Categories
વાચન સમૃદ્ધિ

અગિયારી

પારસી લોકોનું પવિત્ર ધર્મસ્થાન. અગિયારીમાંના તેમના પવિત્ર અગ્નિ(આતશ)ના પ્રકારો મુજબ ત્રણ દરજ્જા છે : ‘આતશે દાદગાહ’, ‘આતશે આદરાન’ અને ‘આતશે બહેરામ’. આતશની સેવા માટે નિયુક્ત થયેલા દસ્તૂર (ધર્મગુરુ) સિવાય કોઈ ગર્ભગૃહમાં જઈ શકતું નથી. અગિયારીની અંદર દર્શન કરવા માટે અન્ય ધર્મીઓને છૂટ હોતી નથી. સોની, લુહાર અને કુંભારની ભઠ્ઠીઓનો અગ્નિ એકત્ર કરીને તેના ઉપર જરથુષ્ટ્ર સંપ્રદાય મુજબનો વિધિ કરીને એક પ્યાલાના આકારના મૂલ્યવાન ધાતુપાત્રમાં આ સિદ્ધાગ્નિની સ્થાપના કરવામાં આવે છે. ખાસ કરીને ‘આતશે બહેરામ’ની અંદર વિદ્યુતાગ્નિ રહેલો છે; તેથી તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. અગિયારીની અંદરનો અગ્નિ સદા જલતો રહે છે. જો તે બુઝાઈ જાય તો તેને અનિષ્ટ સૂચક માનવામાં આવે છે.

પારસી અગિયારી સંજાણ

અગિયારીની ઇમારત મોટે ભાગે વિશાળ ચોગાનમાં, માળ વિનાની, બેઠી બાંધણીની હોય છે. એમાં પ્રવેશતાં વરંડો હોય છે, જ્યાં અગિયારીને લગતો શિલાલેખ ચોડેલો હોય છે. અંદરની રચનામાં એક બાજુ કેબલો (મુખ્ય અગ્નિખંડ) હોય છે, જેમાં ઊંચા તખ્ત પર મુખ્યત્વે આરસના આફ્રિન્ગાન્યા ઉપર પવિત્ર અગ્નિ પાંચે પ્રહર સત્કાર પામતો હોય છે. કેબલોની બાજુનો ખંડ મુક્તાદ એટલે કે શ્રાદ્ધ માટે ઉપયોગમાં લેવાય છે. ત્યાં ફરોહરની આરાધના કરવામાં આવે છે. કેબલોની સામે વિશાળ પ્રાર્થનાખંડ હોય છે, જ્યાં હોમહવન કરવામાં આવે છે. કોઈ શોભા કે સજાવટથી ચિત્તભ્રમ ન થાય તે માટે અગિયારીમાં સાદાઈ રખાય છે. અગિયારીના ચોગાનમાં કસીગાહ (જનોઈ) માટેની જગ્યા, કાઠીભંડાર, દસ્તૂર, પંથકી કે મોબેદને રહેવાનું મકાન અને ક્યારેક પારસી પંચાયતનું મકાન પણ રખાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અગિયારી, પૃ. 10)

