Categories
વાચન સમૃદ્ધિ

નકલ એટલે નિષ્ફળતા

સૅમ વૂડ તરીકે જાણીતા સેમ્યુઅલ ગ્રોસવેનૉર વૂડે (ઈ. સ. 1883 થી ઈ. સ. 1949) પોતાની વ્યવસાયી કારકિર્દીનો પ્રારંભ રિયલ એસ્ટેટ બ્રોકર તરીકે કર્યો. પોતાના આ વ્યવસાય માટે એ ઘણા સેલ્સમૅનો રાખતા હતા અને તેઓને તદ્દન નવીન અભિગમ અપનાવીને ગ્રાહકોને કઈ રીતે આકર્ષી શકાય, તે શીખવતા હતા. જ્યારે આ વ્યવસાયમાં બીજા લોકો ચીલાચાલુ ઢબે કામ કરતા હતા, ત્યારે સેમ વૂડે પોતાના સેલ્સમૅનોને કહ્યું કે ‘‘તમે એમની માફક પોપટની જેમ નકલ કરશો, તો એનાથી તમને ક્યારેય સફળતા મળશે નહીં. તમારી પાસે તમારી પોતાની આગવી રીત હોવી જોઈએ અને એ રીતથી તમારે તમારા ગ્રાહકોને પ્રભાવિત કરવા જોઈએ.’’ સૅમ વૂડ આ વ્યવસાયમાં ખૂબ સફળ થયા અને એ પછી એમણે અમેરિકન ફિલ્મમાં દિગ્દર્શક તરીકેની કામગીરી સ્વીકારી અને પ્રારંભમાં ‘પૅરેમાઉન્ટ પિક્ચર્સ’ નામની કંપનીની કેટલીક ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. ફિલ્મના દિગ્દર્શનમાં એમણે રિયલ એસ્ટેટ બ્રોકર તરીકેના પોતાના કસબને નવી રીતે ઢાળ્યો. એમાં પણ એમણે બીજાની નકલ કરવાને બદલે પોતાની આગવી રીતે ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. દર્શકોને કઈ રીતે આકર્ષી શકાય, એને માટે કેટલાય મૌલિક વિચારો કર્યા. એ સ્પષ્ટપણે કહેતા, ‘‘તમે નકલ કરીને ક્યાંય અને ક્યારેય સફળ થઈ શકવાના નથી. તમારે તમારો પોતાનો કસબ બતાવવો જોઈએ અને તો જ લોકો તમને સ્વીકારશે.’’ વળી એ સારી પેઠે જાણતા હતા કે લોકોને પણ કશુંક નવું જોઈએ છે અને ફિલ્મના માધ્યમ દ્વારા થતું મૌલિક આલેખન જોઈને દર્શકો સ્વાભાવિક રીતે જ આકર્ષાય છે. આનું પરિણામ એ આવ્યું કે સેમ વૂડે દિગ્દર્શિત કરેલી ઘણી ફિલ્મો હૉલિવૂડની ‘હીટ ફિલ્મો’ બની અને તે એકૅડેમી ઍવૉર્ડ માટે પણ નામાંકિત થઈ. ‘ફોર હૂમ ધ બેલ ટોલ્સ’, ‘એ નાઇટ ઓફ ધ ઓપેરા’, ‘ગૂડબાય મિ. ચિપ્સ’ અને ‘ધ પ્રાઇડ ઑફ ધ યાન્કી’ જેવી ફિલ્મોએ દિગ્દર્શક તરીકે સેમ વૂડને વૈશ્વિક નામના અપાવી.

Categories
વાચન સમૃદ્ધિ

વસંત કાનેટકર

જ. 20 માર્ચ, 1922 અ. 30 જાન્યુઆરી, 2001

લોકપ્રિય મરાઠી નાટ્યકાર વસંત કાનેટકરનો જન્મ સતારા જિલ્લાના રહીમતપુર ગામમાં થયો હતો. માતા ઉમા અને પિતા શંકર કાનેટકર જે મરાઠી કવિ હતા અને ‘ગિરીશ’ ઉપનામથી લખતા હતા. તેમનું શિક્ષણ સાંગલી અને પુણેમાં થયું હતું. પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી બી.એ. અને સાંગલીની વિલિંગ્ડન કૉલેજમાંથી એમ.એ. થયા. 1946માં નાશિકની હંસરાજ પ્રાગજી ઠાકરે કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. તેઓ મૅટ્રિકમાં હતા ત્યારથી કવિતા, વાર્તા અને નિબંધ લખતા. તેમની પ્રથમ વાર્તા 1939માં ‘મનોહર’ માસિકમાં પ્રકાશિત થઈ હતી. તેઓ 1973માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ પૂર્ણકાલીન વ્યાવસાયિક નાટ્યકાર થયા. તેમણે 54 વર્ષમાં 42 ત્રિઅંકી નાટકો, 4 નવલકથાઓ, એકાંકીઓ, ટૂંકી વાર્તાઓ, નિબંધો, ફિલ્મો અને ટીવી સિરિયલો માટે પટકથાઓ લખી હતી. ‘લાવણ્યમયી’ વાર્તાસંગ્રહ; ‘ઘર’, ‘પંખ’, ‘પોરકા’ મૌલિક અને ‘તેથે ચલ રાણી’ અનૂદિત નવલકથા એમણે આપ્યાં છે. તેમનું પ્રથમ નાટક ‘વેડ્યાચે ઘર ઉન્હાંત’ રંગભૂમિ પર સફળ રહ્યું. તેમણે ‘દેવાંચે મનોરાજ્ય’, ‘ગોષ્ટ જન્માંતરીચી’, ‘રાયગડાલા જેવ્હાં જાગ યેતે’, ‘પ્રેમા તુઝા રંગ કસા’, ‘સૂર્યાચી પિલ્લે’, ‘વિષવૃક્ષાચી છાયા’ વગેરે નાટકો આપ્યાં છે. ‘રાયગડાલા જેવ્હાં જાગ યેતે’ મરાઠી રંગભૂમિ પર સીમાચિહન બની રહ્યું. એ નાટક માટે એમને સંગીત નાટક અકાદમીનો શ્રેષ્ઠ ભારતીય નાટક પુરસ્કાર મળ્યો હતો. આ નાટક ભારતની ચૌદ ભાષાઓમાં ભાષાંતરિત થયું હતું અને તેનો મુંબઈ યુનિવર્સિટીના અંડર ગ્રૅજ્યુએટ આર્ટસ અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ગુજરાતી નાટકો ‘અમે બરફનાં પંખી’, ‘આતમને ઓઝલમાં રાખ મા’, ‘પુનર્મિલન’, ‘પઢો રે પોપટ બોલ પ્રેમના’, ‘રાયગડ જ્યારે જાગે છે’, ‘પારિજાત’, ‘નોખી માટી ને નોખા માનવી’, ‘ઉપર ગગન નીચે ધરતી’ તેમનાં મરાઠી નાટકોનાં રૂપાંતરણ છે. 1966માં હિંદી ફિલ્મ ‘આંસુ બન ગયે ફૂલ’ની શ્રેષ્ઠ વાર્તા માટે ફિલ્મફેર ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1990માં મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર અને 1992માં પદ્મશ્રી પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 1977માં ‘કસ્તુરીમૃગ’ નાટક માટે શ્રેષ્ઠ નાટક અને શ્રેષ્ઠ નાટ્યકારનો કદાદર્પણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

