Categories
વાચન સમૃદ્ધિ

દેવેન્દ્રપ્રસાદ ગુપ્ત

જ. 2 જાન્યુઆરી, 1933 અ. 26 ડિસેમ્બર, 2017

ભારતીય લોકશાહીના લડવૈયા, વનસ્પતિશાસ્ત્રી અને કેળવણીકાર દેવેન્દ્રપ્રસાદનો જન્મ બિહારમાં થયો હતો. તેમણે 1942માં ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લીધો હતો. જેને પરિણામે તેમના અભ્યાસમાં થોડાંક વર્ષો માટે રુકાવટ આવી ગઈ હતી. 11 વર્ષની નાની વયે તેઓ કૉંગ્રેસ સેવાદળના 1944થી 1947ના સભ્ય બન્યા હતા, જેમાં તેમને સ્વયંસેવકની તાલીમ મળી હતી અને તેઓ એક યુનિટના આગેવાન બન્યા હતા. 1942માં મહેશખુંટ ખાતે તેમને ડાબા પગની એડીમાં બંદૂકની ગોળી વાગવાથી ઈજા થઈ અને બે મહિના આરામ કરવો પડ્યો. તેમણે શાળામાં ત્રિરંગો લહેરાવ્યો હતો અને ‘હિંદ છોડો’ના કાર્યક્રમમાં ભાગ લીધો, આથી તેમણે શહેર છોડવું પડ્યું હતું. ત્યારબાદ તેમણે રાંચી યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ લંડનમાં અભ્યાસ કર્યો. તેઓ રાંચી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર થયા. ત્યારબાદ તેમણે આદિવાસી અને પછાત વર્ગના ઉત્કર્ષ માટે ઘણા પ્રયત્નો કર્યા. તેમણે પોતાની કારકિર્દી એક ડેમૉન્સ્ટ્રેટર તરીકે શરૂ કરી અને ત્યારબાદ તેઓ પ્રગતિ કરતા ગયા અને છેવટે યુનિવર્સિટીના પ્રિન્સિપાલ થયા. તેમણે બીજા બે પ્રોફેસરોની મદદથી માઇક્રોબાયૉલૉજી અને વનસ્પતિ પૅથૉલૉજીની શાખાઓ શરૂ કરી. વિદેશમાં તેઓ ઘણી બધી આંતરરાષ્ટ્રીય કન્વેનશન સાથે જોડાયેલા હતા અને તેમાં ભાગ લેતા હતા. તેઓએ ત્રીજી આંતરરાષ્ટ્રીય સિમ્પોસિયમ જે ઇટાલીમાં યોજાઈ હતી તેમાં પોતાનો ફાળો આપ્યો હતો. ત્યારબાદ તેઓ ન્યૂ દિલ્હીના ભારતીય ફાયટોપૅથૉલૉજિકલ સોસાયટીના કાઉન્સિલર હતા અને બિહાર એજ્યુકેશન કાઉન્સિલ(ભારત)ના સભ્ય હતા. નિવૃત્તિ લીધા બાદ તેઓ બીથની યુનિવર્સિટી, કૅલિફૉર્નિયાના પ્રમુખ તેમજ સંશોધક થયા. તેમણે ઘણાં બધાં પુસ્તકો લખ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

સાચા સાધુનું લક્ષણ

હજરત ઇબ્રાહીમ એમ માનતા હતા કે પ્રત્યેક ધર્મ એ માનવીને નેકી અને ઈમાનદારીના રાહ પર ચાલવાનો સંદેશ આપે છે અને બૂરાઈથી બચવા માટેની જાતજાતની તરકીબ બતાવે છે. આથી ભલે ધર્મોનું બાહ્ય રૂપ ભિન્ન હોય, પરંતુ એનું આંતરિક રૂપ સમાન છે. સઘળા ધર્મોના પાયામાં માનવકલ્યાણની ભાવના જ રહેલી છે. હજરત ઇબ્રાહીમના મનમાં સતત એવી જિજ્ઞાસા રહેતી કે આટલા બધા ઉપદેશકો અને ઉપદેશો હોવા છતાં લોકોને કેમ ધર્મનો સાચો સાર સમજાતો નથી ? પોતાના આ પ્રશ્નના ઉત્તર માટે હજરત ઇબ્રાહીમ જુદા જુદા સંતોને મળતા હતા અને સમસ્યાનો ઉકેલ મેળવવા માટે સતત પ્રયાસ કરતા હતા. એક વાર આ સંદર્ભમાં તેઓ એક સંતને મળવા ગયા. બંને વચ્ચે ધર્મતત્ત્વની બાબતમાં જ્ઞાનપૂર્ણ સંવાદ ચાલ્યો. વિચારવિમર્શ ઘણો કર્યો, પરંતુ તેઓ કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નહીં. આ વાર્તાલાપ દરમિયાન હજરત ઇબ્રાહીમને સંતની વિચારધારા અને એમના દૃષ્ટિકોણનો બરાબર પરિચય મળી ગયો. સંતના સીમિત જ્ઞાનનો સંકેત પામી ગયા, આમ છતાં એમણે એ સંતને પ્રશ્ન કર્યો, ‘સાચા સાધુનાં મહત્ત્વપૂર્ણ લક્ષણો કયાં હોય ?’ ત્યારે સંતે મસ્તીથી જવાબ આપ્યો, ‘ભોજન મળે તો ખાઈ લે અને ન મળે તો સંતોષ માને.’ હજરત ઇબ્રાહીમને લાગ્યું કે સંતની દૃષ્ટિ ઘણી સંકુચિત છે, એથી એમણે કહ્યું, ‘અરે, આવું તો શેરીનો કૂતરો પણ કરે છે. આમાં શું ?’ સંત નિરુત્તર બની ગયા અને હજરત ઇબ્રાહીમને વિનંતી કરી કે ‘મારા ઉત્તરથી તમને સંતોષ થયો નથી, તો તમે જ સાચા સાધુનું લક્ષણ કહો ને !’ ઇબ્રાહીમે કહ્યું, ‘મળે તો વહેંચીને ખાય અને ન મળે તો પ્રભુની કૃપા માનીને પ્રસન્ન ચિત્તે વિચારે કે દયામયે એને તપશ્ચર્યા કરવાનો કેવો સુંદર અવસર પૂરો પાડ્યો !’ ઇબ્રાહીમની ભાવના જોઈને સંત ખુશ થઈ ગયા.

