Categories
વાચન સમૃદ્ધિ

ચીનુભાઈ માધવલાલ બૅરોનેટ

જ. ૨૬ મે, ૧૮૬૪ અ. ૩ માર્ચ, ૧૯૧૬

બ્રિટિશ ભારતના પ્રથમ હિંદુ બૅરોનેટ, અમદાવાદના દાનવીર ઉદ્યોગપતિ ચીનુભાઈનો જન્મ અમદાવાદમાં માધવલાલ રણછોડલાલ તથા રેવાબાઈને ત્યાં નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ગુજરાતના મિલઉદ્યોગના પિતા રાવબહાદુર રણછોડલાલ છોટાલાલના તેઓ પૌત્ર થાય. ૧૮૮૨માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને કૉલેજમાં જોડાયા. તેઓ ગુજરાતી, ફારસી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં પારંગત હતા. થોડા સમય બાદ કૉલેજનો અભ્યાસ છોડીને દાદા સાથે શાહપુર મિલમાં જોડાયા અને ધંધાનો અનુભવ મેળવ્યો. ૧૮૯૮માં દાદાનું અને ત્યારબાદ પિતાનું અવસાન થવાથી બધી જવાબદારી પોતે સંભાળી લીધી. તેમણે પોતાના વહીવટ હેઠળની ત્રણ મિલોને પ્રથમ પંક્તિની બનાવી. તેમણે ઇજિપ્શિયન રૂમાંથી ૧૦૦ કાઉન્ટ જેટલું ઊંચી જાતનું સૂતર કાંતવાની રીત શરૂ કરી. તેમને અમદાવાદ મિલમાલિક ઍસોસિયેશનના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી હતી. ચીનુભાઈ દાનવીર પણ હતા. તેમણે મુખ્યત્વે શિક્ષણક્ષેત્રે દાન કરેલાં છે. તેમણે કરેલી સખાવતો વીસમી સદીના આરંભનાં વરસોમાં કરવામાં આવી હતી, જે તે સમયે ઘણી મોટી રકમો ગણાતી હતી. તેમણે આર. સી. ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, આર. સી. હાઈસ્કૂલ ઉપરાંત અનેક શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, આરોગ્યક્ષેત્રે તેમજ પુસ્તકાલય માટે દાન આપ્યું છે. સંસ્કૃત સાહિત્ય અને વેદાંતમાં રસ ધરાવનાર ચીનુભાઈએ વારાણસી, હરદ્વાર અને દક્ષિણ ભારતનાં ધાર્મિક સ્થળોમાં પણ સખાવતો કરી હતી. તેમનાં સેવાકાર્યોની કદર કરીને બ્રિટિશ સરકારે ૧૯૦૭માં સી.આઈ.ઈ.(CIE)નો  ખિતાબ આપ્યો હતો. ૧૯૧૧માં તેમને ‘નાઇટ(સર)નો ઇલકાબ આપવામાં આવ્યો હતો. ૧૯૧૩માં તેમને બૅરોનેટનો ખિતાબ મળ્યો હતો.     

Categories
વાચન સમૃદ્ધિ

સાલારજંગ સંગ્રહાલય (મ્યુઝિયમ)

