Categories
વાચન સમૃદ્ધિ

લક્ષ્યની પ્રાપ્તિ

ઉત્તર-મધ્ય ઈરાનમાં થયેલા પર્શિયાના સૂફી સંત બાયજીદ બિસ્તામી ઈશ્વર વિશેના સ્પષ્ટ અને નિર્ભીક વિચારો માટે જાણીતા હતા. કોઈ ગ્રંથ સ્વરૂપે એમના કોઈ વિચારો પ્રાપ્ત થતા નથી, પરંતુ સૂફી પરંપરામાં એક મહત્ત્વના સૂફી સંત તરીકે તેઓ સ્થાન ધરાવે છે. એમના નિવાસસ્થાને જે કોઈ ઇસ્લામ ધર્મ વિશે ચર્ચા કરવા આવે, એમને આવકારતા; એટલું જ નહીં, પણ અલ્લાહની ભક્તિ માટે એમણે તમામ ભૌતિક સંપત્તિ અને સુખોનો ત્યાગ કર્યો હતો. આવા મહાન સૂફી સંત બાયજીદ બિસ્તામી એક વાર પોતાના રૂહાની ગુરુ પાસે બેઠા હતા. ગુરુના ઉપદેશનું એ એકાગ્રચિત્તે શ્રવણ કરતા હતા અને એવામાં ગુરુએ બાયજીદને કહ્યું, ‘જરા બારીમાં પડેલું એક પુસ્તક લઈ આવ.’ આ સાંભળી બાયજીદે કહ્યું, ‘કઈ બારી ? ક્યાં છે બારી ?’ ઉત્તર સાંભળીને આશ્ચર્યચકિત બનેલા ગુરુએ કહ્યું, ‘અરે બાયજીદ, તું તો વર્ષોથી અહીં આવે છે. અહીં બેસીને મારી વાતનું શ્રવણ કરે છે અને છતાં તને ખબર નથી કે બારી ક્યાં છે?’ સંત બાયજીદે કહ્યું, ‘ના ગુરુદેવ, મને ખબર નથી.’ ગુરુએ કહ્યું, ‘તો શું તું આંખો મીંચીને મારી પાસે બેસે છે ? આ ખંડમાં બેઠો હોય અને તને બારી ન દેખાય તે કેવું કહેવાય ?’ બાયજીદે કહ્યું, ‘ગુરુજી, હું સાચું કહું છું. હું શા માટે બારીને જોવાનો પ્રયત્ન કરું.’ ‘કેમ ?’ ‘હું આ ખંડમાં આવું, ત્યારથી માત્ર ને માત્ર તમારી સાથે જ હોઉં છું. ફક્ત તમને જ જોતો હોઉં છું, તમારા સિવાય બીજી કોઈ ચીજ મારી નજરે પડતી નથી, તો પછી બારીની મને ક્યાંથી ખબર હોય !’ ગુરુ હસ્યા અને બાયજીદને કહ્યું, ‘હવે તું ઘેર પાછો ફરી શકે છે. તારો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે. તેં લક્ષ્યની પ્રાપ્તિ કરી લીધી છે.’

