Categories
વાચન સમૃદ્ધિ

પી. એન. પણિક્કર

જ. 1 માર્ચ, 1909 અ. 19 જૂન, 1995

કેરળમાં પુસ્તકાલય ચળવળના પિતા પી. એન. પણિક્કરનું મૂળ નામ પુથુવાયિલ નારાયણ પણિક્કર હતું. તેમનો જન્મ ભારતના નીલમપેરૂર ખાતે પિતા ગોવિંદ પિલ્લઈ અને માતા જાનકી અમ્માને ત્યાં નાયર પરિવારમાં થયો હતો. પણિક્કરને વર્તમાનપત્રો અને પુસ્તકો વાંચવાનો શોખ બાળપણથી જ હતો. વાંચી કે લખી શકતા ન હોય તેવા લોકોને તેઓ વાંચી સંભળાવતા. તેઓ શિક્ષક હતા અને સમાજ પર તેમનો પ્રભાવ હતો. 1926માં તેમણે તેમના વતનમાં સનાદનધર્મમ્ પુસ્તકાલય શરૂ કર્યું. 1945માં માત્ર 47 ગ્રામીણ પુસ્તકાલયોના પ્રારંભિક નેટવર્ક સાથે તેમણે તિરુવિથામકુર ગ્રંથશાળા સંઘમ્(ત્રાવણકોર પુસ્તકાલય સંગઠન)ની રચનાનું નેતૃત્વ કર્યું. સંગઠનનું સૂત્ર ‘વાંચો અને વધો’ (Read and Graw) હતું. પછીથી 1956માં કેરળ રાજ્યની રચના સાથે તે કેરળ ગ્રંથશાળા સંઘમ્ બન્યું. તેમણે કેરળનાં ગામડાંઓમાં પ્રવાસ કરીને વાંચનના મૂલ્યનો પ્રચાર કર્યો. તેમના 32 વર્ષના કાર્યકાળ દરમિયાન 6000 પુસ્તકાલયોને આ નેટવર્કમાં લાવવામાં તેઓ સફળ થયા. 1975માં ગ્રંથશાળા સંઘમને યુનેસ્કો તરફથી ‘કૃપ્સકાયા’ (Krupsakaya) ઍવૉર્ડ મળ્યો. 1977માં ગ્રંથશાળા સંઘમને રાજ્ય સરકારે પોતાના હસ્તક લેતાં તે કેરળ રાજ્ય પુસ્તકાલય પરિષદ બન્યું. તેઓ રાજકીય હસ્તક્ષેપનો ભોગ બનતાં તેમણે તેની પ્રતિક્રિયા રૂપે કેરળ ઍસોસિયેશન ફોર નૉન ફૉર્મલ એજ્યુકેશન ઍન્ડ ડેવલપમેન્ટ(KANFED)ની સ્થાપના કરી. આ સંસ્થાએ કેરળ રાજ્યમાં સાક્ષરતા મિશન શરૂ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી, જેના પરિણામે કેરળ સાર્વત્રિક સાક્ષરતા પ્રાપ્ત કરનાર પ્રથમ રાજ્ય બન્યું. પણિક્કરના અવસાન બાદ કેરળ સરકારે તેમના યોગદાન બદલ તેમની સ્મૃતિમાં 19 જૂનને રાષ્ટ્રીય વાંચનદિવસ તરીકે ઊજવવાનું નક્કી કર્યું. 19 જૂન, 1996થી કેરળમાં વાયનાદિનમ્ (વાંચનદિવસ) તરીકે તેમજ 19 જૂનથી 18 જુલાઈ સુધીના સમયગાળાને રાષ્ટ્રીય વાંચન મહિના તરીકે ઊજવવામાં આવે છે. 21 જૂન, 2004ના રોજ ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડીને તેમને સન્માન આપ્યું છે. 2010માં પી. એન. પણિક્કર ફાઉન્ડેશન દ્વારા તેમની જન્મશતાબ્દી મનાવવામાં આવી હતી. 2017માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 જૂન, કેરળના વાંચનદિવસને ભારતમાં રાષ્ટ્રીય વાંચનદિવસ તરીકે જાહેર કર્યો હતો. 2024માં તેમનું જીવનચરિત્ર ‘ધ લાઇબ્રેરી મૅન ઑફ ઇન્ડિયા : ધ સ્ટોરી ઑફ પી. એન. પણિક્કર‘ નામે પ્રગટ થયું છે.

