Categories
વાચન સમૃદ્ધિ

અંતર્યાત્રામાં આવનારા સ્ટેશનની ખબર હોતી નથી

આજુબાજુ ઘેરાયેલી આફતોની વચ્ચે વિરલ ભડવીર કોઈ સાથે ન આવે તોપણ ‘એકલો જાને રે’ના ભાવ સાથે આગળ પ્રયાણ આદરે છે. ચોપાસની મુશ્કેલીઓથી એ સહેજે મૂંઝાતો નથી. પોતાના નિર્ધારિત પથ પરથી સહેજે ડગતો નથી. આવા સાહસ કરતાં પણ વધુ કપરું સાહસ છે માનવીનું ભીતરી પ્રયાણ. બાહ્ય સાહસને માટે નિશ્ર્ચિત રસ્તો હોય છે. જુદા જુદા માર્ગોનો દોરેલો નકશો હોય છે. જ્યારે આત્માના માર્ગે ચાલનાર એકાકીને માટે કોઈ નિર્ધારિત પંથ હોતો નથી કે ચોક્કસ આંકેલો નકશો હોતો નથી. એમાં હોય છે માત્ર પ્રયાણનું સાહસ, પ્રાપ્તિની ઝંખના અને ધ્યેય તરફની એકાગ્ર દૃષ્ટિ. આ માર્ગે વ્યક્તિ જેમ જેમ આગળ ધપે છે તેમ તેમ એ જ જાળાંઝાંખરાં વચ્ચેથી આગવી, પોતીકી કેડી કંડારતો જાય છે. એ ભીતરના અપરિચિત પ્રદેશને પાર કરતો અગ્ર-ગતિ કરે છે. માર્ગમાં એને અજ્ઞાન અને અંધકાર અવરોધે છે. તૃષ્ણાઓ અને વૃત્તિઓ જકડીને મુશ્કેટાટ બાંધી રાખવાની કોશિશ કરે છે. અવિદ્યા અને દુરિત એને ભયભીત બનાવી પાછા ફરવા કહે છે. આકર્ષણો ને ઉપસર્ગો એને ઘેરી વળે છે. ક્ષણિકની લીલા બધે ફેલાઈ જાય છે અને બાહ્ય સુખોનું માધુર્ય આસપાસ રેલાઈ જાય છે. સાધક આવી જ્ઞાત દુનિયામાંથી ભીતરની અજ્ઞાત દુનિયામાં પ્રયાણ આદરે છે. આ એવી યાત્રા છે કે જ્યાં એક સ્ટેશન પછી બીજું સ્ટેશન હશે એની ખબર નથી. એક આત્માનુભૂતિ અંતરને કેવો વળાંક આપશે એનો કોઈ અંદાજ નથી. બાહરી દુનિયામાં તો ક્યારેક સાહસ કરવું પડતું, પણ આંતરજગતમાં તો પળે પળે નવી પરિસ્થિતિ અને નવા પડકારોનો સામનો કરવો પડે છે અને એ રીતે તે ભીતરની દિશા ભણી આગળ ધપતો રહે છે અને એક એવા મુકામ પર પહોંચે છે જ્યાં પ્રસન્ન પ્રકાશમયતાનો અનુભવ થાય છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

