Categories
વાચન સમૃદ્ધિ

સૌમિત્ર ચટ્ટોપાધ્યાય

જ. 19 જાન્યુઆરી, 1935 અ. 15 નવેમ્બર, 2020

બંગાળી સિનેમાના બહુમુખી પ્રતિભા ધરાવતા ખૂબસૂરત અભિનેતા સૌમિત્ર ચટ્ટોપાધ્યાયનો જન્મ બંગાળમાં થયો હતો. તેમને બાળપણથી જ નાટકો ભજવવાનો શોખ હતો. ઘરમાં જ ભાઈ-બહેનો તથા દોસ્તો સાથે મળીને નાટકો ભજવતા. વડીલોએ પણ આ માટે તેમને પ્રોત્સાહિત કર્યા. પિતા તેમના વ્યવસાય અંગે કૉલકાતા ગયા અને સૌમિત્ર પણ ત્યાં કૉલેજમાં અભ્યાસ કરવા ગયા. કૉલેજમાં તેમનો પરિચય સત્યજિત રે સાથે થયો, જે સમય જતાં ગાઢ દોસ્તીમાં પલટાઈ ગયો. ચલચિત્રક્ષેત્રે તેમનો ઉદય સત્યજિત રેના ‘અપૂર સંસાર’માં ભજવેલી ભૂમિકાથી થયો. ‘અપૂર સંસાર’ના તેમના અભિનયથી તેમને ખૂબ લોકપ્રિયતા મળી. તે પછી તેમને અન્ય સર્જકોનાં ચલચિત્રોમાં પણ કામ મળવા માંડ્યું. સાઠના દાયકામાં તે સમયના જાણીતા અભિનેતા ઉત્તમકુમારના પ્રતિસ્પર્ધી અભિનેતા તરીકે ખૂબ પ્રશંસા મળી. ‘અપરિચિત’ જેવા ચલચિત્રમાં તેમની ભૂમિકા ખૂબ વખણાઈ. ‘સ્ત્રી’, ‘દેવદાસ’, ‘ઝિંદેર બંદી’ જેવાં ચલચિત્રોમાં તેમણે ઉત્તમકુમારની સમકક્ષ ભૂમિકા કરી. તેમની અભિનયક્ષમતાથી વિશ્વભરના સમીક્ષકો, ફિલ્મસર્જકોનું ધ્યાન આકર્ષિત થયું. સત્યજિત રે સાથે લગભગ સાડા ત્રણ દાયકાની સફરમાં તેમનાં 28 ચલચિત્રોમાંથી 14માં સૌમિત્રએ પ્રમુખ ભૂમિકા નિભાવી જે સર્વ ભારતીય સિનેમાઉદ્યોગ માટે અમૂલ્ય ગણાય છે. તેમણે તેમની પ્રતિભાથી દર્શકોનાં દિલ જીત્યાં અને તેમને વૈશ્વિક ઓળખ મળી. તેમણે સત્યજિત રે ઉપરાંત મૃણાલ સેન, તપન સિંહા, તરુણ મજમુદાર સહિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા નિર્દેશકો સાથે પણ કામ કર્યું. જોકે તેઓ રંગમંચ સાથે તો હંમેશાં જોડાયેલા રહ્યા. તેમની ભૂમિકાવાળાં નોંધપાત્ર ચલચિત્રોમાં ‘અપૂર સંસાર’ ઉપરાંત ‘સાત પાકે બાંધા’, ‘ચારુલતા’, ‘અપરિચિત’, ‘અભિજાન’, ‘ગણદેવતા’, ‘સમાપ્તિ’, ‘ઘરે-બાહિરે’, ‘સ્વયંવરા’, ‘ઉર્વશી’, ‘વસુંધરા’, ‘ક્ષુધિત પાષાણ’, ‘અભિમન્યુ’ વગેરેનો સમાવેશ થાય છે. તેઓ ગુરુદેવ ટાગોરના ભક્ત હતા. તેઓ પોતે કાવ્યો લખતા. તેમનું પ્રથમ પુસ્તક ‘જલપ્રપાતેર ધારે દાડાવ બોલે’ 1974માં પ્રગટ થયું હતું. તેમને પદ્મભૂષણ અને દાદાસાહેબ ફાળકે જેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

હિપોપૉટેમસ

ભૂમિ પર રહેતું ત્રીજા નંબરનું મહાકાય પ્રાણી.

