Categories
વાચન સમૃદ્ધિ

સિક્કિમ

ભારતના ઉત્તર ભાગમાં આવેલું રાજ્ય. દેશનાં નાના કદનાં રાજ્યો પૈકી તે બીજા ક્રમે આવે છે. તે ૨૭ ૩૫´ ઉ અ અને ૪૮ ૩૫´ પૂ રે ની આજુબાજુનો ૭,૦૯૬ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે તિબેટ અને ચીન, પૂર્વ તરફ ભુતાન, દક્ષિણે ભારતનું પશ્ચિમ બંગાળ રાજ્ય તથા પશ્ચિમે નેપાળ આવેલાં છે. ગંગટોક તેનું પાટનગર છે. તેની વસ્તી ૬,૯૮,૦૦૦ (૨૦૨૪, આશરે) જેટલી છે. સિક્કિમનું સમગ્ર ભૂપૃષ્ઠ પહાડી છે. અહીં હિમાલય વિભાગના પર્વતો, અવરજવર માટેના ઘાટ, ખીણપ્રદેશો તેમ જ કોતરો આવેલાં છે. ભારતનું પ્રથમ ક્રમે આવતું અને દુનિયામાં ત્રીજા ક્રમે ગણાતું ઊંચામાં ઊંચું શિખર કાંચનજંઘા અહીં આવેલું છે. હિમાલયની કેટલીક હિમનદીઓ પણ અહીં જોવા મળે છે. બ્રહ્મપુત્ર નદીની સહાયક તિસ્તા અહીંની મુખ્ય નદી છે. તે ઉપરાંત રંગીત અને રેંગપો અન્ય નદીઓ છે.

રાજ્યનો ૩,૧૨૭ ચોકિમી. જેટલો વિસ્તાર જંગલ-આચ્છાદિત છે. પાઇન, ફર, ઓક અને હોલી અહીં જોવા મળતાં મુખ્ય વૃક્ષો છે. ઓછી ઊંચાઈવાળા પહાડી ભાગોમાં સાલવૃક્ષોનાં જંગલો આવેલાં છે. અહીં ૪,૦૦૦થી વધુ જાતિનાં ઝાંખરાં અને છોડવા, ૬૬૦ જુદી જુદી જાતિના ઑર્કિડ, રહોડોડેન્ડ્રોન તેમ જ અન્ય ફૂલો થાય છે. ઊંચાઈવાળા પહાડી વિસ્તારમાં સદાહરિત જંગલો તથા વર્ષાજંગલો જોવા મળે છે. સિક્કિમનું વનસ્પતિજીવન ખૂબ જ સમૃદ્ધ છે. ખેતી સિક્કિમની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. ખેડૂતો અહીંના ઊભા પહાડી ઢોળાવોને ખોતરીને સીડીદાર ખેતરો બનાવે છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ઘઉં, જવ, ડાંગર, મકાઈ, બાજરી અને કઠોળનો સમાવેશ થાય છે. રોકડિયા પાકોમાં ચા, બટાકા, મોટી ઇલાયચી, આદું અને નારંગી મુખ્ય છે. અહીં ફળો પૅક કરવાનો નાના પાયા પરનો ઉદ્યોગ વિકસ્યો છે. પશુપાલનનો વ્યવસાય પણ અહીં ચાલે છે. અહીંનાં મુખ્ય પ્રવાસ-સ્થળોમાં ગંગટોક, બખીમ (નૈસર્ગિક બાગ), યામથાંગ, દુબડી મઠ, તાશ્દિંગ મઠ, રામટેક મઠ, પેમાયાન્ત્સે મઠ, સોમગો મઠ તથા ફોડોંગ મઠનો સમાવેશ થાય છે. અહીંનો ખાન્ગચેન્દઝોન્ગ નૅશનલ પાર્ક દુનિયાભરમાં વધુમાં વધુ ઊંચાઈએ આવેલો છે. યાક અને કસ્તૂરીમૃગ આ રાજ્યમાં જોવા મળે છે. ઘણા લોકો અહીં ટ્રૅકિંગની મોજ માણે છે. ૧૯૭૫ સુધી સિક્કિમ એક અલગ દેશ હતો. ૧૯૭૫માં તે ભારતીય સંઘનું ૨૨મા ક્રમનું રાજ્ય બન્યું. સિક્કિમની રાજધાની ગંગટોકથી ૫૬ કિમી.ના અંતરે નાથુલા ઘાટ ભારત-ચીનની સીમારેખા પર ૪૪૦૪.૪ મીટરની ઊંચાઈએ આવેલો છે. આ માર્ગ ૫૬૩ કિમી. લાંબો છે. નાથુલા ઘાટ પર ભારતીય સીમાનું છેલ્લું ગામ શેરથાંગ અને તિબેટ (ચીન) સીમા પરનું છેલ્લું ગામ ચુમા લહરી છે. ઑર્ગેનિક રીતે ખેતી કરવામાં સફળ થનાર સિક્કિમ ભારતનું સર્વપ્રથમ રાજ્ય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિક્કિમ, પૃ. ૧૯૧)