અબુ સિમ્બલ (ઇજિપ્ત)

ખડકમાંથી કોતરી કાઢેલાં અબુ સિમ્બલનાં મંદિરો.

આ વિરાટકાય સ્થાપત્યો દુનિયાભરમાં વિરલ ગણાય છે. ૩૦૦૦ વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં બંધાયેલાં આ પથ્થરની વિરાટ મૂર્તિઓવાળાં મંદિરો આશ્ચર્યચકિત કરી દે છે. અબુ સિમ્બલનાં મંદિરો નાઇલ નદીના પશ્ચિમ કાંઠે આવેલાં છે. અત્યારે નદી ઉપર બાંધેલા બંધને લીધે ૫૫૦ કિમી. લાંબા નાસર સરોવરમાં તે અડધાં ડૂબેલાં છે. પોતાની પ્રસિદ્ધિ માટે ખૂબ જ સભાન એવા રાજા રામસેસે પોતાની સ્મૃતિને ચિરંજીવ રાખવા આ વિરાટ મૂર્તિઓ કોતરાવી હતી. અબુ સિમ્બલનાં બંને મંદિરો ઈ. સ. પૂ. ૧૨૯૦–૧૨૨૪ દરમિયાન રાજા રામસેસેના ફરમાનથી બંધાયેલાં હતાં. મંદિરની સન્મુખ બેસાડેલી ફારોહની મુખ્ય મૂર્તિ તથા તેની અનેક નાની પ્રતિકૃતિઓ મંદિરો ઉપર નજર નાખતી ઊભી હોય એવું લાગે છે. એ જ મૂર્તિઓની આઠ પ્રતિકૃતિઓ પહાડમાં ૬૫ મીટર અંદરની તરફ કોતરેલી દીવાલો ઉપર ૭૦ મીટર લાંબા સભાખંડમાં આવેલી છે. ત્યાં દીવાલોમાં કોતરકામ સાથે સુંદર ચિત્રોનું સુશોભન કરાયેલું છે. નાના મંદિરના આગળના ભાગમાં દસ મીટર ઊંચી ફારોહની અને તેની પત્ની નેફરટીટીની મૂર્તિઓ શોભે છે. નાઇલ નદી ઉપર બંધ બાંધવાના લીધે અબુ સિમ્બલનાં મંદિરોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેથી નાઇલ નદીનાં પાણી અબુ સિમ્બલ ઉપર થઈને વહે, પણ ફારોહની મૂર્તિઓ જેમ છે તેમ સલામત રહે.

નાઇલ નદીના પશ્ચિમ કાંઠે આવેલાં અબુ સિમ્બલનાં મંદિરો

ઇજનેરી કૌશલ : નાઇલ નદી પર બંધ બાંધવાનું નક્કી થયું ત્યારે નિષ્ણાતોએ અભિપ્રાય આપ્યો કે આ બંધને કારણે નાઇલને કાંઠે આવેલાં આ બંને દેવળો ડૂબી જશે. આ પ્રાચીન ભવ્ય સ્થાપત્યોને બચાવી લેવા જગતભરમાંથી સલાહ અને સહકાર માગવામાં આવ્યાં. તેમાંથી એક જર્મન પેઢીની યોજનાનો સ્વીકાર થયો. આ યોજના મુજબ આ વિરાટ મૂર્તિઓ તેમની પાછળની દીવાલો સહિત ચોસલાના આકારમાં કાપીને તેમને મોટી ટ્રકો દ્વારા લઈ જવામાં આવી. આ માટે દરેક ટુકડાને સંખ્યા-સંકેતો આપવામાં આવ્યા હતા. સલામત સ્થળે મૂર્તિઓના ભાગોને ખસેડીને તેમને નંબર પ્રમાણે ફરીથી જોડી દેવામાં આવ્યા. પરિણામે આ બંને સ્થાપત્યો મૂર્તિઓ સાથે સાચવી લેવાયાં છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1