Categories
વાચન સમૃદ્ધિ

પ્રજાનો વિશ્વાસ

ચીનના વિખ્યાત ફિલસૂફ અને શિક્ષક એવા કૉન્ફ્યૂશિયસે (ઈ. સ. પૂ. ૫૫૧થી ઈ. સ. પૂ. ૪૭૯) પોતાના દેશને વ્યવહારુ ડહાપણની સમજ આપી. ચીનમાં વ્યાપક લોકાદર મેળવનાર આ ચિંતકે એની સંસ્કૃતિ પર ગાઢ પ્રભાવ પાડ્યો. બાવીસમા વર્ષે પોતાના ઘરમાં સ્થાપેલી પાઠશાળામાં પ્રાચીન સાહિત્ય, રાજનીતિ, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો અભ્યાસ કરાવતા હતા. કૉન્ફ્યૂશિયસ રાજકારણમાં પણ રસ લેતા હતા અને રાજકીય નેતા પણ હતા. એક વાર એમના એક શિષ્યએ પૂછ્યું, ‘ઉત્તમ સરકાર કોને કહેવાય ?’ કૉન્ફ્યૂશિયસે ઉત્તમ સરકાર માટે ત્રણ બાબતો મહત્ત્વની ગણાવી અને કહ્યું, ‘જે સરકાર લોકોને ભોજન અને શસ્ત્રો પૂરાં પાડી શકે અને લોકોનો વિશ્વાસ જીતી શકે તેને ઉત્તમ સરકાર કહેવાય.’ શિષ્ય વિચારમાં પડ્યો. સરકારે પ્રજાને જરૂરી અન્ન આપવું જોઈએ, શસ્ત્રો દ્વારા એનું સંરક્ષણ કરવું જોઈએ અને લોકવિશ્વાસ સંપાદન કરવો જોઈએ, પણ શિષ્યએ પૂછ્યું, ‘આ ત્રણમાંથી કોઈ એક બાબત છોડી દેવી હોય તો કઈ છોડી દેવી ?’ કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘શસ્ત્રસરંજામ.’ વળી શિષ્યએ પ્રશ્ન કર્યો, ‘અને બે ચીજ વગર ચલાવવાનું હોય તો ?’ કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘અન્ન. ભોજન વિના લોકો ભૂખે ટળવળીને મરી જાય છે.’ શિષ્યએ વળી પ્રશ્ન કર્યો, ‘તો શું ભોજન અને સંરક્ષણ કરતાં પણ ઉત્તમ સરકારને માટે લોકવિશ્વાસ મહત્ત્વનો છે ?’ કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘જે પ્રજા પોતાની સરકારમાં વિશ્વાસ ગુમાવી બેસે, તે તો ભોજન કરવા છતાં મરેલી જ છે.

Categories
વાચન સમૃદ્ધિ

એસ. ડી. બર્મન

જ. ૧ ઑક્ટોબર, ૧૯૦૬ અ. ૩૧ ઑક્ટોબર, ૧૯૭૫

ભારતીય ફિલ્મોના સંગીતનિર્દેશક, ગાયક. સચિવ દેવ બર્મનનો જન્મ ત્રિપુરાના રાજઘરાનામાં નવદ્વીપ દેવ બર્મન તથા નિર્મલાદેવી બર્મનને ત્યાં થયો હતો. અભ્યાસમાં ખૂબ તેજસ્વી એવા બર્મનદાએ અંગ્રેજી વિષયમાં સ્નાતકની પદવી મેળવી હતી. સંગીતના શોખ અને તકોને કારણે અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ ન કરતાં, અભ્યાસને તિલાંજલિ આપીને સંગીતક્ષેત્રે પ્રયાણ કર્યું. સંગીતકાર કે. સી. ડે પાસે એમણે કંઠ્ય સંગીતની તાલીમ પ્રાપ્ત કરી. ઉસ્તાદ અલાઉદ્દીન ખાં પાસે સરોદ તથા ખલીફા બાદલ ખાં પાસે સારંગીની તાલીમ મેળવી હતી. તબલાવાદનમાં પણ તેઓ નિપુણ હતા. ૧૯૩૫માં બંગાળી ફિલ્મ ‘સુરુ દેરે પ્રિયે’માં સંગીતનિર્દેશન કર્યું. ત્યાં સુધી તેઓ કલકત્તા આકાશવાણીના નિયમિત ગાયક હતા. બંગાળી ભક્તિસંગીત ‘બાઉલ’ ગાયન એમની એક આગવી વિશેષતા હતી. તેનો અદભુત ઉપયોગ એમણે અનેક ફિલ્મગીતોના નિર્દેશનમાં કર્યો. ૧૯૪૬માં હિન્દી ફિલ્મ ‘શિકારી’માં એમના નિર્દેશનમાં બનેલાં ગીતો અતિ લોકપ્રિય બન્યાં અને એક અનોખા સંગીતકાર તરીકે એમની ઓળખ ઊભી થઈ. ‘જાલ’, ‘પ્યાસા’, ‘આરાધના’, ‘મેરી સૂરત તેરી આંખે’, ‘સુજાતા’, ‘ગાઇડ’, ‘અભિમાન’ જેવી અનેક ફિલ્મોમાં સંગીત આપીને તેઓ એક ગુણવત્તાસભર સંગીતકારની હરોળમાં સ્થાન પામ્યા. એમના ગાયેલા ‘સૂનો મેરે બંધૂ રે’, ‘સફલ હોગી તેરી આરાધના’, ‘ઝીંદગી ઐ ઝીંદગી’ જેવાં અનેક હૃયસ્પર્શી ગીતો સંગીતપ્રેમીઓ માટે ઈશ્વરના પ્રસાદરૂપ ગણાય છે. શ્રેષ્ઠ સંગીતનિર્દેશક માટે ફિલ્મફેર ઍવૉર્ડ, રાષ્ટ્રીય પુરસ્કારો, સંગીત નાટક અકાદમી જેવા અનેક પુરસ્કારોથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સ્ટૉકહોમ

