તમે તમારા શરીરને જીવનભર મુક્ત અને સાહજિક રીતે જીવવાની કોઈ તક આપી છે ખરી ? આપણા શરીરને આપણે જ અમુક દૃઢ માન્યતાઓથી મુશ્કેટાટ બાંધી દીધું છે. અતિ ચુસ્ત નિયમોથી જકડી દીધું છે. અમુક સમય થયો એટલે ભોજન કરવું, પછી ભૂખ હોય કે ન હોય તે જોવું નહીં. ગઈકાલ રાત્રે મોડા સૂતા હતા એટલે હવે આજે મોડા ઊઠીશું, એમ માનીને ભરબપોરે ઊઠનારાઓની સંખ્યા ઓછી નથી, પણ તેઓની ઊંઘ એ માત્ર મન મનાવવા માટેની ઊંઘ છે. એમનું શરીર તો ક્યાંરનુંય જાગી ચૂક્યું હોય છે, પરંતુ એ વ્યક્તિ જાગ્રત થવાને બદલે માનસિક નિદ્રાધીનતા વધુ પસંદ કરે છે. આપણે આપણા નિયમોથી શરીરને બંધનમાં રાખીએ છીએ અને પરિણામે ભૂખ, તરસ, નિદ્રા જેવી સામાન્ય બાબતો અંગે પણ સહજતા કેળવી શક્યા નથી. શરીરની પ્રકૃતિને પણ ઓળખવાની જરૂર છે. એને ઓળખીને શરીરને પોતાની રીતે પોતાની મસ્તીમાં જીવવાની મુક્તતા આપવી જોઈએ. કેટલીક વ્યક્તિઓ તો પોતાના શરીરને નિયમોના એવા બંધનમાં બાંધી દે છે કે શરીર થાક્યું હોય, તોપણ નિયમને કારણે એની પાસેથી બળજબરીથી કામ લે છે. વળી એ ઓળખી શકતા નથી કે ઉંમર વધતાંની સાથે શરીરની પ્રકૃતિ પણ પલટાય છે. સિત્તેર વર્ષના શરીર પાસેથી સત્તર વર્ષના શરીર જેવી જ કામગીરી ન લેવાય. માનવીએ પોતાના શરીરના સંગીતના બદલાતા તાનને અને વીસરાતા સૂરને એકધ્યાને સાંભળવાની જરૂર છે. શરીરના સંગીતને નહીં સાંભળનારાના જીવનમાં સૂર બેસૂરા બની જાય છે અને એમાંથી નીકળતું સંવાદિતાનું સંગીત ખોરવાઈ જાય છે.
કુમારપાળ દેસાઈ