Categories
વાચન સમૃદ્ધિ

ચંદાબહેન શ્રોફ

જ. 27 ફેબ્રુઆરી, 1933 અ. 23 ઑગસ્ટ, 2016

કચ્છના પરંપરાગત ભારતકામને વિશ્વસ્તરે નવી ઓળખ આપનાર અને ‘શ્રુજન’ સંસ્થાનાં સ્થાપક ચંદાબહેન શ્રોફનો જન્મ અમદાવાદ જિલ્લાના માંડલમાં થયો હતો. પિતા સકરચંદભાઈ અને માતા શકરીબહેન. તેમણે નવ વર્ષની ઉંમરે માતાને ગુમાવ્યાં. પિતા ગાંધીવાદી હોવાથી ગાંધી વિચાર સરણીવાળા કુટુંબમાં ઉછેર થયો. તેમનું પ્રાથમિક શિક્ષણ રાજકોટ અને ભાવનગરમાં થયું. વડોદરાની વલ્લભ કન્યા વિદ્યાલયમાં દસમા ધોરણ સુધીનો અભ્યાસ કરી શાળા છોડી અને ભાઈ સાથે મુંબઈ આવ્યાં. બાળપણથી જ માટીનાં રમકડાં બનાવવાં, ચિત્રકામ, ભરતકામ વગેરેમાં વધુ રસ હતો. તેમણે ટેલરિંગ અને એમ્બ્રૉઇડરીમાં ડિપ્લોમા અને ઇન્ટરમીડિયેટ ડ્રૉઇંગની પરીક્ષા પાસ કરી એલ્ફિન્સ્ટન ટૅક્નિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ક્રાફ્ટ ટીચર ડિપ્લોમા કર્યો. બે વર્ષ મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. તેમણે માટીનાં પાત્રો પર ચિત્રકામ કરવું, ફિલ્મના સેટનું પેઇન્ટિંગ અને ડિઝાઇનિંગ કરવું, જૂના ફર્નિચરમાંથી નવી ડિઝાઇન બનાવવી તેમજ લગ્નમંડપ સજાવવા જેવાં કળાત્મક અને સર્જનાત્મક કાર્યો કર્યાં. 1957માં ઉદ્યોગપતિ કાંતિસેન શ્રોફ સાથે લગ્ન કર્યાં. તેમણે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ઘરની અગાસીમાં શાકભાજી ઉગાડવાનો સફળ પ્રયોગ કર્યો. કચ્છમાં દુષ્કાળ પડતાં રામકૃષ્ણ મિશન, રાજકોટના સ્વામી આત્મસ્થાનંદે ધાળોટીમાં રસોડું શરૂ કર્યું હતું. તેમણે ચંદાબહેન અને કાંતિસેનભાઈને મદદ માટે બોલાવ્યાં. ગામડાંની બહેનોને મળ્યા પછી કચ્છની ભરતકળાને આવકનું સાધન બનાવવાનું નક્કી કર્યું. તેમણે 1969માં ‘શ્રુજન’ સંસ્થાની સ્થાપના કરી અને મૅનેજિંગ ટ્રસ્ટી બન્યાં. ત્રીસ બહેનોથી શરૂ થયેલ આ સંસ્થા સાથે આજે બાવીસ હજાર જેટલી બહેનો જોડાઈને સ્વનિર્ભર બની છે. માત્ર પાંચ હજાર રૂપિયાના રોકાણથી શરૂ થયેલી સંસ્થા વટવૃક્ષ બની છે. આજે ગામડાંની બહેનો આંત્રપ્રિન્યોર બની છે. 1997માં દોરાબજી ટાટા ટ્રસ્ટ અને એક્સલ ગ્રૂપ ઑવ ઇન્ડસ્ટ્રીઝ તરફથી દોઢ કરોડની આર્થિક મદદ મળતાં ‘ડિઝાઇન સેન્ટર ઑન વ્હિલ્સ’ શરૂ કરવામાં આવ્યું. કચ્છી ભરતની 16 શૈલીઓના 12,000થી વધુ માસ્ટર પીસ રાખવામાં આવ્યા છે. તેમને 2005માં માનવસેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 2006માં રૉલેક્સ ઍવૉર્ડ અને લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા  ‘બેસ્ટ વુમન’નો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

અગિયારી

પારસી લોકોનું પવિત્ર ધર્મસ્થાન. અગિયારીમાંના તેમના પવિત્ર અગ્નિ(આતશ)ના પ્રકારો મુજબ ત્રણ દરજ્જા છે : ‘આતશે દાદગાહ’, ‘આતશે આદરાન’ અને ‘આતશે બહેરામ’. આતશની સેવા માટે નિયુક્ત થયેલા દસ્તૂર (ધર્મગુરુ) સિવાય કોઈ ગર્ભગૃહમાં જઈ શકતું નથી. અગિયારીની અંદર દર્શન કરવા માટે અન્ય ધર્મીઓને છૂટ હોતી નથી. સોની, લુહાર અને કુંભારની ભઠ્ઠીઓનો અગ્નિ એકત્ર કરીને તેના ઉપર જરથુષ્ટ્ર સંપ્રદાય મુજબનો વિધિ કરીને એક પ્યાલાના આકારના મૂલ્યવાન ધાતુપાત્રમાં આ સિદ્ધાગ્નિની સ્થાપના કરવામાં આવે છે. ખાસ કરીને ‘આતશે બહેરામ’ની અંદર વિદ્યુતાગ્નિ રહેલો છે; તેથી તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. અગિયારીની અંદરનો અગ્નિ સદા જલતો રહે છે. જો તે બુઝાઈ જાય તો તેને અનિષ્ટ સૂચક માનવામાં આવે છે.

પારસી અગિયારી સંજાણ

અગિયારીની ઇમારત મોટે ભાગે વિશાળ ચોગાનમાં, માળ વિનાની, બેઠી બાંધણીની હોય છે. એમાં પ્રવેશતાં વરંડો હોય છે, જ્યાં અગિયારીને લગતો શિલાલેખ ચોડેલો હોય છે. અંદરની રચનામાં એક બાજુ કેબલો (મુખ્ય અગ્નિખંડ) હોય છે, જેમાં ઊંચા તખ્ત પર મુખ્યત્વે આરસના આફ્રિન્ગાન્યા ઉપર પવિત્ર અગ્નિ પાંચે પ્રહર સત્કાર પામતો હોય છે. કેબલોની બાજુનો ખંડ મુક્તાદ એટલે કે શ્રાદ્ધ માટે ઉપયોગમાં લેવાય છે. ત્યાં ફરોહરની આરાધના કરવામાં આવે છે. કેબલોની સામે વિશાળ પ્રાર્થનાખંડ હોય છે, જ્યાં હોમહવન કરવામાં આવે છે. કોઈ શોભા કે સજાવટથી ચિત્તભ્રમ ન થાય તે માટે અગિયારીમાં સાદાઈ રખાય છે. અગિયારીના ચોગાનમાં કસીગાહ (જનોઈ) માટેની જગ્યા, કાઠીભંડાર, દસ્તૂર, પંથકી કે મોબેદને રહેવાનું મકાન અને ક્યારેક પારસી પંચાયતનું મકાન પણ રખાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અગિયારી, પૃ. 10)