દક્ષિણ ગુજરાતના પીઢ ગાંધીવાદી સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર. ઝીણાભાઈનું જીવન સાદું અને ખડતલ હતું. તેઓએ દારૂબંધી, ખાદીપ્રચાર, અસ્પૃશ્યતાનિવારણ, દલિતસેવા, ગ્રામોદ્ધાર, ગરીબીનાબૂદી વગેરે ક્ષેત્રોમાં નક્કર કામ કર્યું છે. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વ્યારામાં લીધું. વાંચવાનો શોખ હોવાથી તેઓ પુસ્તકાલયમાંથી પ્રેરણાદાયી પુસ્તકો લાવીને વાંચતા. હાઈસ્કૂલનું શિક્ષણ સૂરતમાં લીધું અને પુસ્તકાલય મંત્રી બન્યા તે દરમિયાન ગાંધીસાહિત્ય વાંચ્યું. ગાંધીવિચારોની અસર એમના જીવન પર થઈ. તેઓ કાંતતાં શીખ્યા અને ખાદી પહેરવાનું શરૂ કર્યું. મૅટ્રિક થયા બાદ તેઓએ વ્યારામાં ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓમાં કામ કર્યું. નશાબંધી, અસ્પૃશ્યતાનિવારણ, ખાદીફેરી અને ગ્રામસફાઈના કાર્યક્રમોમાં ભાગ લીધો. ૧૯૩૮થી ૧૯૪૨ સુધી ઝીણાભાઈએ વ્યારાની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી. ૧૯૪૨ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લીધો અને બે માસ જેલવાસ ભોગવ્યો. સ્વરાજ પછી સૂરત જિલ્લામાં અનેક સંસ્થાઓ સ્થાપી અને વિકસાવી. તેઓ નગરપાલિકાના પ્રમુખ બન્યા અને સફાઈ-કામદારોની સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કર્યો. ૧૯૬૩માં ગુજરાતમાં પંચાયતરાજની શરૂઆત કરી અને તેના પ્રમુખ થયા. પછાત વિસ્તારોનો વિકાસ કર્યો. ગુજરાત ખેતવિકાસ ડેવલપમેન્ટ બૅન્ક લિ.ના અધ્યક્ષ બન્યા. ૧૯૬૩થી ૧૯૭૦ સુધી સૂરત જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા તથા ૧૯૮૭થી ૧૯૮૯ નૅશનલ કમિશન ફોર રૂરલ લેબરના પ્રમુખ તરીકે કામ કર્યું. તેઓએ વેડછીની ગાંધી વિદ્યાપીઠ અને ગુજરાત ખેતવિકાસ પરિષદમાં પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. ૧૯૯૫માં તેઓ કૉંગ્રેસના ગુજરાત પ્રદેશના પ્રમુખ બન્યા હતા.
બૌદ્ધ મહાયાન સંપ્રદાયની ચીનમાં આરંભાયેલી અને જાપાનમાં પ્રસરેલી શાખા. દક્ષિણ ભારતના આચાર્ય બોધિધર્મ (ઈ. સ. ૪૭૦–૫૪૩) ચીન ગયેલા; તેમના દ્વારા ઝેનનો ત્યાં આરંભ થયો. મૂળ સંસ્કૃત શબ્દ ‘ધ્યાન’નું ચીની ભાષામાં ‘ચ-આન’ કે ‘ચાન’ (ch-an) અને જાપાની ભાષામાં ‘ઝેન’ એવું રૂપાંતર થયેલું છે. ભગવાન બુદ્ધે ધ્યાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરેલું. તે સ્વરૂપનું શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરવાનું ઝેનમાં મોટું માહાત્મ્ય છે. બૌદ્ધ યોગાચાર પંથમાં અને એમ તો બધાં ભારતીય દર્શનોમાં ધ્યાનનું મહત્ત્વ છે, પણ ત્યાં ધ્યાન એક સાધનમાત્ર છે. ઝેનમાં ધ્યાનની ચીની પ્રણાલી અને તેના ઉપર તાઓ સંપ્રદાયની પદ્ધતિની અસરને લીધે તે અન્ય દાર્શનિક