Categories
વાચન સમૃદ્ધિ

સૌથી મહત્ત્વની સંપત્તિ

ઈ. સ. 1936માં અમેરિકાના ઉદ્યોગપતિ ચાર્લ્સ સ્ક્વૈબે એક વ્યક્તિની સલાહકાર તરીકે નિમણૂક કરી. એને મહિનાના પચીસ હજાર ડૉલરનો પગાર આપવાનું નક્કી કર્યું. માત્ર સલાહ આપવા માટે કંઈ આટલો મોટો પગાર હોય ખરો ? પરંતુ આ કરોડાધિપતિ માનતો હતો કે જીવનમાં એક સલાહ અનેક સમસ્યાઓને ઉકેલી આપે છે. કોઈ અનુભવી આ મૂંઝવણનું મૂળ કારણ શોધીને સતત પજવતી સમસ્યાઓ રાતોરાત દૂર કરી દે છે. અમેરિકન કરોડાધિપતિ ચાર્લ્સ સ્ક્વૈબે ઊંચા પગારે નીમેલા સલાહકારને પૂછ્યું, ‘‘જીવનમાં સહુથી અમૂલ્ય સંપત્તિ કઈ છે ? જે સંપત્તિ એક વાર ગુમાવીએ તો ફરી મળતી નથી. ગયેલું ધન પાછું મેળવી શકાય છે, કથળેલું સ્વાસ્થ્ય પુન: સંપાદિત થાય છે, પરંતુ જીવનમાં ફરી પ્રાપ્ત ન થતી એવી અમૂલ્ય સંપત્તિ કઈ ? એ જાણવામાં આવે તો એના ઉપયોગ અંગે પૂરી સાવધાની રખાય.’’ સલાહકારે કરોડપતિને કહ્યું, ‘‘જીવનમાં સૌથી મહત્ત્વની સંપત્તિ તે સમયનો યોગ્ય ઉપયોગ છે. આના માટે રોજ પ્રભાતે કામોની યાદી બનાવવી જોઈએ. એમાંથી જે અત્યંત મહત્ત્વનાં કામો હોય તેને તેના મહત્ત્વ પ્રમાણે ક્રમસર ગોઠવવાં જોઈએ અને તે પછી બીજાં સામાન્ય કામોની નોંધ કરવી જોઈએ. એ મહત્ત્વનાં કાર્યો પહેલાં ક્રમસર પૂર્ણ કરવાં જોઈએ. આમ કરનાર વ્યક્તિ જ સમયનો યોગ્ય ઉપયોગ કરી શકે છે.’’ કરોડપતિને સવાલ જાગ્યો કે આવી અગ્રતાક્રમે યાદી બનાવવાનો અર્થ શો ? ત્યારે એને સમજાયું કે સિત્તેર વર્ષ જીવતો માનવી પચીસ વર્ષ નિદ્રામાં, આઠ વર્ષ અભ્યાસમાં, સાત વર્ષ વૅકેશન અને મોજમસ્તીમાં, છ વર્ષ આરામ અને બીમારીમાં, પાંચ વર્ષ રોજના વાહનવ્યવહારમાં, ચાર વર્ષ ભોજનમાં અને ત્રણ વર્ષ સામાન્ય કામકાજમાં પસાર કરી દે છે. આથી મહત્ત્વનું કાર્ય કરવા માટે વ્યક્તિ પાસે માત્ર બાર જ વર્ષ હોય છે. માટે વ્યક્તિએ પોતાનાં કામોના ક્રમને યોગ્ય રીતે ગોઠવવા જોઈએ.

Categories
વાચન સમૃદ્ધિ

મેજર મોહિત શર્મા

જ. 13 જાન્યુઆરી, 1978 અ. 21 માર્ચ, 2009

અપૂર્વ પરાક્રમ કરી શહીદ થનાર મેજર મોહિત શર્માનો જન્મ રોહતકમાં થયો હતો. પિતા રાજેન્દ્રપ્રસાદ અને માતા સુશીલા. પરિવારમાં સહુ ‘ચિન્ટુ’ કહેતા અને સાથીઓ તેમને ‘માઈક’ કહેતા. તેમનું શાળેય શિક્ષણ માનવસ્થલી સ્કૂલ, દિલ્હી, હોલી એન્જલ્સ સ્કૂલ, સાહિબાબાદ અને દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાઝિયાબાદમાં થયું હતું. 1995માં રાષ્ટ્રીય સંરક્ષણ એકૅડેમી(NDA)માં અને પછી 1998માં ભારતીય લશ્કરી એકૅડેમી(IMA)માં જોડાયા. તેઓ મદ્રાસ રેજિમેન્ટની પાંચમી મદ્રાસ બટાલિયનમાં કમિશન્ડ થયા. તેઓ 38 રાષ્ટ્રીય રાઇફલ્સમાં કાશ્મીર ગયા. તેમને 2002માં ચીફ ઑફ આર્મી સ્ટાફ કમેન્ટેશન મેડલ (COASM) મળ્યો. 2003માં ભારતીય સેનાના એસિલ ફોર્સ 1 પેરામાં જોડાયા. કાશ્મીરમાં કામગીરી બદલ તેમને 2004માં સેના મેડલ (શૌર્ય) એનાયત કરવામાં આવ્યો. તેઓ 2004માં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ સામેના ગુપ્ત ઑપરેશન માટે છૂપા વેશમાં ઇફ્તિખાર ભટ્ટ તરીકે આતંકવાદીઓ સાથે રહ્યા અને તેમનો વિશ્વાસ જીત્યો. 2009માં કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓની ઘૂસણખોરી માટે મેજર શર્માને જવાબદારી સોંપવામાં આવી. આતંકવાદીઓએ કરેલા હુમલામાં ચાર કમાન્ડો ઘાયલ થયા. મોહિત શર્માએ પોતાની સલામતીને અવગણીને ઘાયલ સૈનિકોને સલામત સ્થળે પહોંચાડ્યા. તેમને છાતીમાં ગોળી વાગવા છતાં પીછેહઠ ન કરી કમાન્ડોને પ્રેરિત કર્યા. તેઓ લડાઈમાં ઘાયલ થયા અને શહીદ થયા. તેમની અદમ્ય બહાદુરી અને બલિદાન માટે તેમને મરણોત્તર અશોકચક્ર એનાયત કરવામાં આવ્યું. તેમનું નામ દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં કોતરવામાં આવ્યું છે. 2019માં દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશને ગાઝિયાબાદના રાજેન્દ્રનગર મેટ્રો સ્ટેશનનું નામ બદલીને મેજર મોહિત શર્મા રાજેન્દ્રનગર મેટ્રો સ્ટેશન કર્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

