Categories
વાચન સમૃદ્ધિ

અજમેર

ભારતના રાજસ્થાન રાજ્યના અજમેર જિલ્લામાં આવેલું જિલ્લામથક તેમ જ શહેર. ભૌગોલિક સ્થાન : ૨૬° ૨૭´ ઉ. અ. અને ૭૮° ૩૮´ પૂ. રે. આ શહેર અરવલ્લી પર્વતમાળાના તારાગઢ પહાડના ઢોળાવ ઉપર વસેલું છે. અમદાવાદ-દિલ્હી રેલમાર્ગ પરનું તે મહત્ત્વનું મથક છે. લૂણી નદી અજમેરની નજીકથી પસાર થાય છે અને કચ્છના રણમાં સમાઈ જાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.૮ અજમેરમાં થઈને જાય છે, તેથી તે નજીકનાં ઘણાં શહેરો સાથે સંકળાયેલું છે. રાજપૂત શાસક અજયદેવે અગિયારમી સદીમાં તેની સ્થાપના કરી હતી. ભારતના છેલ્લા રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણ પાસેથી મહમ્મદ ઘોરીએ એ જીતી લીધું. ૧૧૯૩માં તે દિલ્હીના ગુલામ વંશના રાજ્ય સાથે જોડાયું. તેરમી સદીમાં રણથંભોરના હમીરદેવ અને ત્યારબાદ મેવાડના રાણા કુંભાએ તે જીતી લીધું. ૧૫૫૬માં અકબરે તેને જીતી લીધું. ૧૭૭૦માં તે મરાઠાઓએ જીતી લીધું. રાજપૂતો સામેની લડાઈમાં અજમેર શહેરનો ઉપયોગ મુસ્લિમ શાસકોએ લશ્કરી થાણા તરીકે કર્યો હતો. ૧૮૧૮માં ત્યાં અંગ્રેજી શાસન આવ્યું.

પુષ્કર તીર્થક્ષેત્ર             ખ્વાજા મોહિયુદ્દીન ચિશ્તીનો મકબરો

પ્રસિદ્ધ મુસ્લિમ સંત ખ્વાજા મોહિયુદ્દીન ચિશ્તીનો વિશાળ પરિસર ધરાવતો મકબરો (અજમેર-શરીફ) અહીં આવેલો છે. દરગાહની મુલાકાત લેવા હજારો શ્રદ્ધાળુઓ આવે છે. અકબરે ચિશ્તીની માનતા માનેલી અને તે ફળેલી, એટલે અકબરે દિલ્હીથી અજમેરની પદયાત્રા કરેલી. ત્યારથી દરેક વર્ષે અહીં ઉર્સ (મેળો) ભરાય છે. તેમાં ભાગ લેવા વિશ્વભરમાંથી મુસ્લિમ યાત્રિકો આવે છે. તે સિવાય અકબરનો મહેલ જે હાલ સંગ્રહાલયમાં ફેરવાયેલો છે તે જોવાલાયક છે. અજમેર-જયપુર-નાગોર જિલ્લાઓની સીમાને ત્રિભેટે ખારા પાણીનું સાંભર સરોવર આવેલું છે. અજમેરની નજીક આવેલા પુષ્કર તીર્થક્ષેત્રમાં બ્રહ્માજીનું મંદિર આવેલું છે. ત્યાં હિન્દુ યાત્રિકોની અવરજવર રહે છે. કૃષિ અહીંની મુખ્ય પ્રવૃત્તિ છે. અજમેર હસ્તકલા, રંગકામ તથા હાથવણાટ માટે પણ જાણીતું છે. જિલ્લાનો વિસ્તાર ૮૪૮૧ ચોકિમી. જેટલો અને વસ્તી ૨૯,૯૫,૮૨૪ (૨૦૨૫) જેટલી છે. શહેરની વસ્તી અંદાજે ૬,૬૫,૦૦૦ (૨૦૨૫) જેટલી છે અને મેટ્રો પોલિટનની વસ્તી ૭,૯૨,૦૦૦ (૨૦૨૫) જેટલી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