પ્રણાલીઓથી કંઈક વિશિષ્ટ પ્રણાલી છે. ઝેન માત્ર ધ્યાનની પ્રક્રિયા જ નહિ પણ ધ્યાન દ્વારા પ્રાપ્ત કરવાની સિદ્ધિ છે. એ મનની નિર્વિકલ્પ સ્થિતિ છે જેમાં ધ્યાતા અને ધ્યેયનું દ્વૈત મટી જાય છે. ધ્યાતા પોતાના શુદ્ધ નિર્ગુણ અસ્તિત્વનો એટલે કે સત્ ચિતનો અનુભવ કરે છે. ઉપનિષદના ‘अहं ब्रह्मास्मि’ – અનુભવને ઝેનના અનુભવની સાથે સરખાવી શકાય. બુદ્ધે તેમના એક શિષ્ય મહાકાશ્યપને આવા ધ્યાનનો ઉપદેશ કરેલો. આ જ્ઞાન શિષ્યપરંપરાએ અઠ્ઠાવીસમી પેઢીના આચાર્ય બોધિધર્મને પ્રાપ્ત થયેલું. ગુરુની આજ્ઞાથી બોધિધર્મ ઈ. સ. ૫૨૦ કે ૫૨૬માં ચીન ગયા અને ત્યાં વેઈ રાજ્યમાં આવેલા એક બૌદ્ધવિહારમાં રહ્યા. ત્યાં તે ભીંત સામે બેસી ધ્યાન કરતા. કદાચ તેથી જ ભીંત સામે બેસી ધ્યાન કરવાની પદ્ધતિ ઝેનમાં પ્રચલિત થઈ. બોધિધર્મના સર્વપ્રથમ શિષ્ય હુઈ-કે હતા. તે કન્ફ્યૂશિયસ અને બૌદ્ધ બંનેય દર્શનોના મોટા પંડિત હતા. તેમણે વેશભૂષા વગેરેના આડંબર વિના ઝેનનો પ્રચાર કરવા માંડ્યો તે ત્યાંના પરંપરાવાદી ચીની ધર્મગુરુઓને ન રુચ્યો અને તેમણે રાજા પાસે હુઈ-કેને મૃત્યુદંડની સજા કરાવી. હુઈ-કેના શિષ્ય સેંગ-ત્સાંગે ચીની ભાષામાં એક ગ્રંથ લખ્યો જેના શીર્ષકનો અર્થ થાય ‘હૃદયની શ્રદ્ધા’. એમાં તેમણે બુદ્ધમન અને વ્યક્તિનું મર્યાદાઓવાળું પરિચ્છિન્ન મન એક જ છે એમ કહ્યું. ઝેનના પ્રચારમાં આ ગ્રંથે મહત્ત્વનો ભાગ ભજવ્યો. આ પંથના ચીની આચાર્ય હુઈનેંગ (ઈ. સ. ૬૩૮–૭૧૩) ચીનના છેલ્લા આચાર્ય હતા. તેમણે આઠ વર્ષ સુધી ગુરુની એકનિષ્ઠ સેવા કરી ગુરુના ઉપદેશ વિના પણ સ્વયંસ્ફુરણાથી ઝેનનું રહસ્ય પ્રાપ્ત કર્યું હતું. તેથી ગુરુએ તેમને પોતાના ઉત્તરાધિકારી નીમેલા.
ઝેન સાધુઓ
આ સમય દરમિયાન જાપાનમાં ઝેનનો પ્રચાર શરૂ થયો. જાપાનના યેઈ-સાઈ નામે સાધુએ ચીનમાં જઈ ઝેનનું વિધિવત્ જ્ઞાન મેળવી જાપાન આવી ક્યોતો નગરમાં ધ્યાનવિહાર સ્થાપ્યો (ઈ. સ. ૧૧૯૧). ત્યાર પછી જાપાનમાં સર્વત્ર ઝેન પ્રસર્યો અને તેના અસંખ્ય અનુયાયીઓ અને ધ્યાનવિહારો થયા. ઝેનમાં કોઈ વિધિવિધાનનું આલંબન નથી. શાસ્ત્રગ્રંથોનાં વિધાનોને પણ ચુસ્તપણે વળગી નહિ રહેતાં તેની પેલે પાર મુક્ત વિહાર કરવાનો છે. તેમાં શબ્દરૂપકો અને સંકેતોનું આલંબન કરવાનું નથી. મનને અહં અને મમ એ ભાવોમાંથી મુક્ત કરી તેને શુદ્ધ કરવાનું છે અને તે દ્વારા સ્વ-સ્વરૂપનું દર્શન એટલે કે બોધિ-સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. બોધિ-સ્થિતિ એટલે શુદ્ધ કેવલ આત્મસ્વરૂપ. વિધિવિધાન આદિનો આધાર લીધા વિના જ શિષ્યને બોધિસ્વરૂપ સમજાવવા સારુ ગુરુ ઉક્તિવૈચિત્ર્યનો આશ્રય લે છે. ગુરુશિષ્યના પ્રશ્નોત્તરો ઉપલકિયા દૃષ્ટિએ અસંબદ્ધ લાગે પણ તેમની વ્યંજના સચોટ હોય છે; જેમ કે, એક ઝેન સાધુએ કહ્યું, ‘હું જ્યારે પુલ ઉપરથી પસાર થાઉં છું, ત્યારે પાણી નથી વહેતાં, પુલ વહેવા માંડે છે.’ અર્થાત્ જે તે ક્રિયા કે પ્રસંગમાં લીન થઈ અભેદ અનુભવવો તે ઝેન. એટલે કે પોતે જાતે જ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. તેમાં કોઈ આલંબનની જરૂર નથી, કોઈ મૂર્તિ કે પ્રતીકની પણ નહિ. મનમાં જે શાસ્ત્રગ્રંથોના પૂર્વાર્જિત ગ્રહો એટલે કે પોતે સ્વીકારેલા શાસ્ત્રના અભિપ્રાયોમાંથી મુક્ત થયા સિવાય આ સ્થિતિ પ્રાપ્ત ન થાય. એક વિદ્વાન ઝેનનું જ્ઞાન મેળવવા એક ઝેન સાધુ પાસે ગયો. સાધુએ જોયું કે તે વિદ્વાનના મનમાં અનેક માન્યતાઓનો શંભુમેળો હતો. ગુરુએ તેમના કપમાં ચા રેડવા માંડી. કપ ઊભરાવા લાગ્યો. પેલો વિદ્વાન બોલી ઊઠ્યો : ‘અરે, તમે ચા ઢોળી રહ્યા છો !’ સાધુએ કહ્યું, ‘તમારું મન પણ અનેક માન્યતાઓથી ભરેલું છે. તે ખાલી થાય તો જ હું ઝેન વિશે કંઈક કહી શકું ને ?’ ઝેનના આવા કર્મકાંડથી અને ગૃહીત માન્યતાઓથી પર રહેલા સ્વરૂપને લીધે વિશ્વમાં બૌદ્ધિકોમાં તે સિદ્ધાંત આદરપાત્ર બન્યો છે.
જયપુરના મહારાજા સવાઈ માનિંસહ(બીજા)નાં પત્ની, જયપુરનાં રાજમાતા ગાયત્રીદેવીનો જન્મ કૂચબિહારમાં મહારાજા જિતેન્દ્ર નારાયણ તથા વડોદરાનાં રાજકુંવરી ઇન્દિરા રાજેના કુટુંબમાં થયો હતો. કૂચબિહારની ગાદી તેમનાં માતા ઇન્દિરા વિધવા થતાં તેઓએ સંભાળી. ગાયત્રીદેવી સાથે પાંચ સંતાનોનો ઉછેર અત્યંત વૈભવી વાતાવરણમાં થયો હતો. ગાયત્રીદેવી લંડનની ગ્લેનડોવર સ્કૂલમાં ભણ્યાં હતાં. ત્યારબાદ શાંતિનિકેતન તથા સ્વિટ્ઝર્લૅન્ડ અને લંડનમાં ભણતર લીધું હતું. જ્યારે ૧૨ વર્ષનાં હતાં ત્યારે ગાયત્રીદેવી પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા યુવાન જયપુરના મહારાજા સવાઈ માનસિંહ(બીજા)ને મળ્યાં હતાં. તેઓ અવારનવાર કૂચબિહારની મુલાકાતે આવતા હતા, તેઓ પોલોના ઉત્તમ ખેલાડી હતા. ઈ. સ. ૧૯૪૦માં ગાયત્રીદેવી સાથે તેમનાં લગ્ન થયાં. બંને જીવનભર એક આદર્શ દંપતી બની રહ્યાં, દરેક કાર્યમાં બંને એકબીજાને સહકાર આપતાં હતાં. તેઓને ૧૯૪૯માં જગત નામે એક પુત્ર જન્મ્યો હતો. ગાયત્રીદેવી અતિ સુંદર, પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતાં હતાં. વિશ્વની શ્રેષ્ઠ, સુંદર મહિલાઓમાં તેમની ગણના થતી હતી. જયપુરની પ્રજાના કલ્યાણ માટે તેઓએ રાજ્ય વહીવટમાં ભાગ લીધો. જયપુરમાં સૌપ્રથમ કન્યાશાળા સ્થાપી, સ્ત્રીઓને કેળવણી આપવી શરૂ કરી. ભારત સ્વતંત્ર થયા બાદ તેઓએ રાજકારણમાં ઝંપલાવ્યું, જયપુરમાં વિશાળ બહુમતીથી ચૂંટાઈ આવ્યાં. ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં કટોકટીના સમયમાં તેઓએ જેલવાસ વેઠ્યો. તેઓએ પોતાની આત્મકથા ‘અ પ્રિન્સેસ રિમેમ્બર્સ’ લખી છે.