હાથી

જમીન પર વસતું સૌથી મહાકાય, સૂંઢવાળું સસ્તન પ્રાણી.

હાથીની બે જાતિઓ છે : ૧. એશિયન હાથી, ૨. આફ્રિકન હાથી. એશિયન હાથી તે ભારત, શ્રીલંકા, મ્યાનમાર, સિયામ, મલાયા અને સુમાત્રામાં વસતા હાથી. ભારતમાં ઉત્તરાખંડ, આસામ, ઝારખંડ, ઓડિશા, કર્ણાટક, કેરળ વગેરે રાજ્યોમાં હાથી વસે છે. ભારતીય હાથીની ઊંચાઈ ૨.૫થી ૩ મીટર, લંબાઈ ૮ મીટર (સૂંઢથી પૂંછડી સુધીની) અને વજન ૩૦૦૦થી ૩૬૦૦ કિગ્રા. જેટલું હોય છે. આફ્રિકન હાથી આ હાથી કરતાં વધારે મોટા અને વધારે વજન ધરાવે છે. ભારતીય હાથીની જાતિમાં નર અને માદા દેખાવે સરખાં લાગે છે. ફેર માત્ર એટલો કે નર હાથીને મોટા હાથીદાંત હોય છે જ્યારે માદાને સાવ નાના. આફ્રિકન હાથીમાં નર તથા માદા બંનેને મોટા હાથીદાંત હોય છે. હાથીદાંતનો ઉપયોગ કરી તે ખોરાક મેળવે છે અને પોતાનું રક્ષણ કરે છે. તેની લંબાઈ પરથી હાથીની ઉંમર જાણી શકાય છે. હાથીની સૂંઘવાની શક્તિ જોવાની અને સાંભળવાની શક્તિ કરતાં વધારે તીવ્ર હોય છે. હાથીને થાંભલા જેવા ચાર પગ અને પગના તળિયે માંસલ ગાદી હોય છે. તે ૪થી ૫ આંગળીઓ ધરાવે છે.

આફ્રિકન હાથી

સસ્તન પ્રાણીઓમાં હાથીની વિશેષતા તે તેની સૂંઢ છે. સૂંઢ એનું નાક છે. તેના આગળના ભાગમાં બે નસકોરાંનાં છિદ્રો અને બે ઓષ્ઠ આવેલાં હોય છે. સૂંઢના છેડે આંગળી જેવો લંબગોલક હોય છે. આફ્રિકન હાથીમાં સૂંઢના છેડે બે ગોલક હોય છે. આ ગોલકની મદદથી તે સોય જેવી ઝીણી વસ્તુ પકડી શકે છે. સૂંઢમાં હાડકાં હોતાં નથી. તે મજબૂત સ્નાયુઓની બનેલી હોય છે. તેના વડે હાથી ખોરાક પકડીને પોતાના મોંમાં મૂકી શકે છે. તેનાથી હાથી મોટાં ઝાડ ઉખેડી શકે છે અને ભારે વજન ઊંચકી શકે છે. વળી તે સૂંઢથી પોતાનાં બચ્ચાંને પંપાળીને વહાલ પણ કરી શકે છે. હાથી શાકાહારી પ્રાણી છે અને પોતાના મોટા શરીરને ટકાવવા ખૂબ માત્રામાં (રોજનો લગભગ ૧૫૦ કિગ્રા. જેટલો) ખોરાક લે છે. ખોરાકમાં તે ડાળીડાળખાં, કૂંપળો, પાંદડાં તથા ફળો લે છે. શેરડી તેનો પ્રિય ખોરાક છે. ખોરાકને ચાવવા માટે તેના મોંમાં મોટી મોટી ૬ જોડ દાઢો હોય છે. એ દાઢો ઘસાઈ જાય તો ત્યાં નવી દાઢો ફૂટે છે. હાથી ખૂબ જોરાવર પ્રાણી છે. હાથીનું સરેરાશ આયુષ્ય ૪૦ વર્ષનું હોય છે; પરંતુ ક્યારેક તેઓ આશરે ૭૦ વર્ષ સુધી પણ જીવે છે. ગણપતિના મસ્તકની જગાએ હાથીનું માથું મુકાયેલ છે. તે અંગેની પૌરાણિક કથા પણ છે. હાથી બુદ્ધિશાળી અને સારી યાદશક્તિ ધરાવતું ચતુર પ્રાણી ગણાય છે. તેથી કદાચ હાથીનું મસ્તક ગણપતિ માટે પસંદ કરાયું હોય એવું અનુમાન પણ થઈ શકે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હાથી, પૃ. 154)