Categories
વાચન સમૃદ્ધિ

જળ મેળવવાની દોડ, રણની રેતની પ્રાપ્તિ

જે અત્યંત ચંચળ અને પરિવર્તનશીલ છે, એને માનવી જીવનમાં સુદૃઢ અને સ્થિર કરવાનો સતત મરણિયો પ્રયાસ કરે છે. એને જે કંઈ ક્ષણિક અને અલ્પકાલીન પ્રાપ્ત થયું છે, તે ક્ષણિકને શાશ્વત અને અલ્પકાલીનને ચિરંજીવ બનાવવા ચાહે છે. એ પહેલાં કશુંક મેળવે છે અને પછી એ મેળવેલું સદાકાળ ટકે એવી અપેક્ષા રાખે છે. કોઈ યશસ્વી કાર્ય કરે અને એનાથી એને કીર્તિ પ્રાપ્ત થાય, તો એ પોતાની કીર્તિને અહર્નિશ અકબંધ રાખવા ચાહે છે. એ જાણતો નથી કે આજે એને કીર્તિ પ્રાપ્ત થઈ છે અને આવતી કાલે અપકીર્તિ પણ પ્રાપ્ત થાય. એને કોઈની ચાહના કે સ્નેહ પ્રાપ્ત થાય છે અને પછી એ વિચારે છે કે જીવનભર એ જ સ્નેહ કે પ્રેમ એને મળતો રહે. એને યૌવન પ્રાપ્ત થાય ત્યારે એવી આકાંક્ષા સેવે છે કે આ યૌવન સદાકાળ ટકી રહે. એના પર ધીરે ધીરે પડતા વૃદ્ધત્વના પડછાયા એને સહેજે પસંદ પડતા નથી. આથી એ પહેલાં પોતાના વૃદ્ધત્વને સ્વીકારવા તૈયાર હોતો નથી અને પછી ઘણી મથામણ બાદ એના એકાદ અંશને સ્વીકારવા તૈયાર થાય છે. જે પરિવર્તનશીલ છે એને સ્થાયી માનવાની વ્યર્થ ધારણાઓ કરતા માનવીને એને કારણે જીવનમાં કેટલીય હતાશા, દોડાદોડ, આતુરતા અને નિરાશા સહન કરવાં પડે છે. જળની શોધમાં દોડતાં મૃગજળ જેવી આ માયા છે. તીવ્ર વેગે પોતાના ભૌતિક સ્વપ્નના મૃગજળ પાસે પહોંચતાં એને ખ્યાલ આવે છે કે અહીં તો ક્યાંય જળ નથી, માત્ર રણની  ધગધગતી રેતી છે અને સહેજ નજર ઊંચી કરે છે ત્યારે વળી દૂર એક મૃગજળ દેખાય છે અને પુન: એની દોડનો પ્રારંભ થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

મગનલાલ પટેલ ‘પતીલ

જ. ૮ ઑગસ્ટ, ૧૯૦૫ અ. ૧૮ માર્ચ, ૧૯૭૦

ગુજરાતી ભાષાના કવિ મગનલાલ ભૂધરભાઈ પટેલ ‘પતીલ’ના ઉપનામથી વધુ જાણીતા છે. જોકે એમણે ‘ઇક્લેસરી’, ‘ધૂન ધૂન’,‘જયસેના’, ‘નીલપદ્મ’, ‘સ્નેહનંદન’, ‘સ્નેહનૈયા’ અને ‘યશોબાલા’ જેવાં અનેક ઉપનામોથી લખ્યું છે. અંકલેશ્વરમાં જન્મેલા અને ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણનો અભ્યાસ કરી મહેસૂલ અને કેળવણી ખાતામાં નોકરી કરી. તેમનું પ્રથમ કાવ્ય ‘નર્મદાને’ ૧૯૩૧માં ‘પ્રસ્થાન’ સામયિકમાં પ્રકાશિત થયું હતું. તેમની પાસેથી પ્રકૃતિ અને પ્રણયનું નિરૂપણ કરતી કૌતુકરાગી કવિતા મળે છે. તેમજ ગઝલ અને સૉનેટ જેવાં કાવ્યસ્વરૂપોમાં ફારસી શબ્દો અને સંસ્કૃત વૃત્તોનો વિશિષ્ટ ઉપયોગ જોવા મળે છે. ૧૯૪૦માં પ્રકાશિત થયેલા તેમના ‘પ્રભાત-નર્મદા’ કાવ્યસંગ્રહમાં આત્મલક્ષી પદ્યપ્રયોગો છે તો કેટલીક નર્મમર્મની સુંદર રચનાઓ પણ છે. તેમના પદ્યપ્રયોગોમાં તેમણે છંદમિશ્રણોનો તેમજ ખૂબ ઓછા જાણીતા એવા પુષ્પિતાગ્રા, ભ્રમરાવલી, ભુજંગપ્રયાત જેવા છંદોના સફળ પ્રયોગો જોવા મળે છે. આ પ્રયોગોએ બ. ક. ઠાકોર અને રા. વિ. પાઠક જેવા વિદ્વાન વિવેચકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમના ‘વાસવક્લેશપરિહાર’ નામના હાસ્યરસિક આખ્યાનમાં શચી અને ઇન્દ્રે માનેલ કંથાના પ્રસાદ માટે ખાંડ મેળવવા નારદે કેવી હાડમારી વેઠવી પડી તેનું ઉપહાસાત્મક નિરૂપણ કર્યું છે. આ ઉપરાંત હિંદી ભાષામાં રચેલ ગઝલ અને તરાનાને ‘નયી તર્ઝે’ નામનો તેમનો સંગ્રહ ૧૯૫૩માં પ્રકાશિત થયો હતો. તેમણે ૧૯૪૬થી ૧૯૪૮ સુધી ‘ગુજરાત’ દૈનિકમાં સાહિત્યવિભાગનું સંપાદન કર્યું હતું. પતીલની રચનાઓના મરણોત્તર સંગ્રહો ‘મારી ઉર્વશી’ (૧૯૭૫), ‘અટૂલી અનાર’ (૧૯૭૫) અને ‘વ્યામોહજવનિકા’ (૧૯૭૫) સંપાદિત કરીને નટવરલાલ મગનલાલ પટેલે આપ્યા છે. ૬૫ વર્ષની વયે તેમનું વડોદરામાં અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

