Categories
વાચન સમૃદ્ધિ

સંકટોની શીખ

કારમી ગરીબીને કારણે અમેરિકાની ડોરોથી ડિક્સને હંમેશાં કાળી મજૂરી કરવી પડી. વખતોવખત માંદગીથી ઘેરાઈ જતી હોવાને કારણે શરીર બીમાર હોય તોપણ જાત ઘસીને નહીં, બલ્કે તોડીને કામ કરવું પડ્યું. આને કારણે એ યુવાનીમાં જ વૃદ્ધ બની ગઈ. વળી જીવનમાં એવી કેટલીય અણધારી આપત્તિઓ આવી કે જેનો હિસાબ નહીં. એ પોતાની જિંદગીનું વિહંગાવલોકન કરતી ત્યારે એને એમ લાગતું કે જીવન એ એક યુદ્ધક્ષેત્ર જેવું છે કે જેમાં તૂટેલાં સ્વપ્નો, ભસ્મીભૂત થયેલી આશાઓ અને અણધાર્યા આઘાત ચોપાસ વિખરાયેલાં પડ્યાં છે. આકસ્મિક આફતોને કારણે એ શરીરથી નિર્બળ બની ગઈ અને સમય જતાં દિવ્યાંગ પણ થઈ ગઈ. આમ છતાં ડોરોથી ડિક્સ હંમેશાં વિચારતી રહી કે ગઈ કાલે આવેલી અઢળક મુસીબતોનો મેં સામનો કર્યો છે. આજે પણ હિંમતભેર એ મુસીબતો સામે લડી રહી છું. તો પછી આવતીકાલે આવનારી ભવિષ્યની અણદીઠ મુસીબતોની ચિંતા શા માટે કરવી? મનમાં એવો વિચાર પણ શા માટે લાવવો ? ડોરોથી ડિક્સે આજના આનંદમાં જીવતાં ને રહેતાં શીખી લીધું અને તેને પરિણામે આવતીકાલની ચિંતામાંથી ઊગરી ગઈ. એ કહેતી હતી, ‘જો હું કાલે એના પર વિજય મેળવી શકું, તો આજે કેમ નહીં?’ અને આ વિચારને કારણે એણે ક્યારેય પોતાની જાત માટે લાચારી અનુભવી નહીં કે અણધારી આફતોની કલ્પના કરીને ક્યારેય ભયભીત થઈ નહીં. એણે જોયું કે જિંદગીમાં બનતી ઘટનાઓ પ્રત્યે ક્યારેક હસવું આવે છે તો ક્યારેક રડવું આવે છે. ડોરોથી ડિક્સે નક્કી કર્યું કે ગમે તેટલાં સંકટોથી ઘેરાયેલી હોઈશ તોપણ અને ચિંતામાં ડૂબેલી હોઈશ તેમ છતાં એ સઘળી વાતો પ્રત્યે હું હસીશ. સંકટોને કારણે દુ:ખી નહીં થાઉં, કારણ કે આ સંકટો જ મને જીવનનો અખિલાઈથી પરિચય આપે છે અને સંઘર્ષો મને શીખવી ગયા છે કે જેના જીવનમાં સંઘર્ષ નથી, એ કશું પ્રાપ્ત કરી શકતા નથી.

Categories
વાચન સમૃદ્ધિ

જયંતીલાલ છોટાલાલ શાહ

જ. 22 જાન્યુઆરી, 1906 અ. 4 જાન્યુઆરી, 1991

ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જયંતીલાલ શાહનો જન્મ અમદાવાદમાં થયો હતો. શાળેય શિક્ષણ અમદાવાદની આર. સી. સ્કૂલમાં પ્રાપ્ત કર્યું હતું. તેમણે અમદાવાદની ગુજરાત કૉલેજ, મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે 1929માં અમદાવાદમાં વકીલાત શરૂ કરી હતી. ગાંધીજીની હત્યા પછી કોર્ટમાં કેસ ચાલ્યો હતો. તેઓ ગાંધી હત્યા કેસમાં નાથુરામ ગોડસે અને બીજા આરોપીઓ સામે કેસ ચલાવતી પબ્લિક પ્રોસિક્યૂશન ટીમનો ભાગ હતા. તેઓ 1949માં બૉમ્બે હાઈકોર્ટમાં ગયા અને દસ વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કાર્ય કર્યું. ઑક્ટોબર, 1959માં ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. 11 વર્ષ પછી 17 ડિસેમ્બર, 1970માં તેઓ સુપ્રીમ કોર્ટના બારમા મુખ્ય ન્યાયાધીશ બન્યા. તેઓ 21 જાન્યુઆરી, 1971ના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા. સુપ્રીમ કોર્ટના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે 728 ચુકાદાઓ આપ્યા હતા અને 2094 બેન્ચ પર બેઠા હતા. કેરળમાં ફૂડ પોઇઝનિંગનાં કારણોની તપાસ માટે ભારત સરકાર દ્વારા એક પંચ નીમવામાં આવ્યું હતું. તેઓ આ ઝેર તપાસ પંચના અધ્યક્ષ હતા. 28 મે, 1977ના રોજ ભારત સરકારના ગૃહમંત્રાલયે કટોકટી દરમિયાન કરવામાં આવેલા અતિરેકની તપાસ કરવા માટે એક પંચની રચના કરી. આ પંચના વડા તરીકે જયંતીલાલ શાહને નિયુક્ત કરવામાં આવ્યા હતા. 31 ઑગસ્ટ, 1978ના રોજ શાહ કમિશનનો અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલનાં 26 પ્રકરણો હતાં. જેમાં શાહ કમિશને તારણ કાઢ્યું હતું કે ઇન્દિરા ગાંધી દ્વારા 21 મહિના દરમિયાન આંતરિક સુરક્ષા જાળવણી અધિનિયમ અને સંરક્ષણ નિયમોની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું ન હતું. રાજકીય વિરોધીઓને નુકસાન પહોંચાડવા માટે કટોકટીનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો; એટલું જ નહીં, તેમણે એ પણ નોંધ્યું કે દેશમાં કટોકટી જાહેર કરવી પડે એવી કોઈ આર્થિક કે કાયદો અને વ્યવસ્થાની કટોકટી નહોતી.

