Categories
વાચન સમૃદ્ધિ

શક્તિનો વ્યય

ઈ. સ. 1901થી ઈ. સ. 1909 સુધી અમેરિકાનું પ્રમુખપદ સંભાળનાર થિયૉડોર રૂઝવેલ્ટ રાજકારણમાં તેમની ‘બિગ સ્ટિક’ થિયરી માટે જાણીતા હતા. આ ‘બિગ સ્ટિક’નો અર્થ એટલો કે તેઓ પ્રભાવ વિસ્તારવાના સાધન તરીકે રાજકીય અને લશ્કરી દળનો સવિશેષ ઉપયોગ કરવામાં માનતા હતા. એમણે પૂર્વપ્રમુખ મેકક્નિલીની રાજનીતિને અનુસરવાની જાહેરાત કરી, પરંતુ હકીકતમાં તેમણે પોતાની આગવી રાજનીતિ અપનાવી. અન્યની યોજનાને અનુસરવા તૈયાર નહોતા. પ્રમુખ રુઝવેલ્ટે ઘણાં ક્રાંતિકારી પગલાંઓ ભર્યાં, રશિયા-જાપાનનું યુદ્ધ બંધ કરવામાં અને એમની વચ્ચે સંધિ કરાવવામાં સહાય કરી. ચીન પરત્વે એમણે ‘ઓપન ડૉર પૉલિસી’ એટલે કે ચીનને માટે એમણે દ્વાર ખુલ્લાં કર્યાં. 1908માં થિયૉડોર રૂઝવેલ્ટે પ્રમુખપદની ચૂંટણી માટે વિલિયમ હોવર્ડ ટેફ્ટને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો અને 1909માં થિયૉડોર રૂઝવેલ્ટે પ્રમુખપદ છોડ્યું અને આફ્રિકામાં સિંહના શિકાર માટે ગયા. એ પાછા આવ્યા ત્યારે પ્રમુખ ટેફ્ટની રાજનીતિ જોઈને ઊકળી ઊઠ્યા. જેને એમણે આટલો બધો સાથ આપ્યો હતો એણે એમની રાજનીતિના માર્ગે ચાલવાને બદલે સાવ જુદી જ નીતિ-રીતિ અપનાવી હતી. આથી થિયૉડોર રૂઝવેલ્ટે પ્રમુખ ટેફ્ટની આકરી ટીકાઓ કરવા માંડી. એમનાં કામોને વખોડવા લાગ્યા. એમને રૂઢિચુસ્ત કહીને વગોવવા લાગ્યા અને બન્યું એવું કે આ બંને વચ્ચે અણબનાવ શરૂ થયો. પછી તો સામસામે આક્ષેપો થયા. એનું પરિણામ એ આવ્યું કે ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષ શરમજનક પરાજય પામ્યો અને થિયૉડોર રૂઝવેલ્ટે આને માટે ટેફ્ટને જવાબદાર માન્યો અને પ્રેસિડેન્ટ ટેફ્ટે થિયૉડોર રૂઝવેલ્ટને કારણભૂત ગણ્યા. એક વાકયુદ્ધને પરિણામે કેટલી બધી શક્તિ વેડફાય છે, પરસ્પરની વ્યર્થ ટીકાઓથી અખબારોનાં પાનાંઓ ઊભરાય છે, પ્રજામાનસ દૂષિત થાય છે અને છતાં એમાં જવાબદાર એવા બંને મુખ્ય માણસો પોતાને દોષિત માનતા નહોતા. આ જ છે માનવસ્વભાવની ખૂબી.