Categories
વાચન સમૃદ્ધિ

ગોપીનાથ બારદોલાઈ

જ. ૬ જૂન, ૧૮૯૦ અ. ૫ ઑગસ્ટ, ૧૯૫૦

આસામના પ્રથમ મુખ્યમંત્રી, ભારતીય રાજનેતા અને સ્વાતંત્ર્યસેનાની ગોપીનાથ બારદોલાઈનો જન્મ રાહા, ગુવાહાટી, આસામમાં થયો હતો. પિતાનું નામ બુદ્ધેશ્વર અને માતાનું નામ પરમેશ્વરી હતું. ગોપીનાથ જ્યારે ૧૨ વર્ષના હતા ત્યારે જ એમનાં માતાનું અવસાન થયું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ રાહા અને માધ્યમિક શિક્ષણ ગુવાહાટીમાં લીધુ. કૉલેજશિક્ષણ કૉલકાતામાં લઈ ૧૯૧૨માં સ્નાતક થયા. અનુસ્નાતકની પદવી હાંસલ કરી કાયદાની વિદ્યાશાખાના સ્નાતક બન્યા. ૧૯૧૭માં ગુવાહાટી બારમાં જોડાયા. ગોપાલપારા જિલ્લામાં ચારિયાણ જમીન ઉપર સરકારે વેરો નાંખતાં ખેડૂતોએ તેનો વિરોધ કર્યો ત્યારે તેમને પક્ષે રહી સરકાર વિરુદ્ધ તેઓ કેસ લડ્યા અને એ રીતે જાહેરજીવનના શ્રીગણેશ કર્યા. આ સમયગાળા દરમિયાન આસામ ઍસોસિયેશન આસામનું એકમાત્ર રાજકીય સંગઠન હતું. ૧૯૨૧માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની શાખા તરીકે આસામ કૉંગ્રેસની રચના કરવામાં આવી હતી. ગોપીનાથ તેમાં સ્વયંસેવક તરીકે જોડાયા અને તેમનું રાજકીય જીવન શરૂ થયું. ગાંધીજીના પ્રભાવ હેઠળ અસહકાર ચળવળમાં સક્રિયપણે ભાગ લેવા બદલ કારાવાસ પણ ભોગવ્યો. ૧૯૩૭થી આસામ વિધાનસભાના સભ્ય અને કૉંગ્રેસ પક્ષના નેતા રહ્યા. સપ્ટેમ્બર, ૧૯૩૮થી નવેમ્બર ૧૯૩૯ સુધી તેઓ આસામની મિશ્ર સરકારના મુખ્યપ્રધાન રહ્યા અને બીજા વિશ્વયુદ્ધને કારણે પદત્યાગ કર્યો. ‘હિંદ છોડો’ લડતમાં ભાગ લેવાને કારણે ફરી જેલવાસ ભોગવ્યો. સફળ વહીવટદાર તરીકે યશસ્વી કામગીરી બજાવી પ્રજાલક્ષી કામો કર્યાં અને ચાહના પામ્યા. આઝાદ ભારતની બંધારણસભાના સભ્ય તરીકે તેમણે કામગીરી બજાવી. આદિવાસીઓના ઉત્કર્ષ માટે પણ ખૂબ કામ કર્યાં. ખાદીના પ્રચારાર્થે સાઇકલ પર ગામેગામ પ્રવાસ કરી તેની ઉપયોગિતા સમજાવી. અફીણ-બંધીના કાર્યક્રમનો અમલ કરાવ્યો. આઝાદી બાદ ગુવાહાટીમાં વડી અદાલતની રચના કરી. યુનિવર્સિટીની સ્થાપના કરી. તે ઉપરાંત ઇજનેરી કૉલેજ, સંગ્રહાલય, પોલીસ ટ્રેનિંગ કૉલેજ, ફૉરેસ્ટ ટ્રેનિંગ કૉલેજ, સહકારી સંસ્થાઓ માટેની ટ્રેનિંગ કૉલેજ સ્થાપી આસામના સર્વાંગી વિકાસ માટેનું વાતાવરણ રચ્યું જે બદલ પ્રજાએ તેમને ‘લોકપ્રિય’ના બિરુદથી સન્માન્યા. ૧૯૯૯માં મરણોત્તર ‘ભારતરત્ન’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

