Categories
વાચન સમૃદ્ધિ

શરીરના સંગીતને કાન માંડીને સાંભળીએ

તમે તમારા શરીરને જીવનભર મુક્ત અને સાહજિક રીતે જીવવાની કોઈ તક આપી છે ખરી ? આપણા શરીરને આપણે જ અમુક દૃઢ માન્યતાઓથી મુશ્કેટાટ બાંધી દીધું છે. અતિ ચુસ્ત નિયમોથી જકડી દીધું છે. અમુક સમય થયો એટલે ભોજન કરવું, પછી ભૂખ હોય કે ન હોય તે જોવું નહીં. ગઈકાલ રાત્રે મોડા સૂતા હતા એટલે હવે આજે મોડા ઊઠીશું, એમ માનીને ભરબપોરે ઊઠનારાઓની સંખ્યા ઓછી નથી, પણ તેઓની ઊંઘ એ માત્ર મન મનાવવા માટેની ઊંઘ છે. એમનું શરીર તો ક્યાંરનુંય જાગી ચૂક્યું હોય છે, પરંતુ એ વ્યક્તિ જાગ્રત થવાને બદલે માનસિક નિદ્રાધીનતા વધુ પસંદ કરે છે. આપણે આપણા નિયમોથી શરીરને બંધનમાં રાખીએ છીએ અને પરિણામે ભૂખ, તરસ, નિદ્રા જેવી સામાન્ય બાબતો અંગે પણ સહજતા કેળવી શક્યા નથી. શરીરની પ્રકૃતિને પણ ઓળખવાની જરૂર છે. એને ઓળખીને શરીરને પોતાની રીતે પોતાની મસ્તીમાં જીવવાની મુક્તતા આપવી જોઈએ. કેટલીક વ્યક્તિઓ તો પોતાના શરીરને નિયમોના એવા બંધનમાં બાંધી દે છે કે શરીર થાક્યું હોય, તોપણ નિયમને કારણે એની પાસેથી બળજબરીથી કામ લે છે. વળી એ ઓળખી શકતા નથી કે ઉંમર વધતાંની સાથે શરીરની પ્રકૃતિ પણ પલટાય છે. સિત્તેર વર્ષના શરીર પાસેથી સત્તર વર્ષના શરીર જેવી જ કામગીરી ન લેવાય. માનવીએ પોતાના શરીરના સંગીતના બદલાતા તાનને અને વીસરાતા સૂરને એકધ્યાને સાંભળવાની જરૂર છે. શરીરના સંગીતને નહીં સાંભળનારાના જીવનમાં સૂર બેસૂરા બની જાય છે અને એમાંથી નીકળતું સંવાદિતાનું સંગીત ખોરવાઈ જાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

સાબરમતી નદી

ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ પૈકીની એક.

તે રાજસ્થાનની અરવલ્લી ગિરિમાળાના નૈર્ૠત્ય ઢોળાવ પર આવેલા વેકરિયા નજીકથી ઉદગમ પામી છે અને ખંભાતના અખાતને મળે છે. તેની લંબાઈ ૪૧૬ કિમી. જેટલી છે. તેમાં આશરે ૧૧૬ કિમી. જેટલો તેનો પ્રવાહમાર્ગ રાજસ્થાનમાં છે. ગુજરાતના પૂર્વ ભાગમાં સાબરકાંઠા જિલ્લાના મામાના પીપળા ગામથી તે પ્રવેશ કરે છે. ગુજરાતમાં તેનો પ્રવહનમાર્ગ ૩૦૦ કિમી. જેટલો છે. તેનો થાળાવિસ્તાર ૫,૯૩૬ ચોકિમી. જેટલો તેમ જ સ્રાવક્ષેત્ર ૯,૫૦૦ ચોકિમી. જેટલું છે. હેઠવાસના કેટલાક ભાગોમાં આ નદીએ કાંપ પાથરેલો છે. તે ભાઠાના વિસ્તાર તરીકે ઓળખાય છે. આ નદી સાબરકાંઠા-બનાસકાંઠા, સાબરકાંઠા-મહેસાણા, સાબરકાંઠા-ગાંધીનગર, ખેડા-અમદાવાદ તથા આણંદ-અમદાવાદ જિલ્લાઓને જુદા પાડતી ભૌગોલિક સીમા રચે છે.

અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદી

ઉપલબ્ધ માહિતી અનુસાર, હજારો વર્ષો પહેલાં તે ‘કાશ્યપી ગંગા’ને નામે, સતયુગમાં ‘કૃતવતી’  અને ત્રેતાયુગમાં ‘ગિરિકર્ણિકા’ને નામે તથા દ્વાપરયુગમાં ‘ચંદનવતી’ને નામે ઓળખાતી હતી.  કળિયુગના પ્રારંભમાં તે ‘શ્વભ્રવતી’, ‘શુભ્રવતી’, ‘સાબ્રમતી’, ‘સાભ્રમતી’ જેવાં નામોથી અને હવે તે ‘સાબરમતી’ નામથી ઓળખાય છે. વાસ્તવમાં મહુડી સુધી તે ‘સાબર’ નામથી અને હિંમતનગર પસાર કર્યા પછી હાથમતી નદીનો સંગમ થયા પછી તે ‘સાબરમતી’ નામથી ઓળખાય છે. સાબરમતી નદીનો અમદાવાદની મધ્યમાંથી પસાર થતો આજનો પ્રવાહ અગાઉ આવો ન હતો. આજનો માણેકચોકનો વિસ્તાર નદીના કાંઠા પર હતો અને તે ભાગના કાંઠા પર કાગદી પોળ નજીક માણેકનાથ બાવાની ઝૂંપડી હતી. તેની સહાયક નદીઓમાં પન્નારી, હરણાવ, કણાદર, હાથમતી, ખારી, મેશ્વો, માઝમ, વાત્રક તથા શેઢીનો સમાવેશ થાય છે. અમદાવાદ અને ગાંધીનગર જેવાં ગુજરાતનાં અગત્યનાં શહેરો સાબરમતીને કાંઠે વસેલાં છે. સાબરમતી નદીના કાંઠાઓને વધુ રમણીય બનાવવાના હેતુથી ‘સાબરમતી રિવરફ્રન્ટ’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. અમદાવાદના પૂર્વ-પશ્ચિમ ભાગોને જોડતા ઇન્દિરા પુલ, સુભાષ પુલ, ગાંધી પુલ, નહેરુ પુલ, વિવેકાનંદ પુલ(એલિસબ્રિજ), સરદાર પુલ, શાસ્ત્રી પુલ વગેરે સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલા છે. તેના કાંઠે મહુડી, પ્રાંતિજ, ગળતેશ્વર જેવાં તીર્થ આવેલાં છે. તેના કાંઠા ઉપર આવેલાં જોવાલાયક સ્થળોમાં ગાંધીનગરમાં ઇન્દ્રોડા પાર્ક, હરણ-ઉદ્યાન, સરિતા-ઉદ્યાનનો સમાવેશ થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાબરમતી નદી, પૃ. ૧૦૮)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

માણસનાં મૂળ

માર્ક્સ અને લેનિનના સાચા વારસદાર અને પ્રજાસત્તાક ચીનના સ્થાપક માઓ-ત્સે-તુંગ બાળપણમાં દાદીમા સાથે રહેતા હતા. એમનાં દાદીમાને બગીચાનો ભારે શોખ, પરંતુ એકાએક બીમાર પડતાં એમણે બગીચાની સંભાળ લેવાનું કામ માઓને સોંપ્યું. એમણે માઓને કહ્યું, ‘બેટા! આ બગીચાનાં વૃક્ષ-છોડ મારા પ્રાણ સમાન છે એટલે એમને તું ભારે જતનથી જાળવજે.’ બાળક માઓએ વચન આપ્યું કે એ બગીચાનું સંપૂર્ણ ધ્યાન રાખશે. એ પછી થોડા સમય બાદ દાદીમા સ્વસ્થ થતાં બગીચામાં લટાર મારવા ગયાં, તો એમને ઊંડો આઘાત લાગ્યો. એમણે જોયું કે ઘણાં વૃક્ષ અને છોડ સુકાઈ ગયાં હતાં. બગીચો લગભગ ઉજ્જડ જેવો બની ગયો હતો. દાદીમાએ માઓને પૂછ્યું કે તેં આપેલું વચન કેમ પાળ્યું નહીં ? ત્યારે માઓએ કહ્યું, ‘દાદીમા, હું રોજ આ પાંદડાંઓને સંભાળી-સંભાળીને લૂછતો હતો અને એનાં મૂળિયાં પાસે નિયમિત રોટલીના ટુકડા નાખતો હતો, છતાં કોણ જાણે કેમ, એ બધાં સુકાઈ ગયાં !’ દાદીમાએ કહ્યું, ‘બેટા, પાંદડાં લૂછવાથી કે રોટલીના ટુકડા નાખવાથી વૃક્ષ વધતું નથી. તારે તો વૃક્ષનાં મૂળમાં પાણી નાખવું જોઈએ. વૃક્ષ પાસે એટલી શક્તિ હોય છે કે એના મૂળ અને એની આસપાસની ધરતીમાંથી જ પોતાનું ભોજન પ્રાપ્ત કરી લે છે અને વધતાં રહે છે.’ માઓ વિચારમાં પડી ગયો. એણે પૂછ્યું, ‘દાદીમા, માણસનાં મૂળ ક્યાં હોય છે ?’ દાદીમાએ ઉત્તર આપ્યો, ‘મનના સાહસ અને હાથના બળમાં આપણાં મૂળિયાં હોય છે. જો એને રોજ પોષણ મળે નહીં, તો આપણે તાકાતવાન બની શકીએ નહીં.’ માઓએ તે સમયે નક્કી કર્યું કે એ પોતાનાં મૂળિયાં મજબૂત કરશે અને સાથોસાથ એના સાથીઓને શક્તિશાળી બનાવશે. આ માઓ-ત્સે-તુંગે ચીનને બળવાન અને સમર્થ રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા પર સ્થાન અપાવ્યું.