Categories
વાચન સમૃદ્ધિ

તેહરી ગઢવાલ

ભારતના ઉત્તરાખંડ રાજ્યના 13 જિલ્લા પૈકીનો જિલ્લો તથા ન્યૂ તહેરી નામ ધરાવતું જિલ્લામથક. તે 30° 38´ ઉ. અ. અને 78° 48´ પૂ. રે.ની  આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની પૂર્વે રુદ્રપ્રયાગ જિલ્લો, પશ્ચિમે દેહરાદૂન જિલ્લો, ઉત્તરે ઉત્તરકાશી જિલ્લો અને દક્ષિણે પૌરી ગઢવાલ જિલ્લા સીમા રૂપે આવેલા છે. હિમાલય ગિરિમાળાના દક્ષિણ ઢોળાવ પર આ જિલ્લો આવેલો છે. જેનો દક્ષિણનો ઢોળાવ પ્રમાણમાં તીવ્ર છે. આશરે 600 મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવતી ખીણો જે અહીંની લાક્ષણિકતા છે. જેને પશ્ચિમમાં ‘દૂન’ અને પૂર્વમાં ‘દ્વાર’ કહે છે. અહીં આવેલી ટેકરીઓ સ્થાનિક નામથી ઓળખાય છે. જેમ કે ઉત્તરાખંડમાં આવેલી શ્રેણી ‘ડુંડવા શ્રેણી’ તરીકે ઓળખાય છે. ઉત્તરે આવેલી હિમાલય પર્વતશ્રેણીથી હેઠવાસ તરફ જતી મોટા ભાગની નદીઓએ આ શ્રેણીને કાપકૂપ કરીને પહોળી તથા તીવ્ર ઢાળ ધરાવતી ખીણોનું નિર્માણ કર્યું છે. ભાગીરથી અને અલકનંદા નદીઓ આ જિલ્લામાંથી વહે છે. ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં 6600 મીટરની ઊંચાઈએ આવેલી ગંગોત્રી હિમનદી છે. જ્યાંથી ઉદ્ગમ પામતી નદી તે ભાગીરથી તરીકે ઓળખાય છે. દેવપ્રયાગ પાસે અલકનંદાનો સંગમ થાય છે. જ્યાં સૂરકન્ડા દેવીનું મંદિર આવેલું છે. અહીં ઘનાઉલ્ટી (Dhanaulti) પર્વત આવેલો છે. નાગ ટીબ્બા અને તેહરી બંધ પાસેથી હિમાલયનાં દર્શન થાય છે.

તેહરી બંધ

અહીં ભેજવાળાં પાનખર જંગલો આવેલાં છે. મોટે ભાગે અહીં આર્દ્રતાનું પ્રમાણ 60%થી 80% ટકા જોવા મળે છે. આ જંગલોમાં પાઇન, ઓક, ફર, દેવદાર, પોપ્લર, ચેસ્ટનટ, ચીડ, બર્ચ વગેરે વૃક્ષો જોવા મળે છે. આ જિલ્લાના 68% ભૂમિવિસ્તારમાં જંગલો, ઘાસ અને ઝાડીઝાંખરાં છવાયેલાં છે. આ જંગલોમાં ઘાસ વધુ હોવાથી ઘાસ ઉપર નભનારાં પ્રાણીઓ જેમાં સાબર, ચિત્તલ, હરણ, ઘેટાં, બકરાં જ્યારે માંસાહારી પ્રાણીઓ વાઘ, દીપડા, જંગલી બિલાડી વગેરે છે. અહીં જમીનમાં કાંકરા, પથ્થર વધુ હોય છે તેથી એની ફળદ્રુપતા ઓછી હોય છે. જમીનનો રંગ પ્રમાણમાં કથ્થઈ હોય છે. જિલ્લાના નદીકિનારાના વિસ્તારમાં પગથિયાંવાળાં ખેતરોમાં ખેતી થાય છે. મોટે ભાગે ડાંગર, જવ, ઘઉં, તેલીબિયાં, ફળફળાદિ અને શાકભાજી જ્યારે કઠોળમાં ચણા, મસૂર, સોયાબીન, રાઈ અને આદું-મરચા, વટાણાની ખેતી લેવાય છે. આ જિલ્લાનો વિસ્તાર 4,080 ચો.કિમી. છે, વસ્તી આશરે 6,35,000 (2025 મુજબ) છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, તેહરી ગઢવાલ, પૃ. 17 અથવા જુઓ https://gujarativishwakosh.org/તેહરી ગઢવાલ/)

