Categories
વાચન સમૃદ્ધિ

સિંધુ-ગંગાનાં મેદાનો (Indo-Gangetic Plains)

સિંધુ-ગંગા તથા તેમની સહાયક નદીઓના કાંપથી બનેલાં, વિશાળ વિસ્તાર આવરી લેતાં મેદાનો.

તે પશ્ચિમે સિંધુના ત્રિકોણપ્રદેશથી શરૂ થઈને ઉત્તરે ઉત્તરાખંડ સુધી વિસ્તરીને પૂર્વ તરફ ગંગા-બ્રહ્મપુત્રના ત્રિકોણપ્રદેશ સુધી પથરાયેલાં છે. તેમની ઉત્તર કિનારી હિમાલયની દક્ષિણ ધાર હેઠળ અને દક્ષિણ કિનારી વિંધ્ય પર્વતોના ઢોળાવ હેઠળ દબાયેલી છે. સિંધનો મોટો ભાગ, ઉત્તર રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને પૂર્વોત્તર રાજ્યોના ઉત્તર વિભાગને આવરી લેતાં આ મેદાનોનું ક્ષેત્રફળ ૭,૭૭,૦૦૦ ચોકિમી. જેટલું છે. પહોળાઈમાં તે પશ્ચિમ ભાગમાં વધુમાં વધુ ૫૦૦ કિમી.થી માંડીને ૧૫૦ કિમી. કરતાં ઓછી પહોળાઈ સુધી બદલાતાં રહે છે. તેમનો તળભાગ સમતળ નથી, પરંતુ ઊંચાણ-નીચાણ ધરાવે છે, તળના સ્થળદૃશ્યનો ઢોળાવ ઉત્તરતરફી છે. તળભાગમાં બે ડુંગરધારો દટાયેલી છે : એક, દિલ્હી-હરદ્વાર વચ્ચે અરવલ્લીની વિસ્તરણ દિશામાં, બીજી, દિલ્હીથી સૉલ્ટ-રેન્જ સુધી વાયવ્ય દિશા તરફ પંજાબના કાંપ હેઠળ રહેલી છે. કાંપની ઊંડાઈ ઉત્તર સીમા તરફ આશરે ૪,૬૦૦ મીટરની જ્યારે દક્ષિણ ધાર નજીક સ્થળભેદે ૧૦૦ મીટરથી ૪૦૦ મીટર જેટલી હોવાનું જણાયું છે; કાંપની મહત્તમ ઊંડાઈ દિલ્હી અને રાજમહાલ ટેકરીઓ વચ્ચે છે, જ્યારે રાજસ્થાન અને રાજમહાલ વચ્ચે કાંપનિક્ષેપો છીછરા છે.

સિંધુ-ગંગાનાં મેદાનોનો એક ભાગ

ઉત્પત્તિ-સ્થિતિ : દ્વીપકલ્પીય ભારત અને હિમાલય વચ્ચે રહેલા આ ત્રીજા પ્રાકૃતિક વિભાગની ઉત્પત્તિ હિમાલયના ઉત્થાનના મુખ્ય ત્રણ (કુલ પાંચ) તબક્કાઓ સાથે સંકળાયેલી છે, ઉત્થાનના તબક્કાઓની સાથે સાથે સંતુલન-જાળવણી અર્થે તે ગર્ત સ્વરૂપે ક્રમશ: દબાતો ગયેલો છે. ગર્તસ્વરૂપી આ થાળું (trough) ત્યારબાદ, નદીઓના કાંપથી પુરાતું ગયેલું છે અને વર્તમાન સ્થિતિ પ્રાપ્ત કરેલી છે, આજે પણ જમાવટની ક્રિયા ચાલુ છે. કાંપ ઠલવાતો જાય છે, ઘસાતો જાય છે, ધોવાણ થતું જાય છે અને બંને તરફના સમુદ્રોના તળ પર પણ કાંપની જમાવટની ક્રિયા ચાલુ છે. ઐતિહાસિક અને કૃષિવિષયક દૃષ્ટિએ તે મહત્ત્વનો વિસ્તાર હોવા છતાં ભૂસ્તરીય દૃષ્ટિએ તેનું ખાસ મહત્ત્વ નથી. ભારતના લાંબા ભૂસ્તરીય ઇતિહાસના સંદર્ભમાં તે હજી હમણાં બનેલી ઘટના ગણાય છે. ભૂસ્તરવિદોમાં આ મેદાનની ઉત્પત્તિની રચનાત્મક આકારિકી માટે બે મત પ્રવર્તે છે: એક મત મુજબ, તે હિમાલયની દક્ષિણે તૈયાર થયેલું  અગ્ર ઊંડાણ (foredeep) છે; જ્યારે બીજા મત મુજબ, તે ફાટખીણ (rift valley) પ્રકારનું રચનાત્મક લક્ષણ છે. તેની બંને બાજુ બે સમાંતર સ્તરભંગો આવેલા છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિંધુ-ગંગાનાં મેદાનો, પૃ. ૨૦9)

