Categories
વાચન સમૃદ્ધિ

રુડ્યાર્ડ કિપ્લિંગ

જ. 30 ડિસેમ્બર, 1865 અ. 18 જાન્યુઆરી, 1936

અંગ્રેજ કવિ, નવલકથાકાર અને વાર્તાકાર રુડ્યાર્ડ કિપ્લિંગનો જન્મ મુંબઈમાં થયો હતો. ઓગણીસમી સદીના અંગ્રેજ કથા- સર્જકોમાં તેઓ આગવું સ્થાન ધરાવે છે. પિતા જ્હોન કિપ્લિંગ અને માતા ઍલિસ કિપ્લિંગ. પિતા તે સમયે મુંબઈ યુનિવર્સિટીના પુરાતત્ત્વ વિભાગના વડા હતા. રુડ્યાર્ડ કિપ્લિંગે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઇંગ્લૅન્ડમાં લીધું. ઉચ્ચશિક્ષણ મેળવવા યુનાઇટેડ સર્વિસીઝ કૉલેજ, વેસ્ટવર્ડ હો ખાતે પ્રવેશ મેળવ્યો, પરંતુ સ્નાતકની પદવી મેળવવામાં રુચિ ન રહેતાં પત્રકારત્વ ક્ષેત્રે ઝંપલાવ્યું. તે સમયે પિતા લાહોરમાં હતા આથી 1882માં સ્થાનિક સમાચારપત્ર સિવિલ અને ગૅઝેટના મદદનીશ તંત્રીપદે જોડાયા ત્યારથી તેમની સાહિત્યજીવનની શરૂઆત થઈ. 1886માં પહેલો કાવ્યસંગ્રહ ‘ડિપાર્ટમેન્ટલ ડિટ્ટિસ’ પ્રકાશિત કર્યો. 1887 સુધીમાં 39 વાર્તાઓ ગૅઝેટ માટે લખી. 1887ના નવેમ્બરમાં કિપ્લિંગની બદલી અલાહાબાદમાં થઈ. ત્યાં તેઓ ‘ધ પાયોનિયર’ નામના સમાચારપત્ર સાથે જોડાયા. 1888માં ટૂંકી વાર્તાઓના છ સંગ્રહો બહાર પાડ્યા, તેમાં 41 વાર્તાઓ હતી. 1891ના પાછળના ભાગમાં અંગ્રેજો ભારતમાં હતા ત્યારની વાર્તા ‘લાઇફ્સ હૅન્ડિકૅપ’માં લખી. ‘રિસેશનલ’ કાવ્યથી તેમની કીર્તિ ખૂબ વધી. 1932માં તેમણે આત્મકથાનક ‘સમથિંગ ઑવ્ માયસેલ્ફ’ લખ્યું. તેમની સૌથી લોકપ્રિય બનેલી કૃતિ તે 1894 અને 1895માં બે ભાગમાં લખાયેલી ‘જંગલબુક’ તેમાં પશુપક્ષીઓના દૃષ્ટાંતથી તેમણે બાળકોને શિષ્ટ વાંચન પૂરું પાડ્યું છે. બીજું એક લોકપ્રિય સર્જન ‘કીમ’ છે. તે તેમની શ્રેષ્ઠ નવલકથા છે. તેમાં કુમારજીવનનાં સાહસોથી ભરેલી રસિક વાતો છે. તે વિશ્વસાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. તેઓ પ્રખર રાષ્ટ્રવાદી હતા. બ્રિટિશ સામ્રાજ્યના પ્રશંસક હોવા છતાં એકહથ્થુ સત્તાની આલોચના કરતા. 1907માં તેમને સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તે મેળવનાર તેઓ પ્રથમ અંગ્રેજ સાહિત્યકાર હતા. 1936માં તેઓ લંડનમાં અવસાન પામ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

તાપી (નદી)

પશ્ચિમ ભારત અને ગુજરાતની એક મોટી નદી. પુરાણકથા મુજબ ‘તાપી’ શબ્દ સૂર્યપુત્રી ‘તપતી’ પરથી ઊતરી આવ્યો છે. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં મહાદેવની ટેકરીઓમાં આવેલ એક સરોવરમાંથી તે નીકળે છે. તેની કુલ લંબાઈ 752 કિમી તથા સ્રાવ વિસ્તાર 75,000 ચોકિમી. છે. અતિવૃષ્ટિના સમયમાં દર કલાકે તે 9,12,00,000 ક્યૂબિક મીટર અને સૂકી ઋતુ દરમિયાન 19,000 ક્યૂબિક મીટર પાણી સમુદ્રમાં ઠાલવે છે. ઉદ્ગમથી સમુદ્ર સુધી તેના પ્રવાહમાર્ગને ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) ઉદ્ગમથી મહારાષ્ટ્રના ખાનદેશમાં પ્રવેશે છે ત્યાં સુધીના 250 કિમીનો વિસ્તાર. (2) ખાનદેશમાં 280 કિમી. વિસ્તાર સુધીનો વિસ્તાર. (3) ખડકાળ પ્રદેશમાં થઈ તે ગુજરાતના નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશે છે તે 80 કિમી.નો વિસ્તાર તથા (4) સૂરતના ફળદ્રૂપ મેદાનમાં થઈ 144 કિમી.ના પ્રવાસ બાદ સમુદ્રને મળે છે તે વિસ્તાર.