સાલારજંગ દીવાને કરેલા કલાસંગ્રહને અનુલક્ષીને આંધ્રમાં હૈદરાબાદ ખાતે સ્થપાયેલું અદ્વિતીય સંગ્રહાલય. ૧૯મી સદીના મધ્યભાગમાં હૈદરાબાદના નિઝામે એક દીવાનની નિયુક્તિ કરી જેને ‘સાલારજંગ’ની ઉપાધિ આપવામાં આવી. આ દીવાનનો પુત્ર સાલારજંગ બીજો અને પૌત્ર સાલારજંગ ત્રીજો પણ દીવાનપદે રહ્યા. આ સાલારજંગ ત્રીજાએ ત્રીસ વર્ષોમાં કરેલો સંગ્રહ તે સાલારજંગ સંગ્રહાલય તરીકે ઓળખાયો.  મીર યૂસુફ ખાન (સાલારજંગ ત્રીજો) કલાપ્રેમી હોવાથી તેને જુદી જુદી કલાકારીગીરીવાળી વસ્તુઓનો સંગ્રહ કરવાનો ખૂબ જ શોખ હતો. તે ૧૯૪૯માં મૃત્યુ પામ્યો. તેને કોઈ વારસ ન હોવાથી એક કમિટી રચાઈ અને તેણે એમની સંઘરેલી વસ્તુઓનું મહેલમાં પ્રદર્શન કરવાનું નક્કી કર્યું. ૧૯૫૮માં આ સંગ્રહ ભારત સરકારને આપવામાં આવ્યો અને ૧૯૬૮માં તે  સંગ્રહને સંગ્રહાલય-સ્વરૂપે જાહેર જનતાને જોવા માટે પ્રદર્શિત કરવામાં આવ્યો.

સાલારજંગ મ્યુઝિયમ

હજારો મૂલ્યવાન નમૂનાઓ જે પ્રથમ મહેલમાં ‘દીવાન દેવડી’માં રાખવામાં આવેલા તે એક કરોડના ખર્ચે બંધાયેલા નવા મકાનમાં ૧૯૬૮માં વિભાગવાર અને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા. તેમાં પૌરસ્ત્ય (પૂર્વના) અને પાશ્ચાત્ય (પશ્ચિમના) – એમ  બે મુખ્ય વિભાગો પાડવામાં આવ્યા. પૌરસ્ત્ય વિભાગમાં નાના-મોટા ૪૦ ખંડો અને વરંડાઓ છે. તેમાં જેડ (Jade), શસ્ત્રો, વસ્ત્રાભૂષણો અને સોના, ચાંદી તેમ જ અન્ય ધાતુઓના અલંકારોનો ઉત્તમ સંગ્રહ છે, જે મુઘલ શાસકોના તત્કાલીન જીવનના વૈભવ અને જાહોજલાલીનો નિર્દેશક છે. ભોંયતળિયાના પ્રથમ ખંડમાં સાલારજંગની અંગત ચીજવસ્તુઓનો સંગ્રહ છે. તેમનાં વસ્ત્રો, ઘરવખરી, ફર્નિચર, પુસ્તકો, ભેટસોગાતો, તેમના જીવન અને સમયના ફોટોગ્રાફો વગેરેની દસ્તાવેજી સામગ્રી ત્યાં પ્રદર્શિત કરાઈ છે. બાકીના ભાગમાં ભારતીય કલાકારીગીરીના નમૂનાઓનો સમાવેશ થાય છે. અહીં આભૂષણો, ચિત્રો, શસ્ત્રો, ચિનાઈ માટીનાં અને કાંસાનાં વાસણો, ઝવેરાત, ગાલીચા, હાથીદાંતની કેટલીક ચીજો, કાચ ઉપરની ચિત્રકારીવાળી વસ્તુઓ, વિવિધ પ્રકારનાં ઘડિયાળો, કીમતી ધાતુ પરની કારીગરીના નમૂનાઓ, ધાતુ-પથ્થર તથા કાષ્ઠની મૂર્તિઓ વગેરે હજારોની સંખ્યામાં પ્રદર્શિત કરેલાં છે. શિલ્પવિભાગમાં  નેલાકોન્ડા-પલ્લીમાંથી મળી આવેલી ૩જી સદીની બુદ્ધની પ્રતિમા, કોસામ્બીમાંથી મળેલું ૪થી સદીનું એકમુખી લિંગ, વારાંગલથી મળેલ ૧૨મી સદીની કાર્તિકેયની પ્રતિમા તથા પલ્લવ, ચોળ અને પાંડ્ય રાજ્યકાલ દરમિયાનની ભારતીય કાંસ્ય અને પથ્થરની પ્રતિમાઓ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાલારજંગ સંગ્રહાલય (મ્યુઝિયમ), પૃ. ૧૨૦)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