ટોંક

રાજસ્થાન રાજ્યનો જિલ્લો. તે રાજ્યની ઈશાને ૨૫° ૪૧´ ઉ.થી ૨૬° ૩૪´ ઉત્તર અક્ષાંશ અને ૭૫° ૦૭´ પૂ.થી ૭૬° ૧૯´ પૂ. રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર ૭,૧૯૪ ચોકિમી. છે. તેની ઉત્તરે જયપુર, દક્ષિણમાં બુંદી અને ભીલવાડા, પશ્ચિમમાં અજમેર તેમજ પૂર્વમાં સવાઈમાધોપુર જિલ્લાઓ આવેલા છે. તેની કુલ વસ્તી ૧૬,૮૦,૦૦૦ (૨૦૨૪, આશરે) અને વસ્તીની ગીચતા ચોકિમી.દીઠ ૧૩૫ છે. જિલ્લાની ૮૦% વસ્તી ગ્રામ વિસ્તારમાં અને બાકીની ૨૦% વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે. પતંગ જેવા આકારનો અને લગભગ સમતળ એવો આ જિલ્લો સમુદ્ર-સપાટીથી સરેરાશ ૨૬૪.૩૨ મી.ની ઊંચાઈ પર આવેલ છે. જિલ્લાની એકમાત્ર મહત્ત્વની નદી બનાસ પૂર્વ તરફથી વહી જિલ્લાની બરાબર મધ્યમાંથી પસાર થતાં, તેને બે ભાગમાં વહેંચે છે. જિલ્લામાં અરવલ્લીની ટેકરીઓ છૂટીછવાઈ પથરાયેલી છે. પ્રદેશનો સામાન્ય ઢોળાવ વાયવ્યથી દક્ષિણ અને પૂર્વ તરફનો છે. આબોહવા સૂકી અને આરોગ્યપ્રદ છે. વાર્ષિક મહત્તમ તાપમાન ૨૭.૫°થી ૩૦° સે. અને લઘુતમ તાપમાન ૧૫°થી ૧૭° સે. વચ્ચે રહે છે. વાર્ષિક સરેરાશ વરસાદ ૬૧૪ મિમી. છે. વરસાદનું પ્રમાણ અગ્નિથી વાયવ્ય તરફ જતાં ઘટતું જાય છે. જમીન સામાન્ય રીતે ફળદ્રૂપ પરંતુ કેટલેક સ્થળે વધુ રેતાળ છે. મેદાની વિસ્તારોમાં નાઇસ અને શિસ્ટ ખડકોની ભૂસ્તરીય રચના જોવા મળે છે. ગાર્નેટ, અબરખ જેવાં અધાતુમય ખનિજો; બાંધકામના પથ્થર તથા લોહઅયસ્ક જેવાં ધાતુમય ખનિજો અહીંથી મળે છે.

બિસલદેવ મંદિર, ટોંક

જિલ્લાનો લગભગ ૩.૪૯% વિસ્તાર વનાચ્છાદિત છે. ઔદ્યોગિક દૃષ્ટિએ તે રાજ્યનો પછાત જિલ્લો છે. બીડી તથા ગાલીચા વણવાના ગૃહઉદ્યોગો ઉપરાંત હસ્તકળા, ચર્મોદ્યોગ, સુથારીકામ, કુંભારકામ, વણાટકામ અને ખાદી-ઉદ્યોગ ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત રીતે ચાલે છે. રાજસ્થાનના આ પ્રદેશમાં હજુ રેલવે નથી. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧૨  અહીંથી પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગ ૧૩૮ કિમી. અને અન્ય (જિલ્લા) માર્ગો ૮૧૬ કિમી. લાંબા છે. જિલ્લાનાં કેટલાંક ગામો માર્ગથી સંકળાયેલાં નથી. બ્રિટિશ શાસનકાળ દરમિયાન ટોંક ભારતમાં રાજપૂતાના એજન્સીનું એકમાત્ર મુસ્લિમ સંસ્થાન હતું. ઓગણીસમી સદીની શરૂઆતમાં યશવન્તરાવ હોલકરની મદદથી અમીરખાન અને તેના સાથી પઠાણોએ સિરોજ, ટોંક અને પિશવ પરગણાંઓ જીતી લઈને ટોંક સંસ્થાનની સ્થાપના કરી હતી. અઢારમી સદીમાં રોહિલ વંશના પઠાણ કુળમાં જન્મેલો અમીરખાન સમગ્ર ભારતમાં પિંઢારાઓના નેતા તરીકે જાણીતો હતો. બ્રિટિશરોએ તેની વધતી જતી સત્તાને નાથવા ટોંકની સ્થાપના કરવાની સંમતિ આપી હતી. ૧૯૪૮માં માર્ચની ૨૫મીએ ટોંક રાજસ્થાન રાજ્યમાં વિલીન થયું. ભારતની ઇસ્લામી અને પ્રાચ્ય સંશોધન માટેની પ્રસિદ્ધ સંસ્થા ‘અરેબિક ઍન્ડ પર્શિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ (APRI) અહીં આવેલ છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