Categories
વાચન સમૃદ્ધિ

કાન્તિલાલ મોહનલાલ મડિયા

જ. ૩ જુલાઈ, ૧૯૩૨ અ. ૧૫ માર્ચ, ૨૦૦૪

ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ અભિનેતા, લેખક અને દિગ્દર્શક કાન્તિ મડિયાનો જન્મ લાઠીમાં. ગામમાં નાટકમંડળીઓ દ્વારા નાટકો ભજવાતાં. એ નાટકોની એમના પર અસર પડી. તેઓ શેરીમાં છોકરાંઓને ભેગા કરતા અને પોતે જોયેલા ‘કાદુ મકરાણી’ અને ‘વીર રામવાળો’ નાટકો દસ-બાર વર્ષની ઉંમરે ભજવતા. પિતાનું અવસાન થતાં મુંબઈમાં મામાને ત્યાં આવ્યા. ૧૯૪૮માં મૅટ્રિક પાસ કરી ભવન્સ કૉલેજમાં દાખલ થયા. કૉલેજ દરમિયાન ‘ભૂતઘર’ એકાંકી ભજવ્યું. પછી કૉલેજના વાર્ષિકોત્સવમાં ‘સિલ્વરમૂનનો સ્વયંવર’ ભજવ્યું. ભારતીય વિદ્યાભવનના કલાકેન્દ્રની આંતરકૉલેજ સ્પર્ધામાં કૉલેજ દ્વારા ‘ગળેપડુ ગોકળદાસ’ નાટક રજૂ થયું. એ સ્પર્ધામાં એમને શ્રેષ્ઠ નટ તરીકેનું દ્વિતીય પારિતોષિક મળ્યું. એમણે ‘રાખનાં રમકડાં’ નાટકમાં ચન્દ્રવદન ભટ્ટના સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું અને એમાં ‘જ્યોતિષી’નું પાત્ર પણ ભજવ્યું. તેમણે અદી મર્ઝબાન સાથે ‘રંગમિલન’, ‘પીરોજા ભવન’, ‘મોટા દિલના મોટા બાવા’ જેવાં નાટકોમાં અભિનય કર્યો. ૧૯૬૭માં એમણે ‘નાટ્યસંપદા’ની સ્થાપના કરી અને અદ્યતન ટૅકનિક અને વૈવિધ્યપૂર્ણ સાંપ્રત વિષયવસ્તુવાળાં નાટકો ભજવ્યાં. એમાં ‘આતમને ઓઝલમાં રાખ મા’, ‘નોખી માટી ને નોખાં માનવી’, ‘મુઠ્ઠી ઊંચેરો માનવી’, ‘અમે બરફનાં પંખી’, ‘મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ’, ‘બાણશય્યા’, ‘કોઈ ભીંતેથી આયના ઉતારો’, ‘મહાનાયક’, ‘કાચિંડો’ જેવાં નાટકોનો સમાવેશ થાય છે. એમણે ૩૩ વર્ષમાં ૩૫ જેટલાં નાટકોનું નિર્માણ અને દિગ્દર્શન એકલા હાથે કર્યું હતું, આથી તેઓ નાટ્યમંચના ‘વનમૅન આર્મી’ કહેવાતા. એમણે વિનોદિની નીલકંઠની વાર્તા પરથી ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દીકરો’નું દિગ્દર્શન કર્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા નાટ્યલેખન શિબિરો યોજ્યા હતા. ૧૯૮૦માં ‘કાવ્યસંપદા’ સ્થાપી અને તે દ્વારા ‘નૅશનલ સેન્ટર ફોર પર્ફૉર્મિંગ આર્ટ્સ’માં કાવ્યપઠનનું આયોજન પણ કર્યું હતું. તેમણે ‘માલગુડી ડેઝ’ના એક એપિસોડમાં અભિનય કર્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

ટેંજિર

મોરોક્કો રાજ્યનું તે જ નામ ધરાવતા પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : ૩૫o ૩૪’ ઉ. અ. અને ૬o ૦૦’ પ. રે. તે ઉત્તર આફ્રિકામાં આવેલું છે. આ પ્રાંતની ઉત્તરે અને પશ્ચિમે આટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ અને પૂર્વ દિશાએ ટેટવાન પ્રાંત છે. શહેરથી દક્ષિણે આવેલ રીફ પર્વત સુધી પ્રાંતની હદ છે. પ્રાંતનું ક્ષેત્રફળ ૧૧,૫૭૦ ચોકિમી. છે. તેની વસ્તી ૧૨,૭૫,૦૦૦ (૨૦૨૪, આશરે) છે.