સૂરતમાં તાપી નદી

ખાનદેશના વિસ્તારમાં નદીના મેદાનની રચના, સમુદ્રસપાટીથી 210થી 225 મી.ની ઊંચાઈ પર થઈ છે. પૂર્ણા, વાઘુર, ગીરના, બોરી, પુનઝરા અને શિવા નામની ઉપનદીઓ અહીં તાપીને મળે છે. ખાનદેશમાં તાપીનો અંતિમ 32 કિમી.નો પ્રવાહ સહ્યાદ્રિ-સાતપુડાની ટેકરીઓમાંથી પસાર થાય છે અને પથરાળ વિસ્તારમાંથી માર્ગ કાઢી જળપ્રપાતની રચના કરતો તે આગળ વધે છે. ગુજરાતમાં તે જ્યાં પ્રવેશે છે તે સ્થળ ‘હરણફાળ’ તરીકે ઓળખાય છે. કાકરાપાર સુધી પૂર્વના ડુંગરાળ પ્રદેશમાં વહી તે સમુદ્રને મળતાં પહેલાં દક્ષિણ ગુજરાતના મેદાનમાં પહોળા ‘સર્પાકાર’ વહનમાર્ગો બનાવે છે. તાપીના મુખથી ઉપરવાસમાં 45 કિમી. સુધી દરિયાઈ ભરતીની અસરને લીધે તેના વહનમાર્ગમાં માટીના દળદાર સ્તરોનો નિક્ષેપ થયેલો જોવા મળે છે. લાવાયિક ખડકોને ઘસીને તે ખડક કણોને પોતાની સાથે ઘસડી લાવી, ગુજરાતના મેદાનમાં નિક્ષેપ કરી કાળી કાંપની જમીનની રચના કરે છે. તેના માર્ગમાં વાધેચા જળપ્રપાત પાસે કાંપના નિક્ષેપથી નાના નાના બેટની રચના થાય છે. જે ઝાડી-ઝાંખરાંથી છવાયેલા છે. અવારનવાર પૂરનાં પાણી તેના પર ફરી વળે છે. આવો એક મોટો બેટ સૂરતથી લગભગ 8 કિમી. દૂર આવેલ છે. તાપીનો થાળાવિસ્તાર 1395 ચોકિમી. અને સ્રાવક્ષેત્ર 60,415 ચોકિમી. છે. ભૂતકાળમાં તાપીના મુખમાં વહાણો પ્રવેશી શકતાં હોવાથી સૂરત ઐતિહાસિક રીતે એક પ્રખ્યાત બંદર બન્યું હતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તાપી, પૃ. 790 અથવા જુઓ https://gujarativishwakosh.org/તાપી/)

Categories
વાચન સમૃદ્ધિ

રામાનંદ સાગર

જ. 29 ડિસેમ્બર, 1917 અ. 12 ડિસેમ્બર, 2005

ફિલ્મ અને ટીવી સિરિયલ ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક, પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક રામાનંદ સાગરનું મૂળ નામ તો ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું હતું. પિતા દીનાનાથ ચોપરા સાહિત્યકાર હોવાથી બાળપણથી જ રામાનંદ પર સાહિત્યસર્જનના સંસ્કાર પડેલા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લાહોર ખાતે અને ઉચ્ચશિક્ષણ તેમણે શ્રીનગરની કૉલેજમાંથી પ્રાપ્ત કર્યું હતું. સંસ્કૃત વિષય સાથે પંજાબ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી તેમણે સુવર્ણચંદ્રક સાથે પ્રાપ્ત કરી હતી અને પર્શિયન વિષયમાં સર્વાધિક ગુણ મેળવી ‘મુનશી ફઝલ’ નામની પદવી પણ હાંસલ કરી હતી. દહેજપ્રથાનો વિરોધ કરવાના કારણસર રામાનંદ સાગરને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, તેથી ભરણપોષણના સાધન તરીકે તેમણે પટાવાળા, ટ્રક-ક્લીનર અને સાબુના વિક્રેતા તરીકે પણ કામગીરી કરી હતી. રાત્રિના સમયે ભણવાનું ચાલુ રાખી એ જ સમયમાં ‘ડાયરી ઑવ્ અ ટીબી પેશન્ટ’ નામે એક સર્જનકથા લખી, જે ‘અદલ-એ-મશરિક’ નામના તત્કાલીન જાણીતા સામયિકમાં હપતાવાર પ્રસિદ્ધ થઈ હતી જે તેમની પ્રથમ કૃતિ તરીકે ખૂબ લોકપ્રિય નીવડી. રામાનંદ સાગર શરૂઆતમાં ‘દૈનિક પ્રતાપ’ અને ત્યારબાદ ‘દૈનિક મિલાપ’માં જોડાયા હતા. 1948માં તેમની નવલકથા ‘ઔર ઇન્સાન મર ગયા’ પ્રકાશિત થઈ, જે ખૂબ લોકપ્રિય બનેલી. 1951માં તેમણે સાગર આર્ટસ’ની સ્થાપના કરી અને તેના નેજા હેઠળ 1951થી 1985ના ગાળામાં તેમણે 50 ચલચિત્રોનું નિર્માણ કર્યું. ગુજરાતી ફિલ્મ ‘વીર માંગડાવાળો’નું નિર્માણ તેમણે કર્યું હતું. દૂરદર્શન પર સળંગ 71 હપતામાં પ્રદર્શિત થયેલી દૃશ્ય-શ્રાવ્ય શ્રેણી ‘રામાયણ’ (1986-88) દેશ-વિદેશના કરોડો લોકોએ નિહાળી અને ખૂબ લોકપ્રિય રહી. ભારત સરકારે 2001માં તેમને પદ્મશ્રીથી નવાજ્યા હતા અને જમ્મુ યુનિવર્સિટીએ તેમને માનદ્ ડૉક્ટરેટની પદવી પણ અર્પણ કરી હતી.