સ્વીડનનું મોટામાં મોટું શહેર અને પાટનગર. તે ૫૯° ૨૦´ ઉ. અ. અને ૧૮° ૦૩´ પૂ. રે. પર આવેલું છે. આ શહેર ૧૨૫૦ના દાયકામાં તત્કાલીન સ્વીડિશ નેતા બર્ગર જાર્લે વસાવેલું હોવાનું કહેવાય છે. સ્ટૉકહોમ માલેરન સરોવર અને બાલ્ટિક સમુદ્ર વચ્ચેના સ્વીડનના પૂર્વ કાંઠે વસેલું છે. તે સ્વીડનનું મુખ્ય વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તેનો વિસ્તાર ૬,૫૧૯ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી ૨૪,૧૫,૦૦૦ (૨૦૨૩, આશરે) જેટલી છે. ૧૬૩૪માં તે સ્વીડનનું પાટનગર બન્યું. સ્ટૉકહોમનું શહેરી આયોજન ખૂબ વ્યવસ્થિત રીતે કરવામાં આવેલું છે. તેની ગણના દુનિયાનાં અતિ સુંદર શહેરોમાં થાય છે. તે આશરે ૫૦ પુલોથી સંકળાયેલા ૧૪ જેટલા ટાપુઓ પર વસેલું છે. ગીચ વનરાજીથી આચ્છાદિત ટેકરીઓ વચ્ચેના રમણીય કુદરતી સ્થળદૃશ્યો તેની ભવ્યતામાં ઉમેરો કરે છે. સ્ટૉકહોમની પૂર્વ તરફ આવેલા સમુદ્રમાં નાના-મોટા કદના હજારો ટાપુઓ દ્વીપસમૂહ રચે છે. આ ટાપુઓમાં નાની નાની વસાહતો તેમ જ નાના કદની કુટિરો જોવા મળે છે. આ ટાપુઓ પ્રવાસીઓનું આકર્ષણકેન્દ્ર બની રહેલા છે. સ્ટૉકહોમનું મધ્યસ્થ સ્થળ તેનું પુરાણું નગર છે. તે ‘ગમલાસ્તાન’ તરીકે ઓળખાય છે. અહીં અઢારમી સદીનો વિશાળ શાહી મહેલ આવેલો છે. આ મહેલ જે ટાપુ પર છે, તે જ ટાપુ પર સ્વીડનનું સંસદભવન પણ આવેલું છે. ગમલાસ્તાનની ઉત્તરે આધુનિક ધંધાદારી મથકો તથા મુખ્ય બજાર આવેલાં છે. સ્ટૉકહોમ સ્વીડનનું મહત્ત્વનું બંદર પણ છે.

સ્ટૉકહોમ શહેર

શહેરમાં પ્રકાશન, રસાયણો, કપડાં, યંત્રસામગ્રી, ધાતુપેદાશો અને રબર-પેદાશોના એકમો આવેલા છે. શહેરના મોટા ભાગના લોકો કેન્દ્રસરકારની, રાજ્યકક્ષાની કે ખાનગી નોકરીઓ કરે છે. અન્ય કેટલાક લોકો વેપાર તથા ઉત્પાદનપ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. સ્ટૉકહોમ ભૂગર્ભીય રેલમાર્ગની સુવિધા ધરાવે છે. તે સડકમાર્ગે, રેલમાર્ગે તથા હવાઈ માર્ગે અન્ય શહેરો સાથે જોડાયેલું છે. આ શહેરમાં સ્ટૉકહોમ યુનિવર્સિટી, પુસ્તકાલય, શાહી નૃત્યશાળા, ઑપેરા અને થિયેટર આવેલાં છે. આ ઉપરાંત અહીં ઘણી કલાદીર્ઘાઓ (art gallaries) અને સંગ્રહાલયો પણ છે. વળી મનોરંજન માટે લોકપ્રિય સ્કાનસેન નામનો ઉદ્યાન, પ્રાણીસંગ્રહાલય અને ઓપન ઍર સંગ્રહાલય પણ આવેલાં છે. વીસમી સદીના મધ્યકાળથી સ્ટૉકહોમના જૂના આવાસોને પાડી નાખી નવા આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ સાથે સાથે તેની રમણીયતાને પણ જાળવી રાખવાનો પ્રયાસ કરાયો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