Categories
વાચન સમૃદ્ધિ

નિરંજન મનુભાઈ ત્રિવેદી

જ. ૮ જુલાઈ, ૧૯૩૮ અ. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨

ગુજરાતી સાહિત્યના હાસ્યલેખક નિરંજન ત્રિવેદીનો જન્મ સાવરકુંડલામાં થયો હતો. મૂળ વઢવાણના વતની નિરંજનભાઈનો ઉછેર અમદાવાદમાં રાયપુર-ખાડિયામાં થયો હતો. તેમનું શાળેય શિક્ષણ અમદાવાદમાં થયું હતું. તેમણે બી.એ. અને એલએલ.બી.ની પદવી પણ અમદાવાદમાં જ મેળવી હતી. તેમણે પત્રકારત્વમાં ડિપ્લોમાની ડિગ્રી મેળવી હતી. બાળપણથી જ તેમને વાચન અને સંગીતનો શોખ હતો. ખાડિયામાં પંડિત દામોદર શાસ્ત્રી જુદા જુદા રાગમાં ચોપાઈ સંભળાવતા. આથી એમનામાં શાસ્ત્રીય રાગોની સમજ વિકસી. તેમના પિતાને પણ સંગીતનો શોખ હતો. તેઓ પોતે હાર્મોનિયમ વગાડતા. નિરંજનભાઈ ભાઈશંકર નાનાલાલ લાઇબ્રેરીમાં વાંચવા જતા. સાંજ પડે ત્યાં સુધી વાંચતા. ક્યારેક તો લાઇબ્રેરી બંધ કરવાનો સમય થાય ત્યારે ચોકીદાર તેમને પકડીને ઊભા કરે ત્યારે ત્યાંથી નીકળતા. તેમણે થોડો સમય મિલમાં કામ કર્યું. શરૂઆતમાં મિલમાં મિલમજૂર તરીકે બદલી ભરતા. પછી ઇલેક્ટ્રિક ખાતામાં કૂલી તરીકે કામ કર્યું. એ પછી પશુપાલન ખાતામાં ક્લાર્કની નોકરી મળી. એ પછી સેન્ટ્રલ બૅન્કમાં જોડાયા. બૅન્કના ઇન્ટરવ્યૂ વખતે એમની સેન્સ ઑવ્ હ્યુમર કામ આવી અને નિમણૂક થઈ. બૅન્કમાં ફિલ્ડ ઑફિસરમાંથી મૅનેજર બન્યા. તેમના વિનોદભર્યા અને આત્મીયતાસભર સ્વભાવને કારણે તેઓ બધાંના પ્રિય બની રહ્યા. તેઓ પોતાને એન.આર.કે. એટલે કે નૉન રેસિડન્ટ કાઠિયાવાડી કહેવામાં ગર્વ અનુભવતા. તેઓ કહેતા કે જો હું મારી આત્મકથા લખીશ તો તેનું શીર્ષક ‘મજૂરથી મૅનેજર’ રાખીશ, પરંતુ કમનસીબે તેમની પાસેથી આત્મકથાનું પુસ્તક પ્રાપ્ત થયું નહીં. બાળક જેવા નિર્દોષ, સદાય પ્રસન્ન અને ઓછા શબ્દોમાં કટાક્ષ દ્વારા સર્જન કરનાર નિરંજન ત્રિવેદીએ વર્તમાનપત્રમાં ‘અવળીગંગા’ કટારલેખન કર્યું હતું. ‘વ્યંગાવલોકન યાને…’, ‘પહેલું સુખ તે જાતે હસ્યા’, ‘નીરખ નિરંજન’, ‘સરવાળે ભાગાકાર’, ‘કોના બાપની હોળી’, ‘માર ખાયે સૈયા હમારો’ સહિત દસેક પુસ્તકો તેમણે આપ્યાં છે. ‘સરવાળે ભાગાકાર’ પુસ્તકનો દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના એસ.વાય.બી.એ.માં પાઠ્યપુસ્તક તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. તેમનાં ચાર પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તેમને જ્યોતીન્દ્ર દવે પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સામે ચાલીને થતી આત્મહત્યા

