Categories
વાચન સમૃદ્ધિ

ફિલિપ વૉરન ઍન્ડરસન

જ. 13 ડિસેમ્બર, 1923 અ. 29 માર્ચ, 2020

અમેરિકાના પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી ફિલિપ ઍન્ડરસનનો જન્મ ઇન્ડિયાનાપોલિસ, ઇન્ડિયાના, યુ.એસ.માં થયો હતો. તેમના પિતા હેરી વૉરન ઍન્ડરસન ઇલિનૉય વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર હતા. 1940માં અર્બાનાની શાળામાં અભ્યાસ કર્યો. માઇલ્સ હાર્ટલે નામના ગણિતશિક્ષકના પ્રોત્સાહનથી હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં પૂર્ણ છાત્રવૃત્તિ અંતર્ગત અધ્યયન માટે પ્રવેશ મેળવ્યો. 1943માં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. 1945માં બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ સુધી નૌસેના અનુસંધાન પ્રયોગશાળામાં ઍન્ટેના બનાવવાની કામગીરી કરી. યુદ્ધ બાદ ભૌતિકશાસ્ત્રના વધુ અભ્યાસ માટે હાર્વર્ડ આવી ગયા. 1947માં એમ.એ. અને 1949માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. એ વર્ષમાં જ તેઓ બેલ ટેલિફોન લૅબોરેટરીઝમાં જોડાયા. 1975થી બેલ અને પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં તેઓ ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે કાર્યરત હતા. તેમણે ભૌતિકશાસ્ત્રમાં અનેક સંશોધનો કર્યાં છે. ઉચ્ચ ઇલેક્ટ્રૉનિક પરિપથિકી(advanced electronic circuitry)માં તેમણે અત્યંત મહત્ત્વનું પ્રદાન કર્યું છે. તેમનાં લખાણોમાં કેટલાક યાદૃચ્છિક જાલિકા(random lattices)માં પ્રસરણ(diffusion)નો અભાવ (1985) અને ઘન વિશેના ખ્યાલ(concepts of solids)નો સમાવેશ થાય છે. તેઓ જાપાની સંસ્કૃતિમાં પણ રુચિ ધરાવતા હતા. જાપાની બોર્ડ ગેઇમ ‘ગો’ના તેઓ નિષ્ણાત હતા. કમ્પ્યૂટરમાં બિનખર્ચાળ ઇલેક્ટ્રૉનિક સ્વિચિંગ અને સ્મૃતિતંત્ર(memory)નાં સાધનોના વિકાસને શક્ય બનાવતા ઘનઅવસ્થા ભૌતિકશાસ્ત્ર(solid state physics)માં તેમના સંશોધન બદલ તેમને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. 1977માં આ નોબેલ પારિતોષિક તેમને જ્હૉન વાન વ્લેક અને સર નેવિલ એફ મોટ સાથે સંયુક્ત રીતે આપવામાં આવ્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રતિકૂળતા સાથે દોસ્તી

યુવાવસ્થામાં ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થનારા રિચર્ડ એટનબરોના મનમાં ગાંધીજી પર એક ફિલ્મ બનાવવાનો વિચાર જાગ્યો. પોતાના આ વિચારને સાકાર કરવા માટે અવિરત પ્રયત્ન આદર્યો. મહાત્મા ગાંધીજીના જીવન પર ચલચિત્રનું નિર્માણ કરવા માટે અભ્યાસ, આયોજન, પાત્રવરણી, સેટિંગ્સ જેવી બાબતોમાં ઝીણવટ દાખવી. આ ફિલ્મનિર્માણમાં ખાસ્સાં વીસ વર્ષ વીતી ગયાં. આને માટે પચાસ વખત ભારતનો પ્રવાસ ખેડવો પડ્યો. પૈસા ખૂટ્યા ત્યારે ઇંદિરા ગાંધીને સ્ક્રિપ્ટ મોકલી અને એમણે પાંચ કરોડ રૂપિયાની મદદ અપાવી. આટલો બધો પુરુષાર્થ કરવા છતાં વાંકદેખુઓ રિચર્ડ એટનબરોને સવાલ પૂછતા હતા કે, ‘જે વ્યક્તિએ આખું જીવન સાદાઈથી ગાળ્યું, એવા ગાંધીને માટે આટલી મોંઘી ફિલ્મ બનાવાય ખરી ?’ પરંતુ રિચર્ડ એટનબરો ફિલ્મની કોઈ પણ બાબતમાં સમાધાન કરવા ચાહતા નહોતા. એમને માટે પૈસાની ગણતરી મહત્ત્વની ન હતી, પણ મહાત્મા ગાંધીજીનો સંદેશ જનહૃદય સુધી પહોંચે, તે મહત્ત્વનું હતું. ‘ગાંધી’ ફિલ્મ સમયે અનેક વિવાદો વચ્ચે ઘેરાયેલા રિચર્ડ એટનબરો કહેતા કે એમનું આખું જીવન જ પ્રતિકૂળતાઓ વચ્ચે વીત્યું છે. આ ફિલ્મ પહેલાંનું એમનું જીવન પ્રતિકૂળતાઓથી ઘેરાયેલું રહ્યું હતું. આથી મુશ્કેલીઓ એમને મૂંઝવી શકતી નહોતી. આ સંદર્ભમાં તેઓ 1945માં અભિનેત્રી શિલા સીમ સાથે કરેલા લગ્નના પ્રસંગની વાત કરતાં કહેતા, ‘એ લગ્નના દિવસે હું જ્યારે લગ્ન અંગેની પ્રતિજ્ઞા બોલતો હતો, ત્યારે પાછળ બૉમ્બ-ધડાકા થતા હતા. અને એના મોટા અવાજોને કારણે હું જોરથી બૂમ પાડીને મારી પત્નીને કહેતો હતો, ‘હું તને પત્નીના રૂપે કબૂલ કરું છું.’ ‘જ્યારે લગ્નના સમયે આવી મુશ્કેલીઓ આવે ત્યારે સામાન્ય જીવનમાં તો આવે જ ને !’ એમ કહીને રિચર્ડ એટનબરો પ્રતિકૂળતાઓને પાછી ધકેલી દેતા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ખેમચંદ પ્રકાશ

