જ. ૧૯ જૂન, ૧૯૧૫ અ. ૧૪ નવેમ્બર, ૨૦૦૨

લગભગ ૫૦ વર્ષ સુધી પોતાનું જીવન મહિલાકલ્યાણની પ્રવૃત્તિઓ માટે સમર્પિત કરનાર નિષ્ઠાવાન કાર્યકર મંજુલાબહેનનો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતા મણિશંકર રાવલ જામનગરની નવાનગર હાઈસ્કૂલમાં આચાર્ય હતા. ૧૯૩૧માં મૅટ્રિક થયા પછી તેમનાં લગ્ન ધ્રાંગધ્રાના જયંતભાઈ દેવશંકર દવે સાથે થયેલાં શ્વશુરગૃહે આવીને તેમણે સમાજસુધારાની શરૂઆત કરેલી. સૌની સંમતિ મેળવીને તેમણે લાજ કાઢવાની પ્રથા દૂર કરેલી. ૧૯૩૯માં અડ્યાર, ચેન્નાઈ જઈને મૉન્ટેસોરી પદ્ધતિનું શિક્ષણ મેળવેલું. ૧૯૪૭માં જામનગરની આર્યકન્યા વિદ્યાલયનાં પ્રથમ આચાર્ય તરીકે છ માસ રહેલાં. ૧૯૫૪-૫૫માં તેમણે એસએનડીટી યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવેલી. ૧૯૪૮માં સ્વતંત્ર સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન ઢેબરભાઈની રાહબરી હેઠળ તેમણે સ્ત્રી-કલ્યાણનાં અનેક કાર્યોમાં આગળ પડતી ભૂમિકા ભજવી હતી. તે જ વર્ષે જામનગરમાં મહિલામંડળની સ્થાપના થઈ. સરકાર અને દાનવીર શેઠ મેઘજી પેથરાજ શાહના દાનથી બીજી ઑક્ટોબર, ૧૯૫૭ના દિવસે જામનગરમાં ‘કસ્તૂરબા સ્ત્રી વિકાસગૃહ’ની સ્થાપના કરવામાં આવી. કસ્તૂરબા સ્ત્રી વિકાસગૃહને નિષ્ઠાવાન, કાર્યદક્ષ અને સેવાભાવી કાર્યકરો મળ્યા જેમાં મંજુલાબહેન દવે સૌથી મોખરે રહ્યાં. તેના મંત્રી અને પ્રમુખસ્થાને રહીને તેમણે ૩૭ વિભાગો વિકસાવેલા. ૧૯૫૭થી ૧૯૬૭ સુધી વિધાનસભાનાં સભ્ય હતાં. તેમણે કેન્દ્રીય સમાજકલ્યાણ બોર્ડની યોજના હેઠળ જામનગર જિલ્લાનાં ગામડાંઓમાં મહિલા તથા બાલકલ્યાણની અનેક પ્રવૃત્તિઓ કરી હતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી તેમને અનેક પુરસ્કારો તથા ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ૧૯૮૩માં કસ્તૂરબા સ્ત્રી વિકાસગૃહ સંસ્થાને ગુજરાત સરકાર તરફથી બાલકલ્યાણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ સેવા માટેનો પુરસ્કાર આપવામાં આવેલો. તે ઉપરાંત ૧૯૮૯માં તેમને મહિલા સુરક્ષા પુરસ્કાર, ૧૯૯૨માં નારી સમાજસેવાનો યંગમૅન્સ ગાંધિયન ઍસોસિયેશન ઍવૉર્ડ તથા ૨૦૦૦માં ગ્રામસમાજ સેવા ટ્રસ્ટ(પાટડી)ના પુરસ્કારો મળ્યા હતા.
અમલા પરીખ