માણસ કેવી ભિન્ન પ્રકારની આત્મહત્યા કરી રહ્યો છે ? આ એવી આત્મહત્યા છે કે જ્યાં માણસ સાતમા માળેથી નીચે ઝંપલાવતો નથી કે ગળે ફાંસો દઈને યા ઝેર પીને જીવન ટૂંકાવતો નથી. માણસ પોતે પોતાની આત્મહત્યા કરતો હોય છે અને એ આત્મહત્યા છે એના ભીતરમાં રહેલા શક્તિસામર્થ્યની. મનુષ્ય અપાર શક્તિનો ખજાનો છે, પરંતુ એ ખજાનાનો એ સદ્વ્યય કરે છે કે દુર્વ્યય કરે છે એ જોવું જરૂરી છે. એની પાસે વિચારની શક્તિ છે, પરંતુ એનો ઉપયોગ ખોટા, મલિન અને અનૈતિક વિચારોમાં કરતો હોય છે. એની પાસે ધારદાર તર્કની તાકાત છે, પરંતુ એ તર્કનો ઉપયોગ પોતાની જાતને પ્રગતિને પંથે લઈ જવાને બદલે બીજાની વાતના અવરોધ માટે કરે છે. એની પાસે અદભુત એવી કલ્પનાશક્તિ છે, પરંતુ એ માત્ર શેખચલ્લીનાં સ્વપ્નાંમાં એને ખર્ચતો હોય છે. એની શક્તિના ખજાનામાં તીક્ષ્ણ બુદ્ધિ છે, પરંતુ એ બુદ્ધિનો ઉપયોગ વાદ-વિવાદ કે ચર્ચામાં કરતો હોય છે. એની પાસે દૃઢ સિદ્ધાંત કે મૂલ્યનિષ્ઠા હોય છે, પરંતુ એ દૃઢ સિદ્ધાંતને જડ-સિદ્ધાંતમાં ફેરવી નાખે છે અને મૂલ્યનિષ્ઠાને અંધ માન્યતામાં પલટી નાખે છે. એ વસવસો કરે છે કે જમાનો કેવો બદલાઈ ગયો છે ! પણ હકીકતમાં તો એને બદલાવાનું હોય છે. કાળ અને સ્થળ પ્રમાણે વ્યક્તિએ એના વિચારને બદલવા પડે છે, પરંતુ બને છે એવું કે વ્યક્તિ પોતાની શક્તિ પોતાના જડ વિચારો, અંધ માન્યતાઓ અને મરી પરવારેલાં મૂલ્યોને જાળવવા માટે વાપરે છે અને એ રીતે પોતાની શક્તિની સામે ચાલીને આત્મહત્યા કરે છે. આંતરસમૃદ્ધિની આવી આત્મહત્યા માનવ-દરિદ્રતામાં વૃદ્ધિ કરે છે.