મગનભાઈ પ્રભુદાસ દેસાઈ

જ. ૧૧ ઑક્ટોબર, ૧૮૯૯ અ. ૧ ફેબ્રુઆરી, ૧૯૬૯

શિક્ષણશાસ્ત્રી, લેખક, સંપાદક અને ગાંધીવાદી મગનભાઈ દેસાઈનો જન્મ ધર્મજમાં પાટીદાર કુટુંબમાં થયો હતો. શાળેય શિક્ષણ નડિયાદમાં. ૧૯૧૭માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં બી.એ.ના અભ્યાસ માટે દાખલ થયા, પરંતુ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ કૉલેજ છોડી. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. તેમણે બોરસદ વિનયમંદિરમાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. પછી ગૂજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં ગણિતના અધ્યાપક બન્યા. સવિનય કાનૂનભંગની લડતમાં લોકમત કેળવવાનું કાર્ય કર્યું. ૧૯૩૨માં અંગ્રેજ સરકારે ગૂજરાત  વિદ્યાપીઠને ગેરકાનૂની જાહેર કરી, પછી મગનભાઈને જેલવાસ થયો. તેમણે એક વર્ષ માટે વર્ધા મહિલા આશ્રમનું સંચાલન અને શિક્ષણ કર્યું. ૧૯૩૭થી ૧૯૬૦ સુધી ગૂજરાત વિદ્યાપીઠના મહામાત્ર રહ્યા. તેઓ ૧૯૪૬થી ૧૯૫૩ સુધી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના પ્રમુખ હતા. ૧૯૪૬માં નવજીવન ટ્રસ્ટના સભ્ય અને ૧૯૪૭માં ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના આચાર્ય થયા. તેઓ ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બન્યા, પરંતુ ૧૯૬૦માં રાજીનામું આપ્યું. ટ્રસ્ટીઓ સાથે મતભેદ થતાં ૧૯૬૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સેવક તરીકે રાજીનામું આપ્યું. તેઓ અનેક સંસ્થાઓ અને સમિતિઓ સાથે સંકળાયેલા હતા. શિક્ષણશાસ્ત્રી ઉપરાંત તેઓ પત્રકાર-સંપાદક પણ હતા. તેમણે ૧૯૩૯માં ‘શિક્ષણ અને સાહિત્ય’ નામનું સામયિક શરૂ કર્યું અને ૧૯૬૧ સુધી તેના તંત્રી રહ્યા. આ ઉપરાંત તેઓ અન્ય સામયિકોના પણ તંત્રી હતા. તેમણે ઘણાં પુસ્તકો અને અનુવાદો આપ્યાં છે. ‘દારૂનિષેધ અને સ્વરાજ’, ‘સત્યાગ્રહની મીમાંસા’, ‘રાજા રામમોહન રાયથી ગાંધીજી’, ‘મેકૉલે કે ગાંધી ?’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે અંગ્રેજીમાં પણ પુસ્તકો લખ્યાં હતાં. પ્રાથમિકથી યુનિવર્સિટીનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ એવા આગ્રહ માટે તેઓ જાણીતા હતા.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