Categories
વાચન સમૃદ્ધિ

લીલા મજુમદાર

જ. 26 ફેબ્રુઆરી, 1908 અ. 5 એપ્રિલ, 2007

બાળવાર્તાઓનાં પ્રખ્યાત બંગાળી લેખિકા લીલા મજુમદારનો જન્મ કૉલકાતામાં થયો હતો. તેમનું મૂળ વતન નાદિયામાં ચકધા. તેઓ પ્રમાદ રંજનરાયનાં પુત્રી, ઉપેન્દ્રકિશોરરાય ચૌધરીનાં ભાભી અને સુધીરકુમાર મજુમદારનાં પત્ની હતાં. તેમણે સેંટ જોન ડાયોસેસન (Diocesan) સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. અહીંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક અને અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. બંને પરીક્ષાઓમાં અંગ્રેજી(સાહિત્ય)માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 1931માં દાર્જિલિંગ મહારાણી સ્કૂલમાં શિક્ષિકા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. રવીન્દ્રનાથ ટાગોરના નિમંત્રણ પર શાંતિનિકેતનમાં પ્રવેશ મેળવ્યો. ત્યાર બાદ અધિક સમય લેખનકાર્યમાં વિતાવ્યો. આમ પણ તેમનો પરિવાર બાળસાહિત્યમાં ઉલ્લેખનીય યોગદાન માટે  જાણીતો હતો. બે દશકના લેખન બાદ તેઓ ‘ઑલ ઇન્ડિયા રેડિયો’માં નિર્માતા રૂપે કાર્યરત બન્યાં. તેમના ભત્રીજા સુકુમાર રાયે તેમને બાળકો માટે લખવા પ્રોત્સાહિત કર્યાં. તેમની સૌપ્રથમ બાળવાર્તા 1922માં ‘સંદેશ’માં પ્રગટ થઈ, ત્યારથી તેમની સાહિત્યિક કારકિર્દીનો પ્રારંભ થયો. આગળ જતાં તેઓ સફળ વાર્તાકાર તરીકે પ્રસિદ્ધિ પામ્યાં. એક ગ્રંથસૂચિ મુજબ તેમના લઘુકથાઓના સંગ્રહ સહિત 125 પુસ્તકો, સંયુક્ત લેખનનાં પાંચ પુસ્તકો, અનુવાદિત પાંચ પુસ્તકો તથા 19 સંપાદિત પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમની આત્મકથાત્મક રચના ‘પાક દોડી શિલાંગ’માં તેમણે તેમના બાળપણના દિવસો, શાંતિનિકેતન તથા ઑલ ઇન્ડિયા રેડિયોનાં તેમનાં શરૂઆતનાં વર્ષોનું નિરૂપણ કરેલ છે. તેમના કેટલાક ઉલ્લેખનીય વાર્તાસંગ્રહોમાં ‘પાડિપિસિર બર્મી બાકશ’ (1953), છોટોદેર શ્રેષ્ઠ ગલ્પ (1955), બાધેર ચોખ (1959), ગુપિર ગુપ્તખત (1959), બક ધાર્મિક (1960), એઈ જે દેખા (ટાગોર વિશે : 1961)નો સમાવેશ થાય છે. તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. જેમાં રાજ્ય પુરસ્કાર, સંગીત નાટક અકાદમી પુરસ્કાર, રવીન્દ્ર પુરસ્કાર વગેરે સમાવિષ્ટ છે. ઉત્તર બંગાળ અને કૉલકાતા વિશ્વવિદ્યાલય તરફથી તેમને માનદ ડી.લિટ.ની ઉપાધિ આપવામાં આવી હતી. 2019માં તેમના જીવન પર ‘પેરિસ્તાન – લીલા મજુમદાર કી દુનિયા’ શીર્ષકથી એક વૃત્તચિત્ર ફિલ્મ બનાવવામાં આવી છે.

Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રી કુમાર જયકીર્તિ પ્રેરિત અનેકાંત વ્યાખ્યાનમાળા

અને

ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી

ચિંતનપ્રેરક વ્યાખ્યાનશ્રેણી

વિષય : પ્રભુ પાર્શ્વનાથનો આટલો પ્રભાવ કેમ ?

વક્તા : શ્રી ચંદ્રકાંત મહેતા

વિષય : પ્રભુપાર્શ્વનાથ-18 વિશેષતા સાથે એક અપૂર્વ દર્શન

વક્તા : શ્રી કુમારપાળ દેસાઈ

અતિથિવિશેષ : શ્રી ગૌરવભાઈ શેઠ

તારીખ 28-2-2026, શનિાર, સાંજે 5-30