‘હિપોપૉટેમસ’નો અર્થ છે ‘નદીમાં રહેતો ઘોડો’. જોકે તે ભુંડને વધારે મળતું આવે છે. આફ્રિકામાં વસતું આ પ્રાણી ઝરણાં, નદી, તળાવ કે સરોવરની પાસે રહે છે અને ઘણો સમય પાણીમાં જ ગાળે છે. બે પ્રકારના હિપો જોવા મળે છે. બીજા પ્રકારના હિપો પિગ્મી હિપોપૉટેમસ છે, જે હવે જૂજ સંખ્યામાં છે. હિપોનું શરીર મોટા પીપ જેવું હોય છે. તે નાના પગ અને પૂંછડી ધરાવે છે. તેનું વજન આશરે ૨૫૦૦ કિલોગ્રામ જેટલું હોઈ શકે છે. તેના મોટા માથાની ઉપરના ભાગમાં આંખ, કાન તથા નાક આવેલાં હોય છે. જેથી તે મોંનો એટલો ભાગ પાણીમાંથી બહાર કાઢીને તરે છે. હિપો ચપળતાથી પાણીમાં તરે છે અને ડૂબકી મારીને ૫થી ૬ મિનિટ સુધી પાણીની અંદર રહી શકે છે. તે સમયે તે તેનાં કાન અને નાક બંધ કરી દે છે, જેથી તેમાં પાણી દાખલ થાય નહીં.

હિપોપૉટેમસ

હિપોની ચામડી ઘેરા બદામી – કથ્થાઈ રંગની તથા જાડી હોય છે. તેના પર નહીંવત્ રુવાંટી હોય છે. તેના શરીર પર ગ્રંથિઓ આવેલી હોય છે. તેમાંથી લાલ રંગનો તૈલી પદાર્થ ઝમે છે, જેનાથી તેની ચામડી સૂકી થતી નથી. હિપો ટોળામાં રહે છે. માદાઓ તથા બચ્ચાંઓ સમૂહમાં રહે છે. તેઓ રાત્રે પણ છીછરા પાણીમાં એકબીજાની પાસે સમૂહમાં સૂઈ જાય છે. માદા હિપો બચ્ચાંની સારી સંભાળ લે છે. બચ્ચાંનો જન્મ પાણીમાં જ થાય છે. બચ્ચું તેના શત્રુઓથી (સિંહ, હાયેના તથા મગર) બચવા હિપોની પીઠ પર સવારી કરે છે. હિપો સાંજ પડે પાણીમાંથી બહાર નીકળીને ઘાસ ખાવા જાય છે. તે મહાકાય હોવા છતાં ઝડપથી ૩૦ કિમી./કલાક દોડી શકે છે. ક્યારેક તો ખેતરમાં ઊગેલો પાક પણ તે આરોગી લે છે. ખોરાક મેળવવા ક્યારેક નદીમાં જતી નાની બોટ પર પણ તે હુમલો કરે છે. હિપો પાણીમાં તેના વિસ્તાર માટે અને માદા માટે આક્રમક વલણ અપનાવતો હોય છે. મોટાં મોટાં બગાસાં ખાઈને તે પ્રતિસ્પર્ધીને આહવાન આપે છે અને પોતાના રાક્ષી દાંતથી હુમલો કરે છે. માદા સામાન્ય રીતે એક બચ્ચાને જન્મ આપે છે. હિપોનું આયુષ્ય આશરે ૩૦ વર્ષનું હોય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10