મકરંદ મહેતા

જ. ૨૫ મે, ૧૯૩૧ અ. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪

ડૉ. મકરંદ જનકલાલ મહેતાનો જન્મ અમદાવાદ મુકામે નાગર પરિવારમાં થયો હતો. તેમણે માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ વડોદરા, અમદાવાદ અને અમેરિકામાં લીધુ હતું. વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી ૧૯૨૫માં ઇતિહાસ વિષય સાથે બી.એ.ની અને ૧૯૫૫માં એમ.એ.ની ડિગ્રી મેળવી. ૧૯૬૫માં અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી આર્થિક અને વ્યાપાર-વાણિજ્યના ઇતિહાસમાં ફરીથી એમ.એ.ની ડિગ્રી મેળવી. ગુજરાત યુનિવર્સિટીમાથી ઇતિહાસ વિષયમાં પીએચ.ડી. થયા. તેમના સંશોધનનો વિષય હતો – રણછોડલાલ છોટાલાલ ઍન્ડ અહમદાબાદ કૉટન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. આ સંશોધનકાર્ય તેમણે ત્રિપાઠી દ્વિજેન્દ્રનાથના માર્ગદર્શન નીચે કર્યું હતું. શ્રી મકરંદ મહેતાના માર્ગદર્શન નીચે ૧૩ વિદ્યાર્થીઓએ પીએચ.ડી. કર્યું હતું. તેમણે અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ(અમદાવાદ), શ્રીરામ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બિઝનેસ હિસ્ટરી (દિલ્હી), એમ. એસ. યુનિવર્સિટી (વડોદરા) તથા ગુજરાત યુનિવર્સિટીમાં સંશોધક તથા અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. તેમના નોંધપાત્ર ગ્રંથોમાં ‘ઇન્ડિયન મરચન્ટ્સ ઍન્ડ એન્ટર પ્રોન્યોર ઇન હિસ્ટૉરિકલ પર્સ્પેક્ટિવ’, ‘હિસ્ટરી ઑફ  ઇન્ટરનેશનલ ટ્રેડ ઍન્ડ કસ્ટમ્સ ઇન ગુજરાત’, ‘હિંદુ વર્ણવ્યવસ્થા, સમાજ-પરિવર્તન અને ગુજરાતના દલિતો’, ‘ઇતિહાસ, સમાજ અને સાહિત્યમાં ગુજરાત’ને ગણાવી શકાય. વેપાર-વાણિજ્ય, ડાયોસ્પોરા, કચડાયેલા વર્ગો, સંસ્થાઓનો ઇતિહાસ એ તેમનું વિશિષ્ટ સંશોધન છે. આદિવાસીઓના લોકગીતો વિશે પણ તેમણે સંશોધન કર્યું છે. અવસાનના થોડા સમય પહેલાં તેમણે લખેલ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ ખૂબ જ રસપ્રદ ગ્રંથ છે. અમદાવાદની અસ્મિતા ઘડવામાં ફાળો આપનાર પોળોની નામાંકિત વ્યક્તિઓ, સંસ્થાઓનો પરિચય કરાવ્યો છે. વિશેષ તો પોળ સંસ્કૃતિનો સુંદર  ચિતાર તેમાં આલેખવામાં આવ્યો છે. ઇતિહાસકાર તરીકેના તેમના ઘડતરમાં શાળાના શિક્ષક એસ. બી. ભટ્ટ, માર્ક્સવાદી ઇતિહાસકાર સતીશચન્દ્ર મિશ્ર તથા બિઝનેસ હિસ્ટૉરિઅન દ્વિજેન્દ્રનાથ ત્રિપાઠીનો ઘણો પ્રભાવ પડ્યો હતો. તેમની દૃષ્ટિએ ઇતિહાસ સાલવારી  તથા બનાવો ગોખવાનો વિષય નથી. સાચા અર્થમાં તો ઇતિહાસ માનવઅનુભવોની એવી દુર્લભ પ્રયોગશાળા છે, જેમાં માનવીની સિદ્ધિઓ તથા તેની ત્રુટિઓનું આલેખન થવું જોઈએ.