પન્નાલાલના હુલામણા નામથી પ્રખ્યાત થયા. પિતા અક્ષયકુમાર ઘોષ સિતારવાદક હોવાને કારણે સંગીતશિક્ષણની શરૂઆત સિતારવાદનથી થઈ, પરંતુ બાંસુરી પ્રત્યેના અનોખા આકર્ષણને કારણે તેઓ બાંસુરીવાદન તરફ ઢળ્યા. માતા સુકુમારી પણ શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા હતાં. પન્નાલાલ ઘોષને બાંસુરીના પિતા ગણવામાં આવે છે. બાંસુરીને લોકવાદ્યમાંથી શાસ્ત્રીય વાદ્યોમાં તેમણે સ્થાન અપાવ્યું. તેઓ અલ્લાઉદ્દીન ખાનસાહેબના શિષ્ય હતા. પ્રાથમિક સંગીતનું શિક્ષણ ખુશી મહોમદ ખાન તેમજ ગિરિજાશંકર ચક્રવર્તી પાસે પ્રાપ્ત કર્યું હતું. કૉલકાતાના ન્યૂ થિયેટર્સમાં થોડાં વર્ષો સંગીતનિર્દેશક તેમજ સહાયક તરીકે કામ કર્યું. ૧૯૪૦માં તેઓ મુંબઈ સ્થાયી થયા. ‘સ્નેહબંધન’ ફિલ્મમાં સંગીતનિર્દેશન કરીને ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. પછી અનેક ફિલ્મોમાં બાંસુરીવાદન પણ કર્યું. ‘આંધિયાં’ ફિલ્મમાં પં. રવિશંકર તેમજ અલી અકબર ખાન સાથે સંયુક્ત રીતે સંગીત તૈયાર કર્યું. બાંસુરીની બનાવટમાં ક્રિયાત્મકતા અને કલાત્મકતા સાથે અનેક પ્રયોગો કર્યા, જેમાં વિવિધ ધાતુ તથા વિવિધ લાકડાના ઉપયોગ કર્યા. ૩૨ ઇંચ લાંબી વાંસની બાંસુરી તૈયાર કરી. જેનો કર્ણમધુર નાદ સંગીતપ્રેમીઓ માટે અમૂલ્ય ભેટ બની રહ્યો. એક સંગીતકાર હોવાની સાથે તેઓ નિષ્ઠાવાન દેશપ્રેમી હતા. કિશોર અને યુવાન વયે આઝાદીની અનેક ચળવળોમાં તેઓ સક્રિય રહ્યા હતા. તેમનાં પત્ની પારુલ (બિસ્વાસ) ઘોષ સંગીતકાર અનિલ બિસ્વાસનાં નાનાં બહેન હતાં. પન્નાલાલના દોહિત્ર આનંદ મુરદેશ્વરનું પણ બાંસુરીવાદનક્ષેત્રે ઘણું મોટું યોગદાન છે. નવી દિલ્હીમાં ૪૯ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં પંડિત પન્નાલાલ ઘોષનું નામ સદા અમર ગણાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

પોપટને પાંજરું જ વહાલું લાગશે

વ્યક્તિને સૌથી મોટો ભય છે કારાગૃહ રચી આપનારા ગુરુઓથી. આ ગુરુ તમને એક સુવિધાયુક્ત કેદખાનું રચી આપશે, જેની આસપાસ એમની વાણી, એમના ગ્રંથો અને એમની વિચારધારાની દીવાલો ચણશે. એમનો હેતુ તો તમને એ જ સૂર્યપ્રકાશ બનાવવાનો છે, જેને તેઓ સૂર્યપ્રકાશ માને છે. એ જ રાતનો અનુભવ કરાવવો છે, જેમાં એમને અંધકાર ભાસે છે. આ કારાગૃહમાં સળિયા નથી કે જેથી તમે બહારનું જગત જોઈ શકો. આ કારાગૃહમાં ચોતરફ એમણે રચેલી રૂઢિચુસ્તતાની દીવાલો છે, જેમાં રક્ષક બનીને તેઓ એની આસપાસ ઘૂમી રહ્યા છે. આમાંથી મુક્ત થવાનો વિચાર કરવો તે મહાપાપ કહેવાય તેમ ઠસાવી દેવામાં આવશે. થોડું મૌલિક વિચારશો, તો તમને પ્રગતિશીલ કહીને હળવી ઉપેક્ષા આપશે કે નાસ્તિક કહીને તમારા પર પ્રહાર કરશે. એમ છતાં મુક્તિ માગશો તો રૂઢિ, પરંપરા અને નરકનો મહા ભય બતાવશે. પાંજરામાં વસતો પોપટ એનાથી એટલો ટેવાઈ જાય છે કે એ પાછો પાંજરામાં જ આવી જાય, તેમ કેદખાનાના વાસીઓને આ કારાગૃહ કોઠે પડી જશે. મુક્ત ગગનમાં ઊડીને ભોજનની શોધ કરવાને બદલે આ કારાગૃહના ગુલામ પોપટને કારાગૃહનું તૈયાર ભોજન ભાવી જશે. અન્ય શસ્ત્રો તરફ તમને સૂગ પેદા કરશે અને અન્ય જ્ઞાન પ્રત્યે તમારી આંખે પાટા બાંધશે. સમય જતાં આ કારાગૃહમાં જ સુરક્ષા લાગશે, તેથી બહારની મુક્તિ વિચારની દુનિયાને બદલે આ ગુલામી જ સુખરૂપ લાગવા માંડશે. આવા કોઈ જાતના, રૂઢિના, સંપ્રદાયના, ગુરુના કે અમુક ખ્યાલના કારાગૃહમાં આપ કેદ નથી ને ? તે સ્વયંને જ પૂછવું પડે !