Categories
વાચન સમૃદ્ધિ

બાલગંગાધરનાથ સ્વામી

જ. 18 જાન્યુઆરી, 1945 અ. 13 જાન્યુઆરી, 2013

સમાજસેવા દ્વારા જાગરણ કરનાર સંન્યાસી બાલગંગાધરનાથ સ્વામીનો જન્મ કર્ણાટકના બાનંદુર ગામમાં થયો હતો. પિતા ચિક્કાલિંગ ગૌડા અને માતા બોરામ્મા. તેમનું બાળપણનું નામ ગંગાધરૈયા હતું. 1963માં પ્રથમ વર્ગ સાથે મૅટ્રિક થયા પછી બૅંગાલુરુની આર્ટસ ઍન્ડ સાયન્સ કૉલેજમાં સ્નાતક થયા. તેમણે આધ્યાત્મિક માર્ગ પસંદ કર્યો અને આદિ ચુંચનગિરિ મઠના રામાનંદ સ્વામી પાસે દીક્ષા લીધી. તેમનું નામ બાલગંગાધરનાથ સ્વામી રાખવામાં આવ્યું. તેમણે વેદ, ઉપનિષદ અને અન્ય ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો. તેમણે 24 સપ્ટેમ્બર, 1974ના રોજ પ્રાચીન નાથસંપ્રદાયના શ્રી આદિ ચુંચનગિરિ મઠના 71મા ધર્મગુરુ તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમણે 1973માં શ્રી આદિ ચુંચનગિરિ શિક્ષણ ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. આજે દેશભરમાં 480થી વધુ શાળાઓ કાર્યરત છે. તેમણે પરંપરાગત શિક્ષણપદ્ધતિની હિમાયત કરી. સંસ્કૃત કૉલેજો અને આયુર્વેદિક હૉસ્પિટલ શરૂ કરી. બૅંગાલુરુ અને મૈસૂરમાં વાજબી દરે ખર્ચાળ તપાસ અને ઑપરેશન કરતી બીજીએસ ગ્લોબલ અને બીજીએસ એપોલો હૉસ્પિટલ શરૂ કરી. કુદરતી આપત્તિ સમયે પીડિતોને મફત અનાજ, વસ્ત્રો અને જરૂરી દવાઓ પૂરી પાડી. નિરાધાર મહિલાઓ અને બાળકો માટે અનાથાશ્રમો શરૂ કર્યા. મહિલાઓને પગભર થવા માટે વ્યાવસાયિક તાલીમકેન્દ્રો શરૂ કર્યાં. ‘ગો ગ્રીન અર્થ’ ચળવળ અંતર્ગત તેમણે ‘એક વ્યક્તિ એક છોડ’ અભિયાન શરૂ કર્યું. બૅંગાલુરુ અને તેની આસપાસના વિસ્તારોમાં પાંચેક લાખ વૃક્ષો વાવવામાં આવ્યાં છે. વનમહોત્સવ અને જલસંવર્ધન કાર્યક્રમો દ્વારા પર્યાવરણનું જતન કરવાનું કાર્ય કર્યું. તેમણે ‘કર્ણાટક વનસંવર્ધન ટ્રસ્ટ’ની સ્થાપના કરી. ગરીબ બાળકોને નાતજાતના ભેદભાવ વગર બાલમંદિરથી લઈને મેડિકલ અને એન્જિનિયરિંગ સુધી ભણવા, રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તેમને આજીવન કરેલાં સમાજઉપયોગી કાર્યો બદલ અનેક સન્માનો પ્રાપ્ત થયાં છે. ભારત સરકારે 2010માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. યુ.એસ.ની ઇન્ટરનેશનલ હિન્દુ વૈદિક યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી યુનિવર્સિટી ઑફ મેડિકલ સાયન્સ અને બૅંગ્લોર યુનિવર્સિટીએ તેમને માનદ ડૉક્ટરેટની પદવી આપી હતી.