જિબ્રાલ્ટરની સામુદ્રધુનીના પશ્ચિમ છેડે દેશના ઉત્તર કિનારે આવેલું આ આંતરરાષ્ટ્રીય બંદર છે. તે સ્પેનની મુખ્ય ભૂમિથી દક્ષિણે ૩૦ કિમી. અને કાસાબ્લાંકાથી ઈશાને ૩૫૪ કિમી. દૂર છે. તે ભૂમધ્ય સમુદ્રનું પ્રવેશદ્વાર છે અને લશ્કરી દૃષ્ટિએ તેનું વ્યૂહાત્મક મહત્ત્વ છે. સમુદ્રકિનારાથી દક્ષિણે મેદાન અને રીફ પર્વતમાળાનો ઉચ્ચપ્રદેશ આવેલો છે. તે ભૂમધ્ય સમુદ્રના કાંઠે આવેલા દેશો જેવી આબોહવા ધરાવે છે. ઉનાળો સૂકો અને સમધાત હવામાન ધરાવે છે. શિયાળામાં ૬૧૦થી ૮૧૦ મિમી. વરસાદ પડે છે. માર્ગો તથા રેલવે દ્વારા ટેંજિર અન્ય પ્રવાસધામો તથા રબાત, કાસાબ્લાંકા, ફેઝ, મેકનેસ વગેરે અન્ય શહેરો સાથે અને દરિયાઈ માર્ગ દ્વારા સ્પેન, ફ્રાન્સ, ઇટાલી વગેરે દેશો સાથે જોડાયેલ છે. આંતરરાષ્ટ્રીય વિમાનઘર દ્વારા આફ્રિકા તથા યુરોપનાં મહત્ત્વનાં શહેરો સાથે તે સંકળાયેલું છે.

ટેંજિર શહેર

અહીં અનાજ, ખાંડ અને પેટ્રોલિયમ પેદાશોની આયાત થાય છે, જ્યારે ગાલીચા, ફૉસ્ફેટ વગેરેની નિકાસ થાય છે. ટેંજિરના લોકો મુખ્યત્વે આરબ કે બર્બર છે. અરબી ઉપરાંત ત્યાં અંગ્રેજી, સ્પૅનિશ, ફ્રેન્ચ અને બર્બર ભાષાઓ બોલાય છે. ઇતિહાસ : ટેંજિરની ઈ. સ. પૂ. ૧૫૦૦માં  ફિનિશિયનોએ સ્થાપના કરી હતી. આ શહેર તેમનું વેપારી થાણું હતું. ત્યારબાદ કાર્થેજના લોકો અહીં વસ્યા હતા. રોમનો અહીં ઈ. સ. પૂ. ૮૨થી વસ્યા હતા. રોમનોએ તેને ટિનજિસ નામ આપ્યું હતું અને તે મૉરેટાનિયા ટિન્જિયાનાના રોમન પ્રાંતની રાજધાની હતું. રોમનોએ આશરે ઈ. સ. ૫૦૦ સુધી અહીં રાજ્ય કર્યું હતું. ત્યારબાદ તે વેન્ડાલ અને બાઇઝેન્ટીન શાસન નીચે હતું. ઈ. સ. ૭૦૫માં આરબોએ તે કબજે કર્યું હતું અને ૧૪૭૧ સુધી તે મુસ્લિમ શાસકોને કબજે હતું. ૧૪૭૧થી ૧૫૮૦ સુધી તે પોર્ટુગીઝોને અને ૧૫૮૦થી ૧૬૫૬ સુધી પોર્ટુગલ અને સ્પેનને તાબે હતું. ૧૬૬૨માં પોર્ટુગલની રાજકુંવરી કૅથેરાઇનને ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ પહેલા સાથે પરણાવતાં તેને તે દાયજામાં આપવામાં આવ્યું હતું. અંગ્રેજો અહીં ૧૬૬૨થી ૧૬૮૪ સુધી રહ્યા હતા. ૧૬૮૪માં મોરોક્કોના સુલતાને ટેંજિર અને આસપાસનો પ્રદેશ કબજે કર્યો હતો. ઓગણીસમી સદી દરમિયાન ટેંજિર પરદેશી એલચીઓનું નિવાસસ્થાન બન્યું હતું. ૧૯૧૨માં મોરોક્કો ફ્રાન્સનું રક્ષિત રાજ્ય બનતાં અહીં ફ્રેન્ચ અસર વધી હતી. ટેંજિરનું વ્યૂહાત્મક મહત્ત્વ પિછાનીને ૧૯૨૩માં તે અને આસપાસના પ્રદેશ આંતરરાષ્ટ્રીય અંકુશ નીચે મુકાયા હતા. ૧૯૪૦ના જૂનમાં સ્પેને તેનો કબજો  લીધો હતો. ૧૯૪૫માં ફ્રેન્ચ, બ્રિટન, યુ.એસ. તથા રશિયાએ ફરી તેનો કબજો લીધો હતો. ૧૯૫૬માં  મોરોક્કો સ્વતંત્ર થતાં તેણે આ નગરનો કબજો લીધો હતો. ૧૯૬૮માં અમેરિકન યુનિવર્સિટીની અને ૧૯૭૧માં ઉત્તર આફ્રિકન યુનિવર્સિટીની ત્યાં સ્થાપના થઈ હતી. નગરમાં પંદરમી સદીનો કોટ, સત્તરમી સદીની મસ્જિદ અને જૂનો રાજમહેલ જોવાલાયક છે. ત્યાંના રાજમહેલનો સંગ્રહસ્થાન તરીકે ઉપયોગ થાય છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ગણપતરાવ(ગણેશ) બોડસ

