જ. ૬ જૂન, ૧૮૯૦ અ. ૫ ઑગસ્ટ, ૧૯૫૦

આસામના પ્રથમ મુખ્યમંત્રી, ભારતીય રાજનેતા અને સ્વાતંત્ર્યસેનાની ગોપીનાથ બારદોલાઈનો જન્મ રાહા, ગુવાહાટી, આસામમાં થયો હતો. પિતાનું નામ બુદ્ધેશ્વર અને માતાનું નામ પરમેશ્વરી હતું. ગોપીનાથ જ્યારે ૧૨ વર્ષના હતા ત્યારે જ એમનાં માતાનું અવસાન થયું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ રાહા અને માધ્યમિક શિક્ષણ ગુવાહાટીમાં લીધુ. કૉલેજશિક્ષણ કૉલકાતામાં લઈ ૧૯૧૨માં સ્નાતક થયા. અનુસ્નાતકની પદવી હાંસલ કરી કાયદાની વિદ્યાશાખાના સ્નાતક બન્યા. ૧૯૧૭માં ગુવાહાટી બારમાં જોડાયા. ગોપાલપારા જિલ્લામાં ચારિયાણ જમીન ઉપર સરકારે વેરો નાંખતાં ખેડૂતોએ તેનો વિરોધ કર્યો ત્યારે તેમને પક્ષે રહી સરકાર વિરુદ્ધ તેઓ કેસ લડ્યા અને એ રીતે જાહેરજીવનના શ્રીગણેશ કર્યા. આ સમયગાળા દરમિયાન આસામ ઍસોસિયેશન આસામનું એકમાત્ર રાજકીય સંગઠન હતું. ૧૯૨૧માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની શાખા તરીકે આસામ કૉંગ્રેસની રચના કરવામાં આવી હતી. ગોપીનાથ તેમાં સ્વયંસેવક તરીકે જોડાયા અને તેમનું રાજકીય જીવન શરૂ થયું. ગાંધીજીના પ્રભાવ હેઠળ અસહકાર ચળવળમાં સક્રિયપણે ભાગ લેવા બદલ કારાવાસ પણ ભોગવ્યો. ૧૯૩૭થી આસામ વિધાનસભાના સભ્ય અને કૉંગ્રેસ પક્ષના નેતા રહ્યા. સપ્ટેમ્બર, ૧૯૩૮થી નવેમ્બર ૧૯૩૯ સુધી તેઓ આસામની મિશ્ર સરકારના મુખ્યપ્રધાન રહ્યા અને બીજા વિશ્વયુદ્ધને કારણે પદત્યાગ કર્યો. ‘હિંદ છોડો’ લડતમાં ભાગ લેવાને કારણે ફરી જેલવાસ ભોગવ્યો. સફળ વહીવટદાર તરીકે યશસ્વી કામગીરી બજાવી પ્રજાલક્ષી કામો કર્યાં અને ચાહના પામ્યા. આઝાદ ભારતની બંધારણસભાના સભ્ય તરીકે તેમણે કામગીરી બજાવી. આદિવાસીઓના ઉત્કર્ષ માટે પણ ખૂબ કામ કર્યાં. ખાદીના પ્રચારાર્થે સાઇકલ પર ગામેગામ પ્રવાસ કરી તેની ઉપયોગિતા સમજાવી. અફીણ-બંધીના કાર્યક્રમનો અમલ કરાવ્યો. આઝાદી બાદ ગુવાહાટીમાં વડી અદાલતની રચના કરી. યુનિવર્સિટીની સ્થાપના કરી. તે ઉપરાંત ઇજનેરી કૉલેજ, સંગ્રહાલય, પોલીસ ટ્રેનિંગ કૉલેજ, ફૉરેસ્ટ ટ્રેનિંગ કૉલેજ, સહકારી સંસ્થાઓ માટેની ટ્રેનિંગ કૉલેજ સ્થાપી આસામના સર્વાંગી વિકાસ માટેનું વાતાવરણ રચ્યું જે બદલ પ્રજાએ તેમને ‘લોકપ્રિય’ના બિરુદથી સન્માન્યા. ૧૯૯૯માં મરણોત્તર ‘ભારતરત્ન’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.
અમલા પરીખ