Categories
વાચન સમૃદ્ધિ

જેન ઑસ્ટિન

જ. 16 ડિસેમ્બર, 1775 અ. 18 જુલાઈ, 1817

અંગ્રેજી સાહિત્યમાં અમર કીર્તિ પ્રાપ્ત કરેલ લેખિકા જેન ઑસ્ટિનનો જન્મ સ્ટિવેન્ટન હેમ્પશાયરમાં થયો હતો. તદ્દન સામાન્ય કુટુંબમાં જન્મેલાં જેને લેખનકાર્યનો ઘણી નાની વયે પ્રારંભ કર્યો હતો. પિતા પાસેથી મળેલી તાલીમને કારણે ચૌદ વર્ષની વયે ‘લવ ઍન્ડ ફ્રૅન્ડશિપ’ની રચના થઈ. ‘એ હિસ્ટરી ઑવ્ ઇંગ્લૅન્ડ’ 15 વર્ષની વયે, ‘એ કલેક્શન ઑવ્ લેટર્સ’ 16 વર્ષની વયે આકાર પામી. જેને ઈ. સ. 1797માં લખેલ ‘પ્રાઇડ ઍન્ડ પ્રેજ્યુડિસ’ નવલકથા ઈ. સ. 1813માં પ્રકાશિત થઈ અને આ નવલકથાએ ઇતિહાસ રચ્યો. આ નવલકથા અંગ્રેજી સાહિત્યવિશ્વના સર્વોત્કૃષ્ટ સર્જન તરીકે ઓળખાય છે. તેમની બીજી લોકપ્રિય નવલકથાઓમાં ‘એમ્મા’, ‘સેન્સ ઍન્ડ સેન્સિબિલિટી’, ‘નાર્દેન્જર એબે’, ‘મેન્સફિલ્ડ પાર્ક’ અને ‘પર્સુએશન’નો સમાવેશ થાય છે. જેન ઑસ્ટિનની નવલકથાઓને પ્રગટ થતાંવેંત સારો આવકાર મળતો રહ્યો હતો. તેમની નવલકથાઓમાં રોજિંદા ગૃહજીવનને લગતા વિષયો, વિવિધ સામાજિક સાંસારિક સમસ્યાઓ તથા શાંત પ્રાદેશિક વાતાવરણના મુખ્યત્વે ગ્રામીણ મધ્યમવર્ગીય સમાજના અને સંસ્કારી પરિવારોના ભાવ-પ્રતિભાવ તથા સંવેદનાઓનું સ્પષ્ટ અને ભાવવાહી આલેખન છે. માનવજીવનની સાહજિક લાક્ષણિકતાઓ, વિચિત્રતાઓ તથા વિલક્ષણતાઓ તે પારદર્શક રીતે રજૂ કરે છે. પોતાની નવલકથાઓમાં જેને સામાજિક પરિવર્તનોના પ્રયોગોનો વિરોધ કરીને પારંપરિક મૂલ્યોને જ આગળ કર્યાં હતાં. તેમની નાયિકાઓ દ્વારા સ્ત્રીના ભાવમનનો થતો ખુલાસો અને તેને અંતે નર્મ સુખાન્તનો મળનારો સાથ એ જેનની નવલકથાની સબળ બાજુઓ હતી. પોતાના અનુભવોની તથા સંસારના અભ્યાસની મર્યાદામાં રહીને વૈવિધ્યપૂર્ણ પાત્રસૃષ્ટિના તથા હૃદયસ્પર્શી અને વાસ્તવદર્શી સાહિત્યના સર્જક તરીકે અંગ્રેજી નવલકથાક્ષેત્રે તેઓ ઊંચું અને અવિસ્મરણીય સ્થાન પામ્યાં છે. માત્ર 42 વર્ષની વયે જેન ઑસ્ટિને વિશ્વની વિદાય લીધી. તેમની કારકિર્દીને બે સદીઓ વીતી ગઈ હોવા છતાં તેમની પ્રતિભાની તાજગીને કારણે તેમની કલાકૃતિઓને આજે પણ દાદ આપવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

હરિયાળી ક્રાંતિ (green revolution)

નવી ટૅક્નૉલૉજી દ્વારા ભારતમાં ખેતીક્ષેત્રે ટૂંકા સમયમાં થયેલી મોટી ઉત્પાદનવૃદ્ધિ.