જ. 12 ડિસેમ્બર, 1907 અ. 10 ઑગસ્ટ, 1950

‘ફિલ્મ સંગીતનો પ્રકાશપુંજ’ કહેવાતા હિન્દી ફિલ્મઉદ્યોગના જાણીતા સંગીતકાર, ખેમચંદ પ્રકાશનો જન્મ બ્રિટિશ સમયના રાજપૂતાનાના બિકાનેર રાજ્યના સુજાનગઢમાં થયો હતો. તેમના પિતાજી દ્રુપદ સંગીતના જાણકાર અને કથક નૃત્યશૈલીના પણ જાણકાર હોવાથી ખેમચંદજીને પણ બાલ્યકાળથી જ તેનું અનેરું આકર્ષણ હતું. પિતાજીની જેમ તેમણે પણ બિકાનેરના રાજદરબારમાં અને ત્યારપછી નેપાળના રાજદરબારમાં સંગીત અને નૃત્યકલા દર્શાવી હતી. ત્યારબાદ કૉલકાતામાં ‘ન્યૂ થિયેટર’માં સંગીતકાર તિમિર બરનના સહાયક સંગીતકાર તરીકે 1935માં ‘દેવદાસ’ ફિલ્મમાં જોડાયા. 1938માં ‘સ્ટ્રીટ સિંગર’માં એક કૉમેડી ગીત ‘લો ખા લો મેડમ ખાના’ ગાયું. કહેવાય છે કે તેમણે એક વખત રસ્તે રઝળતી અને ગાયન ગાઈને ગુજરાન ચલાવતી ‘ખુર્શીદ’ નામની એક યુવતીનું ગીત સાંભળ્યું અને સંમોહિત થઈ ગયા. આથી 1939માં જ્યારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે ખુર્શીદને પણ સાથે લાવ્યા. અહીં ‘સુપ્રીમ પિક્ચર્સ’ની ફિલ્મો ‘મેરી આંખે’ અને ‘ગાઝી સલાઉદ્દીન’માં સંગીતકાર તરીકે પદાર્પણ કર્યું. ચંદુલાલ શાહે જામનરેશ રણજિતસિંહના નામ પરથી ‘રણજિત મૂવીટોન’ની સ્થાપના કરી અને ખેમચંદ આ બૅનર નીચે ઉત્તમ સંગીત આપતા થયા. તેમાં ‘પરદેશી’, ‘હોલી’, ‘ચાંદની’, ‘સિંદૂર’, ‘સાવન આયા રે’, ‘ફરિયાદ’ વગેરેને ગણાવી શકાય. 1948માં બૉમ્બે ટૉકીઝની ‘ઝિદ્દી’ ફિલ્મ પણ ઘણી પ્રશંસા પામી. આ ફિલ્મ દ્વારા તેમણે લતા મંગેશકર અને કિશોરકુમારને ફિલ્મસંગીત દુનિયામાં પ્રવેશ અપાવ્યો. તેમની સર્વશ્રેષ્ઠ ફિલ્મ ‘મહલ’માં લતા મંગેશકરે ગાયેલું ‘આયેગા આનેવાલા’ ખૂબ જ લોકપ્રિય બન્યું અને સદીઓ સુધી લોકોની જીભે રમતું રહ્યું. સંગીતકાર તરીકે ખેમચંદ પ્રકાશની કેટલીક વિશેષતાઓ તેમને અન્ય સંગીતકારો કરતાં મુઠ્ઠી ઊંચેરા બનાવે છે. તેઓ ગાયક-ગાયિકાઓ માટે એવું સ્વરનિયોજન કરતા કે ગીતોમાં અલૌકિકતા પ્રગટ થતી. તેમની મૌલિકતા એ પણ હતી કે રાજસ્થાની અને મારવાડી લોકગીતોની મધુર ધૂનોને હિન્દી ફિલ્મોમાં સ્થાન આપીને નવી ક્ષિતિજો ઉઘાડી આપી અને વળી નૌશાદ, મન્નાડે, કિશોરકુમાર અને લતા મંગેશકર જેવા દિગ્ગજોની ભેટ આપી.