જ. ૨ જુલાઈ, ૧૮૮૦ અ. ૨૩ ડિસેમ્બર, ૧૯૬૫

ભારતીય રંગમંચ અભિનેતા અને મરાઠી નાટકો માટે જાણીતા ગણપતરાવ ઉર્ફે ગણેશ ગોવિંદ બોડસનો જન્મ ભારતના અહમદનગર જિલ્લાના શેવગાંવ ગામે થયો હતો. તેમણે માત્ર હાઈસ્કૂલ સુધી જ અભ્યાસ કર્યો હતો. બાળપણથી જ તેમને સંગીત અને અભિનય બંનેમાં રસ જાગ્યો હતો. તેઓ શાળામાં એક કલાપ્રેમી અભિનેતા તરીકે જાણીતા હતા. ૧૮૯૫માં બોડસ કિર્લોસ્કર નાટકમંડળીમાં જોડાયા. એ થિયેટરક્ષેત્રે એમનો સત્તાવાર પ્રવેશ હતો. શાસ્ત્રીય સંગીતમાં યોગ્ય તાલીમ પ્રાપ્ત ન કરી હોવા છતાં જી. બી. દેવલે ૧૯૦૧માં તેમને પોતાના ‘સંશયકલ્લોલ’, કિર્લોસ્કરના ‘સંભદ્ર’, એસ. કે. કોલ્હાટકરના ‘મૂકનાયક’ અને ૧૯૧૧માં ખાદિલકરના ‘માનાપમાન’ (સન્માન અને અપમાન) જેવાં મંડળીનાં નાટકોમાં નાની સ્ત્રી-ભૂમિકાઓ માટે તાલીમ આપી ત્યારે તેમનામાં સંગીત પ્રત્યેની સંવેદનશીલતા વિકસી હતી. આ નિર્માણમાં તેમને મુખ્ય ભૂમિકાઓ પણ સોંપવામાં આવી હતી. તેમણે પૌરાણિકથી લઈને સામાજિક અને ગંભીરથી લઈને હાસ્ય સુધીની વિવિધ ભૂમિકાઓ કરી હતી. ૧૯૧૩માં બોડસે ગોવિંદરાવ ટેમ્બે સાથે મળીને ગંધર્વ નાટક મંડળીની રચના કરવામાં બાલ ગંધર્વને સારી મદદ કરી હતી. તેમની યાદગાર ભૂમિકામાં ‘સંશયકલ્લોલ’માં હાસ્યાસ્પદ ફાલ્ગુનરાવ, ૧૯૧૬માં ખાદિલકરના ‘સિવાયમ્વર’(પુરુષની પસંદગી)માં કૃષ્ણ અને ૧૯૧૯માં ગડકરીના ‘એકચ પ્યાલા’(જસ્ટ વન ગ્લાસ)માં દારૂડિયા સુધાકરનો સમાવેશ થાય છે. ૧૯૫૬ સુધીમાં તેમણે યશવંત સંગીત નાટક મંડળી જેવી ઘણી અન્ય કંપનીઓ સાથે જોડાઈને અભિનય કર્યો હતો. ગણપતરાવ બોડસે મરાઠી રંગભૂમિમાં ‘રાત્રિ’ પ્રણાલીને લોકપ્રિય બનાવી હતી જેમાં કલાકારોને તેમના પ્રદાન બદલ માતબર રકમ આપવામાં આવતી હતી. તેમની આત્મકથા ‘માજી ભૂમિકા’ (મારી ભૂમિકા) ૧૯૪૦માં પ્રકાશિત થઈ હતી.  અભિનયક્ષેત્રે તેમને અનેક ઍવૉર્ડ અને પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં. ૧૯૬૫માં ૮૫ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.