Categories
વાચન સમૃદ્ધિ

અનંતરાય મ. રાવળ ‘શૌનક’

જ. 1 જાન્યુઆરી, 1912 અ. 18 નવેમ્બર, 1988

ગુજરાતી સાહિત્યના સંનિષ્ઠ અધ્યાપક, તટસ્થ અને સમતોલ વિવેચક તથા સંપાદક શ્રી અનંતરાય રાવળનો જન્મ અમરેલીમાં મણિશંકર રાવળને ત્યાં થયો હતો. તેઓ માત્ર બે વર્ષના હતા ત્યારે માતા ગુમાવી દીધેલી. તેમને દાદીએ ઉછેરેલાં. તેમનું વતન વળા (વલભીપુર) પણ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમરેલીમાં લીધેલું. ઈ. સ. 1928માં મૅટ્રિક અને 1932માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી સંસ્કૃત-ગુજરાતી સાથે બી.એ. થયા. યુનિવર્સિટીમાં પ્રથમ આવવા બદલ તેમને હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક મળેલું. ઈ. સ. 1934માં એમ.એ. પ્રથમ વર્ગ સાથે કર્યું. 1932થી બે વર્ષ શામળદાસ કૉલેજમાં ફેલો. ઈ. સ. 1934ના ઑગસ્ટથી અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા અને ઈ. સ. 1959 સુધી ત્યાં જ કાર્ય કર્યું. 1959-60 દરમિયાન જામનગરની ડી. કે. વી. કૉલેજમાં આચાર્યપદે રહ્યા. ત્યારબાદ ગુજરાત રાજ્યના ભાષા-વિભાગમાં ભાષા-નિયામક તરીકે કાર્ય કર્યું. 1970માં ત્યાંથી નિવૃત્ત થયા બાદ ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1977ના એક વર્ષ માટે ભવનના નિયામક પણ થયેલા. ગોવર્ધનરામ ત્રિપાઠી અને ન્હાનાલાલ તેમના પ્રિય સર્જકો હતા. 1933 તેમની લેખનપ્રવૃત્તિનો આરંભ થયેલો. વિવેચન, અનુવાદ અને સંપાદન મળી તેમની પાસેથી 45 જેટલા ગ્રંથો મળ્યા છે. વિષયની સર્વગ્રાહી ચર્ચા અને મુદ્દાસર સઘન રજૂઆત તેમના વિવેચનની વિશેષતા છે. ‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાળ’ એ તેમનો વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને ઉપયોગી થાય તેવો અભ્યાસગ્રંથ છે. તેમની પાસેથી નવેક સંપાદનો અને બેત્રણ અનુવાદગ્રંથો મળ્યા છે. ર. વ. દેસાઈની ‘ગ્રામલક્ષ્મી’ નવલકથાનો તેમણે સંક્ષેપ કરેલો. તેમને તેમની સમગ્ર સાહિત્યની સેવાના સંદર્ભમાં ઈ. સ. 1955નો રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો. આ ઉપરાંત દિલ્હી સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર તથા નર્મદ ચંદ્રક પણ તેમને મળેલ. 1980માં વડોદરા ખાતે ગુ. સા. પરિષદના અધિવેશનના તેઓ પ્રમુખ હતા. તેમના અવસાન બાદ સ્મારક સમિતિ તરફથી વિવેચન ઍવૉર્ડ અને અધ્યાપક ઍવૉર્ડ અપાય છે.