મૃત્યુ પછી પણ જીવતાં-ધબકતાં સત્કર્મો

આ જગત પરથી જીવનલીલા સંકેલી લીધા બાદ કશું શેષ રહે છે ખરું  કે પછી વ્યક્તિના દેહનાશની સાથોસાથ એણે પ્રાપ્ત કરેલાં યશ, સિદ્ધિ અને સમૃદ્ધિ સઘળું સમાપ્ત થઈ જાય છે ? વ્યક્તિનું અવસાન થયા પછી ધરતી પર એનું કશું બચે છે ખરું કે અગ્નિસંસ્કારની ભડભડતી આગમાં બધુંય ભસ્મીભૂત થઈ જાય છે ? નાશવંત જીવનમાં અવિનાશી હોય તો તે સત્કર્મ છે. કર્મ તો સહુ કોઈ કરે છે, કોઈ આજીવિકા માટે તો કોઈ અંગત સિદ્ધિ માટે, પરંતુ આવાં કર્મો કરનાર મૃત્યુ બાદ વિસ્મૃતિ પામે છે. કારણ કે માનવીનાં અંગત કામ તો વહેતા પ્રવાહમાં વહી જનારાં હોય છે. એ સામા પૂરે તરીને કોઈ સત્કર્મ કરનારો હોતો નથી. ગાડરિયા પ્રવાહે ચાલનાર વ્યક્તિના અસ્તિત્વની એના મૃત્યુ પછી કોઈ નોંધ પણ લેતું નથી અને એનો કોઈ અણસાર રહેતો નથી. દેહ સાથે સઘળું ભસ્મીભૂત થઈ જાય છે, જ્યારે સ્વાર્થ, સંકુચિતતા અને ભૌતિકતા જેવા અવરોધો પાર કરીને માનવી માટે કલ્યાણકારી સત્કર્મો કરનારને સહુ કોઈ યાદ કરે છે. સત્કર્મ કરવાની બે જ રીત છે, કાં તો તમે તમારી વાણી કે લેખિની દ્વારા સત્કર્મને પ્રગટ કરો અથવા તો તમે સ્વયં સત્કર્મ કરી બતાવો. આમ કાર્ય અને કલમ દ્વારા થયેલાં સત્કર્મો જ વ્યક્તિના મૃત્યુ પછી એના સ્મરણની સુવાસ આપતાં રહે છે. નાશવંત અને શાશ્વતનો ભેદ વહેલી તકે પારખી લેવો જોઈએ અને જેની નજર શાશ્વત સત્કર્મ પર છે તેની સામે નાશવંત બાબતો નાશ પામે છે. સત્કર્મ અ-મૃત છે. એ વ્યક્તિ જીવંત હોય કે દિવંગત હોય, પણ એના ભાવ સદાય વાતાવરણમાં સુવાસ પ્રેરતા હોય છે. પોતાના દેહની અને મનની શક્તિઓ સામાજિક કાર્યોમાં રેડીને કાર્ય કરનાર માનવીનાં દેહ કે મન ન હોય, તોપણ એનાં સત્કર્મ શાશ્વત રહે છે.