Categories
વાચન સમૃદ્ધિ

ત્ર્યંબક

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું પ્રખ્યાત તીર્થક્ષેત્ર. તે નાસિકની નૈઋત્ય દિશામાં શહેરથી આશરે 29 કિમી. પર બ્રહ્મગિરિ પર્વતની તળેટીમાં આવેલું છે. તેની કુલ વસ્તી 18,000 (2026, આશરે) છે. પાંચસો વર્ષ પૂર્વે આ સ્થળે કોઈ વસવાટ હતો નહિ. ધીમે ધીમે ત્યાં એક ગામડું ઊભું થયું, જેનું નામ ત્ર્યંબક પાડવામાં આવ્યું. આ નામ પરથી જ આ તીર્થક્ષેત્ર ત્ર્યંબકેશ્વર તરીકે જાણીતું થયું. તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – આ ત્રણે દેવતાઓનું પ્રતીક ગણાય છે. ત્ર્યંબકેશ્વર મંદિરની આસપાસના વિસ્તારમાં અન્ય ઘણાં મંદિરો છે; જેમાં શ્રીકૃષ્ણ, શ્રીરામ, પરશુરામ અને લક્ષ્મીનારાયણનાં મંદિરો મુખ્ય છે. ગામની ઉત્તરે આશરે એક કિમી. અંતરે નીલપર્વત નામની એક ટેકરી છે જેના પર નીલાંબિકા દેવીનું મંદિર છે. બ્રહ્મગિરિ નામક જે પર્વતની તળેટીમાં આ ગામ વસેલું છે તે પર્વત ગોદાવરી નદીનું ઉદ્ગમસ્થાન છે. પર્વત પર એક કિલ્લો પણ છે. પર્વતના ઢાળ પર નાથપંથીઓનો મઠ છે જ્યાં નાશિકના કુંભમેળા સમયે નાથપંથના અનુયાયીઓ ભેગા થાય છે. પર્વતની તળેટીએ જ ગંગાસાગર નામક જળાશયના પશ્ચિમ તરફના તટ પર જ્ઞાનેશ્વરના મોટા ભાઈ નિવૃત્તિનાથની સમાધિ છે.

ત્ર્યંબકેશ્વર મંદિર, ત્ર્યંબક

કારતક પૂનમ, નિવૃત્તિનાથની પુણ્યતિથિ, પોષ વદ એકાદશી અને માઘ માસની શિવરાત્રી – દિવસોએ આ ગામમાં મોટા મેળા ભરાય છે. 1866થી ગામની નગરપાલિકા સ્થપાઈ. હવે આ ગામમાં શિક્ષણસંસ્થાઓ, દવાખાનાં, ગ્રંથાલય, નગરગૃહ, નગર-ઉદ્યાન વગેરે અદ્યતન સુવિધાઓ છે. ત્ર્યંબકેશ્વરના મંદિર વિશે ઘણી પુરાણકથાઓ પ્રચલિત છે. આ મંદિર ભારતનાં બાર જ્યોતિર્લિંગોમાંનું એક ગણાય છે. મંદિરનો કુલ વિસ્તાર 80.7 × 66.91 મી. છે. તેની આસપાસના કોટનો વિસ્તાર 80.77 × 66.45 મી. જેટલો છે. મંદિરમાંના શિવલિંગની વિશેષતા એ છે કે તે પિંડીની અંદર છે. અને તેની તડમાંથી સતત પાણી ઝરતું હોય છે. શિવલિંગની સામે શુભ્ર પાષાણનો નંદી છે. મંદિરની પાછળના ભાગમાં પવિત્ર જળનો કુંડ છે. મંદિરની દીવાલોના બહારના ભાગ પર સુંદર મૂર્તિઓ કંડારેલી છે. પહેલા પેશવા બાળાજી બાજીરાવે (1740–61) આ મંદિર બંધાવ્યું હતું અને છેલ્લા પેશવા બાજીરાવ-બીજાના દત્તક પુત્ર નાનાસાહેબના સમય દરમિયાન (1851–57) જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9