‘હરિયાળી’ એટલે લીલોતરી. એ શબ્દ વનસ્પતિની – ખેતીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે; જ્યારે ‘ક્રાંતિ’ શબ્દ મૂળભૂત પરિવર્તન સૂચવે છે. ભારતના હરિયાળી ક્રાંતિના પ્રણેતા ડૉ. એમ. એસ. સ્વામીનાથન નોંધે છે કે, ‘ખેતવિકાસની પ્રક્રિયા એ ફક્ત અન્નક્ષેત્રે સ્વાવલંબન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા નથી, પરંતુ ઝડપી અને વધુ શક્ય આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે.’ હરિયાળી ક્રાંતિ એટલે ખેતીક્ષેત્રે ઉત્પાદનપદ્ધતિમાં આમૂલ પરિવર્તન; પરંતુ આ આમૂલ પરિવર્તન સાથે કેટલીક બાબતો જોડાયેલી છે.

હરિયાળી ક્રાંતિ દર્શાવતો પંજાબનો એક ક્ષેત્રવિસ્તાર

આ ટૅક્નૉલૉજીના ત્રણ ઘટકો હતા : ઊંચી ઉત્પાદકતા ધરાવતાં બીજ, રાસાયણિક ખાતરો અને સમયસર અને પૂરતો પાણી-પુરવઠો. વધુ ઉત્પાદકતા ધરાવતાં બીજની એ ખાસિયત છે કે તેમાંથી ઊગતા છોડની લંબાઈ ઓછી રહે છે અને તે ઝડપથી પરિપક્વ થાય છે, તેથી તેને ખાતર રૂપે પૂરતું પોષણ અને સમયસર માપસરનું – પૂરતું પાણી મળવું જોઈએ. આની સાથે જંતુનાશક દવાઓનો વ્યાપક ઉપયોગ સંકળાયેલો છે; કેમ કે નવાં બિયારણ પર આધારિત પાક સરળતાથી રોગચાળાનો અને જીવજંતુઓનો ભોગ થઈ પડે છે. ભારતમાં નવી ઉત્પાદનપદ્ધતિ ૧૯૬૬માં રવી પાકથી શરૂ થઈ. ભારતના કૃષિક્ષેત્ર પર આને પરિણામે અનેક પ્રકારની અસરો પડી છે. તેની કેટલીક સારી અસરો નીચે પ્રમાણે છે : (૧) ભારતમાં નવી ઉત્પાદનપદ્ધતિના કારણે કેટલાંક ધાન્યો અને વ્યાપારી પાકોના ઉત્પાદનમાં વધારો થયો. (૨) નવાં સુધરેલાં બિયારણો અને આધુનિક પદ્ધતિના ઉપયોગથી ખેત-ઉત્પાદકતામાં વધારો થયો. (૩) ઘઉંના ઉત્પાદનમાં સૌથી વધુ વધારો થયો. ત્યાર બાદ ચોખા અને અન્ય ધાન્ય-પાકોમાં પણ અનુકૂળ અસરો દેખાવા માંડી. કપાસ, શેરડી, શણ અને કૉફી જેવા પાકોમાં ઉત્પાદન વધ્યું. (૪) ખેડૂતોના દૃષ્ટિબિંદુમાં ફેરફાર થવા લાગ્યો. તેઓ વધુ ઉત્પાદન અને તેના સારા ભાવો કઈ રીતે મેળવવાં તે અંગે વિચારતા થયા. તેઓની આવકમાં પણ વધારો થયો. (૫) હરિયાળી ક્રાંતિને લીધે અનાજના ઉત્પાદનમાં વધારાના કારણે અનાજની આયાત ઘટવા માંડી. (૬) રોજગારીની તકોમાં વધારો થયો. (૭) ઔદ્યોગિક ક્ષેત્રે નવા ઉદ્યોગોને વેગ મળ્યો. (૮) ખેડૂતોના જીવનધોરણમાં સુધારો થયો. (૯) સમગ્ર દુનિયાના કૃષિ-ઉત્પાદનમાં હિસ્સાની દૃષ્ટિએ ભારત અગ્રણી બન્યું છે. નવી ટૅક્નૉલૉજીની કેટલીક મર્યાદાઓ પણ છે તે છતાં પણ તેને ‘હરિયાળી ક્રાંતિ’ જેવું મોટું નામ આપવામાં આવ્યું છે તે હકીકતને સમજવા માટે પંજાબનું ઉદાહરણ તપાસી શકાય.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હરિયાળી ક્રાંતિ (green revolution), પૃ. 126)