Categories
વાચન સમૃદ્ધિ

હિમાલય પર્વતમાળા

ભારતની ઉત્તરે આવેલી, વિશ્વમાં સૌથી ઊંચાં હિમાચ્છાદિત શિખરો ધરાવતી પર્વતમાળા. હિમાલય પર્વતોની અનેક હારમાળાઓથી બનેલો છે. આ હારમાળાઓ પશ્ચિમમાં પાકિસ્તાનથી માંડીને પૂર્વમાં તિબેટ સુધી આશરે – ૨૪૦૦ કિમી. લાંબી ભારત તરફ બહિર્ગોળ – એવી ચાપ આકારે આવેલી છે. દુનિયાની આ સૌથી વિશાળ પર્વતશ્રેણી ગણાય છે. આ પર્વતમાળાઓના દક્ષિણ ઢોળાવો સીધા જ્યારે ઉત્તર ઢોળાવો આછા છે. આ પર્વતશ્રેણીનાં ૩૦ શિખરો તો ૭૩૦૦ મીટરથી (૨૪,૦૦૦ ફૂટ) પણ વધુ ઊંચાઈ ધરાવે છે. આ શિખરો બરફથી છવાયેલાં અને ઉગ્ર ઢોળાવવાળાં છે. આ પર્વતશ્રેણીમાંની ખીણો મોટી હિમનદીઓ પણ ધરાવે છે. દક્ષિણ એશિયાની મોટા ભાગની નદીઓનું ઉદ્ગમસ્થાન અહીં રહેલું છે. ભારતની સિંધુથી માંડી બ્રહ્મપુત્રા સુધીની મોટી નદીઓ હિમાલયમાંથી ઉદય પામે છે. આજથી લગભગ ૩ કરોડ ૮૦ લાખ વર્ષ પૂર્વે હિમાલયની પર્વતમાળાનો તબક્કાવાર ઉદ્ભવ થયેલો. હિમાલય એ ગેડવાળા પર્વતની હારમાળા છે, જે બે ભૂતક્તીઓ (ભારતીય અને એશિયાઈ) એકબીજા સાથે અથડાતાં સર્જાઈ છે.

હિમાલય પર્વતમાળા

હિમાલય પર્વતમાળામાં કીમતી પથ્થરો અને ખનિજોના ભંડારો આવેલા છે. વળી ઘણી નદીઓ પર બંધ બાંધી વિદ્યુત પેદા કરવામાં આવે છે. નદીઓના ખીણપ્રદેશમાં તથા પહાડોના ઢોળાવો પર ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, શેરડી જેવા પાકો થાય છે. સિમલા, દાર્જિલિંગ અને આસામમાં ચાના બગીચાઓ પણ આવેલા છે. તે સિવાય ફળાઉ વૃક્ષો, ચીડ, દેવદાર, સાગ, સિડાર, શંકુવૃક્ષો, ચેસ્ટનટ વગેરે થાય છે. આ વિસ્તારોમાં જંગલી કેવડો, કેતકી અને સપુષ્પ વનસ્પતિ જોવા મળે છે. હિમાલયમાં વૈવિધ્યવાળી પ્રાણીસૃષ્ટિ છે. ર્હાઇનૉસિરોસ, યાક, રીંછ, ગૌર (જંગલી ગાય), કસ્તૂરીમૃગ, હંગુલ (કાશ્મીરી સાબર), કાળાં હરણ, દીપડા, લંગૂર વાનરો, બકરાં વગેરે પ્રાણીઓ તથા ૮૦૦થી વધુ જાતિનાં કીટકો તેમ જ પક્ષીઓ પણ અહીં વસે છે. હિન્દુ તથા બૌદ્ધ લોકો જેને ખૂબ પવિત્ર માને છે એ કૈલાસ પર્વત (ઊંચાઈ ૬,૭૪૧ મીટર) તિબેટમાં આવેલો છે. આ સ્થળે ભારત તથા મધ્ય એશિયાના ઘણા યાત્રાળુઓ યાત્રા કરવા આવે છે. કૈલાસ પર્વત પાસે મોટું માનસરોવર આવેલું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હિમાલય પર્વતમાળા, પૃ. 175)