ડુંગરપુર

રાજસ્થાનનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે દક્ષિણ અરવલ્લી પર્વતશ્રેણીમાં આવેલો છે. વગડાનો  પ્રદેશ હોવાથી તે વાગડ પ્રદેશ તરીકે ઓળખાય છે અને તેમાં ડુંગરપુર ઉપરાંત વાંસવાડા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવે છે. શિલાલેખોમાં તેનો ઉલ્લેખ ‘વાગ્વર’ તરીકે કરવામાં આવ્યો છે. ભૌગોલિક સ્થાન : ૨૩° ૫૦´ ઉ. અ. અને ૭૩° ૪૩´ પૂ. રે.. જિલ્લાની પૂર્વમાં રાજ્યનો વાંસવાડા જિલ્લો, ઉત્તરમાં ઉદેપુર જિલ્લો તથા દક્ષિણ અને પશ્ચિમમાં ગુજરાત રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા આવેલા છે. તે સમુદ્ર સપાટીથી ૩૦૦થી ૪૦૦ મી. ઊંચાઈ ધરાવે છે. તેનો મોટા ભાગનો પ્રદેશ ડુંગરાળ છે, જોકે ડુંગરાઓ વચ્ચે સપાટ મેદાનો પણ આવેલાં છે. ભૂસ્તરવિજ્ઞાનની દૃષ્ટિએ આ વિસ્તાર પ્રીકેમ્બ્રિયન યુગનો ખડક પ્રદેશ છે. તેમાં આર્કિયન ગ્રૅનાઇટ વધારે પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. તે ઉપરાંત સિલિકા, ક્વાર્ટઝાઇટ, સ્લેટ તથા ચૂનાના પથ્થરો પણ પ્રાપ્ત થાય છે. ડુંગરાઓની સરેરાશ ઊંચાઈ ૪૯૦ મી. જેટલી છે. જિલ્લાનો કુલ વિસ્તાર ૩,૭૭૦ ચોકિમી. તથા કુલ વસ્તી ૧૩,૮૮,૫૫૨ (૨૦૨૫) છે, જેમાં લગભગ ૭૦% લોકો અનુસૂચિત જનજાતિના છે. વસ્તીનો ગીચતાદર ચોકિમી. દીઠ ૨૩૨ છે. તે પ્રદેશમાં બે મુખ્ય નદીઓ છે : મહીસાગર (મહી) તથા સોમ. મહીસાગર નદી ડુંગરપુર અને વાંસવાડા જિલ્લાઓની સરહદ બનાવે છે. તેનો પટ ૧૦૦થી ૧૩૦ મી. પહોળો છે : ગાલિયાકોટથી આગળ તે ગુજરાતમાં પ્રવેશે છે. સોમ નદી મેવાડથી ડુંગરપુર જિલ્લામાં ઉત્તર-પૂર્વ તરફથી પ્રવેશે છે તથા આગળ જતાં તે મહીસાગર નદીને મળે છે. ઉપરાંત, જાખમ અને મોરન અન્ય નદીઓ છે. ઉનાળામાં જિલ્લાનું તાપમાન સરેરાશ ૪૪° સે. હોય છે. તે ૪૫° સે. સુધી જાય છે. શિયાળામાં તાપમાન ૨૦૦ સે. સુધી નીચે આવે છે. જિલ્લાનો સરેરાશ વાર્ષિક વરસાદ ૭૫૦ મિમી. થી ૧૦૦૦ મિમી. હોય છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦%થી ૭૯% રહે છે.

દેવસોમનાથનું મંદિર

એક જમાનામાં આ વિસ્તાર વનપ્રદેશ હતો; પરંતુ હવે મોટા ભાગનાં જંગલો નષ્ટ થઈ ગયાં છે. જે થોડાંક જંગલો બાકી છે તેમાં સાગ, મહુડા, માલબેરી, ખજૂર, ગુલર, સાલર, તેંદુ, બેહેડો અને ટીમરુનાં વૃક્ષો છે. ઉપરાંત, જંગલોમાંથી કાથો, ગુંદર અને મધ પ્રાપ્ત થાય છે. બીડી બનાવવાનાં પાન પણ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. જિલ્લાની કુલ જમીનમાંથી ૧,૨૪,૧૮૭ હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. શિયાળુ પાકમાં ઘઉં, જવ, ચણા, ધાણા, જીરું અને કપાસ પેદા થાય છે; જ્યારે ઉનાળુ પાકમાં મકાઈ, ડાંગર, મગફળી, શેરડી અને તેલીબિયાંના પાક લેવાય છે. કૂવાઓ તથા તળાવમાંથી સિંચાઈનું પાણી મેળવવામાં આવે છે. મહીસાગર પર બંધાયેલ બંધમાંથી ડુંગરપુર સુધી પાણી પહોંચાડવા માટે સાઇફન પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. હિંમતનગરથી ઉદેપુર સુધીની રેલલાઇન આ જિલ્લાના પશ્ચિમ છેડેથી રતનપુરમાં પ્રવેશ કરી ડુંગરપુરમાંથી પસાર થાય છે. ડુંગરપુરથી ૨૪ કિમી. અંતરે બારમી સદીનું દેવસોમનાથનું મંદિર સંપૂર્ણ આરસપહાણનું બનેલું છે. તેનું ગર્ભગૃહ આઠ વિશાળ થાંભલા પર બાંધેલું છે.

શંકરલાલ ત્રિવેદી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ખંડ-૮, ડુંગરપુર, પૃ. ૫૪૮, અથવા જુઓ : https://gujarativishwakosh.org/ડુંગરપુર/)