Categories
વાચન સમૃદ્ધિ

રવીન્દ્ર જૈન

જ. 28 ફેબ્રુઆરી, 1944 અ. 9 ઑક્ટોબર, 2015

ભારતીય સંગીતજગતમાં અમીટ છાપ છોડી જનાર પ્રજ્ઞાચક્ષુ શ્રી રવીન્દ્ર જૈન, પિતા ઇન્દ્રમણિ જૈન અને માતા કિરણ જૈનનું ત્રીજું સંતાન હતા. તેઓ ખૂબ નાની ઉંમરથી જ મંદિરોમાં ભજન ગાવા જતા. જન્મજાત પ્રતિભા અને સંગીત પ્રત્યેની લગનને લીધે શ્રી જૈન જનાર્દન શર્મા, નાથુરામ અને જી. એલ. જૈન જેવા ગુરુઓ પાસે કેળવાયા. અભ્યાસ બાદ તેમણે પ્રેયર સંગીત સમિતિ, અલાહાબાદમાંથી સંગીત પ્રભાકરની પદવી પ્રાપ્ત કરી. એ પછી કૉલકાતા જઈ રવીન્દ્ર સંગીત શીખ્યા. 1970માં પોતાની કાવ્ય અને સંગીતકલા અજમાવવા મુંબઈ આવ્યા. 1972માં ‘કાચ ઔર હીરા’ ફિલ્મમાં તેમનું ‘નજર આતી મંઝિલ’ ગીત રજૂ થયું. રાજશ્રી પ્રોડક્શનની લગભગ 16 ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું. યેશુદાસ, હેમલતા, આરતી મુખર્જી જેવાં ઘણા નવા ગાયકોને તેમણે તક આપી. રામાયણ ટીવી સિરિયલમાં તેમણે આપેલ પાર્શ્વગીત અને સંગીત ખૂબ લોકપ્રિય થયું. ‘અલીફલૈલા’, ‘શ્રીકૃષ્ણ’, ‘જય હનુમાન’ વગેરે જેવી પૌરાણિક સિરિયલોમાં સંગીત આપવાની સાથે તેમણે હિન્દી, ભોજપુરી, હરિયાણવી, બુંદેલખંડી, વ્રજ અને ગુજરાતી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું. 1973થી 2003 સુધીની તેમની સંગીતમય સફરમાં ‘સૌદાગર’, ‘ચોર મચાયે શોર’, ‘દો જાસૂસ’, ‘રામ તેરી ગંગા મૈલી’, ‘અખિયોં કે ઝરોખોં સે’ વગેરે ફિલ્મો જોડાઈ. બંગાળી અને મલયાળમ ભાષામાં તેમનાં ધાર્મિક આલબમ પણ બહાર પડ્યાં. ‘એક ડાલ પર તોતા બોલે’, ‘જબ દીપ જલે આના’, ‘ગીત ગાતા ચલ’, ‘તૂ જો મેરે સૂર મેં’ વગેરે જેવાં સુમધુર ગીતોથી તેઓ સારા ગીતકાર અને સંગીતકાર તરીકે લોકચાહના પામ્યા. લોકસંગીત અને ઑરકેસ્ટ્રામાં તેઓ નિપુણ હતા. કવિસંમેલન, મુશાયરાઓમાં તેઓ ભાગ લેતા અને ગીતોના કાર્યક્રમ રજૂ કરતા. 1997માં ઉત્તરપ્રદેશ હિંદી-ઉર્દૂ સાહિત્ય ઍવૉર્ડ સમિતિ, લખનઉ તરફથી શ્રી જૈને લખેલ શાયરીના પુસ્તક ‘ઉજાલોં કા સિલસિલા’ને સાહિત્યને લગતો ઍવૉર્ડ આપવામાં આવ્યો. તેમણે ‘સુનહરે પલ’ આત્મકથા લખી છે. 2015માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા. 1985માં શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર ઍવૉર્ડ પણ મળ્યો હતો.