દરવાનસિંહ નેગી

જ. 4 માર્ચ, 1883 અ. 24 જૂન, 1950

વિક્ટોરિયા ક્રૉસથી સન્માનિત થયેલા પ્રથમ ભારતીય સૈનિકોમાંના એક દરવાનસિંહ નેગીનો જન્મ ગઢવાલ જિલ્લાના કફરતીર ગામમાં ખેડૂત પરિવારમાં થયો હતો. પિતા કલામસિંહ નેગી જમીનમાલિક અને ખેડૂત હતા. તેઓ 1902માં 19 વર્ષની ઉંમરે ભારતીય સેનાની 39મી ગઢવાલ રાઇફલ્સમાં જોડાયા હતા. જોડાયા પછી ઉત્તરાખંડના લેન્સડાઉનમાં લશ્કરી તાલીમ મેળવી 1914માં નાયકના પદ પર પહોંચ્યા હતા. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ભારતીય સેનાની 39મી ગઢવાલ રાઇફલ્સની પહેલી બટાલિયનને જોડાવાનું થયું. બટાલિયન 9 ઑગસ્ટ, 1914ના રોજ લેન્સડાઉનમાં એકત્રિત થઈ. મુંબઈ થઈ 14 ઑક્ટોબરે માર્સેલ્સ પહોંચી. 29 ઑક્ટોબર સુધીમાં યુનિટ એસ્ટાયર્સની નજીક ફ્રન્ટ લાઇન પર પહોંચી ગઈ. સતત તોપમારા અને ગોળીબાર વચ્ચે 21 દિવસ અને 20 રાત્રિપાળી ભરેલી ખાઈઓમાં રહીને યુદ્ધમાં ભાગ લીધો. મર્યાદિત હથિયારો હતાં. બ્રેડ અને બિસ્ટિક પર નભીને લડ્યા. 23-24 નવેમ્બર, 1914ની રાત્રે દરવાનસિંહે અસાધારણ બહાદુરી દર્શાવી. તેમના યુનિટને દુશ્મનના કબજા હેઠળની ખાઈઓ પાછી મેળવવાનો આદેશ આપવામાં આવ્યો. બૉમ્બ અને ગોળીના વરસાદ વચ્ચે તેમણે ટુકડીને નેતૃત્વ પૂરું પાડ્યું. તેમના માથામાં બે વખત અને ડાબા હાથમાં ઈજાઓ થઈ તેમ છતાંય હિંમત હાર્યા નહીં. દુશ્મનો પાસે ખાઈઓ મેળવીને કાર્યવાહી પૂરી થયા પછી તેમણે પોતાને થયેલી ઈજાઓની જાણ કરી. ‘ધ લંડન ગૅઝેટ’માં તેમની મહાન બહાદુરીની પ્રશંસા કરવામાં આવી. 5 ડિસેમ્બર, 1914ના રોજ તેમને જ્યોર્જ પંચમના હસ્તે વિક્ટોરિયા ક્રૉસ એનાયત કરવામાં આવ્યો. તેઓ 1915માં ભારત પાછા ફર્યા. તેઓ હવાલદાર, જમાદાર અને પછી સૂબેદારના પદ સુધી પહોંચ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી તેમણે ઇરાકમાં સેવા આપી. બ્રિટિશ સામેના આરબ બળવાને ખાળવા માટે તેમણે કાર્ય કર્યું હતું. તેઓ મે, 1926માં નિવૃત્ત થયા. તેમની સ્મૃતિમાં ઉત્તરાખંડના લેન્સડાઉનમાં આવેલા ગઢવાલ રાઇફલ્સના રેજિમેન્ટલ મ્યુઝિયમને દરવાનસિંહ મ્યુઝિયમ નામ આપવામાં આવ્યું છે.

Categories
સાંપ્રત કાર્યક્રમો

કવિ શ્રી ન્હાનલાલનાં ગીતોની પ્રસ્તુતિ

અમર ભટ્ટ

19 માર્ચ 2026, ગુરુવાર, સાંજના 5-30 વાગ્યે

સૌજન્ય : શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ

ચંદ્રકાન્ત મહેતા, કુમારપાળ દેસાઈ, પ્રફુલ્લ રાવલ, આભાસ કવિ

ટ્રસ્ટીઓ

મહાકવિ શ્રી ન્હાનાલાલ સ્મારક ટ્રસ્ટ