Categories
વાચન સમૃદ્ધિ

પી. વી. નરસિંહ ભારતી

જ. 24 માર્ચ, 1924 અ. 11 મે, 1978

તમિળ સિનેમાના જાણીતા અભિનેતા અને ગાયક પી. વી. નરસિંહ ભારતીનો જન્મ મદુરાઈના સૌરાષ્ટ્ર વણકર સમાજમાં થયેલો. તેમના પૂર્વજોએ સદીઓ પહેલાં ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાંથી સ્થાળાંતર કરેલું. વણાટકામ સાથે સંકળાયેલા કુટુંબમાં નરસિંહ ભારતીનો ઉછેર થયો. 11 વર્ષની ઉંમરે તેઓ ‘boys’ company માટે મંચ પર સ્ત્રીપાત્રો ભજવી જાણતા. તે સમયે નાટકોમાં મંચ પર અભિનય સાથે જાતે જ ગાવું પડતું. તેઓ મધુર અવાજના કારણે ખૂબ લોકપ્રિય થયા. દેવી સરસ્વતી(વિદ્યાની દેવી)ના અદ્ભુત અભિનય માટે તેઓ ‘ભારતી’ કહેવાયા. (‘ભારતી’ શબ્દ સંસ્કૃત ભાષામાંથી લેવાયો છે, મા સરસ્વતી દેવીની કૃપા જેના પર ઊતરી છે તે). શાસ્ત્રીય ગાયક અને સારા અભિનેતા તરીકે સિનેમા ક્ષેત્રે તેમણે પદાર્પણ કર્યું અને પૌરાણિક ફિલ્મો માટે તેઓ ફિલ્મ નિર્માતાઓની પ્રથમ પસંદગી રહ્યા. કૃષ્ણ ભગવાનના પાત્રમાં તેઓ ‘કુરુક્ષેત્ર’ (1945), ‘અભિમન્યુ’ (1948)  અને લક્ષ્મણના પાત્રમાં ‘સંપૂર્ણ રામાયણ’(1958)માં ખૂબ લોકચાહના પામ્યા. શિવાજી ગણેશન અને એમ. જી. રામચંદ્રન જેવા સમકાલીન કલાકારોના પ્રભુત્વ વચ્ચે પણ તેમણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું. તેમણે જ ફિલ્મ ‘કૃષ્ણ વિજયમ’ (1950) માટે જાણીતા ગાયક ટી. એમ. સૌદરારાજનની ભલામણ કરી હતી. 1940થી કારકિર્દીની શરૂઆત કરનાર ભારતીએ લગભગ 50 ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું. તેમાંની મહત્ત્વની ફિલ્મો ‘પોન્મુડી’ (1949), ‘મદનમોહિની’ (1953), ‘થીરુમ્બી પાર’ (1953) વગેરે છે.

Categories
વાચન સમૃદ્ધિ

ભસ્મ કરી નાખો, તોપણ

અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકન (ઈ. સ. 1809 થી ઈ. સ. 1865) જ્યારે અમેરિકાના ઈલિનોય રાજ્યના ધારાસભ્ય હતા, તે સમયે એક મોટો વિવાદ જાગ્યો. એ સમયે ઈલિનોય રાજ્યની રાજધાની વેન્ડેલિયા હતી. તેને સ્પ્રિંગફિલ્ડ શહેરમાં લઈ જવા માટેનું બિલ ધારાસભામાં રજૂ થવાનું હતું. સ્પ્રિંગફિલ્ડ શહેર અત્યંત વિકાસ પામતું વેપાર-રોજગારનું મોટું મથક હોવાથી ઈલિનોય રાજ્યની રાજધાની બનવા માટે યોગ્ય હતું; પરંતુ બીજા ધારાસભ્યો પોતપોતાની કાઉન્ટીના શહેરમાં રાજધાની ખસેડવાનો આગ્રહ રાખતા હતા. આ સમયે અબ્રાહમ લિંકને બીજી કાઉન્ટીના ધારાસભ્યો જોડે મૈત્રીભરી ચર્ચા-વિચારણા કરી અને સ્પ્રિંગફિલ્ડના રાજધાની બનાવવા માટેનું બિલ પસાર કરવામાં એમને ટેકો આપવાનું કહ્યું. આવો ટેકો આપવાની સામે કેટલાક ધારાસભ્યોએ લિંકન પાસેથી અમુક બાબતમાં એમના જૂથના ધારાસભ્યોના મતની માગણી કરી. મત મેળવવા માટે કોઈ સોદો કરવો, એ તો લિંકનના સિદ્ધાંતથી તદ્દન વિરોધી વાત હતી, તેથી એમણે પેલા સભ્યોને આવી શરતી મદદ સ્વીકારવાનો ઇન્કાર કર્યો. આવી સ્થિતિ હોવા છતાં લિંકનના જૂથના મતો ખરીદવા ઇચ્છતા સભ્યોએ મંત્રણા ચાલુ રાખી અને વિચાર્યું કે આખરે લિંકનને થાકીને હા પાડવી પડશે. મંત્રણા સવાર સુધી ચાલી, પણ લિંકને પોતાના જૂથના મતનો સોદો કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરતાં કહ્યું, ‘તમે મારા શરીરને બાળીને ભસ્મ કરી નાખો અથવા તો નરકની યાતના સહેવા માટે મારા આત્માને અંધકારમય અને નિરાશામય નરકાગારમાં નાખો; પરંતુ હું જેને અન્યાયી અને ગેરવાજબી માનતો હોઉં એવાં કોઈ પણ પગલાંમાં મારો ટેકો તમે કદી પણ મેળવી શકશો નહીં.’ લિંકનની ભારે જહેમતને અંતે સ્પ્રિંગફિલ્ડને ઈલિનોય રાજ્યની રાજધાની બનાવવાનો કાયદો પસાર થયો અને લોકોએ એમના નિષ્ઠાવાન નેતા અબ્રાહમ લિંકનનો જાહેરમાં સત્કાર કર્યો.